Friday, August 21, 2015

'વંચિતોના વાલી' : સનત મહેતા

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

સનત મહેતા : નવ દાયકાનું આયખું, સાત દાયકાનો અજંપો
જન્મ : ૧૯-૦૪-૧૯૨૫
નિધન : ૨૦-૦૮-૨૦૧૫

સનત મહેતા : તમે બોલો, અમે સાંભળીએ


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં સનત મહેતા

સાથે છે અજય ઉમટ અને મધુ રાય

૦૪-૦૧-૨૦૧૪

એક હતા, સનત મહેતા


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં સનત મહેતા

સાથે છે જયનારાયણ વ્યાસ, વિષ્ણુ પંડ્યા, અને સંચાલિકા નિહારિકા શાહ

૦૪-૦૧-૨૦૧૪


Wednesday, August 19, 2015

ઘરનું સમારકામ : નહીં કાયરનું કામ

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

કાં એ જ જૂના ઘરથી ચલાવી લેવું, કાં સાવ નવા ઘરમાં ચાલ્યા જવું વધારે હિતાવહ સાબિત થાય છે. પણ મૂળ ઘરમાં રહીને, એમાં ધરમૂળથી 'સુધારો' આણવો કઠિન બની રહે છે. આ ક્ષેત્રના વિદ્વાનો નહીં, પણ અનુભવીઓ કહે છે કે, નજીકના કે સામેના કોઈ ખાલી મકાનને ભાડે લઈને, તેમાં ઘરના સામાનને કામચલાઉ રીતે ખસેડી દેવો એ ડહાપણનું કામ છે. બસ, ખરી મોકાણ અહીંથી જ શરૂ થાય છે. પોતાના એકના એક ઘરના સામાનને બીજે ક્યાંય ફેરવવો એ જગતનાં સૌથી જોખમી કામોની યાદીમાં અગ્રક્રમે આવે છે. મધ્યમવર્ગીય સ્ત્રી તો ઘરસામાન-હેરફેરની કલ્પનામાત્રથી રોવા જેવી થઈ જાય છે. છેવટે 'અઠે દ્વારકા'ની કહેવતને સાચી પાડવા માટે પણ તેણીએ, એ જ ઘર અને એ જ વરથી ચલાવી લેવું પડે છે!

ઘરના બેઠકખંડમાં સમારકામ શરૂ થાય એટલે ચેનલ્સ નહીં, આખેઆખું ટેલીવિઝન જ ફેરવવાના દહાડા આવે છે. આપણું નામ અર્જુન ન હોવાથી, ટેલીવિઝન સેટની બદલી અન્ય ખંડમાં કરતી વખતે, આપણું ધ્યાન કેવળ રીમોટ કંટ્રોલ ઉપર રહેતું નથી. પરિણામે બેઠકખંડના સામાનને શયનકક્ષમાં ફેરવીએ એટલે એ સામાનની સાથેસાથે રીમોટ કંટ્રોલ પણ જતું રહે એવું પૂર્વ અમદાવાદના અમુક વિસ્તારોમાં બનતું હોય છે. આ રીમોટ કંટ્રોલને શોધવા માટે પરિવારના સાડા ચાર સભ્યો અદ્દભુત એકતાનો નમૂનો પૂરો પાડે છે. કારણ કે, જેના હાથમાં પહેલું રીમોટ કંટ્રોલ આવે તેના આધારે આખા કુટુંબે કયો કાર્યક્રમ જોવાનો આવશે તે સમીસાંજે નક્કી થઈ જાય છે. આવી જ હાલત મોબાઇલ ચાર્જર ન મળે ત્યારે પણ સર્જાતી હોય છે. કારણ કે, આખો દિવસ ઘરની બહાર રહ્યા પછી, સાંજે ઘરે પહોંચીને આપણે મોબાઇલ ચાર્જર શોધવાનું અભિયાન શરૂ કરીએ ત્યારે ખબર પડે કે, મોબાઇલ ચાર્જર જ નહીં, આખેઆખું સ્વિચ-બોર્ડ ગાયબ થઈ ગયું છે!

રસોડાની છતનું સમારકામ શરૂ થાય એટલે અભરાઈઓને ખલેલ પહોંચે છે. અભરાઈ ઉપરનો સામાન ફેરવતી વખતે ઉથલપાથલ થાય ત્યારે જ, જગતને જાણ થાય છે કે બરફની છીણ કાઢવાનો સંચો કે આઇસક્રીમ બનાવવાની કોઠી ખરીદ્યા પછી યોગ્ય કામ ન મળવાથી તે ખોરંભે સિવાય બીજે ક્યાંય ચઢી શકે એમ નથી. જોકે, દર વખતે નકામી ચીજ-વસ્તુઓ જ આપણી નજર સમક્ષ આવે એવું નથી. માળિયાનો સામાન ફેરવતી વખતે એવું પણ બને, કે ત્રણ ત્રણ નંગ છત્રીઓ દર્શન આપે. આ એ જ છત્રીઓ છે જેને આપણે ગયા ચોમાસામાં શોધવાનો મરણિયો પ્રયાસ કર્યો હતો.

