Tuesday, June 30, 2015

ગાંધીજી કહે છે : વચન વિશે


"વચન આપવું નહીં, પણ આપવું તે દેહ જાય તો ભલે પણ પાળવું."

બાપુ      

રમાબહેન જોશીને પત્ર

૧૨-૦૨-૧૯૩૩

Wednesday, June 24, 2015

વી.આર.મહેતાનું 'વહીવટમાં હાસ્ય'

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ડૉ. વસંત આર. મહેતા (જન્મ : ૨૨-૦૬-૧૯૧૪, રાજકોટ) સનદી સેવા, રાજ્ય વહીવટ, અને કૃષિશિક્ષણના ક્ષેત્રે સન્માનનીય નામ છે. તેમના દાદા ઘેલાભાઈ સુરતમાં રેવરન્ડ ટી.એલ. વેલ્સના વિદ્યાર્થી હતા. વસંતભાઈના પિતા રતિલાલ ઘેલાભાઈ મહેતા રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મોહનદાસ કરમચંદ ગાંધીના સહાધ્યાયી અને સખા હતા. વસંતભાઈએ આ જ શાળામાં માધ્યમિક શિક્ષણ તેમજ જૂનાગઢ-અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેઓ વિજ્ઞાન અને કાયદાના વિષયમાં સ્નાતક થયા. વી.આર.મહેતાએ સૌરાષ્ટ્ર રાજ્ય સનદી સેવા (૧૯૪૮-૧૯૫૨) અને ભારતીય વહીવટી સેવા (૧૯૫૨-૧૯૭૨) દ્વારા સૌરાષ્ટ્ર, બૃહદ મુંબઈ, અને ગુજરાત રાજ્યમાં પડકારરૂપ કામગીરી કરી હતી.

વી.આર.મહેતા તત્કાલીન ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલપતિ (બે સત્ર, ૧૯૭૨-૧૯૭૮) અને ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયના કુલપતિ (બે સત્ર, ૧૯૮૫-૧૯૯૧) તરીકે સેવારત હતા. મહેતાસાહેબને કૃષિક્ષેત્રે શિક્ષણ અને સંશોધનમાં પહેલરૂપ કાર્ય માટે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ડૉક્ટર ઓફ લિટરેચર (ઈ.સ. ૨૦૦૫) અને કૃષિના સર્વાંગી વિકાસ માટે જીવનપર્યંત નોંધપાત્ર પ્રદાન બદલ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ડૉક્ટર ઓફ સાયન્સ (ઈ.સ. ૨૦૦૮) જેવી માનદ્ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


ડૉ. વસંત રતિલાલ મહેતા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વ.ર.મહેતાએ 'હાસ્ય વેરાયું હાઈકુમાં' જેવા પુસ્તકથી માંડીને ઉછરંગરાય નવલશંકર ઢેબરના વિચાર-સંચયો પણ કર્યા છે. વી.આર.મહેતાનાં પ્રકાશિત અંગ્રેજી પુસ્તકોમાં ‘શાઇનિંગ શેડોઝ’, ‘ડૉન ટુ ડસ્ક’, ‘ડસ્ક ટુ ડૉન’, ‘ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ’, ‘અ બ્લડલેસ લેન્ડ રીવોલ્યુશન’, ‘ફ્રોમ ધી ફાઈલ્સ ઓફ અ સ્ટેટ્સમેન’, ‘સાયન્સ ઇન વેદિક લિટરેચર ઓફ એન્સિએન્ટ ઇંડિયા’, ‘ગ્લિમ્પ્સીસ ઓફ ગૂડ ગવર્નન્સ’નો સમાવેશ થાય છે. આવાં ગંભીર પુસ્તકોની સાથે વી.આર.મહેતાએ ‘હ્યુમર ઇન એડમિનિસ્ટ્રેશન’ (વર્ષ : ૨૦૧૨; પૃષ્ઠ : ૧૨ વત્તા ૨૮, કિંમત : ૬૦ રૂપિયા) નામનું 'હળવું' પુસ્તક પણ આપ્યું છે. અમદાવાદના સદ્દવિચાર પરિવાર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલા આ પાતળા પુસ્તકનાં બે પાકાં પૂંઠાં વચ્ચે પંદર પ્રસંગો સચવાયેલા છે. આટલી ગંભીર વિગતો પછી હવે, વસંતભાઈએ 'વહીવટમાં હાસ્ય' કેવી રીતે શોધ્યું તેને સરકારની જાણીતી ૮૦:૨૦ની યોજના અનુસાર પુસ્તકના પંદર પૈકીના ત્રણ પ્રસંગો વાટે માણીએ!

