Tuesday, February 23, 2016

વિશેષ પુસ્તક, વિશિષ્ટ આવૃત્તિ, વિગતે પરિચય

'હિંદ સ્વરાજ' : વિશિષ્ટ આવૃત્તિની વાત
પુસ્તક પરિચય / અશ્વિનકુમાર
'નવજીવનનો અક્ષરદેહ', જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૧૬, સળંગ અંક : ૩૩-૩૪, પૃષ્ઠ : ૦૮થી ૧૩ 

https://issuu.com/navajivantrust/docs/navajivanno_akshardeh_2016-01___02-

તમે લગ્નમાં છેલ્લે ક્યારે મહાલ્યાં હતાં?

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

એ વખતે શહેરમાં મોકળાશ હતી. સંયુક્ત કુટુંબપ્રથા હતી. ગમે તેટલું વાજબી રાખો તોપણ, પરિવારમાં બેથી વધારે બાળકો હતાં. માતરાઈ-પિતરાઈ ભાઈઓ-બહેનો ફેસબૂક-વ્હોટ્સઅપ ઉપર નહોતાં એટલે એકબીજાને રૂબરૂ મળતાં હતાં. જ્ઞાતિની વાડીઓથી માંડીને ધર્મસ્થાનકો, સરકારી શાળાઓથી માંડીને જાહેર રસ્તાઓ, સોસાયટીની ખુલ્લી જગ્યાથી માંડીને ચાલીની સાંકડી જગ્યામાં પણ લગ્નપ્રસંગ સચવાઈ જતો હતો. ઘરઆંગણે આવેલા અવસરને પાર પાડવા માટે પરિવાર-પડોશનાં સ્ત્રીઓ-પુરુષો, સગાં-વહાલાં, જ્ઞાતિજનો-મિત્રમંડળ યથાશક્તિ ફાળો ભરતાં હતાં. કંકોતરી વહેંચવાથી માંડીને ચાંદલાવહેવારનો હિસાબ રાખવા સુધીની જવાબદારી સોંપવામાં આવતી અને હોંશે-હોંશે પાર પાડવામાં આવતી હતી. કેટલાક દિવસો અગાઉ સીધું-સામાનની ખરીદી થતી. અનાજ-કરિયાણાં સાફ થતાં. 'અર્થ' અને 'તંત્ર' અનુસાર લગ્નનું ભોજન પણ નક્કી રહેતું. લાડું કે મોહનથાળ, ફૂલવડી કે પાપડ, વાલ કે બટાકાનું શાક, રોટલી કે પૂરી, દાળ વત્તા ભાત સાથે થાળી અને પેટ ભરાઈ જતાં. કેટલીક જ્ઞાતિઓનાં લેખિત બંધારણમાં જાનૈયાઓની સભ્યસંખ્યા પચીસ જ નક્કી કરવામાં આવી હતી. વળી, જાનને શીરો-દાળ-ભાત જ પીરસવામાં આવતાં હતાં. લગ્નમાં આવો સાદગીપૂર્ણ અને પર્યાવરણીય અભિગમ ધરાવતી જ્ઞાતિઓને 'પછાત' કહેવાની ભૂલ કરવા જેવી નથી.

કુટુંબનાં સ્ત્રીઓ-પુરુષો મુખ્ય રસોઈયાને વિવાહની વાનગીઓ બનાવવામાં મદદ કરતાં હતાં. જાનૈયા, લગનિયા, પિયરિયાં, મોસાળિયાં, નોતરિયાં એમ સહુ પંગતમાં સમાઈ જતાં હતાં. પાટલા-પાથરણાં કે ટેબલ-ખુરશી, પતરાળાં-પડિયા કે થાળી-વાડકા, ચમચી-પ્યાલા ગોઠવાઈ જતાં. પીરસવાની પણ પદ્ધતિ હતી. પરિવારના મોભી કે મોટા ભાઈ પંગતને 'ગળી વાની' પીરસવાનું માન મેળવતા હતા. બધાંને બધી જ ચીજ પીરસાઈ જાય પછી જ કોળિયો આકાર લેતો હતો. ખોરાકનો બગાડ થતો તો 'આરોપી' શરમ અનુભવતો અને આજુબાજુ બેઠેલા સાક્ષીવીરો તેની ગંભીર નોંધ લેતા હતા. જાન બે-ત્રણ દિવસ રોકાતી. પરિચિતના ઘરે જાનીવાસો આપવામાં આવતો હતો. જાનૈયાઓ માટે દાતણથી માંડીને શિરામણ અને ભોજનથી માંડીને પાનબીડી સુધીની સગવડ સાચવી લેવામાં આવતી હતી. લગ્નમાં 'બજારીકરણ' નહોતું પ્રવેશ્યું એટલે 'સામેલગીરી' હતી. દરેકને પ્રસંગ પોતીકો લાગતો હતો. એ વખતે લગ્નમાં મહાલવાની બહુ મજા પડતી. લગ્ન વર કે વહુનો જ નહીં, પણ સહુનો અવસર બની રહેતો.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

