Thursday, February 28, 2013

ગાંધીજી કહે છે : એમનાં લખાણો વિશે


" મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી.સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું.ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી.મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે.અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિષે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને."

-ગાંધીજી

'હરિજનબંધુ'

૩૦-૦૪-૧૯૩૩ 


ભાષાની મજા, મજાની ભાષા - 30


'સામયિક' અને 'સામાયિક' ભિન્ન છે?!


ભાષાની મજા, મજાની ભાષા - 29


'ઘસારો' અને 'ધસારો' અલગ-અલગ અર્થ ધરાવે છે!


Wednesday, February 27, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 28


તમે 'વ્યાજબી' શબ્દને 'વાજબી' ગણશો નહીં!
કારણ કે, જે  'વાજબી' છે એ જ ખરેખર  'વાજબી' છે!


ખાખરો અને ખિસકોલી !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ખાખરાની ખિસકોલી કેસૂડાંનો સ્વાદ માણે !  


પોપટ પીવે પુષ્પોનું પાણી !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


કરો કેસૂડાં !


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

થોડાંક જ વર્ષો પહેલાં ખાખરાનો છોડ વાવ્યો હતો. તેના ઉપર બેઠેલાં કેસૂડાંનાં ફૂલ જોઈને મન પ્રફુલ્લિત થઈ ઊઠ્યું. આપણા થકી ઉછેર પામેલા વૃક્ષ ઉપર ભરપૂર પુષ્પો દૃશ્યમાન થાય અને એ દૃશ્યને છબી-યંત્રમાં ઝડપવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થાય એ વખતનો આનંદ તો અનુભવ્યો હોય એ જાણે. આટલું જાણ્યા પછી, આપણને ગરીબ કહેવાની હિંમત કોણ કરશે?!


Tuesday, February 26, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 27


'તસ્વીર' અને 'તસવીર'માં સાચી જોડણી કઈ?
જવાબ સાવ સહેલો છે. એ જ તસવીર સારી ગણાય જેમાં કોઈને કાપવામાં ન આવે. 'તસ્વીર'માં 'સ'ને અડધો કાપવામાં આવ્યો છે. આથી 'તસ્વીર' શબ્દને વેળાસર રદબાતલ જાહેર કરવો. 'તસવીર'માં બધા અક્ષર આખા દેખાય છે. એટલે 'તસવીર'નો હાર્દિક નહીં તો છેવટે તાર્કિક સ્વીકાર કરવો!   

નિમંત્રણ : અમિત અંબાલાલનાં ચિત્રોનું પ્રદર્શન


Monday, February 25, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 26


મતલબ 'કેવો' નહીં પણ મતલબ 'કેવી'! 

આ વ્યક્તિ ઓળખી બતાવશો?


આટલે દૂરથી ઓળખી કાઢો તો ખરાં !

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

લો, થોડા નહીં પણ ઘણા નજીકથી જુઓ !  

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Sunday, February 24, 2013

આ સ્થળ ઓળખી બતાવશો?

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


આ કોનું સમાધિ-સ્થળ છે?

જવાબ માટે પહેલાં 'ઝાડ'ની, પછી 'જગ્યા'ની અને છેવટે એ 'જણ'ની ઓળખ કરો!


ભાષાની મજા, મજાની ભાષા - 25


સમાચારમાં થતો વાક્યપ્રયોગ : ચોર રાત્રિના અંધારામાં નાસી છૂટ્યા.

તો દિવસના અંધારા જેવું પણ કંઈક હશે ખરું?!


ઉપવાસ, ગાંધીજી, અને આપણે બધાં


- અશ્વિનકુમાર
.........................................................................................................

આજકાલ 'ઉપવાસ' ખર્ચાસ્પદ અને ચર્ચાસ્પદ બન્યા છે. સત્તાધીશો રામદેવીય ઉપવાસના વાતાનુકૂલિત કાર્યક્રમને ઉપહાસમાં ફેરવી કાઢે છે. આ જ શાસકો વીર અણ્ણા હજારેને 'એકે હજારા' થતા અટકાવવા જંતરમંતરને છૂમંતર કરી નાખે છે! મોટા ભાગના ઉપવાસના અંતે બીજું કશું થાય કે નહીં પણ પારણાં જરૂર થતાં હોય છે. આપણા દેશ અને દેહમાં ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક, સામાજિક, રાજકીય કારણોસર ઉપવાસ શાસ્ત્ર અને શસ્ત્ર, સાધન અને સાધ્ય થયા છે. ગાંધીજી માટે ઉપવાસનો પ્રયોગ આંત્રશુદ્ધિથી માંડીને આત્મશુદ્ધિ માટે છે.

