Showing posts with label Dr. Ashwinkumar - Article. Show all posts
Showing posts with label Dr. Ashwinkumar - Article. Show all posts

Saturday, May 23, 2026

રઘુ રાયની તસવીરોમાં પ્રતિબિંબિત ગુજરાત 📷ྀིྀི || ડૉ. અશ્વિનકુમાર



રઘુ રાય એટલે તસવીરકળાનો પર્યાય. રાષ્ટ્રીય સ્તરે ગૌરવ લઈ શકાય એવું નામ. આંતરરાષ્ટ્રીય સ્તરે નામ લઈ શકાય એવું ગૌરવ. આ પ્રતિભા-પુરુષ ૧૮-૧૨-૧૯૪૨થી ૨૬-૦૪-૨૦૨૬ સુધી જીવ્યા. પરંતુ એમણે ઝડપેલી તસવીરો હંમેશાં જીવંત રહેવાની છે. રઘુ રાયે કેવળ તસવીરો નથી લીધી, કિંતુ તત્કાલીન સમયનું વાસ્તવિક પ્રકાશાંકન કર્યું છે. તેઓ તસવીરકળાની તકનિકમાં તેજપ્રતાપી અને છબીની વિષય-પસંદગીમાં તદ્વિદ હતા.

આપણા બહુવિધ ગુજરાતને આપણા એકના એક રઘુ રાયે આબાદ કરેલી તસવીરોથી જોવું-જાણવું અને નાણવું-માણવું હોય તો પુસ્તક હાજર છે જ. સને ૨૦૧૫માં ‘GUJARAT’ નામથી અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલા આ પુસ્તકના લેખક અને તસવીરકાર રઘુ રાય છે. પુસ્તકની સજાવટ પણ રઘુ રાયે કરી છે. લખાણ ઍસ્થર ડેવિડનું અને તકનિકી સહયોગ અમિત ચૌહાણનો છે. આ પુસ્તકમાં ‘રઘુ રાય સેન્ટર ફોર ફોટોગ્રાફી’નો નામજોગ ઉલ્લેખ છે. ૧૩૦ જીએસએમ અને ૧૧.૫ ઇંચના ચોરસ મોં બ્લાં કાગળ ઉપર આકર્ષક મુદ્રણ ધરાવતું ૧૪૪ પાનાંનું આ કૉફી ટેબલ પુસ્તક નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયું છે.

‘GUJARAT’ પુસ્તકમાં મુખપૃષ્ઠ ઉપર સ્થાન પામેલી તસવીરની એ ક્ષણને રઘુ રાયે સને ૧૯૮૬માં કચ્છના એક ગામડામાંથી શોધી કાઢી હતી. સિંદૂર ચોપડેલા હારબંધ પાળિયા પાસે ઊભેલાં એક માડી એક ભાયડાને કશુંક કહી રહ્યાં છે. પાળિયા ભલે નિર્જીવ હોય એની આસપાસ જીવતી આવી વાર્તાઓ રઘુ રાયની તસવીરનો વિષય બની જાય છે. પુસ્તકમાં મોટાભાગની તસવીરોની નીચે એકાદ લીટીની માહિતી છે. જોકે, તમામ તસવીરોમાં થોડું રસપ્રદ લખાણ ઉમેરવું જોઈએ. જેથી કરીને વાચકો એ તસવીરોને બરાબર સમજી શકે.

પુસ્તકના ઉઘાડમાં રઘુ રાયે ગુજરાત સાથેના સંબંધોને આલેખ્યા છે. તેમણે પહેલા જ વાક્યમાં ઉત્કૃષ્ટ છબીકાર કિશોર પારેખને ભાવપૂર્વક યાદ કર્યા છે. ઈ.સ. ૧૯૬૬માં કિશોર પારેખ સાથે રઘુ રાયે પહેલી જ વખત ગુજરાતની અને એમાં પણ ખાસ કરીને બરોડાની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ જ્યોતિ ભટ્ટ, જ્યોત્સના ભટ્ટ, અને રાઘવ કનેરિયાને મળ્યા હતા અને તેઓ તરણેતરના મેળાની મુલાકાતે ગયા હતા. પ્રવેશકમાં રઘુ રાયે ગુજરાતી મહિલાઓના ઉષ્માભર્યા સ્મિતને યાદ કરીને નોંધ્યું છે કે, ગુજરાતીઓને એક ધબકતી પ્રજાતિ તરીકે ઘડવામાં તેમનો ફાળો વિશેષ છે. રઘુ રાયના આલેખની સામે ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ (Gabriel Garcia Marquez)નું આ અવતરણ ટાંકવામાં આવ્યું છે : "...the strongest influence on you, stronger than anything in your literary background, comes from your cultural and geographical identity." અર્થાત્ "...તમારા પર સૌથી મજબૂત પ્રભાવ, તમારી સાહિત્યિક પૃષ્ઠભૂમિમાં કોઈપણ વસ્તુ કરતાં વધુ મજબૂત, તમારી સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખમાંથી આવે છે." ભારતીય રઘુ રાયના ‘ગુજરાત’ શીર્ષક હેઠળના પુસ્તકની તસવીર-સામગ્રી જોતાં, કોલંબિયાના જગવિખ્યાત લેખક અને પત્રકાર ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝનું આ અવતરણ સૂચક જણાય છે.