કારીગરે ટોઇલેટ-બાથરૂમ કે ધોવણ-ચોકડીમાં ઢાળ પાડ્યો હશે તો એ ઢાળ એકવચનમાં નહીં, પણ બહુવચનમાં હશે. પાણી નાખીને જોશો તો ઢાળના મુદ્દે તમારા સહિત સંતોષી જીવ જગતમાં ભાગ્યે જ કોઈ હશે. તમે ઢાળની પોળની અંદર રહેતા હો કે ગુલબાઈ ટેકરા ઉપર, તમારા નસીબમાં ઢાળરેખા નથી જ હોતી! આવી જ હાલત કહેવાતા કાટખૂણા છોડી ચૂકેલી દીવાલોની છે. કારણ કે, જૂના ઘરમાં નવાં બારી-બારણાં-જાળી-ચોકઠાં બેસાડતાં મિસ્ત્રીમિત્ર પોતે, નેવું અંશના ખૂણાને ધ્યાનમાં રાખીને કામ નથી કરી શક્યા એ બદલ, ઘરસમારકામના પૂર્વસૂરિ એવા કડિયાકર્મીનો વાંક કાઢશે જ.

ઘરનું સમારકામ ચાલતું હોય ત્યારે, સૌથી અગત્યનું કામ પાણી પિવડાવવાનું હોય છે. અહીં, બરછટ માણસોને નહીં, પણ પ્લાસ્ટર દ્વારા લીસી થયેલી દીવાલોને પાણી પિવડાવવાનું હોય છે. ઘરધણી થઈને તમે દિવસમાં દીવાલોને બે વખત પાણી ન પિવડાવો તો બાંધકામ-બહાદુરો દોષની ટાંકી તમારા ઉપર ઢોળશે. કારણ કે, પ્લાસ્ટર ફાટી જવાથી જે તિરાડો પડે તેની મુખ્ય જવાબદારી નર્મદાનાં ન પહોંચેલાં નીરની સાથેસાથે, નર્મદાબહેનના ઘરવાળાની પણ હોય છે!

ઘરમાં પ્લાસ્ટર થઈ જાય પછી ભીંત કે છતને લાંબો સમય સુધી કોરી રાખવાનું આપણી સંસ્કૃતિમાં નથી. આથી, ઘરની છત અને દીવાલોને નવો રંગ પહેરાવવામાં આવે છે. કૌશલ્યપૂર્ણ રંગારાના કિસ્સામાં રંગના છાંટા અને બિનકુશળ રંગારાના કિસ્સામાં લપેડાથી ટાઇલ્સ કે કોટાસ્ટોનથી મઢેલું ભોંયતળિયું તેનાં અસલી રંગ-રૂપ ગુમાવી દે છે. આટલું ઓછું હોય એમ, જો સામાન બહાર કાઢ્યા વગર જ સમારયજ્ઞ આદર્યો હોય તો રંગ-રોગાન વેળાએ સામાનને ઓરડાની ચારે દીવાલોને અડકાડીને કે ઓરડાની મધ્યે રાખવો પડે છે. પણ રંગારાની કાર્યપદ્ધતિ અને કૂચડો એટલાં વ્યાપક હોય છે કે, રંગનાં અમીછાંટણાં સર્વત્ર ઝિલાય છે. જેના કારણે ઘરની તમામ ચીજ-વસ્તુઓ જાણે ધુળેટી રમી આવી હોય તેવું વાતાવરણ સર્જાય છે.

અત્ર-તત્ર-સર્વત્ર દૃશ્યમાન રંગ-ડાઘાના પુરાવાનો નાશ કરવા માટે સમગ્ર તંત્ર અને વ્યવસ્થા કામે લગાડવાં પડે છે. રંગારો તો એમ કહીને ઊભો રહી જાય છે કે, "સાહેબ, આમાં ખાસ ચિંતા કરવા જેવું નથી. કેરોસીનનું પોતું કરી નાખશો એટલે આ ડાઘા જતાં રહેશે." આપણા હાલ-હવાલ જોયા પછી રંગારાને એમ લાગતું હશે કે, સસ્તાં અનાજની દુકાનેથી આપણે દર મહિને કેરોસીન લાવતાં હોઈશું. આ પ્રયોગ કરવાની ફરજ પડે એટલે ડાઘા જતાં તો રહે, પણ જમતી વખતે દાળ-શાકનો કોળિયો લઈએ ત્યારે એવું લાગે કે, વઘાર કેરોસીનથી થયો છે. કારણ કે, કેરોસીનની વાસ એમ ઝટ દઈને હાથનો સાથ છોડવા તૈયાર થતી નથી.