આશ્રમમાં બનેલા નૈતિક પતનના બનાવોને કારણે, ગાંધીજીએ ૨૪-૧૧-૧૯૨૫ના રોજ, સવારની પ્રાર્થનામાં સાત દિવસના ઉપવાસની જાહેરાત કરી હતી. તેમણે ૧-૧૨-૧૯૨૫ના દિને, ઉપવાસ છોડતાં પહેલાં વિદ્યાર્થીઓને ઉદ્દબોધન અને ઉપવાસ છોડ્યા પછી છાપાંજોગું નિવેદન કર્યું હતું. ઉપવાસચિકિત્સામાં માનનાર એક દાક્તરે ગાંધીજીને ઉપવાસનાં શારીરિક પરિણામો વિશેનો એમનો અનુભવ લખી નાખવાની સૂચના કરી હતી. આથી દાક્તર મિત્રની સૂચનાનો ખુશીથી અમલ કરતાં ગાંધીજીએ ૧૩-૧૨-૧૯૨૫ના દિવસે, 'ઉપવાસનું શારીરિક મહત્વ' શીર્ષક હેઠળ મૂળ અંગ્રેજીમાં લેખ લખ્યો હતો. જે 'યંગ ઇન્ડિયા'(૧૭-૧૨-૧૯૨૫)માં અને તેનો અનુવાદ 'નવજીવન'(૨૦-૧૨-૧૯૨૫)માં પ્રકાશિત થયો હતો.

દરેક ઉપવાસનાં કારણ અને પરિણામ, હેતુ અને અસર હોય છે. આથી ગાંધીજી આ લેખની શરૂઆતમાં લખે છે : "મારા ઘણાખરા ઉપવાસો નૈતિક હેતુથી જ થયેલા છે, પણ એક રીઢો આહારસુધારક હોઈ અને અનેક કઠણ રોગોને માટે ઉપવાસને રામબાણ ઇલાજ માનતો હોઈ મેં મારા ઉપવાસોની શારીરિક અસર તરફ કેટલુંક ધ્યાન આપ્યું છે." જોકે તેઓ ભારપૂર્વક સૂચન કરે છે કે, "... ઉપવાસ દરમિયાન સંપૂર્ણ શારીરિક આરામ અને ઉપવાસ છૂટ્યા પછી પણ ઉપવાસની મુદતના પ્રમાણમાં અમુક દિવસ સુધી આરામ એ તદ્દન જરૂરનાં છે." અહીં નોંધી લઈએ કે સાત દિવસના ઉપવાસમાં ગાંધીજીનું વજન ૧૧૨ રતલમાંથી નવ રતલ ઘટીને ૧૦૩ રતલ થઈ ગયું હતું.

સામાન્ય માણસની દૃષ્ટિએ તથા શાસ્ત્રાદિ દૃષ્ટિએ ગાંધીજી જે કોઈ, ગમે તે હેતુથી ઉપવાસ કરવા ઇચ્છે તેને માટે નવ નિયમો પણ બાંધી આપે છે. વળી, આ લેખના અંતે તેઓ જણાવે છે : " નીચેનું લખતાં દાક્તરી મિત્રોની ક્ષમા માગી લઉં છું :
મારા પોતાના અનુભવ પરથી અને મારા જેવા બીજા ધૂનીઓના અનુભવ ઉપરથી નીચલી સલાહ હું વગરસંકોચે આપી શકું છું : 
(૧) જો કબજિયાત થઈ હોય તો ઉપવાસ કરવા. (૨) જો લોહી ઘટી ગયું હોય તો ઉપવાસ કરવા. (૩) જો તાવ જેવું લાગતું હોય તો ઉપવાસ કરવા. (૪) જો અજીર્ણ થયું હોય તો ઉપવાસ કરવા. (૫) જો માથું દુખતું હોય તો ઉપવાસ કરવા. (૬) જો વા થયો હોય તો ઉપવાસ કરવા. (૭) જો સંધિવા થયો હોય તો ઉપવાસ કરવા. (૮) જો ખૂબ ક્રોધ ચડ્યો હોય તો ઉપવાસ કરવા. (૯) જો મન વ્યગ્ર હોય તો ઉપવાસ કરવા. (૧૦) જો અતિશય આનંદ થઈ ગયો હોય તો ઉપવાસ કરવા.
આટલી આધિવ્યાધિઓ માટે જે ઉપવાસનો ઇલાજ કરશે તે દાક્તરના નુસખાઓ તથા બજારુ દવાઓમાંથી બચશે.
ભૂખ લાગી હોય અને રોટલાને માટે મહેનત કરી છે એમ લાગે ત્યારે જ ખાવું."