પ્રસ્તાવનાના પાનાની ડાબી બાજુએ કચ્છી કન્યા નજરે ચઢે છે. ઈ.સ. ૧૯૮૮માં લેવાયેલી આ તસવીરમાં માલધારી સમુદાયની આ ગ્રામીણ કન્યકાને, શહેરમાંથી આવી ચઢેલા અજાણ્યા અને આધેડ પુરુષ તસવીરકાર સમક્ષ, ખડાં રહેવું પડ્યું છે. આવી અણધારી સ્થિતિના કારણે દીકરીના ભાવગંભીર ચહેરા અને ડાબા હાથની વળ ખાઈ ગયેલી આંગળીઓ ઉપર આપણું ધ્યાન ગયા વિના રહેતું નથી.

રઘુ રાયે હાથ-લીધાં કામો અને દીર્ઘકાલીન પ્રકલ્પો માટે ગુજરાતની મુલાકાતો સમયાંતરે લીધી હતી. તેમની તસવીરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવાં શહેરો છે તો અલંગ, ખંભાત, જૂનાગઢ, પાલીતાણા જેવાં નગરો છે. શહેરની સાંકડી શેરીઓ છે તો ગામડાંનાં મોટાં ફળિયાં છે. રઘુ રાયની છબીઓમાં જમીનના કણો અને આકાશના રંગો વચ્ચે શિલ્પ-સ્થાપત્ય અને મૂર્તિ-મિનારા જોવા મળે છે.

ગુજરાતનાં વિવિધ નગરોનાં સ્થાનિક બજાર અને રસ્તા રઘુ રાયની તસવીરોમાં આબાદ રીતે ઝિલાયાં છે. તેમણે જીવન સાથે જોડાયેલી ઘણીબધી તસવીરો રસ્તા ઉપર લીધી છે. જેના કારણે જીવનને સમજવાના ઘણા રસ્તા જડી આવે છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા ધોરીમાર્ગો અને એના ઉપરથી પસાર થતા વાહન-વ્યવહારની સાથે જીવન-વ્યવહારને પણ રઘુ રાયે તસવીરોમાં સમાવી લીધા છે. તેમની તસવીરોમાં વિવિધ ધર્મ અને સંપ્રદાય, જ્ઞાતિ અને સંસ્કૃતિને સમાવવાનો સભાન પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમણે પાડેલી છબીઓમાં જ્ઞાતિઓનાં સમૂહ-લગ્નો અને વરઘોડા છે તો સમુદાયના રીત-રિવાજો અને કૌટુંબિક મેળાવડા છે.


રઘુ રાયની તસવીરોમાં સૌરાષ્ટ્રનું સોમનાથ મંદિર અને પાલીતાણાનું જૈન મંદિર છે. ચાંપાનેરની જામા મસ્જિદ અને સુરતની વોરા જમાત મસ્જિદ છે. જૂનાગઢનો મહોબત મકબરો અને ઉનાવાની દરગાહ છે. રઘુ રાયની છબીઓમાં કચ્છના રણના અગરિયા છે. વાંઢે ગયેલા માલધારીઓ અને વિચરતો-વિમુક્ત સમુદાય છે. તેમની છબીઓમાં સરદાર સરોવર બંધના બાંધકામ-મજૂરો છે અને તાપી નદીના તટે રેતની હેરફેર કરતી મજૂરણો છે. રઘુ રાયની તસવીરોમાં હોળી- ધુળેટીના તહેવારની ઉજવણી કરતા છોટાઉદેપુરના આદિવાસી યુવકો માથે લાલ-પીળા ફેંટા બાંધીને વાંસળીના સૂર રેલાવી રહ્યા છે. અન્ય એક તસવીર ગીરના શિરવાણ ગામમાં વસતા આફ્રિકી પ્રજાતિના આદિવાસીઓની છે.


અમદાવાદની વાત કરીએ તો ર.રા.ની તસવીરોમાં સાબરમતી નદીનો કિનારો અને મહાત્મા ગાંધીનો આશ્રમ છે. ખાડિયામાં આવેલો કવિ દલપતરામ ચોક અને નવરંગપુરામાં આવેલી અમદાવાદની ગુફા છે. કાલુપુર-સ્થિત સ્વામીનારાયણ મંદિર અને સરખેજનો રોજો છે. કાંકરિયા વિસ્તારમાં આવેલું ફૂટબોલ ગ્રાઉન્ડ છે તો કાંકરિયા તળાવની મધ્યે આવેલી નગીના વાડી છે. ગણપતિની મૂર્તિઓ બનાવતા કારીગરો છે તો કૂતરાંને ખવડાવતા શહેરીજનો છે. અમદાવાદના રસ્તા પર દ્વિચક્રી ચલાવતી મધ્યમવર્ગીય મહિલાની તસવીરની સામેના પાને હાથલારી હંકારતી શ્રમિકા દૃશ્યમાન થાય છે.