તમે લગ્નમાં છેલ્લે ક્યારે મહાલ્યાં હતાં?
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૨-૨૦૧૬, મંગળવાર

'આપણું અમદાવાદ'

Sunday, February 21, 2016

સમાચારપત્રમાં બ્લોગના સમાચાર

'ગુજરાત સમાચાર', ૨૧-૦૨-૨૦૧૬, રવિવાર

'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૨-૨૦૧૬, રવિવાર   

Tuesday, February 16, 2016

નદીની રેત ઊંચકતાં ગધેડાં મળે ન મળે !

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………

એ વખતે અમદાવાદ શહેરમાં બાંધકામ માટે સાબરમતી નદીના પહોળા પટમાંથી રેતી લેવાતી હતી. જોકે, આ રેત ખટારા દ્વારા નહીં, પણ ગધેડાં દ્વારા બાંધકામ-સ્થળ ઉપર પહોંચતી હતી. વણજારા કે ઓડ જેવી જ્ઞાતિઓ માટે ગધેડાં આજીવિકા-આધાર બની રહેતાં હતાં. ગધેડાંની સંખ્યાના આધારે એ નાતમાં માણસનો મોભો પડતો હતો. પીઠ ઉપર રેતી ઊંચકીને ગધેડાં મહોલ્લા-ચાલી કે પોળ-ગલીમાં પહોંચી જતાં. શણનો ખાલી કોથળો સાવચેતીપૂર્વક કાપીને અને યોગ્ય રીતે સાંધીને ગધેડાંની પીઠ ઉપર એવી રીતે ગોઠવવામાં આવતો કે જેથી કરીને તેનો વચ્ચેનો ભાગ પીઠ ઉપર રહે અને છેડાના બન્ને ભાગમાં રેતી ભરી શકાય. આ બે ભાગ જાણે કે ગધેડાંનાં ગજવાં જેવાં લાગતાં. જેમાં આશરે પાંચ-પાંચ તગારાં રેતી સમાઈ શકે. કોઈ એક ગધેડાની પીઠ ઉપરના કોથળામાં ભરેલી રેતીમાં પાવડો ખોસેલો જોવા મળતો.

વણજારી કે ઓડણ પરંપરાગત ચણિયા-ચોળી-કાપડું પહેરતી અને માથે ઓઢણું રાખતી. હાથ-પગ-ચહેરા ઉપર છૂંદણાં ત્રોફાવતી. તેના હાથમાં કાંડાથી ખભા સુધી બલૈયાં અને સેંથીની સીધી લીટીથી કપાળમધ્યે લટકતો ચાંદીનો ટિક્કો જોવા મળતો. પગમાં સપાટા પહેરીને ઝપાટાભેર ડગ માંડતી. હાથમાં લાકડી રાખતી અને બે-બેની હરોળમાં ચાલતાં ગધેડાંને ટપારતી રહેતી. કહ્યાંમાં ન રહે તેવાં ગધેડાંને ડફણાં પડતાં અને તેઓ હોં...ચી ... હોં...ચી કરતાં. ગધેડાંના પ્રવેશથી શેરીનાં કૂતરાં ભસતાં અને તેમની પાછળ પડતાં. આવાં શ્વાનને ગર્દભ દ્વારા પશ્ચાત-ઉન્નત-પાદપ્રહારનો અણધાર્યો લાભ પણ મળતો. બાંધકામની જગ્યાએ 'કેટલાં ગધેડાં રેતી ઠાલવવાની છે?'ની જગ્યાએ 'કેટલાં ગધેડાં જોઈએ?' એવો જ સવાલ સંભળાતો. જૂની પેઢીએ એક ગધેડાની રેતીનો ભાવ કેટલાક આનાથી માંડીને થોડાક રૂપિયા સુધીનો આપ્યો છે. રેતી ઠાલવીને પરત થતાં ગધેડાં દરેક વખતે ખાલી પીઠે ન જતાં. ક્યારેક ઈંટ-રોડાં ખસેડવા માટે પણ તેમનો ઉપયોગ થતો. ગધેડાંને ચલાવવા માટે ન તો મોંઘા ભાવનાં ડીઝલ-પેટ્રોલની જરૂર પડતી કે ન તો તેઓ પ્રદૂષણ ફેલાવતાં. ગધેડાં ન ઝાઝો રસ્તો રોકતાં, ન બહુ ભીડ કરતાં. આજના શહેરમાં બી.આર.ટી.એસ.(બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ)નું વિસ્તરણ થાય અને ડી.આર.ટી.એસ.(ડોન્કી રિલાયેબલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)નું સંકોચન થાય એને 'વિકાસ' કહેવાય છે!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

નદીની રેત ઊંચકતાં ગધેડાં મળે ન મળે !
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૨-૨૦૧૬, મંગળવાર

'આપણું અમદાવાદ'

Wednesday, February 10, 2016

ભલા મોરા 'રામા'!