ઘરનું સામાન્ય સમારકામ ક્યારેક તો ભવ્ય જીર્ણોદ્ધાર સુધી વિસ્તરે છે. જેમાં સામાનથી માંડીને સમય સુધીના તમામ અંદાજો ખોટા પડવા માટે જન્મ લે છે. બાથરૂમની વોશ-બેસિનમાં પાણી ભરાઈ રહેતું હોય તો તેના નિકાલ માટે પહેલા તબક્કામાં ગટર-જાળી, મધ્યમ તબક્કામાં ભૂગર્ભીય પાઇપ, અંતિમ તબક્કામાં ટાઇલ્સને બદલવાની ફરજ પડે છે. કોન્ટ્રાક્ટર બદલવાનો વખત ન હોય તો આખેઆખું વોશ-બેસિન બદલાવવું એ જ ફરજિયાત વિકલ્પ બાકી રહે છે.

તમે ભલે કાર્લ માર્ક્સના ચાહક હો તોપણ, ઘરના સમારકામમાં દુનિયાભરના શ્રમિકોને એકઠા કરવાનો વિચાર ભયજનક સાબિત થાય એમ છે. તમે આગોતરું આયોજન કરીને સમારકામના તબક્કા અને તે ક્રમાનુસાર શ્રમિકસેવા વિચારી હોય તો એ તમારી સમસ્યા છે. કારણ કે, અલગ અલગ પ્રકારનાં કામ માટે આવવા જોઈતા મજૂરો એવી રીતે ભેગા થઈ જાય કે તમે એકલા પડી જાવ! વળી, ઘરને સરખું કરાવવા માટે તમે માંડ રજા લીધી હોય, પણ એ દિવસે અને ખરેખર તો એ રાત્રે અમાસ હોય એટલે તમામ કારીગરો કામચલાઉ 'ધાર્મિક' બની જાય. તેઓ દિવસે અમાસ પાળે અને ધરાર ન આવે. આવું થાય ત્યારે આપણને તારીખનું નહીં, પણ તિથિનું મહત્વ સમજાય. ઈસવીસન કરતાં વિક્રમસંવત મહાન છે, એવું જાણવા માટે પણ સંસ્કૃતિગૌરવપુરુષોએ ઘરનું સમારકામ કાઢવું જરૂરી છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :
ઘરનું સમારકામ : નહીં કાયરનું કામ
'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર
'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર




સૌજન્ય :


ઘરનું સમારકામ : નહીં કાયરનું કામ
'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર
'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬

નિમંત્રણ



Friday, August 14, 2015

શ્રમિકોના સાથી : શંકરલાલ બેંકર // આલેખન : અશ્વિનકુમાર

સૌજન્ય : 
સ્મૃતિતર્પણ : ગાંધી-સરદારના લાડકવાયા // 'દિવ્ય ભાસ્કર વિશેષ'
'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૫, શુક્રવાર, પૃષ્ઠ : ૧૨

અર્થશાસ્ત્રી, ચરિત્રકાર, અનુવાદક : નરહરિ પરીખ // આલેખન : અશ્વિનકુમાર

સૌજન્ય : 
સ્મૃતિતર્પણ : ગાંધી-સરદારના લાડકવાયા // 'દિવ્ય ભાસ્કર વિશેષ'
'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૫, શુક્રવાર, પૃષ્ઠ : ૧૨

ગાંધીવિચારના ભાષ્યકાર : કિશોરલાલ મશરૂવાળા // આલેખન : અશ્વિનકુમાર

સૌજન્ય : 
સ્મૃતિતર્પણ : ગાંધી-સરદારના લાડકવાયા // 'દિવ્ય ભાસ્કર વિશેષ'
'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૫, શુક્રવાર, પૃષ્ઠ : ૧૨

સ્મૃતિતર્પણ : ગાંધી-સરદારના સાથીદારો

પૃષ્ઠ-સૌજન્ય : http://epaper.divyabhaskar.co.in/ahmedabad/12/14082015/0/1/



Wednesday, August 12, 2015

હાથી સાથ બઢાના

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર 
.................................................................................................................................