રઘુ રાયે હોલિકા પર્વ નિમિત્તે શ્રદ્ધાળુ યુવકો ઉપર પિચકારીથી રંગફુવારો કરતા પ્રમુખ સ્વામી મહારાજની તસવીર લીધી છે. એક તસવીરમાં ‘સેવા’ સંસ્થાનાં સ્થાપક ઇલા ભટ્ટ છબીની કેન્દ્રભૂમિમાં છે, પણ ઇલાબહેનની ઓળખ સમી મહિલા કાર્યકરો એ તસવીરમાં એમની આસપાસ જોઈ શકાય છે. જમીન ઉપર પલાંઠી જમાવીને બેઠેલા સ્થપતિ બાલકૃષ્ણ વી. દોશીની કુટુંબકબીલા સાથેની તસવીર, ગુજરાતી ઘરોમાં યોજાતી પરિવાર-બેઠકને તાદૃશ કરે છે. સને ૨૦૦૨માં નરેન્દ્ર મોદીની ફાગવેલ મુકામે ગુજરાત ગૌરવ યાત્રાની તસવીર છે તો પુસ્તકના છેલ્લા પાને રાસ-ગરબાની રમઝટની તસવીર છે. રઘુ રાયની વડોદરી તસવીરોમાં એકબાજુ અતિધનિક ગાયકવાડ મહેલ છે બીજીબાજુ અત્યાધુનિક વ્યાવસાયિક સંકુલ છે. વડોદરાના મહારાજા છે તો કળાકાર જ્યોતિ ભટ્ટ છે.

રઘુ રાયની તસવીરોમાં કચ્છડો બારેમાસ છે, ભરપૂર છે, પાણીદાર છે! તસવીરોમાં અંજાર, કંડલા, ભુજ, ભચાઉ, માંડવી, રતનાલ, લખપત જેવાં નગરો સચવાયેલાં છે. જેમાં ભુજમાં બાયોસ્કોપને કૌતુકથી નિહાળી રહેલી છોકરી છે તો શેરી વચ્ચે કાળિયારનું બચ્ચું વિહરે છે. ભુજ શહેરને સાફ-સૂથરું રાખનાર ‘સખી સંગિની જૂથ’ની મહિલા સફાઈકર્મીઓ છે તો પરંપરાગત પોશાકમાં ગ્રામીણ કચ્છી માલધારીઓ છે. રાયની છબીઓમાં કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરવાની હાડમારી દેખાય છે તો ભચાઉમાં ભૂકંપ પછીની કામગીરી જોઈ શકાય છે. બન્ની વિસ્તારમાં મહેમાનને આવકારો આપતી મહિલાઓ છે તો ખારડીયા ગામમાં યુવકને આશીર્વાદ આપતી મહિલાઓ છે. તેમની છબીઓમાં કચ્છના રાજવી પરિવારજનો છે તો કચ્છી લોકસંગીત કલાકારો છે.

પુસ્તકમાં સાલવારીની રીતે સૌથી જૂની છબી પૃષ્ઠ-ક્રમ ૬૫ ઉપરની છે. સને ૧૯૬૬ની આ છબી તરણેતરના મેળાની છે. રાયજી જે ગ્રામીણ સ્ત્રીઓની તસવીર લઈ રહ્યા છે એમના હાવભાવ અકળ છે, પરંતુ એ બે નારની પાછળ એક જણ ડોકિયું કરીને દાંત કાઢી રહ્યો છે. રઘુ રાયે એને પણ કેમેરામાં કેદ કરી લીધો છે!

રઘુ રાયે મોરબીના નગર દરવાજા પાસેના સવાર-બજારની તસવીર લીધી છે. જેમાં વિવિધ કદ-કાઠી અને ભાવ-મુદ્રા ધરાવતાં અનેક સ્ત્રી-પુરુષો ઊભેલાં-બેઠેલાં જોઈ શકાય છે. પણ આ ભીડભાડની વચ્ચે એક બાળક વિસ્મયથી કૂતરાને જોઈ રહ્યું છે. શેરી ઉપર શિશુ અને શ્વાનની આ છબી પર્યાવરણીય સહ-અસ્તિત્વની શોભા બની ગઈ છે.

ગુજરાતી ગાયો રઘુ રાયના કેમેરાની અડફેટે ચડી ગઈ છે! સાંકડી શેરીઓથી માંડીને ધોરીમાર્ગો ઉપર જોવા મળતી ગૌમાતાઓ રાયજીની તસવીરોના કેન્દ્રમાં હોય પણ એની આસપાસ રચાતાં વિષય-વર્તુળના કારણે જ એ ધ્યાનાકર્ષક બની રહે છે. ભુજની આલીશાન હોટેલની ભીતરથી લેવાયેલી તસવીરમાં પ્રવેશદ્વારની બહાર ઊભેલી ગાય નજરે ચડે છે. જોનારને એમ જ લાગે કે આ ગાય હોટેલમાં હમણાં જ પ્રવેશી જશે! અન્ય જગ્યાની તસવીરમાં, ગાય દુકાન આગળ મૂકેલી ખાદ્ય-સામગ્રી ઉપર મોઢું મારીને તેને ખાઈ રહી છે જે પહેલી તસવીરમાં જોઈ શકાય છે. બીજી તસવીરમાં એ ખાદ્ય-સામગ્રીને ગાયના મોઢામાંથી કઢાવવાનો પ્રચંડ પ્રયત્ન કરી રહેલો વેપારી જોઈ શકાય છે. રઘુ રાયની સમયસૂચકતાને કારણે એ છબી-જોટો ‘જીવંત’ બની ગયો છે.