‘હ્યુમર ઇન એડમિનિસ્ટ્રેશન’ પુસ્તકનું આવરણ-પૃષ્ઠ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આ પુસ્તકના પ્રથમ પ્રકરણનું શીર્ષક છે : 'ઇન ડીપ સ્લમ્બર.' સૌરાષ્ટ્ર રાજ્યે 'ઓલ ઇંડિયા સ્પીકર્સ કોન્ફરન્સ'નું આયોજન કર્યું હતું. પરિષદના અંતે, સોમનાથની મુલાકાત નિર્ધારિત કરવામાં આવી હતી. જૂનાગઢથી વેરાવળ સુધી આવન-જાવન કરવા માટે ખાસ રેલગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વેરાવળથી જૂનાગઢ પરત આવ્યા બાદ, એક ખાસ બેઠકમાં સંસદીય નાયબ અધ્યક્ષ અનંતશયનમ્ આયંગાર સંબોધન કરવાના હતા. બન્યું એવું કે, સોમનાથ મંદિરથી બહુ દૂર નહીં એવા ત્રિવેણી સંગમમાં શ્રી આયંગારે શ્રાદ્ધ-વિધિ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. વેરાવળના નાયબ કલેક્ટરે તાબડતોબ વ્યવસ્થા કરી આપી. વિધિ પૂરી કર્યા સિવાય ઊઠી શકાય નહીં, એટલે શ્રી અનંતશયનમ્ રેલવે-સ્ટેશને સમયસર પહોંચી શક્યા નહીં! ઉતાવળમાં કોઈએ રેલગાડીમાં તેમની ગેરહાજરીની નોંધ પણ ન લીધી.

રેલગાડી સમયસર ઊપડીને નિર્ધારિત વખતે જૂનાગઢ પહોંચી ગઈ. ઘટનાની ગંભીરતાને પારખી ગયેલા વેરાવળના નાયબ કલેક્ટરે, શ્રી અનંતશયનમ્ જૂનાગઢ મુકામે સમયસર પહોંચી શકે એ માટે, પોતાનો પદાધિકાર વાપરીને મોટરકારની વ્યવસ્થા કરી આપી. સભાખંડમાં થોડા મોડા પડવા બદલ આયંગારજીએ દોષભાવ અનુભવ્યો હશે, પણ તેઓ મૂળે તો વિનોદવૃત્તિના માણસ હતા. પોતાની ભૂલચૂક ઉપર ઢાંકપિછોડો ન કર્યો, પણ વિલંબનું કારણ આપતાં, તેમણે આ વાક્યથી શરૂઆત કરી : 'હું અનંતશયનમ્ છું. કોઈકે તો મને ગાઢ નિદ્રામાંથી ઉઠાડવો જ રહ્યો!' આટલું સાંભળતાં જ સમગ્ર સભાખંડમાં બુલંદ હાસ્યનું મોજું ફરી વળ્યું.

બીજા પ્રકરણમાં 'થ્રી રોઝીઝ' શીર્ષક હેઠળ, લેખકે નવાનગરના જામસાહેબનું હાજરજવાબીપણું અને શબ્દ-ચાતુર્ય આલેખ્યું છે. જામસાહેબના મહેમાન બનેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ઉતારો પ્રતાપ વિલાસ પેલેસમાં હતો. જામસાહેબ નહેરુજીને રાત્રિભોજનના ટેબલ તરફ દોરી ગયા. નહેરુના અચકન-ગાજમાં ગુલાબનું ફૂલ ખોસેલું હતું. દરમિયાનમાં, વડાપ્રધાન કદાચ પોતાની હાજરીની નોંધ લે એટલા માટે નહેરુજીના ગુલાબ તરફ અંગુલીનિર્દેશ કરતાં કલેક્ટર બોલ્યા : 'સાહેબ, ગુલાબના ફૂલની સુગંધ સર્વત્ર છવાઈ ગઈ છે.' આટલું સાંભળતાં જ, પંડિતજીએ પોતાના ગુલાબ સામે નજર કરીને સ્મિત કર્યું.

જવાહરલાલ કશું કહે એ પહેલાં જામસાહેબ બોલ્યા : 'અહીં ત્રણ 'ગુલાબ' છે. એક ગુલાબ કે જે વડાપ્રધાન હંમેશાં પોતાની સમીપ રાખે છે. બીજું ગુલાબ એટલે ગુલાબજાંબુ. અને ત્રીજું ગુલાબ એટલે મારાં પત્ની ગુલાબકુંવરબા!' આટલું સાંભળતાં જ નેહરુ સહિત સૌ કોઈ હસી પડ્યા. જોકે, ગુલાબજાંબુ વિશેના નહેરુના અજ્ઞાનને પારખી ગયેલાં જામસાહેબે કહ્યું કે, 'ગુલાબજાંબુ એ જામનગરની પ્રખ્યાત મીઠાઈ છે.' જામસાહેબને એવું લાગ્યું કે, હજુ પણ 'ગુલાબજાંબુ'નો અર્થ સંપૂર્ણપણે સમજાવી શકાયો નથી. એટલે તેમણે કહ્યું કે, 'તે ટેબલ ઉપર મૂકેલી ડિશમાં છે.' પોતાની વિનોદવૃત્તિને આગળ વધારતાં જામસાહેબે ઉમેર્યું કે, 'તે બ્રાઉન એગ્ગ્સ (તપખીરિયા રંગનાં ઈંડાં) નથી!' આ સાંભળીને સૌ કોઈ હસી પડ્યાં.