સૌથી લાંબી એટલે કે બાવીસ મહિનાની સગર્ભાવસ્થા ધરાવવા છતાં હાથણીઓ 'જગમાં અમે, પહેલા ક્રમે'ના મિથ્યાભિમાનમાં રાચતી નથી. હાથણીનું બચ્ચું આશરે નેવું કિલોના વજન સાથે આ પૃથ્વી ઉપર 'ધમાકેદાર' અવતરણ કરે છે. હાથણીઓના અલાયદા ડૉક્ટર એટલે કે ગાયનેકો-એલિફન્ટોલોજિસ્ટ ન હોવાથી હાથણીઓની નોર્મલ ડિલિવરી (કુદરતી પ્રસૂતિ) થાય છે. જોકે, શંકર ભગવાને હાથીનું માથું વાઢીને તેને પોતાના પુત્રના ધડ ઉપર લગાવીને સૃષ્ટિની પહેલી શસ્ત્રક્રિયા કરી હતી. આ વાર્તાવર્ણન સાંભળીને 'ભગવાનથી આવું કરાય ખરું?'; 'પછી પેલા હાથીનું શું થયું?' એવા સવાલ ચારેક વર્ષની કોઈ પ્યારી દીકરી પૂછે ત્યારે ડાબા હાથે માથું ખંજવાળવું પડે.

આમ જોવા જઈએ તો હાથીની સૂંઢ એ નાકનો થયેલો વધુ પડતો વિકાસ છે. બહુહેતુકીય સૂંઢની મદદથી હાથી લાંબા શ્વાસ લઈ શકે છે, દૂરનું સૂંઘી શકે છે, સ્પર્શ કરે છે, વસ્તુ પકડે છે, અવાજ કરે છે, લડાઈ કરે છે. હાથીની સૂંઢ હાથ તરીકે પણ કામ આપે છે. જેના કારણે તે પોતાની આંખો પણ લૂછી શકે છે. હાથી સૂંઢથી મગફળીના કોચલાને એવી રીતે તોડી શકે છે કે સિંગદાણો આખો રહે! કોઈ પણ પ્રકારની સરકારી યોજના વગર પણ, હાથી સૂંઢ વડે જળસંચય કરી શકે છે. આ જ સૂંઢ નાહવા માટેનો ફુવારો પણ બની શકે છે. હાથી શાકાહારી પ્રાણી છે. તેની સૂંઢમાં એક પણ હાડકું નથી હોતું. ગમે તેવો કામચોર હાથી પણ પોતાની સૂંઢથી ત્રણસો કિલોની આસપાસનું વજન ઊંચકી શકે છે. જોકે, શેરી-રસ્તા ઉપર જોવા મળતા હાથીની સૂંઢ ઉપર શહેરીજનો બે-પાંચ રૂપિયાનો સિક્કો મૂકે છે. આ સિક્કાઓને સાચવીને લગભગ પહેલા માળ જેટલી ઊંચાઈએ 'સલામત હાથ'માં પહોંચાડવા માટે હાથીને મોંઘા ભાવની ઊર્જા ખર્ચવી પડે છે. 

હાથીને ખૂબ મોટા કાન હોય છે. તેઓ ઘણું દૂરનું સાંભળી શકે છે. આમ છતાં હાથણી તો હાથીને એવું કહેતી જ હશે કે, 'ક્યારની બૂમો પાડું છું, છતાં સાંભળતો કેમ નથી?' હાથી પોતાના કાનને પકડ્યા વગર પણ હલાવી શકે છે. જેના કારણે પવન આવે છે અને તેને ગરમીમાં રાહત મળે છે. કુદરતે માણસને પણ હાથી જેવા મોટા કાન અને એ કાન હલાવવાનું કૌશલ્ય આપ્યું હોત તો સારું થાત. જેથી કરીને ગરમી અને બફારામાં તેને રાહત થાત. જોકે, કાળઝાળ ઉનાળામાં વાસણાથી ચાંદખેડા જતી પાંચસો એક નંબરની બસમાં ઊભેલા બધા મુસાફરો કાન હલાવે તો એમના કાન એકબીજાને અડકે, અને પરિસ્થિતિ 'ખતરકાન' થઈ જાય તો કહેવાય નહીં. વળી, આળસુ માણસ પોતે કાન ન હલાવે પણ બીજાની સાવ નજીક જઈને ઊભો રહે! આવી ગુસ્તાખી કોણ માફ કરે?

'સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’માંથી ‘આપણે હાથી ખરીદીએ’ પ્રકરણ વાંચ્યા પછી 'દોઢા ગુજરાતી' તરીકે અમને કેટલાક સવાલ થવાના જ. અમે 'માહિતી અધિકાર કાનૂન'ની મદદ લીધા વગર પણ (ઓછા)લાગતા-(વધુ)વળગતાવાળાઓને આટલા સવાલ પૂછવા માંગીએ છીએ : મધ્યમ વર્ગના માણસને હાથીનો નિભાવ કેવી રીતે પોષાય? ઉદરટાંકીમાં ગંજાવર ખોરાક-પાણી પુરાવતો હાથી છેવટે કેટલી એવરેજ આપે? કોઈ મંદિરમાંથી સેકન્ડ હેન્ડ હાથી ખરીદીએ તો કિંમતમાં કેટલો ફેર પડે? હાથી ખરીદવા માટે લોન લઈએ તો એના ઉપર ભરવું પડતું વ્યાજ આવકવેરાની કઈ કલમ હેઠળ બાદ મળે? નવો હાથી ખરીદીએ તો કંપની વર્ષમાં કેટલી ફ્રી સર્વિસ કરી આપે? આપણે ગમે એટલા રૂપિયા ખર્ચીએ, પણ શહેરમાં કયો બિલ્ડર હાથી માટે અલાયદા પાર્કિંગની વ્યવસ્થા આપે છે?