પુસ્તકમાં પૃષ્ઠ ૩૦-૩૧ ઉપરના એક જ વાક્યના વર્ણન પ્રમાણે, એ તસવીર સાબરમતી આશ્રમ મુકામે ચરખા-કાંતણની છે. પણ સ્થળના મામલે એ હકીકતદોષ છે. વર્ષ ૧૯૯૬માં લેવાયેલી આ તસવીર ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના ઉપાસના ખંડની છે. આ તસવીરમાં મહાત્મા ગાંધીજીની વિશાળ કદની કાષ્ટ-પ્રતિકૃતિ ઊડીને આંખે વળગે છે. ગાંધીવિચારના અભ્યાસી દશરથલાલ શાહ વક્તવ્ય આપી રહ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ વિનોદ ત્રિપાઠી, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના આચાર્ય કનુભાઈ નાયક, ‘રાષ્ટ્રીય સેવા યોજના’ના સંયોજક શંકરલાલ ઉત્તમચંદાણી અને અન્ય સેવકો કાંતણ કરી રહ્યા છે. એ વખતે ઉપાસનાનો સમય સવારના અગિયારથી પોણાબાર સુધીનો હતો. આ તસવીર અગિયાર ત્રીસથી અગિયાર પાંત્રીસની વચ્ચે લેવામાં આવી હતી એ દિવાલ-ઘડિયાળના નાના-મોટા કાંટા ઉપરથી જોઈ શકાય છે. આ લખનાર એ વર્ષમાં, એટલે કે ૧૯૯૬ના ફેબ્રુઆરી માસની વીસમી તારીખે, ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. મહાવિદ્યાલયના ઉપાસના ખંડમાં નિયમિત પ્રાર્થના-કાંતણ વખતની આ લેખકની જે યાદો પડખું ફેરવીને સૂતી હતી એ રઘુ રાયની આ તસવીર દ્વારા ફટાક કરીને ઊભી થઈ ગઈ. આપણને ખુદનો ઇતિહાસ અને વારસો યાદ કરાવે એનું નામ રઘુ રાય છે, મારા ભાઈ!

........................................................................................................

ડૉ. અશ્વિનકુમાર પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ છે.



........................................................................................................
સૌજન્ય :
'નવજીવનનો અક્ષરદેહ', વર્ષ ૧૪, અંક ૦૪, સળંગ અંક ૧૫૬,
એપ્રિલ, ૨૦૨૬, પૃષ્ઠ : ૧૨૪-૧૨૯

Sunday, November 17, 2019

ગાંધીજી : સફળ પ્રત્યાયક તરીકે


અશ્વિનકુમાર
ગૂજરાત વિદ્યાપીઠ, મહાત્મા ગાંધી પરિસર, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

....................................................................................................................

વ્યક્તિની અભિવ્યક્તિમાં સ્પષ્ટ વિચારબળ અને વિચાર-અમલીકરણ હોય તો તે સફળ પ્રત્યાયન કરી શકે. વિચારોને તર્કબદ્ધ રીતે અસરકારકપણે રજૂ કરવાની સાથે સાથે લોકોને પણ એ વિચારનો અમલ કરાવવાની જાદુઈકળા ગાંધીને હસ્તગત (કે પછી હૃદયગત!) હતી. સ્વાતંત્ર્યસંગ્રામના યુગમાં સમૂહ પ્રત્યાયન માટેનાં સાધનો પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નહોતાં. વળી એ વખતે બ્રિટિશ સરકારની ચાંપતી નજર ગાંધીજીની પ્રત્યેક પ્રવૃત્તિપળ પર રહેતી હતી. અને છતાં બસો વર્ષથી તપતો અંગ્રેજોનો શાસનસૂર્ય બાપુના તેજ આગળ ઝાંખો પડી ગયો, જે તેમના સફળ પ્રત્યાયનની પારાશીશી કહી શકાય.

વિશાળ જનસમૂહ તેમના વિચારોનું આંધળું અનુકરણ કરતો હતો. છતાં ગાંધીજીએ તો એટલે સુધી કહેલું કે, 'મારા બે વિચારો વચ્ચે જો વિરોધાભાસ જણાય તો મેં જે વાત છેલ્લે કહી હોય તેને સાચી માનજો.' ભાગ્યે જ કોઈ પ્રત્યાયક પોતાની દ્વિધા અંગે આટલો સ્પષ્ટ હશે!

ગાંધીજીના વિચાર અને આચાર વચ્ચે કોઈ ભેદ નહોતો. તેઓ પારદર્શક વ્યક્તિત્વને કારણે જ મહાન પ્રત્યાયક બની શક્યા. તેમણે સુંદર આયોજનબદ્ધ કાર્યક્રમો આપ્યા. સમયપાલનનું મહત્વ સમજાવ્યું અને તેને પાળી પણ બતાવ્યું. લગભગ ચાળીસ વર્ષ સુધી ચાલેલાં તેમનાં સામયિકોનાં પ્રકાશનમાં ક્યારેય વિલંબ થયો નથી. પ્રત્યાયકને સફળ બનાવનારા પરિબળોમાં સમયઆયોજન અને સમયપાલન ખૂબ જ મહત્ત્વનાં પરિબળો છે. આ જ કારણે આજે સમય સંચાલન (ટાઈમ મેનેજમેન્ટ)નું ભણાવનાર પશ્ચિમી નિષ્ણાતો ગાંધીજીનું ઉદાહરણ ટાંકે છે!