ઘટતા શ્રમ અને વધતા તણાવના આ વાઇફાઇ-હરીફાઈ યુગમાં શારીરિક અને માનસિક, ધાર્મિક, અને દેહધાર્મિક પ્રશ્નોએ આપણને અજગરી-ભરડો દીધો છે. સ્વાસ્થ્યના ભોગે અનેક આધિ-વ્યાધિ-ઉપાધિથી ઘેરાયેલી અને ધરાયેલી જનતા માટે 'ઉપવાસની રાષ્ટ્રીય ચળવળ' ઉપાડવી હોય તો ગાંધીચીંધ્યા-રસ્તે જ ઠેકાણું મળે એમ છે!

.........................................................................................................
લેખ-સૌજન્ય :
'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૮-૨૦૧૧, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨
......................................................................................................................

(અશ્વિનકુમાર ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસર મુકામે પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં અધ્યાપક છે.)
 

Saturday, February 23, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 24


જ્યાં અને ત્યાં 'જ' લખવાની ટેવ સારી ન કહેવાય!

દા.ત. :  તમારે તમારા પાડોશીને ચાહવા જોઈએ.

હવે આ વાક્યમાં જુઓ 'જ'ની હયાતી અને હસ્તક્ષેપ!

તમારે જ તમારા પાડોશીને ચાહવા જોઈએ.

તમારે તમારા જ પાડોશીને ચાહવા જોઈએ.

તમારે તમારા પાડોશીને જ ચાહવા જોઈએ.

તમારે તમારા પાડોશીને ચાહવા જ જોઈએ.

તમારે તમારા પાડોશીને ચાહવા જોઈએ જ.


દીર્ઘ મુલાકાત થકી રવીશ કુમાર વિશે જાણો

Thursday, February 21, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 22


સાચો શબ્દ 'અશ્વમેઘ' નહીં પણ 'અશ્વમેધ' છે!


આંબેડકર : ગાંધીની સામે નહીં, પણ સાથે !


Photograph : Ashwinkumar                             છબી : અશ્વિનકુમાર


Photograph : Ashwinkumar  છબી : અશ્વિનકુમાર



ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદની હદ-ભીંત ઉપર આંબેડકરના ચિત્રને ગાંધીના ચિત્રની સાથે  એક જ ચોકઠામાં ભાળી  શકાય છે.

આપણે સૌએ હવે પછી બાબાસાહેબ અને ગાંધીજીને એકસાથે જોવાની અને જાણવાની જરૂર છે !


પુસ્તક નામે મિત્રતા, વાચન નામે ધન્યતા

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
.........................................................................

Photograph : Ashwinkumar /
છબી : અશ્વિનકુમાર


પુસ્તકો આપણી નબળાઈ છે, તેથી જ આપણી તાકાત છે. ખોરાક વગર તો થોડા કલાકો કાઢી શકું, પણ પુસ્તકો વિના થોડા કલાકો કાઢવાનું કપરું થઈ પડે. સુથારનું મન બાવળિયે હોય તો આ કુમારનું મન છાજલીએ હોય છે. એવી છાજલી જે પુસ્તકોથી છલોછલ હોય. નવાં-નક્કોર કાર-ફોન, દમામદાર જૂતાં-કપડાં કે મોંઘાંદાટ ઘડિયાળ-ઘરેણાં ધારણ કરેલી વ્યક્તિ કરતાં સાઈકલ ચલાવતાં, ઝભ્ભા-લેંઘા પહેરેલા, માથે ટોપી અને હાથમાં પુસ્તકોથી ફાટફાટ થતાં થેલાને લઈ જતાં માણસ તરફ ધ્યાન તરત ખેંચાય છે. આથી, મુકેશ અંબાણી કરતાં મહેન્દ્ર મેઘાણીની વધારે ઇર્ષ્યા થાય છે!