અમદાવાદમાં ભદ્રકિલ્લાથી પાનકોરનાકા સુધી જઈએ તો રસ્તા ઉપર જગ્યા સિવાય બધું જ જોવા મળે છે. આવા વિસ્તારોમાં મોપેડ ચલાવો કે મોટરકાર, પરંતુ જગ્યા, ઝડપ, અને નિરાશા એકસરખી મળે છે. આ પરિસ્થિતિમાં શહેર સુધરાઈએ જાહેર ભાવપત્રક મંગાવીને હાથીસવારીની સેવા શરૂ કરવી જોઈએ. પ્રજાને ગમે તેટલી ઉતાવળ હશે તોય તેઓ રસ્તા ઉપર મહાકાય હાથીને જોઈને તેને આપમેળે જગ્યા કરી આપશે. જેના કારણે પ્રજામાં સહિષ્ણુતા અને ઉદારતાનો ગુણ કેળવાશે. હાથી ઉપર સવારી કરવાથી મોટેરાંને મહત્વ અને નાનેરાંને મનોરંજન મળી રહેશે. હાથીપીઠ ઉપર બેસનાર વિહંગાવલોકન કે સિંહાવલોકનની જેમ ગજાવલોકનનો લાભ લઈ શકશે. હાથીને મધુપ્રમેહ નથી હોતો એટલે તે કેળાં અને શેરડીની ના પાડતો નથી. જેના કારણે સમગ્ર રસ્તા ઉપર કેળાં અને શેરડી વેચવા માટેનાં પાથરણાં પથરાઈ જશે. આમ, સ્થાનિક માણસોને રોજગારી મળી રહેશે. જેના કારણે ધોળા દિવસે અમુક કલાકો પૂરતું બેકારીનું નિકંદન નીકળી જશે. આમ, હાથી થકી માહિતી, મનોરંજન, રોજગાર, અને પ્રવાસન જેવા હેતુઓ સિદ્ધ કરી શકાશે. ભદ્ર પ્લાઝા માટેની આ 'હાથીઆય યોજના' ધીરેધીરે કાંકરિયા કાર્નિવલ અને સાબરમતી રિવરફ્રન્ટ માટે પણ લાગુ પાડી શકાય તેમ છે. 

નગરોમાં ચાર રસ્તા ઉપરનાં જાહેરખબરી પાટિયાં કરતાં હાથીનાં પડખાં વધારે અસરકારક સાબિત થાય એમ છે. કારણ કે, હોર્ડિંગ્સ એ સ્થિર માધ્યમ છે, જ્યારે હાથી એ જીવંત માધ્યમ છે. વળી, હાથીના જમણા પડખા ઉપર જાહેરખબર સંબંધિત ચિહ્ન-તસવીર-સૂત્ર-પંક્તિ-બયાન કર્યાં બાદ જગ્યા ખૂટે તો નીચેના ખૂણે 'અનુસંધાન માટે જુઓ આ જ હાથીનું ડાબું પડખું' એવી નોંધ મૂકી શકાય! આમ, હાથીનાં જમણા અને ડાબા એમ બન્ને પડખાંનો છૂટથી અને વટથી ઉપયોગ કરીને રૂપિયા રળી શકાય. હાથીના શરીરનાં અન્ય અંગો જેવાં કે, કપાળ, કાન, દાંત, સૂંઢ, પગ, પૂંછડી ઉપર ચોરસ ફૂટ લેખે ભાવ વસૂલીને જાહેરખબર ચીતરી શકાય. આ સારુ કેવળ કુદરતી રંગોનો જ ઉપયોગ કરીને આપણી પર્યાવરણીય નિસબતનો પરિચય કરાવવો જ રહ્યો. અહીં, હાથી ઉપર જાહેરખબર લખવા માટે જે વિશેષ અને વિશાળ ફોન્ટ વાપરવામાં આવે તેને 'એલિફોન્ટ' જેવું નિરાળું નામ આપી શકાય.