ગાંધીજી મોટામાં મોટા માણસની નાનામાં નાની બાબતનો અને નાનામાં નાના માણસની મોટામાં મોટી બાબતનો ખૂબ જ ખ્યાલ રાખતા હતા. જેને પરિણામે તેઓ ચર્ચિલથી માંડીને ચંદુકાકા અને મેડલિન સ્લેડથી માંડીને મંછીમા સુધીના તમામ લોકો સુધી અસરકારકપણે પહોંચી શકતા હતા. તેઓ દેશ-વિદેશમાંથી આવતા હજારો પત્રોના જવાબો આપવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ તેમનાં સામયિકોમાં વાચકોના પત્રોને નિયમિતપણે જવાબ અને જગ્યા આપતા હતા.

ગાંધી મૂળે ધાર્મિકવૃત્તિના માણસ હતા. તેમણે હિંદુ, મુસ્લિમ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મના ગ્રંથોનું વાચન, ચિંતન અને મનન કર્યું હતું. ગાંધીજી પર ‘ભગવદ્ગીતા’નો વિશેષ પ્રભાવ રહ્યો હતો. આ બધા ધર્મગ્રંથોમાં જોવા મળેલી 'સત્ય' અને ‘અહિંસા’ની હાજરીની તેમણે વિશેષ નોંધ લીધી હતી. તેઓના મતે ધર્મ માનવસેવાના પાયા પર રચાયેલો હોવો જોઈએ. ધાર્મિક અને આધ્યાત્મિક તપોબળના પરિણામે જ તેઓ મહાન સામાજિક અને રાજકીય પ્રયોગો અને તે થકી સફળ પ્રત્યાયન જનસમૂહ સુધી કરી શક્યા. આથી જ એમ. એમ. થોમસે કહ્યું છે કે, "Religious interpretation of human existence was at the root of Mahatma Gandhi's political and social action." અર્થાત "મહાત્મા ગાંધીની રાજકીય અને સામાજિક કામગીરીનાં મૂળિયાં માનવ-અસ્તિત્વની ધાર્મિક સમજણમાં જોવા મળે છે." (The Acknowledged Christ of the Indian Renaissance, Author: M. M. Thomas, Page 193)

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં બે દાયકાથી પણ વધારે સમય રહ્યા. તેઓ રંગભેદની નીતિ સામે ઝઝૂમ્યા અને તેમાં સફળ થયા બાદ ઈ. સ. ૧૯૧૫ની ૯મી જન્યુઆરીએ સ્વદેશ પાછા ફર્યા. તે સમય હતો પ્રથમ વિશ્વયુદ્ધનો. ભારતમાં અનેક અન્યાયી કાયદા અસ્તિત્વમાં હતા. જનમાનસમાં ભયનું સામ્રાજય હતું અને આત્મવિશ્વાસનો અભાવ હતો. આવા તાકડે ગાંધીજીનો હિંદુસ્તાનમાં પ્રવેશ થાય છે. તેમનો મક્કમ અવાજ લોકોના કાન સુધી પહોંચવા લાગે છે. લોકો તેમના તરફ આકર્ષાઈને તેમને વધુ ને વધુ ધ્યાનથી જોવા-સાંભળવા લાગે છે. જોતજોતામાં ગાંધીજી આખા દેશમાં છવાઈ જાય છે. એ ટાણે આજનાં જેવાં પ્રસાર માધ્યમોની પ્રચૂરતા નહોતી. છતાં દેશના ખૂણે-ખૂણે તેઓ લોકહૃદયમાં બરાબર સ્થાપિત થાય છે.

ગાંધીજીએ રાજકારણની અને સત્તાના રાજકારણથી દૂર રહીને લોકો સાથે સીધો સંપર્ક કરવાનું શરૂ કર્યું. તેમણે જોયું કે કોંગ્રેસના નેતાઓનો લોકસંપર્ક અને કાર્યક્ષેત્ર સીમિત છે. તેઓ જાણતા હતા કે ગામડાંમાં વસતા હિંદુસ્તાનમાં આમ જનતાની ભાગીદારી અને સાથ-સહકાર વિના સ્વતંત્રતાનું આંદોલન સફળ ન થઈ શકે. આમ, ગાંધીજીએ આમ જનતા અને કોંગ્રેસ વચ્ચે લોકસંપર્કના અભાવે પડેલી પ્રત્યાયન-ખાઈને જાણી. તેમને એવું પણ લાગ્યું કે લોકોના પ્રશ્નો અને તેમના મનની વાત તો તેમની પાસે જ જઈને સમજી શકાય. આ માટે તેમની સાથે તેમના જેવું જ જીવન જીવવું જોઈએ, એવું તેમને લાગ્યું. આથી તેઓ સાચા અર્થમાં કહી શકાય એવું સાદું જીવન જીવ્યા. તેમની સાદગી સંપૂર્ણ નૈસર્ગિક હતી. 'સાદું જીવન અને ઉચ્ચ વિચાર' એ ઉક્તિને સાર્થક કરી બતાવનાર મહાત્માજી જ આપણને 'દરિદ્રનારાયણ'નો સાચો પરિચય કરાવી શકે. આટલું જ નહીં, એક સફળ પ્રત્યાયક હોવા છતાં તેમણે તેમની સાદાઈને વટાવીને તેમાંથી પણ કોઈ લાભ મેળવવાના પ્રયત્નો કર્યા નથી. આ રીતે ગાંધી લોકોની વધારે નજીક આવ્યા અને સાચા લોકસંપર્ક દ્વારા એક મહાન પ્રત્યાયક બન્યા. પરિણામે ગાંધીજી લોકોના મનમંદિરમાં શ્રદ્ધાભાવે પ્રસ્થાપિત થયા, પોંખાયા અને પૂજાયા.