પત્રકારત્વના વિષયમાં અનુસ્નાતક(એમ.એ.) અને અનુપારંગત(એમ.ફિલ.) કક્ષાએ અધ્યાપન કરાવું છું. પત્રકારત્વના વર્ગમાં જે તે દિવસ-મહાત્મ્ય, ઘટના-વિશેષ કે વ્યક્તિ-સ્મૃતિને ધ્યાનમાં રાખીને, પહેલી પાંચેક મિનિટ વાચન કરું છું. આ માટે મહેન્દ્ર મેઘાણી સંપાદિત 'અડધી સદીની વાચનયાત્રા' (ભાગ-૧,,,૪)નો છૂટથી અને વટથી ઉપયોગ કરું છું. સાથેસાથે જે તે દિવસ-ઘટના-વ્યક્તિ સંબંધિત અન્ય સંદર્ભો પણ ટાંકું છું. આટલી વાચન-સૂચિને આધારે વિદ્યાર્થીઓને ગ્રંથાલયમાં જવાનો ઉમળકો થાય છે. આમ, તેઓને વાચનમાં પહેલાં કુતૂહલ, પછી આદત અને છેવટે બંધાણ થાય છે.

દરરોજ બારથી ત્રણના વર્ગ-વ્યાખ્યાનકાર્ય બાદ આપણો ત્રણથી છનો ખેલ ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં ગોઠવાયેલો હોય છે. અહીં, લગભગ છ લાખ પુસ્તકોનો બહોળો જ્ઞાન-પરિવાર ધરાવતું ગ્રંથાલય છે. જ્યાં પુસ્તકો જોઉં છું, જાણું છું, વાંચું છું, માણું છું. અહીં, ઘણું વાંચું છું એવું બહારખાનેથી ચર્ચાઈ રહ્યું છે, પણ હજી ઘણું વાંચવાનું બાકી છે એવું અંદરખાનેથી જાણું છું! પુસ્તકના સ્વરૂપની વાત કરું તો, આત્મચરિત્રો, જીવનચરિત્રો અને અનુભવમૂલક કથાનકો પરત્વે વધુ વાચનપ્રેમ છે. પત્રકારત્વના વિષયક્ષેત્ર સાથેના જોડાણને કારણે હકીકતલક્ષી વાચન-સામગ્રી તરફ વધારે પક્ષપાત રહ્યો છે. મુખ્યત્વે ગાંધીવિચાર, પત્રકારત્વ-પ્રત્યાયન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, શિક્ષણ, ભાષા-સાહિત્ય, માનવઅધિકારો, દલિતસાહિત્ય, પર્યાવરણ, વિજ્ઞાન-પ્રોદ્યોગિકી, તસવીરકળા ... વિષયક ગ્રંથો વાંચવાનો લોભ અને એ રીતે લાભ થતો રહ્યો છે.

ગાંધી-ગ્રંથસામગ્રી પ્રત્યે વાચન-રાગ સવિશેષ રહ્યો છે. કારણ કે, અનુપારંગત(એમ.ફિલ.) અને વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) કક્ષાએ સંશોધન-કાર્ય ગાંધીજીના પત્રકારત્વ ઉપર કેન્દ્રિત હતું. આજે પણ ગાંધીજીવન અને ગાંધીકવન સંબંધી સાહિત્યનું અતિ નિયમિત વાચન-ચિંતન-મનન કરું છું. હાલમાં, વિદેશી લેખકો-પત્રકારો-સંશોધકોએ ગાંધીજી વિષયક લખેલાં પુસ્તકોની સમીપે છું. વળી, મહાન વ્યક્તિત્વોની ગ્રંથસરિતામાં  ડૂબકી લગાવીને અને ક્યારેક એમાં ગળાડૂબ રહીને એમના જન્મોત્સવની ઉજવણી કરવાનો આનંદ તો અનુભવ્યો હોય એ જાણે. કાકાસાહેબ કાલેલકર જન્મ-સવાસો(૧૮૮૫-૨૦૧૦) અને બબલભાઈ મહેતા જન્મ-શતાબ્દી(૧૯૧૦-૨૦૧૦) અવસરે એમનું લગભગ તમામ ગ્રંથ-સાહિત્ય વાંચ્યું. ઉમાશંકર જોશી જન્મ-શતાબ્દી(૧૯૧૧-૨૦૧૧) ટાણે કવિના મંગલ શબ્દ-ધ્વનિનો આસ્વાદ લઈ રહ્યો છું.