આ પુસ્તકના અંતિમ પ્રકરણનું શીર્ષક છે : 'અ મોલ ઓન ધી રાઈટ ચીક.' નવનિર્મિત 'સૌરાષ્ટ્ર રાજ્ય'માં જિલ્લાકક્ષાના વહીવટી માળખાને ધ્યાનમાં રાખીને અધિકારીઓની ભરતી માટેના નિયમો ઘડવાના હતા. એક વિભાગીય વડાને તેના 'જિલ્લા કક્ષાના અધિકારીઓ'ની જગ્યા માટેના ભરતી-નિયમો સૂચવવાનું કહેવામાં આવ્યું. એ અધિકારીએ બોમ્બે રાજ્યના આનુષંગિક નિયમોને અનુસરવાને બદલે, પોતાને અનુફૂળ હોય તેવા નિયમો ઘડવા માટે બુદ્ધિ દોડાવી! તેમણે પસંદગીથી સીધી ભરતી માટેના નિયમના પહેલા ભાગની નકલ કરીને, બઢતીથી નિમણૂક માટેનો નિયમ આ રીતે સૂચવ્યો : 'ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતી કોઈ વ્યક્તિએ ૦૧-૦૧-૧૯૪૮ના રોજ ૪૪ વર્ષ પૂરાં કર્યાં હોય અને જેમણે અગાઉના પ્રથમ વર્ગના રાજ્યમાં અધિકારી તરીકે ચાર વર્ષ સેવા આપી હોય તેઓ પણ આ જગ્યા માટે લાયક ગણાશે.'

આ દરખાસ્ત કુશાગ્ર બુદ્ધિપ્રતિભા ધરાવતા મુખ્ય સચિવ પાસે ગઈ. તેમણે તત્ક્ષણ પકડી પડ્યું કે, દરખાસ્ત કોઈ ચોક્કસ વ્યક્તિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેઓ આ દરખાસ્તને એવી પણ કડક ચેતવણી સાથે પરત મોકલી શક્યા હોત કે, 'બોમ્બે રાજ્યમાં અમલી એવા આનુષંગિક સેવા-નિયમોનો અભ્યાસ કરીને જ સુધારેલી દરખાસ્ત મોકલવી.' તેના બદલે તેમણે આવી ટૂંકી નોંધ મૂકી : 'અધિકારીશ્રી એ જણાવવાનું ભૂલી ગયા લાગે છે કે, અરજદારના 'જમણા ગાલ ઉપર તલ' હોવો જોઈએ.' લાગતા-વળગતા અધિકારીને પાઠ ભણાવવા માટે આટલા શબ્દો પૂરતા હતા!

૧૦૧ વર્ષના ડૉ. વી.આર. મહેતા અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને સ્વસ્થ અને સ્થિર જીવન ગાળી રહ્યા છે. આ કતારલેખકે ૧૯-૦૬-૨૦૧૫ના રોજ મહેતાસાહેબની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે તેમની વાતચીતમાં 'હાસ્ય' પ્રગટતું હતું. દુનિયાની સૌથી મોટી અને જાડી લોકશાહીમાં પ્રજા પણ 'વહીવટ'નું મહત્વ સુપેરે સમજે છે. સમગ્ર વહીવટ કાયમ માટે હાસ્યાસ્પદ બને એ પહેલાં, જે તે કામકાજમાં ગળાડૂબ વહીવટકર્તા હાસ્યના પ્રસંગો શોધી કાઢે અને તેને વિનાવિલંબે પ્રગટ કરે એ વખતની અને વાચકની માંગ છે.

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

વી.આર.મહેતાનું 'વહીવટમાં હાસ્ય'
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

'હળવે હૈયે'




વી.આર.મહેતાનું 'વહીવટમાં હાસ્ય'
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬


Tuesday, June 23, 2015

ડૉ. વસંત રતિલાલ મહેતાને ૧૦૨મા જન્મદિન નિમિત્તે અભિવંદન


ડૉ. વસંત રતિલાલ મહેતા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ડૉ. વસંત રતિલાલ મહેતા ( જન્મ : ૨૨-૦૬-૧૯૧૪, રાજકોટ )

Saturday, June 20, 2015

મહેન્દ્ર મેઘાણીને જન્મદિવસે વાચનપૂર્વક અભિવંદન ...


મહેન્દ્ર મેઘાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

નામ : મહેન્દ્ર મેઘાણી

ઓળખ : સાહિત્યવનમાં વહેતી અક્ષરમતી નદીના કિનારે આવેલા પુસ્તકાશ્રમના વાચનઋષિ!