ગાંધીજીના સફળ પ્રત્યાયનનું મહત્ત્વનું લક્ષણ છે સ્વ-પ્રત્યાયન. કારણ કે પોતાની જાત સાથેનું પ્રત્યાયન (ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન) કરનાર વ્યક્તિ સફળ પ્રત્યાયક બની શકે. દુનિયાભરના મહાનુભાવો અને સફળ પ્રત્યાયકોએ અનેક વિષયો અંગે ઊંડાણપૂર્વક મનોમંથન કર્યું છે. ગાંધીજીએ પણ આ રીતે પોતાના આત્માને ખૂબ જ ઢંઢોળ્યો છે. પોતાની જાત સાથે વાત થઈ શકે એ માટે તેઓ કેટલોક વખત મૌન પાળતા. આત્મનિરીક્ષણ દ્વારા સ્વ-પ્રત્યાયન (ઇન્ટ્રોસ્પેક્શન થ્રુ ઓટોકમ્યુનિકેશન) કરીને ગાંધીજી ખૂબ જ સજ્જ, મક્કમ અને સ્પષ્ટ બન્યા. જાત સાથે ઊંડાણપૂર્વક પ્રત્યાયન કરનાર જ જગત સાથે સફળ પ્રત્યાયન કરી શકે છે, એ ગાંધીજીના ઉદાહરણ પરથી ફલિત થાય છે.

પોતાની જાત સાથે એકરૂપ થયા બાદ લોકો સાથે એકરૂપતા સાધવા ગાંધીજીએ સમયાંતરે પોતાની જીવનપદ્ધતિમાં જરૂરી ફેરફારો કર્યા. ગરીબો સાથેનો એકાત્મભાવ સાધવા તેમણે ટૂંકી પોતડી જેવો સાદો પહેરવેશ અપનાવ્યો. લોકોની ભાષામાં વાત કરી. કોશિયો પણ સમજી શકે તેવી ભાષાનો આગ્રહ રાખ્યો. લોકોના માનસિક સ્તર સુધી પહોંચીને તેમની ભાવનાઓ જાણી-જગાડી. પ્રજાની જીવનશૈલી સમજીને તેમની સાથે તેમના જેવા જ થઈને રહ્યા. તેમના આવા સાદગીભર્યા, નિસ્વાર્થ અને ત્યાગભર્યા જીવનની લોકો પર ભારે અસર થઈ.

તેમણે લોકો વચ્ચે જ ફરીને, પુષ્કળ પ્રવાસ કરીને દેશની પરિસ્થિતિનો બરાબર ક્યાસ કાઢ્યો. (આજના નેતાઓ તો દેશના સળગતા પ્રશ્નોની ચિંતા વાતાનુકૂલિત-કક્ષમાં બેસીને કરે છે. દર પા કલાકે મિનરલ વોટરનો પ્યાલો મોઢે માંડતા નેતાઓ લોકોને નડતી પીવાના પાણીની સમસ્યા કઈ રીતે સમજી શકે?!) લોકોની સમસ્યાનો જાતઅનુભવ કરવા તેઓ હંમેશાં રેલવેના ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરતા હતા. ગાંધીજી એકમાત્ર એવા રાષ્ટ્રીય નેતા છે જેમણે ક્યારેય વિમાની પ્રવાસ કર્યો નથી! ગાંધીના વચનમાં લોકોને એટલો બધો વિશ્વાસ હતો કે તેમની વિનંતીને આદેશ માનીને માતૃભૂમિની મુક્તિ કાજે આ દેશનાં કેટલાંય સ્ત્રીઓ અને પુરુષો, ગ્રામીણજનો અને નગરજનો, યુવાનો અને વૃદ્ધો, ખેડૂતો અને કારીગરો, સાક્ષરો અને નિરક્ષરોએ લાઠીઓ ખાધી, જેલની હવા ખાધી અને બંદૂકની ગોળીઓ પણ ખાધી.