પ્રસૂતિગૃહમાં તાજાં જન્મેલાં માનવ-બચ્ચાંને જોવા-તપાસવા માટે ચિકિત્સક ફેરણી(રાઉન્ડ) લે છે. આ જ રીતે ગ્રંથગૃહની એ કાચપેટી આગળ પહોંચી જાઉં છું. જ્યાં નવાં આવેલાં પુસ્તકો ગોઠવેલાં હોય. ગમે તે સર્જકનાં  કે વિષયનાં હોય, પણ આ પુસ્તકોને થોડી ક્ષણો માટે ઊંચકીને એને થપથપાવવાનો આનંદ પિતૃત્વની અનુભૂતિથી જરાય જુદો નથી હોતો! સંધ્યા-વેળાએ ગ્રંથાલયમાંથી પરત ફરું ત્યારે એક જગ્યાએ ખાસ અટકું છું. આ જગ્યાએ  વિવિધ નાત-જાત અને પોત-ભાતના વાચકો પાસેથી વંચાઈને પરત થયેલાં પુસ્તકો ઢગલાયેલાં હોય છે. જેના કારણે એ ખ્યાલ આવે છે કે, વાચકરાજા કે. જી. મશરૂવાળાને વાંચે છે કે આઈ. કે. વીજળીવાળાને, કૃષ્ણમૂર્તિને વાંચે છે કે સુધા મૂર્તિને, નિરંજન ભગતને વાંચે છે કે ચેતન ભગતને! વળી, અહીંથી ક્યારેક એવું પુસ્તક પળમાં મળી જાય, જેને આપણે યુગોથી શોધતાં હોઈએ!

વધુ વિદ્યાર્થીઓ વાંચે અને વિદ્યાર્થીઓ વધુ વાંચે એ માટે એમને વાચનલાયક પુસ્તકોની વિગતો આપતો રહું છું. આ માટે માહિતી-કેન્દ્રો તરીકે વર્ગખંડ અને ગ્રંથખંડ સિવાયની જગાઓ પણ નિમિત્ત બનતી હોય છે. વિદ્યાર્થીઓ-શિક્ષકોને અને મિત્રો-પરિચિતોને જોઈતું પુસ્તક શોધી આપવા માટે કરેલા મરણિયા પ્રયાસોને જિંદગીની મોંઘેરી મૂડી માનું છું. ક્યારેક વિદ્યાર્થીઓ થકી પણ કોઈક નોખા-અનોખા પુસ્તક સાથે હસ્તમેળાપ થાય ત્યારે હૈયે હરખનાં હરણાં ઊછળ-કૂદ કરી મૂકે છે. વિદ્યાર્થીઓ-શિક્ષકો અને પરિચિતો-મિત્રો સાથે પુસ્તક-વાચનની સમાંતરે પુસ્તક-ચર્ચા કરવી ગમે છે. આ માટે ગ્રંથાલયનું વાહનતળ(પાર્કિંગ) એ ત્વરિત-ઉપલબ્ધ જગ્યા છે. જોકે રસ્તાની ધારે આવેલાં કીટલી-કેન્દ્રો વધારે મોકળાશ આપે છે. આમ પણ ચોપડી, ચર્ચા અને ચા વાચન-પ્રક્રિયાનો મજાનો ત્રિકોણ સર્જે છે!