બે હજાર બારની સાલથી બારમી ઓગસ્ટનો દિવસ 'વિશ્વ હાથી દિવસ' તરીકે ઉજવાય છે. આપણે ભલે મહોલ્લાની મઝિયારી મિલકત સમાન દેશી ગલૂડિયું પણ ન પાળતાં હોઈએ, પરંતુ આવો હાથીખમ લેખ વાંચીને ઘરેબેઠાં 'વિશ્વ હાથી દિવસ'ની ઉજવણી કરી શકીએ છીએ. સૃષ્ટિમાં હાથીના અસ્તિત્વ સામે પડકાર ઊભો થયો છે. માનવજાતે 'હસ્તીત્વ' બચાવવા માટે નક્કર પગલાં લેવાં જ રહ્યાં. આથી, અમે નક્કી કર્યું છે કે, જુવાનીમાં હાથીદાંતનું કડું ન પહેરવું અને બુઢાપામાં હાથીદાંતનું ચોકઠું ન વાપરવું. દરેક વખતે અમારાથી ઊંધું જ વિચારતા કેટલાક મિત્રો જુવાનીમાં હાથીદાંતનું ચોકઠું ન વાપરવાનો અને બુઢાપામાં હાથીદાંતનું કડું ન પહેરવાનો નિર્ધાર કરી શકે છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

હાથી સાથ બઢાના
'હળવે હૈયે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................
સૌજન્ય :


હાથી સાથ બઢાના
'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર
'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦

Monday, August 10, 2015

પુસ્તકશ્વાસી, પુસ્તકવિશ્વાસી


જયંત મેઘાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


જયંત મેઘાણી (૧૦-૦૮-૧૯૩૮)

જયંતભાઈને જન્મદિન નિમિત્તે ગ્રંથસભર શુભેચ્છા ...

Wednesday, August 5, 2015

વરસાદી પહેરણ અને પૌરુષેય મૂંઝવણ

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

સ્ત્રીઓ કાં તો છત્રી ઓઢે છે, કાં તો રેઇન-કોટ પહેરે છે, પણ રેઇન-સૂટ એ કેવળ પૌરુષેય ઘટના છે. આમાં સ્ત્રીઓ પુરુષસમોવડી બને એવી શક્યતા પાતળી છે. વરસાદી વસ્ત્ર ખરીદતી વેળાએ કોઈ અમદાવાદી ભાયડાને સવાલ થાય કે, 'રેઇન-સૂટ ધોયા પછી ચઢી તો નહીં જાય ને?'; 'રેઇન-સૂટનો રંગ જતો તો નહીં રહે ને?' રેઇન-સૂટ એક વિશેષ કોટ-પાટલૂન છે. ધોયો ન હોય છતાં સૂકવવો પડે તેવો સંજોગ રેઇન-સૂટ જ ઊભો કરી આપે છે. એક બિનસત્તાવાર સંશોધન મુજબ, હડપ્પાયુગીન સંસ્કૃતિમાં પણ પુરુષો રેઇન-સૂટને કાંજી અને ઇસ્ત્રી કરવાની ચિંતા નહોતા કરતા! જોકે, રેઇન-સૂટને અતિ જોરથી ઝાટકવાથી તેના સાંધાને વાંધા પડે છે. આ જ રીતે રેઇન-સૂટને ભૂલથી પણ નિચોવવો નહીં. નહીંતર તેને પહેરનાર પુરુષ કુપોષણનો ભોગ બન્યો હોય તેવો દેખાશે.

જે વસ્ત્રો ધારણ કરીએ તેના રંગમેળના રેઇન-સૂટ દરેકને ન પોસાય. કાળા, ભૂરા, કે બદામી રંગનો એકનો એક રેઇન-સૂટ પહેરીએ તો ગરીબી રેખાની આસપાસ આંટા મારતાં હોઈએ એવી છાપ પડે. આવી મૂંઝવણમાંથી મારગ કાઢવો હોય તો 'ટ્રાન્સપરન્ટ રેઇન-સૂટ'ના વિકલ્પને મહોલ્લાથી માંડીને જિલ્લા સ્તરે વધાવી લેવો જોઈએ. આમ, 'પારદર્શક વરસાદી પોશાક'ના કારણે એની ભીતર ધારણ કરેલાં 'કાર્યાલયી કપડાં'નું સ્વયંભૂ પ્રદર્શન થઈ જાય છે. આપણું વ્યક્તિત્વ પારદર્શક હોય કે ન હોય, વર્ષાવસ્ત્ર પારદર્શક હોય એટલું પૂરતું હોય છે. અહીં, હિંદી ચલચિત્રનાં નટ-નટીઓને વિનંતી કરવાની કે, તેઓ ચોમાસામાં 'ટ્રાન્સપરન્ટ રેઇન-સૂટ' ભલે પહેરે, પણ તેની નીચે કશુંક પહેરવાનો રિવાજ પાળે એ સમાજ અને સંસ્કૃતિના હિતમાં છે.