ગાંધીજી પોતાના સત્યનિષ્ઠ જીવન, ભારોભાર પ્રમાણિક્તા અને ઠોસ કાર્યપદ્ધતિ દ્વારા લોકોમાં અદ્ભુત વિશ્વાસપાત્રતા સ્થાપી શક્યા હતા; કારણ કે, તેમણે માત્ર શબ્દોથી જ નહીં, પરંતુ પોતાનો જ દાખલો બેસાડીને લોકોને ઉપદેશ આપ્યો હતો. જેમ કે, અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે તેમણે હરિજન કન્યાને દત્તક લઈ પહેલાં પોતે જ દાખલો બેસાડ્યો હતો. આમ, ગમે તે બાબત હોય, તેઓ શરૂઆત તો પોતાનાથી જ કરતા હતા. આથી લોકોને તેમને અનુસરવામાં કોઈ સંકોચ કે શંકા ન રહેતા અને આ રીતે તેઓ લોકોનો વિશ્વાસ સંપાદન કરી શક્યા હતા. તેમની સત્ય પર આધારિત જીવનપદ્ધતિને કારણે તેમની વિશ્વસનીયતા દિનપ્રતિદિન વધતી ચાલી. વળી, ગાંધીજીનાં વિચાર, વર્તન અને વાણીમાં સભ્યતા હતી. ઉમાશંકર જોશી તો કહેતા કે, "ગાંધીજી જેવા મહા-કારુણ્યશાળી પુરુષના હૃદયનો પ્રસાદ એમના એકેએક હલનચલનમાં પ્રતીત થાય છે. જવાહરલાલ નહેરુ આત્મકથામાં એ હલનચલનોને સુંદર રીતે ઓળખાવે છે." ('ઇવનિંગ વોક', સૌરભ શાહ, 'મિડ-ડે' દૈનિક, શનિવાર, ૧૯ જૂન, ૧૯૯૯, પાનું : ૧૦પ) આમ, આચાર-વિચારની એકતા, તેમની સચ્ચાઈ અને નિખાલસતાએ તેમને ભારે સફળતા અપાવી.

જ્યાં સુધી હેતુની યોગ્યતાની પોતાને ખાતરી ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ નિર્ણય લેતા નહીં અને કોઈ નિર્ણય પર આવતાં પહેલાં ખૂબ કાળજીપૂર્વક અને ઝીણવટભર્યો વિચાર કરતા. તેવી જ રીતે એક વખત નિર્ણય થઈ ગયા પછી વિના વિલંબે તેનો અમલ કરતા. તેમના મનની આ સ્પષ્ટતાથી તેમનું સંવાદીકરણ પણ સ્પષ્ટ અને પારદર્શક બન્યું, જેને પરિણામે તેમનું પ્રત્યાયન પણ પથદર્શક બન્યું.

તેમણે નાત, જાત, ધર્મ, લિંગ વગેરેનાં બંધનો તોડીને બધાં લોકોને સંગઠિત કર્યા અને તેથી જ તો સ્વતંત્રતાનું આંદોલન એ લોક-આંદોલન બની શક્યું. તેમણે સ્ત્રીઓને સમાન ગણીને સ્વતંત્રતાની લડતમાં મોટા પાયે ભાગીદાર બનાવી. તેમણે તેમના જાહેર અને ખાનગી જીવન વચ્ચેના ભેદને નાબૂદ કર્યો. આથી તેઓ જાહેર જીવનમાં વ્યક્તિગત જીવનનું આચરણ શક્ય બનાવી શક્યા. ખાનગી અને જાહેર જીવનનો તફાવત દૂર થતાં તેઓ સરળતાથી સમાજના નબળા અને નીચલા વર્ગને દરેક પ્રવૃત્તિમાં આકર્ષી શક્યા. ગાંધીજીના જીવનમાં ખાનગીપણાને અવકાશ નહોતો, એટલે જ તેઓ લોકોને તેમની ખૂબ નજીક લાવી શક્યા હતા. તેઓ જ્યારે જેલમાં હોય ત્યારે અંગ્રેજ સરકારને ક્યારેય ખાસ જેલસુરક્ષા અધિકારીઓની અને જ્યારે તેઓ જેલની બહાર હોય ત્યારે તેમની પર ચાંપતી નજર રાખવા માટે જાસૂસી અધિકારીઓની મદદ લેવી પડી નહોતી! ('Religious Communication in India' (Chapter: Gandhian Communication), Volume I, Author: J. V Vilanilam, P: 204) આમ, જેના પર વિરોધીઓને પણ શંકા ન હોય તે વ્યક્તિને મહાન પ્રત્યાયક ગણવી જ રહી.

કોઈપણ જગ્યાએ હિંસા કે રમખાણો ફાટી નીકળે ત્યારે ગાંધીજી ત્યાં અચૂક પહોંચી જતા. ઈ. સ. ૧૯૪૬માં જ્યારે નોઆખલીમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં, ત્યારે પણ ગાંધીજી જીવના જોખમે ત્યાં પહોંચી ગયા હતા. અને ઘરે-ઘરે ફરીને શાંતિ અને ભાઈચારાનો સંદેશ લોકોને આપતા હતા. એટલું જ નહીં, ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ને દિવસે બધાં જ્યારે સ્વતંત્રતા દિનની ઉજવણી કરતાં હતાં ત્યારે ગાંધીજી કોમી આગ ઠારવા માટે નોઆખલીમાં હતા. કસોટીના સમયે લોકોની વચ્ચે જઈને ઊભી રહેનાર વ્યક્તિ જ સફળ પ્રત્યાયકરૂપે લોકોના દિલ જીતી શકે છે.