જન્મદિવસ : ૨૦-૦૬-૧૯૨૩

Wednesday, June 17, 2015

મેગી આપણને બનાવી ગઈ!

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

એક નહીં જાહેર થયેલી વિગત પ્રમાણે, છેક મહાભારત-કાળમાં પણ મેગીના પુરાવા મળી આવ્યા હતા. સવારે નિશાળે જતાં સોએ સો કૌરવોને, ગાંધારી નાસ્તાના ડબ્બામાં મેગી-નૂડલ્સ આપતી હતી. આ માટે ગાંધારીએ 'મેગીજટા' નામની દાસીને વિશેષ ફરજ સોંપી હતી. જીવનનાં ઘડતર-ચણતરનાં વર્ષો દરમિયાન જથ્થાબંધ મેગી ખાઈ ચૂકેલા કૌરવિયા જીવનભર સીસા સમાન ઝેર ન ઓકે તો જ નવાઈ! હાલના દિવસોમાં, મેગીમાં મોનોસોડિયમ ગ્લુટામેન્ટ (એમએસજી) અને સીસું(લેડ) નિર્ધારિત માત્રાથી વધુ પ્રમાણમાં હોવાનું પ્રયોગશાળા-પરીક્ષણમાં સાબિત થયું. નૂડલ્સ ઉપરાંત નેસ્લે કંપની સૂપ, સોસ, ક્યુબ, અને વિશેષ તો લોકોને બનાવે છે. 'વિદેશી અળસિયાં' તરીકે ઓળખાતી મેગી કોઈ પણ બનાવી શકે. મેગી કોઈને પણ બનાવી શકે! હિંદમાં સરદાર વલ્લભભાઈ પટેલ એક માત્ર 'લોખંડી પુરુષ' હતા. આજે મેગીબાઈ થકી અનેક માણસો 'સીસું પુરુષ' બની ગયા છે.

આપણા દેશમાં મેગીના દીવાના કાંઈ ઓછા નહોતા. બચ્ચાંથી માંડીને બુઢ્ઢાં એમ સૌ કોઈ મેગીને ઝાપટતાં હતા. સાવ નાનું બાળક અને ઘણા મોટા વૃદ્ધને મોઢાંમાં દાંત ન હોય એટલે મેગીને પતાવી દેવાનું સહેલું પડે. શિયાળામાં દાદાને નાહવા માટે ગરમ પાણીનું તપેલું મૂક્યું હોય તો પૌત્રીને એવો વિચાર આવે કે, આમાં મેગીનું એક ગૂંચળું નાખીએ તો દાદાને અને ખુદને ખાવાની મજા આવી જાય. વહેતી થયેલી રમૂજ અનુસાર, એક ભાભાને કોઈકે પૂછ્યું કે, 'તમને બે મિનિટ માટે દેશના વડાપ્રધાન બનાવવામાં આવે તો તમે શું કરો?' જવાબ મળ્યો : 'હું મેગી બનાવું.' ભાભાની વાત સાચી છે. બજારવાદે અને આહારવાદે આપણને એવું ઠસાવી દીધું છે કે, બે મિનિટમાં મેગી સિવાય કશું ન બને! ભાભાને એક વધુ સવાલ પૂછવામાં આવ્યો કે, 'જો તમને પાંચ વર્ષ માટે દેશના વડાપ્રધાન આવે તો તમે શું કરો? ઉત્તર મળ્યો : 'હું વડાપ્રધાન ન બનું.' ભાભાને ટૂંકો પ્રશ્ન પુછાયો : 'કેમ?' ભાભાએ જવાબ વાળ્યો : 'એટલી બધી મેગી પછી કોણ ખાય?' ટૂંકામાં, જમાનાના ખાધેલ ભાભા મેગી સિવાય બીજું કશું ખાઈ કે ગાઈ જ ન શકે એવી મનોસ્થિતિ સર્જાઈ હતી.

મેગી નૂડલ્સની સૌથી મોટી ઉપલબ્ધિ એ રહી કે, એણે લાખો લોકોના એ વહેમને 'બે મિનિટ' માટે પણ પોષ્યો કે, તેમને રસોઈ બનાવતાં આવડે છે. લગ્નઇચ્છુક યુવતીઓ અને લગ્નવિમુખ યુવકો પોતાને રસોઈ એટલે કે કૌંસમાં મેગી બનાવતાં આવડે છે એવું ગૌરવ લેતાં હતાં. મેગીની જાહેરખબરોએ જાણે કે કાળદેવતાની વ્યાપકતાને 'બે મિનિટ'માં સીમિત કરી દીધી હતી. સ્વર્ગસ્થ વ્યક્તિઓ કે વીર શહીદોના માનમાં મૌન પાળવા માટેની 'બે મિનિટ' કરતાં મેગી બનાવવા માટેની 'બે મિનિટ' વધુ યાદ રહી ગઈ હતી. બે મિનિટ માટે વિચારો કે આ 'બે મિનિટ'ના બહાને આપણા દેશના કરોડો લોકોની અબજો મિનિટ અને અમૂલ્ય આરોગ્ય બગડ્યાં કે નહીં? આથી જ, ગરીબીની રેખાની પડોશમાં રહેતા એક ભિખારીએ મધ્યમ-વર્ગીય ઘર આગળ પોકાર કરીને ખાવાનું માંગ્યું, ત્યારે ઘર-ધણિયાણીએ અંદરથી જવાબ આપ્યો : 'બે મિનિટ.' ભિખારીએ 'બે મિનિટ' સાંભળ્યું એટલે એણે ચાલતી નહીં, પણ દોડતી પકડી!