Photograph : Ashwinkumar /
છબી : અશ્વિનકુમાર

આપણી તો વૃત્તિ જ એવી કે, વાચન-સામગ્રી પસંદ પડી હોય તો 'ગમતાંનો કરીએ ગુલાલ' અને નાપસંદ પડી હોય તો 'ન ગમતાંનો કરીએ જુલાબ'! જોકે કશુંક આનંદપ્રદ વાંચ્યું હોય તો અન્યને પણ વાચન-રસમાં તરબોળ કરવા ગમે છે. એકલપંડે જ ગ્રંથ-રસ ચૂસતાં રહીએ તો માનસિક મધુપ્રમેહ થવાની શક્યતા અને જોખમ વધી જાય! આથી, શક્ય એટલા વાચનપ્રેમીઓને ગ્રંથાલયના સભ્ય બનાવવા માટે તેમના જામીન થવું ગમે છે. આમ પણ, આપણી સહી ગ્રંથાલય-સભ્યપદ માટે જામીનગીરીના અરજીપત્રક સિવાય ક્યાંય ચાલતી નથી! આ રીતે ઘણા બધા વાચન-રસિકોને ગ્રંથાલય-સભ્ય બનાવવાનો અનેરો સંતોષ અનુભવાય છે.

પુસ્તકોની સોબતમાં હોઉં ત્યારે કોઈ ખલેલ ન પહોંચે તો ગમે. લોક-હાજરીમાં, ગ્રંથાલય-મધ્યે પરિચિતો સાથે સંવાદના બદલે સ્મિત કરવું વધારે ગમે. વચનભંગ તો ચલાવી લઉં, પણ વાચનભંગ નહીં! જોકે ચારે બાજુ વિક્ષેપ સિવાય કશું જ ન હોય ત્યારે પણ, પુસ્તક-સંગ ખરેખર ભીડભંજન સાબિત થાય છે. વળી, સારા પુસ્તક-વાચનનો શોખ હોય પછી એકાંતનો શોક આરામથી સહન થઈ શકે છે. ગાંધીજી લખે છે : " ... હું માનું છું કે જેને સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે તે ગમે તે જગ્યાએ એકાંત સહેલાઈથી વેઠી શકે છે. " ('મારો જેલનો અનુભવ', નવજીવન પ્રકાશન મંદિર, ત્રીજી આવૃત્તિ, ૧૯૫૯, પૃ.૨૧) આમ, ક્યારેક એકાંતયોગ સાંપડે ત્યારે ગ્રંથ-વાચન જ એકાંતયોગ્ય પ્રવૃત્તિ બની જાય છે. પુસ્તક-વાચનની સાથે કાગળ-કલમની યુગલબંધી રાખ્યા વગર ચેન પડે નહીં. રસભંગ થાય તો પણ વહેતાં વાચને પુસ્તકની અગત્યની વિગતો નોંધવાની આદત ઝટ ટળે તેમ નથી.

સભ્ય-સમાજમાં પુસ્તક-વાચન સાથે પુસ્તક-વેચાણ પણ વધવું જોઈએ. એટલે જ પુસ્તકો ખરીદીને વાંચવાં તેમ જ વાંચીને ખરીદવાં ગમે છે. ઘરમાં પહેલાં જગ્યા માટે પુસ્તકો ફાળવીને અને હવે પુસ્તકો માટે જગ્યા ફાળવીને પુસ્તકનો મુલક વિસ્તારતો રહું છું. જાળવણી માટે પુસ્તકોને પૂંઠાં ચઢાવવાનું ગમે છે. માતા-પિતાએ અને શિક્ષકોએ બાળકોને અને વિદ્યાર્થીઓને પુસ્તક-આવરણ કૌશલ્ય શીખવવા જેવું છે. જોકે નોટબૂક કમ્પ્યુટર અને ફેસબૂક નેટવર્કના આધુનિક જમાનામાં ચોપડીઓને કપડાં પહેરાવવાની કળા લુપ્ત થતી જાય છે. પુસ્તકોનું સ્વચ્છ-સુઘડ વસ્ત્ર-પરિધાન કરવા માટે એવા કાગળની પસંદગી કરું છું, જેના ઉપર અભિનેતા-અભિનેત્રીની 'રંગીન' તસવીરો ન હોય. જેમનું ખુદનું શરીર ઢંકાયેલું ન હોય એવાં નટ-નટીની તસવીરોવાળો કાગળ પુસ્તકોને તો કેવી રીતે ઢાંકી શકે?!