વરસાદી ઝાપટું આવે ત્યારે, ડાબી બાજુના રસ્તાની ડાબી બાજુની ધારે દ્વિચક્રી વાહનને ઊભું રાખીને રેઇન-સૂટ પહેરતા પુરુષોની કોઈને દયા પણ નથી આવતી. ભરબપોરે અમદાવાદના અટીરા અને પી.આર.એલ. વચ્ચેના રસ્તા ઉપર ગર્લ્સ પોલીટેક્નિક કૉલેજની સામે પુરુષ જેવા પુરુષ થઈને જાહેરમાં રેઇન-સૂટ પહેરવો પડે એ કેવી મૂંઝવણભરી સ્થિતિ છે! આમાંથી બચવા માટે રસ્તાની બન્ને બાજુએ ઝાડનું અને વાડનું સંવર્ધન કરવું જરૂરી છે. જેથી, તેની આડશમાં પુરુષો રેઇન-સૂટ પહેરી શકે અને પોતાની આબરૂનાં મિજાગરાં ઢીલાં પડતાં અટકાવી શકે. વધુમાં, વાહન ઉપર પલાણીએ એટલે રેઇન-સૂટનો નીચેનો ભાગ થોડો ચઢી જવાથી તેની લંબાઈમાં હંગામી ઘટાડો માલૂમ પડે છે. જેના કારણે અંદર પહેરેલા પેન્ટની મોરી ડોકિયું કરે અને છેવટે તે ભીંજાઈ જાય. આ તકલીફમાંથી ઊગરવા માટે વધારે લંબાઈનો રેઇન-સૂટ ખરીદવો પડે. પરિણામે, ચાલતી વખતે મોરી પગમાં આવે અને ગુજરાત જેવા 'સૂકા રાજ્ય'માં ભીના રસ્તા ઉપર લથડિયું ખાવાની શક્યતા ઊભી થાય.

રેઇન-સૂટ સરકારી કાર્યાલયમાં કેવી રીતે કાઢવો, ક્યાં સૂકવવો એવી નરસહજ વેદના નારીઓ કેવી રીતે સમજી શકશે? જે રેઇન-સૂટ ઘણા દિવસો સુધી તડકો જોતો નથી, તે છેવટે કાઠિયાવાડની તળપદી ભાષામાં કહીએ તો બોક મારી જાય છે. આવા કુવાસયુક્ત રેઇન-સૂટ માટેનું 'ફૂસફૂસિયું' ('સ્પ્રે'નું ધ્વનિમૂલક ગુજરાતી ભાષાંતર!) માણેકચોકથી માંડીને ચાંદનીચોકમાં પણ નહીં મળે. રેઇન-સૂટના મામલે સ્કૂટર ઉદાર છે, પણ બાઇક નાદાર છે. કારણ કે, બાઇકમાં હેલ્મેટ મૂકવાની બખોલ જ ન હોય, ત્યાં રેઇન-સૂટ ક્યાં મૂકવો?

ક્યારેક, રેઇન-સૂટની ટોપીની દોરીની મડાગાંઠ ઉકેલતો પુરુષ જાણે હમણાં ઊકલી જશે એવું દૃશ્ય સર્જાય છે. રેઇન-સૂટની છૂટક ટોપીને માથે ઓઢી લીધા પછી એના ઉપર હેલ્મેટ ચઢાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આ બન્ને વચ્ચે તાલમેલ ન જળવાય તો ગરદનના શિખર પર થઈને બરડાની તળેટી સુધી ચોમાસું આગળ વધતું રહે છે! વધારામાં, પુરુષો અસલી 'બનાવટ'ના રેઇન-સૂટમાં વધુ પડતી ઝિપાઝિપી કરવા જાય તો ઝિપ તેના પાટા ઉપરથી ખડી જાય છે. આવા તાકડે સ્ત્રીઓની સરખામણીમાં, પુરુષોના હાથમાં સેફ્ટી પિન પણ ક્યાં સલામત હોય છે?! પરિણામે પુરુષો બેચેન બની જાય છે. આ જ પ્રમાણે, રેઇન-સૂટનાં ઊખડી ગયેલાં સિલાઈ-સાંધામાંથી વરસાદી પાણીનો રેલો રસ્તો કરી લે છે. કેટલીક વખત આ પરિસ્થિતિ એવી રીતે, અને એવી જગ્યાએ સર્જાય છે કે, બિચારા પુરુષો શરમના માર્યા, રસ્તો ભૂવો કરી આપે તો તેમાં સમાઈ જવાનું પસંદ કરે.