એક સમીસાંજે રસ્તાની પગદંડી ઉપર ઊભેલી લારી ઉપર ટીંગાડવામાં આવેલા પાટિયા ઉપર અમે વાંચ્યું : 'મેગીનાં ભજિયાં મળશે.' અમને એમ થયું કે, આ લખાણમાં ભાષાકીય ભૂલ છે. 'મેથીનાં ભજિયાં'ની જગ્યાએ ભૂલથી 'મેગીનાં ભજિયાં' લખાઈ ગયું હશે. આ અમારો ખંડકાલીન ભ્રમ હતો. ત્યાં પ્રજા ખરેખર મેગીનાં ભજિયાં માણી રહી હતી. દેશી ભજિયાંએ વિદેશી મેગીને પોતાના વેસણમાં સમાવી લીધી હતી. જે 'ભજિયાં-સંસ્કૃતિ'એ મેગીકુમારીને આવો ભાવમય આવકારો આપ્યો તેણે આપણી સાથે દગો કર્યો. જેના કારણે પ્રજાની દેહધાર્મિક લાગણી દુભાઈ છે. ફરી વાર, એક રવિવારે થોડા મિત્રો ઘણી મેગી ખાવા ગયા. પહેલા જ કોળિયામાં મેગી સાથે સ્ટેપ્લરની પિન આવી. તેઓએ ફરિયાદ કરી એટલે હોટેલ-માલિકે દિલગીરી પણ વ્યક્ત કરી. તેમણે ભવિષ્યમાં આવી ખતરનાક વસ્તુ ખોરાકમાં નહીં આવે એવું આશ્વાસન પણ આપ્યું. આજે એવું લાગે છે કે, સ્ટેપ્લરની પિન તો આપણને દેખાઈ. પરંતુ એવું જ ખતરનાક સીસું તો આપણને દેખાયું જ નહીં. આ કારણોસર મેગીના માલિકને 'સીસુંપાલ' જાહેર કરીને, તેમને ભગવાન કૃષ્ણ જેવી ઉદારતા દાખવીને સો વખત સુધી માફ કરવાની જરૂર નથી!

'જવાબદાર જગતજન' તરીકે આપણે મેગીનો બહિષ્કાર કરવાની અહિંસક પદ્ધતિઓ શોધવી જ રહી. આઝાદીની ચળવળમાં ગાંધીજી વિદેશી વસ્ત્રોની હોળી કરાવતા હતા. આથી, મેગીની હોળી કરાવીને આપણે દેશદાઝનો પરિચય કરાવવો રહ્યો. જોકે, આમાં કંઈ પણ બની શકે. મેગીની હોળી કરવા માટે લોકો અને લાકડાં ગોઠવાઈ ગયાં હોય, હોળીમાં સ્વાહા કરવા માટેનાં મેગીપડીકાં હાથવગાં હોય, હોળીમાં અગ્નિદેવતા પ્રગટી રહ્યા હોય, ત્યાં અચાનક જ એક 'બજારિયો' માણસ દોડતો આવે. તેના હાથમાં હવા ભરેલી તપેલી અને પાણી ભરેલી બાલદી હોય. આ 'શંકાસ્પદ' માણસ હોળીના જ્વાળામુખ ઉપર તપેલીને ગોઠવીને તેમાં પાણી ભરી દે. હોળી આસપાસ એકઠાં થયેલાં નર-નારી કશું પૂછે એ પહેલાં જ તે બોલે : 'બસ, દો મિનટ'. 'સમજુને ઇશારો પૂરતો' એમ સમજીને ત્યાં એકત્ર થયેલી ભીડ પોતાના હાથમાં પકડી રાખેલાં મેગી-ગૂંચળાંને ઊકળતા પાણીવાળી તપેલીમાં ઠાલવી દે. કોઈ શ્રદ્ધાળુ નમૂનો 'મેગીમાતા કી જય'નો બુલંદ નારો બોલાવે. આ સાંભળીને બાળકોની ટોળકી દોડી આવે. સહુ સાથે મળીને, 'બે મિનિટમાં' બનેલી મેગીને બારથી માંડીને બાવીસ મિનિટ સુધી ગળચ્યાં કરે. આ સમગ્ર વિરોધ-પ્રદર્શન અહિંસક હોવા ઉપરાંત રચનાત્મક પણ છે એવું કહેનારો કોઈ 'માઈનો લાલ' પણ મળી આવશે!