ડૉ. અશ્વિનકુમાર
…………………………………………………………………………………………………

શહેરમાં બાળકો રિક્ષા, વાન, કે બસ દ્વારા ખાનગી શાળાઓ સુધી પહોંચે છે. અમદાવાદમાં એક સમય એવો હતો કે, બાળકો શહેર-સુધરાઈ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં જ શિક્ષણ લેતાં હતાં. શિક્ષણનું માધ્યમ ગુજરાતી હતું. ભાર વિનાનું ભણતર હતું. શાળાઓ ઘરથી ખૂબ નજીક હતી. આથી, મોટા ભાગનાં બાળકો ચાલતાં જ શાળાએ પહોંચી જતાં હતાં. ખાધે-પીધે સુખી ઘરનાં બાળકો ઘોડાગાડીમાં આવજા કરતાં હતાં. સમયાંતરે ખાનગી શાળાઓ ખૂલવા લાગી. જેના કારણે બાળકોને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે મૂકી જવા માટે તેડાગર બહેનોની જરૂર પડવા લાગી. દરમિયાનમાં, સંપન્ન પરિવારોમાં ઘરકામ કરતાં નોકર ઉર્ફે રામાની સાઇકલ ઉપર સવારી કરીને બાળકો ઘર અને શાળા વચ્ચે અવરજવર કરવા લાગ્યાં.

રામાની સાઇકલ ધ્યાનાકર્ષક હતી. સાઇકલના ગવર્નરને મજબૂત રીતે પકડીને હંકારનાર રામલાભાઈ ગર્વનર જણાતા હતા. બન્ને પેડલ ઉપર વારાફરતી ભાર આપતા રામાજીનો જોસ્સો જોનારને અનુભવાતો હતો. સાઇકલના ગવર્નર ઉપર બે નંગ અરીસા રહેતા. રામલાભાઈ અરીસામાં ડોકિયું કરીને મૂછના આંકડા વાળતા. આ દૃશ્ય કોઈ જોઈ જાય તો રામા શરમાઈને સીતા થઈ જતા! ગવર્નરની જમણી બાજુની ઘંટડી ઉપર તેઓ અંગૂઠો દાબતા રહેતા. ગવર્નરનાં કાળા હેન્ડલની નીચે લાલ-પીળા-લીલા-ભૂરા રંગની પ્લાસ્ટિકની પાતળી પટ્ટીઓનાં ફૂમતાં ફરકતાં રહેતાં. સાઇકલનાં પૈડાંને ઢાંકતાં પાંખિયાંની નીચેના છેડે, રબ્બર-પ્લાસ્ટિકનાં લટકણિયાંમાં અભિનેતાઓ-અભિનેત્રીઓ-રમતવીરો છબીરૂપે સમાઈ જતાં હતાં. સાઇકલના કેરિયર ઉપર લાકડાની લંબચોરસ પાટલી અને એની ઉપર પોચી ગાદી ધરાવતી બેઠકની વિશેષ સગવડ હતી. જેના કારણે એક મોટું કે બે નાનાં બાળકો આરામથી બેસી શકતાં હતાં. ગવર્નર અને રામાબેઠકની વચ્ચેના ડંડા ઉપર, આગળથી સહેજ ચપટી પણ ગોળાકાર ગાદી ઉપર એક બાળક ગોઠવાઈ જતું. નીચેના ડંડાએ આવેલા ટેકણિયા સુધી ટેણિયાના પગ પહોંચી જતા. એના દફ્તરનો ભાર રામલાભાઈનો ખભો ઉપાડી લેતો. આમ, માલિકનાં બાળકોને ઘરેથી શાળાએ મૂકવા અને પરત લઈ આવવાનું કામ રામલાભાઈ હોંશે-હોંશે કરતા હતા. રામાઓની સાઇકલ ઉપર બેસીને શાળાએ ગયેલાં બાળકો આજે ઘણાં આગળ નીકળી ગયાં હશે. પરંતુ રામાઓનાં બાળકો કેટલાં આગળ વધ્યાં હશે?!