વિદ્યાર્થીઓને અને મિત્રોને ત્યાં શુભ-લાભ પ્રસંગે મોટા ભાગે પુસ્તકોની ભેટ આપવાનું ગમે છે. પુસ્તક-મેળાની મુલાકાત લેવાની મોજ પડે છે. એક વખત તો વિદ્યાર્થીઓને લઈને વિશ્વ પુસ્તક-મેળો જોવાનો અવસર મળ્યો ત્યારે દિલ્હી દૂર નહોતું લાગ્યું! મોલ-મલ્ટીપ્લેક્ષ કરતાં પુસ્તક-ભંડારમાં રૂબરૂ થવું અનેકગણું વધારે પસંદ છે. જેમણે અમદાવાદમાં પુસ્તકની પરબ સમાન 'ગ્રંથાગાર'માં ગ્રંથ-ગુરુ નાનક મેઘાણી અને સ્મિત-સૌમ્યા હંસાબહેનનો આવકાર અનુભવ્યો ન હોય એમણે પોતાનો લખ-ચોરાશી ફેરો ફોગટ ગણાય તો ચિત્રગુપ્ત સાથે તકરાર કરવી નહીં!

કોઈ એક પુસ્તકને સર્વશ્રેષ્ઠ જાહેર કરતાં ખચકાટ  થાય છે. કોઈ પુસ્તકનું સત્ય તો કોઈનું સત્વ હૃદયને સ્પર્શી જાય છે. કોઈ પુસ્તકની સાદી ભવ્યતા તો કોઈની ભવ્ય સાદગી માનસપટ ઉપર અંકિત થઈ જાય છે. કોઈ પુસ્તકની માહિતી તો કોઈનો વિચાર ઊડીને આંખે વળગી જાય છે. કોઈ પુસ્તકનું પ્રવાસ-વર્ણન હરખથી તો કોઈનું વનવાસ-વર્ણન દુઃખથી આંખના ખૂણા ભીંજવી જાય છે. કોઈ પુસ્તકનું પ્રસંગ-નિરૂપણ તો કોઈની ભાષા-શૈલી મજા કરાવી જાય છે. કોઈ પુસ્તકનાં પાત્રાલેખન તો કોઈનાં ચિત્રાલેખન ઉપર વારી જાઉં છું. કોઈ પુસ્તકનાં વ્યંગબાણ તો કોઈનાં વ્યથા-વીતકથી વીંધાઈ જવું ગમે છે.

મકાન-બાંધકામની યોજનામાં બે શયનખંડ કરતાં એક પુસ્તકખંડ હોય તો વધુ ગમે. શયનખંડ નિરાંતે સૂઈ રહેવા માટે તો પુસ્તકખંડ નિરંતર જાગતાં રહેવા માટે ઉપયોગી પુરવાર થાય છે. ઘરમાં પ્રાર્થના-પૂજાના ખૂણા જેટલી જ પવિત્રતા ધરાવતો પુસ્તકોનો ખૂણો છે. વાસણ મૂકવાની છાજલી જેટલી જ અગત્યની પુસ્તક મૂકવાની છાજલી છે. કપડાં રાખવાના કબાટ જેટલી જ ઉપયોગિતા પુસ્તકો રાખવાના કબાટની છે. કોઈ પુસ્તકની ઉપર ચા-કૉફીનો કપ મૂકીને કૂંડાળાં કરે, પુસ્તકની અંદર પેન-પેન્સિલ મૂકે, પુસ્તકનાં પાનાં ઉપર લીટી-લીટા તાણે, પુસ્તકનું ભૂંગળું વાળે, પુસ્તકની ઝાપટથી માખી-મચ્છર મારે કે પુસ્તકને ભોંય ઉપર પટકે ત્યારે વ્યથા સિવાય કશું પહોંચતું નથી. એમાં પણ કોઈ પુસ્તકમાંથી પાનાં ફાડેલાં જોઉં છું ત્યારે આત્મા ચિત્કારી ઊઠે છે. જોકે આમાં સાવ નવાઈ પામવા જેવું નથી. જે સમાજ પુત્રીઓને જન્મતાં પહેલાં જ ગર્ભાશયમાંથી ખેંચી મારે, એ પુસ્તકનાં પાનાં તો ખેંચી જ શકે!