છેલ્લા કેટલાક દાયકાથી 'અળવીતરાં અળસિયાં' ખાઈ-ખાઈને 'મેગીસ્વી' પ્રજા તૈયાર થઈ છે. નાનપણથી જ આપણે ત્યાં શિશુ સીસું ખાય છે! વૈશ્વિકીકરણના યુગ અગાઉ, મેગીને લઘુતાગ્રંથિનો અનુભવ કરાવી શકે તેવી ઘઉંના લોટની સેવને ઘરે તૈયાર કરવામાં આવતી હતી. તેને પાણીમાં બાફીને, તેમાં ઘી-ગોળ ઉમેરીને ખાવાથી બાળકોને પોષણ અને સંતોષ મળતાં હતાં. દરમિયાનમાં, ગુજરાત સરકારે મેગીનાં વેચાણ અને વપરાશ ઉપર એક મહિના માટે પ્રતિબંધ જાહેર કરી દીધો છે. જોકે, અમદાવાદ જેવા શહેરમાં કેટલાંક કુટુંબોએ આ જાહેરાત અગાઉ મેગીનાં પડીકાં ખરીદ્યાં હતાં. આથી, તેમણે માંહે-માંહે એવું નક્કી કર્યું છે કે, તેઓ એક મહિના પછી જ એ મેગીનો ઉપયોગ કરશે. આખરે, સરકાર પ્રત્યેની વફાદારી જેવી પણ કોઈ ચીજ પ્રજામાં હોય છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 

http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/17062015/0/1/

મેગી આપણને બનાવી ગઈ!
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર



.................................................................................................................................
સૌજન્ય :


મેગી આપણને બનાવી ગઈ!
'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર
'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

Friday, June 12, 2015

Positions & Compositions!


ચોકઠાંનું ચાતુર્ય 

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Wednesday, June 10, 2015

પારકી છાશ, સદા નિરાશ

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

એક જમાનામાં 'શરતો લાગુ'ની ફૂદડી વગર છાશ મફતમાં મળતી હતી. 'સ્થાનિક ધારાસભ્યને મળેલા અનુદાનમાંથી' જેવાં પ્રસિદ્ધિ-પાટિયાં વિના પણ છાશની પરબો ચાલતી હતી. આપણી ભાષામાં 'છાશવાર' જેવો શબ્દ પ્રચલિત હતો. જોકે, આજકાલ દૂધના ભાવ છાશવારે વધતા જોવા મળે છે. વીસમી સદીની શરૂઆત થઈ એ અગાઉ, અમેરિકામાં ડુક્કરને છાશ પિવડાવી દેવામાં આવતી હતી. દરમ્યાનમાં ડુક્કરના નહીં, પણ છાશના ગુણધર્મો ધ્યાનમાં આવ્યા. ત્યારબાદ, ત્યાં માણસો માટે છાશનો વપરાશ શરૂ થવા લાગ્યો. આપણે ત્યાં આખું વર્ષ માણસો ભલે એક પગ દૂધમાં અને એક પગ દહીંમાં રાખે, પરંતુ ઉનાળામાં તો માણસોએ બન્ને પગ છાશમાં રાખવા જોઈએ! 'દૂધિયા દાંત' પડી ગયા પછી આખી જિંદગી આપણે જે દાંતથી ચલાવીએ છીએ તેને 'છાશિયા દાંત' કહેવા જોઈએ.

રાષ્ટ્રમાં એકકાળે દૂધ-દહીંની નદીઓ વહેતી હતી. જયારે સૌરાષ્ટ્રમાં આજે પણ 'છાશનો દરિયો' તોફાને ચડેલો જોવા મળે છે. 'સૌરાષ્ટ્રની સંસ્કૃતિમાં છાશની વ્યાપ્તિ અને ખ્યાતિ : એક પાણીદાર અધ્યયન' એ સંશોધનનો વણવલોવ્યો વિષય છે. છાશને ભારતભૂમિ 'રાષ્ટ્રીય પીણું' જાહેર ન કરે તો કાંઈ નહીં, સૌરાષ્ટ્રે તો છાશને પોતાનું એટલે કે 'સૌરાષ્ટ્રીય પીણું' જાહેર કરી જ દીધું છે. જોકે, આપણે ત્યાં 'સૌરાષ્ટ્રની રસધાર' જેવી બળૂકી કૃતિ છે, પણ ‘સૌરાષ્ટ્રની છાસધાર’ જેવું સર્જન ક્યારે થશે? ગુજરાતી સાહિત્ય-સૃષ્ટિમાં ગની દહીંવાલા હતા, પરંતુ ધની છાશવાલા કેમ નથી?