…………………………………………………………………………………………………
સૌજન્ય : 
ભલા મોરા 'રામા'!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧ અને ૦૨, 'દિવ્ય ભાસ્કર', ૦૯-૦૨-૨૦૧૬, મંગળવાર

Wednesday, February 3, 2016

જ્યારે અમદાવાદમાં દૂધ ‘આબાદ’ હતું

ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

૧૯૯૦ની પૂર્વેનાં એ વર્ષોમાં અમદાવાદમાં ‘આબાદ’ ડેરીનું નામ જાણીતું હતું. શહેરીજનોને સવારે છ આસપાસ અને બપોરે બાર આસપાસ એમ, દિવસમાં બે વખત છૂટક દૂધ મળતું હતું. આ દૂધની રિક્ષા કે ટેમ્પો આવે તે અગાઉ નાગરિકો પોતાનાં વાસણો કતારમાં ગોઠવી દેતા હતા. કેટલાંક ચતુરજનો પોતાના પ્રતિનિધિ તરીકે પથરો મૂકી જતા હતા. હરોળમાં પથરાનું ગૌરવ મોટે ભાગે સચવાતું. ક્યારેક આ પથરાને દૂર ફેંકી દઈને પુરાવાનો નાશ પણ કરવામાં આવતો હતો. અમદાવાદમાં રસ્તાની ધારે, પગદંડી ઉપર સિમેન્ટની પડદી અને છત ધરાવતી સંખ્યાબંધ કેબિન બનાવવામાં આવી હતી. વિસ્તાર અને વસ્તી અનુસાર આ કેબિન આગળ રિક્ષા કે ટેમ્પો દ્વારા, દૂધભર્યાં એલ્યુમિનિયમનાં કેન ઊતરતાં હતાં. દૂધના કેનના ઢાંકણને એલ્યુમિનિયમના તાર અને સીસાની મહોર થકી જડબેસલાક કરવામાં આવતું હતું. જેથી કરીને દૂધની ચોરી કે દૂધમાં પાણીની ભેળસેળ અટકાવી શકાય. દૂધનું વિતરણ કરનાર સંચાલક કેનને ખોલ્યા બાદ, એલ્યુમિનિયમના સળિયા જેવા સાધન થકી દૂધને હલાવીને એકસ્તર કરતા હતા.

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આબાદ ડેરીના દૂધ વિતરણ કેન્દ્રની બારીની બન્ને બાજુએ ભાઈઓ-બહેનોની કતાર જોવા મળતી હતી. તેઓ દૂધ લેવા માટે બરણી, કમંડળ, ડોલચી, નળી, પવાલી, તપેલી, કીટલી જેવાં વાસણો લઈને આવતાં હતાં. દૂધ વેચવા માટે ૧૦૦, ૨૦૦, અને ૫૦૦ ગ્રામનાં માપિયાંનો ઉપયોગ થતો હતો. દૂધની કેબિનની બારી જેવી ખૂલે કે તરત જ, બન્ને બાજુએથી ઊંચા થયેલા હાથ ખાલી વાસણ અને જરૂરી નાણાં સાથે ધસી જતા હતા. કતારના છેડે ઊભા હોય તેવા ગ્રાહકોને દૂધ મળશે કે નહીં તેની શંકા રહેતી હતી. દૂધનો જથ્થો ઓછો હોય અને ગ્રાહકો વધારે હોય તેવા સંજોગોમાં છેલ્લામાં છેલ્લા માણસ સુધી ચા પૂરતું પણ સો-બસો મિલીલિટર દૂધ મળી રહે એવું આયોજન થઈ રહેતું હતું. એ વર્ષોમાં પાંચ, દશ, વીસ, પચીસ, પચાસ પૈસાના સિક્કા વટથી ચાલતા હતા. દૂધવિતરણકાર્ય સંપન્ન થઈ ગયા બાદ, કેબિન ઉપરથી પાંચ-દશ-વીસ રૂપિયાની નોટના બદલામાં છૂટા પૈસા પણ મળી રહેતા હતા. આ પરચૂરણ સિક્કા માટે ‘ચિલ્લર’ શબ્દ પણ વપરાતો હતો. દૂધનાં વેચાણ બાદ, કેબિનને તાળાં દેવાઈ જતાં હતાં. ખાલી કેનને કેબિનની બહાર મૂકી દેવામાં આવતાં હતાં. જીવદયાના વિચારને વ્યવહારમાં ઉતારનારા ઉત્સાહી મિત્રો ખાલી કેનને ડામરના રસ્તા ઉપર ઊંધું કરી દેતા હતા. જેના કારણે સાવ તળિયે રિસાઈને બેઠેલું દૂધ ધીમી ગતિએ કાળી સડક ઉપર ટપકતું હતું. કૂતરીનાં બચ્ચાંને આ દૂધ ચાટવાની અને શેરીનાં બાળકોને આ દૃશ્ય જોવાની મજા પડતી હતી.

.................................................................................................................................
સૌજન્ય :
જ્યારે અમદાવાદમાં દૂધ ‘આબાદ’ હતું
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૨-૨૦૧૬, મંગળવાર