તેમણે સામાન્ય લોકો સમજી શકે તેવી સાદી, સરળ અને લોકભોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો. આ માટે તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં અભિન્ન અંગો જેવાં કે સત્ય, અહિંસા, ઉપવાસ, પ્રાર્થના, ભજનો. રામરાજ્ય વગેરે પારંપરિક ધાર્મિક ખ્યાલોનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત રાષ્ટ્રીય ચળવળનાં પ્રતીક સમાન રેંટિયો, ખાદી, ગાંધીટોપી, મીઠું, રાષ્ટ્રભાષા હિંદી ... વગેરે પણ તેમના પ્રતાપે પ્રત્યાયન અને પ્રેરણાના શક્તિશાળી સ્રોત બની ગયા હતા. ગાંધીએ મુખ્યત્વે ખાદી દ્વારા આર્થિક સ્વાવલંબનનો વિચાર આપ્યો. મીઠાના પ્રતીક દ્વારા બ્રિટિશ સરકારની અન્યાયી અને શોષણખોર નીતિ સામે લોકોને જાગ્રત કર્યા અને રેંટિયો પણ તેમના પ્રયત્નોને પરિણામે ગરીબવર્ગ સાથેની એકતાનું પ્રતીક બન્યો. તેમણે હિંદી-હિંદુસ્તાનીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકૃતિ અપાવીને દેશવાસીઓને પ્રત્યાયન માટેની સેતુ બાંધી આપ્યો. તેમના સત્યાગ્રહ, અહિંસા, સ્વદેશી અને સર્વોદયના ઉચ્ચ વિચારો આજે પણ પ્રસ્તુત લાગે છે.

ગાંધીજીના પ્રવૃત્તિ-વર્તુળમાં માનવ હંમેશાં કેન્દ્રમાં રહેતો. તેઓ વ્યક્તિ દ્વારા જ આખાયે સમાજ અને તે દ્વારા રાષ્ટ્રનું નવનિર્માણ કરવા માગતા હતા. સફળ પ્રત્યાયક તરીકેની એમની વિશેષતા એ હતી કે એમને લોકશક્તિમાં અખૂટ શ્રદ્ધા હતી. તેમણે પ્રજાનો ઉપયોગ ક્યારેય પોતાનો સ્વાર્થ સંતોષવા માટેના સાધન તરીકે કર્યો નહોતો. પરંતુ તેમને મન તો લોકસેવા એ જ પ્રભુસેવા હતી. મહામાનવ ગાંધીજી મનુષ્યજાતિનું કલ્યાણ ઈચ્છતા હતા. આથી ગાંધીને શબ્દાંજલિ આપતા તે વેળાના યુ. એસ. સેક્રેટરી ઓફ સ્ટેટ જ્યોર્જ સી. માર્શલે કહ્યું હતું કે, "Mahatma Gandhi was the spokesman for the conscience of mankind." ('Mahatma Gandhi: His Life and Message for the World', Author: Louis Fischer, page: 369) આમ, ગાંધીને 'સમગ્ર માનવજાતિની વિવેકબુદ્ધિના પ્રવક્તા' તરીકેનું બિરુદ મળે એ જ બતાવે છે કે તેમણે કેટલું બધું અર્થસભર અને અસરકારક પ્રત્યાયન ક્યું હશે.

આજે ગાંધીનિર્વાણને પાંચ દાયકા વીત્યા પછી પણ તેમની ખોટ તો વણપુરાયેલી જ રહી છે. ગાંધીજીની હત્યા પછી સાને ગુરુજીએ કહેલું કે, 'મારા જીવનનો સૂરજ ડૂબી ગયો, હું અંધારામાં જીવન નહીં ગુજારી શકું.' (‘નિરીક્ષક', ૧-૧-૨૦૦૧, પૃ. ૩) એમનાં ૪ વિચારપત્રોની ખોટ આજે ૪૦ ટેલિવિઝન ચેનલ્સ, ૪૦૦ રેડિયો સ્ટેશન્સ, ૪૦૦૦ અખબારો કે ૪૦,૦૦૦ વેબસાઈટ્સથી પણ પૂરી થઈ શકે તેમ નથી. આથી કહી શકાય કે આજના ઈન્ટરનેટ યુગમાં વીજાણુ માધ્યમો દ્વારા સાચા અર્થમાં થતું પ્રત્યાયન માનવમન સુધી માંડ પહોંચે છે, જ્યારે એ વખતે વીજાણુ માધ્યમોની અછત વચ્ચે પણ ગાંધીજીનું નિસ્વાર્થ પ્રત્યાયન માનવાત્મા સુધી સોંસરવું પહોંચ્યું હતું! માટે જ જગતના મહામાનવોમાં સફળ પ્રયાપક તરીકે ગાંધીજી આજે પણ ટોચ ઉપર બિરાજે છે. નોંધપાત્ર બાબત તો એ છે કે, તેઓ તેમની હયાતીમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં લોકસ્વીકૃતિ પામ્યા હતા.

"મારું જીવન એ જ મારો સંદેશ" એવું બ્રહ્મવાક્ય ઉદ્ગારનાર ગાંધીજી સત્યનો પર્યાય બની ગયેલા. આથી, સુરેશ દલાલે કહ્યું છે કે, 'ગાંધીજી, અરવિંદ ઘોષ અને ટાગોર એટલે સત્યમ, શિવમ, અને સુંદરમ.' પોતાને સમજાયેલું સત્ય લોકોને પહોંચાડવાની તાલાવેલી અને તૈયારીને કારણે ગાંધીજીએ સમાજસેવા માટે પત્રકારત્વની પગદંડી પસંદ કરી અને આ જ કારણે તેમનું પ્રત્યાયન સફળતામાં પરિણમવાની ટકાવારી અનેકગણી વધી ગઈ.
....................................................................................................................

(સૌજન્ય : 'દષ્ટિ', ઑક્ટોબર-૨૦૦૪, પૃષ્ઠ : ૦૫-૧૦)