સૌરાષ્ટ્રનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દશ મિલીલિટર છાશનાં ઇન્જેક્ષન રાખવામાં આવતાં નથી. કારણ કે, અહીં છાશનો એક બાટલો ચઢાવો એટલે ગમે તેવો કાઠિયાવાડી પથારીમાંથી ઊભો થઈ જાય. થોડા વખત પહેલાં કાઠિયાવાડથી જાન નીકળી. તેઓ વરરાજાની સાથે છાશનું કેન લઈ જવાનું નહોતા ભૂલ્યા. કોઈકે પૂછ્યું એટલે 'વી કેન'ની વિજયી મુદ્રા સાથે કાઠિયાવાડી અંગ્રેજીમાં જવાબ મળ્યો : ‘ઈવન ધિસ કેન ઇઝ ઓલ્સો પોસિબલ!’ સમગ્ર ગુજરાતમાં દૂધ-કોલ્ડડ્રિંક મળે, સૌરાષ્ટ્રમાં છાશ-સોડા પણ મળશે. 'શૂરવીરોની ભૂમિ'માં દૂધના પેંડાની જેમ કોઈ છાશના પેંડા માંગે તો નવાઈ ન લાગે. જો કોઈ કંપની છાશનો આઇસક્રીમ બનાવવાનું વિચારતી હોય તો અવઢવમાં ન રહે. આ કંપની ધોરાજીના ધનુભા તરફથી આજે જ બે કપ ‘છાઇસક્રીમ’નો આગોતરો ઓર્ડર નોંધી લે.

દહીંનો અહમ ઓગળે એટલે છાશ બને છે. છાશના સૌંદર્ય-પ્રસાધન ઉર્ફે મેઈક-અપમાં જીરું-મીઠું-કોથમીર જરૂરી છે. પુખ્ત ઉંમરે પહોંચેલી છાશના હાથ પીળા કરી દેવામાં આવે એટલે એ કઢી બને છે. આમ, કઢી એટલે અખંડ સૌભાગ્યવતી છાશ. છાશની ખીર ન બને, પણ ઘેંશ જરૂર બને. છાશ નાખીને બનાવેલા ખાટિયા મગ ખાધાં હોય તો ખબર પડે કે ભોજનનો અસલી સ્વાદ કોને કહેવાય. આખેઆખી ગુજરાતી થાળીને કે ભારેખમ પંજાબી વાનગીને હળવેથી 'ધક્કો' મારવા માટે છાશનો પ્યાલો મદદે આવે છે. એક લિટર પાણીની બાટલી ખરીદવી એના કરતાં અડધો લિટર છાશની કોથળી ખરીદવી વધારે હિતાવહ છે. ગામડાંમાં વોશિંગ મશીનની એટલા માટે જરૂર પડે કે, તેમાં જથ્થાબંધ છાશ વલોવી શકાય. 

છાશ કેવી રીતે પીવી જોઈએ એનું વિજ્ઞાન ન હોય, અને કળા પણ ન હોય. છાશ ચમચીએ-ચમચીએ ન પીવાની હોય, છાશનાં છાલિયાં મોઢે માંડવાનાં હોય. ગમે એટલી ઠંડી છાશ હોય તોપણ, તેને રકાબીમાં કાઢીને ન પીવાય. છાશની ચૂસકી લેવાની ન હોય, છાશને ઢીંચવાની હોય. છાશનું બંધાણ હોય, પણ છાશનો નશો ન ચઢે. કેટલાકને છાસનો ચસકો એટલે છાસકો લાગતો હોય છે. ઘણાં એમ કહે કે, 'મને તો સાવ નાનપણથી જ છાશનો ચસકો લાગેલો છે.' જાણે એણે જન્મતાંની સાથે જ માનું દૂધ નહીં, પણ બાપની છાશ પીધી હશે! એક જમાનામાં, સમાજમાં દીકરીઓને દૂધપીતી કરવાનો કુરિવાજ હતો. જોકે, કેટલાક ઘરોમાં દીકરીને છાશ વગર ચાલતું નથી. આવાં ઘરોમાં આજે પણ દીકરીને રોજેરોજ છાશપીતી રાખવાનો નિયમ અચૂક પાળવામાં આવે છે.