કવિઓ ચોમાસા પૂરતું વાદળ, વીજળી, વરસાદ, મેઘધનુષ, મોરની કળા, છત્રી, પ્રિયતમાની ભીની લટ, મકાઈડોડો, દાળવડાં જેવા મોસમી વિષયો ઉપર કવિતાઓ લખીને ગુજરાન ચલાવે છે. વિધાતાએ તેમનાં નસીબમાં ઝભ્ભા-ચોરણી ઉપર રેઇન-સૂટ પહેરવાની પીડા લખી હોય છે. વર્ષાસત્રમાં લાંબાં-પહોળાં ઝભ્ભા-ચોરણી ઉપર ઠઠારવામાં આવતા ચુસ્ત રેઇન-સૂટથી ઝભ્ભા-ચોરણી જ નહીં, આખેઆખો કવિ ચોળાયેલો માલૂમ પડે છે. નગરજીવનના કવિની આ તનોવેદના તેની કવિતામાં પણ વ્યક્ત થઈ શકતી નથી. જે લોકો કવિ ન હોય તેમણે પણ ચોમાસામાં અંદરનું કે બહારનું ખાવામાં ખાસ ધ્યાન રાખવું. કારણ કે, દુકાન-બજારની હડિયાપાટી રહેતી હોય, નોકરી-વ્યવસાયનો સમય થયો હોય, સ્કૂટર-બાઇકને માંડ 'લાત' મારી હોય, રેઇન-સૂટ પહેર્યો હોય, અને વારેઘડીએ એક ચોક્કસ હાજત માટે જવું પડે એવા સંજોગો ઊભા થાય તો પરિસ્થિતિ બેકાબૂ બની જાય. આથી, ચાતુર્માસમાં ખોરાક-પાણી ઉપર નિયંત્રણ રાખવું એ કેવળ ધાર્મિક જ નહીં, દેહધાર્મિક ઘટના પણ બની રહે છે!

વરસાદી સવારે આઠથી દસમાં, કોઈના બેસણામાં બાઇક લઈને જવાનું થાય ત્યારે રેઇન-સૂટ ક્યાં અને કેવી રીતે કાઢવો, મૂકવો, અને પુન: પહેરવો એ ભારે કર્મસંકટ બની જાય છે. આમાંથી ધડો લઈને સ્થાનિક જીવદયાપ્રેમી મનુષ્યોએ ચોમાસામાં દુનિયા છોડવાનું મુલતવી રાખવું. જેથી કરીને બેસણાંમાં આવતા પુરુષમંડળના વરવા હાલ ન થાય. આ ઉપરાંત, ક્યાંય પણ બહાર નીકળતી વખતે વરસાદી છાંટો-પાણી દેખાય કે તરત રેઇન-સૂટમાં હાથ-પગ નાખી દેવાનો નિર્ણય લઈ લેવો પડે છે. રસ્તામાં વરસાદ વિરામ લે છતાં, કર્ણનાં કવચ-કુંડળની માફક રેઇન-સૂટ તો ડિલથી વળગેલો રહે છે. આ વખતે વાતાવરણમાં ઘામ હોય તો શરીર વગર પરિશ્રમે પરસેવો પાડવાનું શરૂ કરે છે. પરિણામે, રેઇન-સૂટ પહેર્યો હોવા છતાં ભીતરથી ભીના થવાના દહાડા આવે છે.

કચેરીમાંથી વછૂટ્યા પછી, અઢીસો ગ્રામ કંકોડાં કે પાંચસો ગ્રામ પરવળ ખરીદવા માટે શાકબજારમાં જવાનું હોય તેવા પુરુષોએ વિશેષ સજ્જતા અને સાવધાની કેળવવી પડે છે. કારણ કે, રેઇન-સૂટના બાહ્યાવરણને કારણે, ભીતરના કપડાના ખિસ્સામાંથી પાકીટ અને એ પાકીટમાંથી ચલણી નાણું કાઢવા માટે મરણિયા પ્રયાસો કરવા પડે છે. આદર્શ સ્થિતિ એ છે કે, પુરુષવર્ગે આગોતરા આયોજનરૂપે ખપ પૂરતાં રૂપિયા રેઇન-સૂટના ખિસ્સામાં હાથવગા રાખવા જોઈએ. ચાલુ વરસાદે રેઇન-સૂટના ખિસ્સામાં પણ થોડો જળસંચય થવાની શક્યતા નકારી શકાય નહીં. આવા કિસ્સામાં અને ખિસ્સામાં, કાગળનાં ચલણી નાણાંને પ્લાસ્ટિકના ઝભલાનો 'રેઇન-સૂટ' પહેરાવવો પડે છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

વરસાદી પહેરણની પૌરુષી મૂંઝવણ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર



.................................................................................................................................
સૌજન્ય :



વરસાદી પહેરણની પૌરુષી મૂંઝવણ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