'છાશ લેવા જવું ને દોણી સંતાડવી' અને 'ખાટી છાશ ઉકરડે ઢોળવી' જેવી ગુજરાતી કહેવતોએ છાશમાતાના હૃદયને વલોવી નાખ્યું છે. ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર અન્યાય કરે છે, એવી ફરિયાદ વર્ષોથી ચાલતી રહે છે. પણ છાશના ગૌરવને યોગ્ય રીતે ન સાચવીને આપણે જ છાશસુંદરીને ઘોર અન્યાય કર્યો છે. પ્રાદેશિક ચિત્રપટ-સર્જકો પણ છાશમહિમા દર્શાવવામાં ઊણા ઊતર્યા છે. ગુજરાતી ચલચિત્રોમાં ગામ, ગૌધણ, ગાડું, ગીતો, ગરબા, ગોકીરો આવે, પણ છાશનો છાંટોય ન આવે. માતૃભાષાનાં ચલચિત્રોમાં, એક જ તાંસળીમાંથી છાશ પીતાં સ્નેહલત્તા-ઉપેન્દ્ર ત્રિવેદી, રીટા ભાદુરી-નરેશ કનોડિયા, રજની બાલા-રમેશ મહેતા, અરુણા ઈરાની-કિરણકુમાર, રોમા માણેક-હિતેનકુમાર, મોના થીબા-હિતુ કનોડિયા, મમતા સોની-વિક્રમ ઠાકોર જોવા ન મળતાં હોય ત્યારે કોની પાસે જઈને આ છાશ પીવી?

મુંબઈના દહીંસર વિસ્તારમાં વરસાદનું પાણી ભરાતું હોય તો ચોમાસા પૂરતું તેનું નામ બદલીને છાશસર કરી દેવું જોઈએ! છાશમાં નેવું ટકા પાણી હોય છે. આ ટકાવારી છાશમાં પાણી ધબધબાવ્યા પહેલાની છે. છાશમાં પાણી એટલે 'એચટુઓ' નાખો એટલે જે બને તેને 'છાશટુઓ' કહેવાય. ઘર બહાર જમવા જઈએ અને જથ્થાબંધ પાણીને વરી ચૂકેલી છાશ હોય તો અમે તેના માટે 'બી.એમ.ડબલ્યુ.' જેવો મોભાદાર સાંકેતિક શબ્દ વાપરીએ છીએ. 'બી.એમ.ડબલ્યુ.' અર્થાત 'બટર મિલ્ક વોટર' એટલે કે 'છાશનું પાણી'. આથી જ, ઘર જેવી છાશ ન મળે એટલે મોઢામાંથી 'પારકી છાશ, સદા નિરાશ' જેવી કહેવત અને ખરેખર તો નિસાસો નીકળી જાય છે. ક્યાંક ક્યાંક ભોજનાલયોમાં માઠી ખબર જાણવા મળે કે, ‘છાશ એક જ વખત મળશે.’ આપણે એના માલિકને કહેવું પડે કે, ‘છાશ ભલે એક જ વાર આપજો, પણ બોઘરણું ભરીને આપજો. કારણ કે, વારેઘડીએ માંગીએ એટલે આપણા બંનેનું ખરાબ દેખાય.' આમ છતાં, પૂરતી છાશ ન મળે ત્યારે ભોજનાલય-ભરથારનાં છાજિયાં ન લેવાય, પણ છાશિયાં તો જરૂર લેવા પડે.

દિવસમાં દોઢ દેગડી છાશ પેટમાં ઠાલવી દેતો હોય તોય છાશતરસ્યો જણ કહે, ‘માણસે આહાર-વિહારના નિયમ મુજબ ભોજન-આયોજન એવી રીતે કરવું જોઈએ કે, પ્રવાહી માટે પેટમાં ચોથા ભાગ જેટલી ખાલી જગ્યા રહે.’ છાશ માટે ‘તક્ર’ અને પાગલ માટે 'ચક્રમ' જેવો શબ્દ છે. આ ઉપરથી છાશ પાછળ પાગલ વીરલા માટે ગુજરાતીમાં ‘તક્રમ’ જેવો શબ્દ ચલણી બનાવવા જેવો છે! અમે ટંકે સરેરાશ નવસો બાણુ મિલિલિટર છાશ ટટકારી જઈએ છીએ. આથી, તમે અમને તાત્કાલિક અસરથી અમલી બને એ રીતે ‘તક્રમ’ જાહેર કહી શકો છો.

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 

પારકી છાશ, સદા નિરાશ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર




.................................................................................................................................
સૌજન્ય : 
પારકી છાશ, સદા નિરાશ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૬-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮


Tuesday, June 9, 2015

ધરતી ઉપરનું 'સ્વર્ગ' - છબી : ૦૪


સ્થળ : દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન
(શ્રીનગરથી બાવીસ કિલોમિટર દૂર, ૧૪૧ ચોરસ કિલોમિટરમાં ફેલાયેલો વન્યજીવન-વિસ્તાર)
મુલાનાર, જમ્મુ અને કાશ્મીર, ભારત
તારીખ : ૩૦-૦૫-૨૦૧૫

Saturday, June 6, 2015

ધરતી ઉપરનું 'સ્વર્ગ' - છબી : ૦૧


સ્થળ : 'ચશ્મે શાહી' મુઘલ ઉદ્યાન, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર, ભારત
તારીખ : ૨૭-૦૫-૨૦૧૫