પિતાની આંગળી પકડીને પુસ્તકો પીતાં શીખ્યો  છું. આજે પુત્રીને હાથમાં પુસ્તકો રમાડવા આપું છું. સસરા સાથે ઊઠતાં-બેસતાં મોટા ભાગે પુસ્તકો સંભળાવું છું. પત્ની સાથે જમતાં-જમતાં આખા દિવસનાં પુસ્તકો વાગોળું છું. એ પણ સ્વીકારવું ગમે કે કેટલાંક કુટુંબીઓ, પરિચિતો, મિત્રો, વિદ્યાર્થીઓ, અને શિક્ષકોએ વાચનયાત્રાને યોગ્ય દિશા અને તેજ ગતિ આપી છે. ઘરની ઓસરીથી શરૂ થઈને ગ્રંથાલયના સંદર્ભ વિભાગ સુધી વિસ્તરેલી પુસ્તક-સોબત નિત્યનવીન આનંદ આપતી રહી છે. કોઈ ઉન્નત-ભ્રૂ જલસા-મંડળી (એલિટ ક્લબ)નું સભ્યપદ ધરાવવાથી જ મોભો વધે, એમાં માનતો નથી. આપણી આબરૂ માત્ર શાખ-પત્ર(ક્રેડિટ-કાર્ડ)થી નક્કી થાય એ મંજૂર નથી. પણ હા, વિવિધ ગ્રંથાલયોના સભ્ય થવું ગમે છે. પુસ્તકાલયોનાં ઓળખ-પત્રોથી ખિસ્સું ભર્યું-ભર્યું બને પછી વિશેષ ઓળખની અને ઓળખની વિશેષ જરૂર જણાતી નથી. પુનર્જન્મ કે પશ્ચાત-જીવનમાં માનતો નથી. પરંતુ, સ્વર્ગ કરતાં નર્કનું ગ્રંથાલય વધુ સમૃદ્ધ હોય તો આ જીવન બાદ આજીવન નરકમાં રહેવાની આપણી તૈયારી છે! સ્વર્ગમાં ગયેલા મિત્રોને આપણી ઇર્ષ્યા આવે તો એ લોકો યમરાજાને બે નકલમાં સ્થાનબદલી માટેની અરજી ભલે કરે!

[વિશ્વ પુસ્તક દિવસ (ત્રેવીસ એપ્રિલ) નિમિત્તે અધ્યાપકીય અનુભવની અભિવ્યક્તિ]

.........................................................................

સૌજન્ય :

સામયિક :
'અભિદૃષ્ટિ'( ISSN 0971-6629 )
એપ્રિલ, ૨૦૧૨
પૃ.૧૫-૧૮

પુસ્તક :
લેખ : પુસ્તક નામે મિત્રતા, વાચન નામે ધન્યતા
પુસ્તક : 'વાચનકળા અને વ્યક્તિત્વવિકાસ' (ISBN 978-93-82352-27-3)
સંપાદક : ડૉ. ભરત ઠાકોર, ડૉ. બાબુલાલ અંકુયા
પ્રકાશક : ફ્લેમિંગો પબ્લિકેશન્સ, ગોતા, અમદાવાદ - ૩૮૨ ૪૮૧
વર્ષ : ૨૦૧૩
આવૃત્તિ : પ્રથમ
પૃષ્ઠ : ૨૮૮-૨૯૨

Photograph : Ashwinkumar /
છબી : અશ્વિનકુમાર

Wednesday, February 20, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 21


'બુધ્ધ' નહીં પણ 'બુદ્ધ' લખો!


ગૂજરાત વિદ્યાપીઠ : સાદગીપૂર્ણ જીવનશૈલી થકી કેળવણી

ડૉ. અશ્વિનકુમાર 
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
.................................................................................................................................

મહાત્મા ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ એટલે ભવ્ય વારસો ધરાવતું અને જીવનને સાદગીભર્યાં વરસો આપતું કેળવણી-કુળ. આ સંસ્થાનાં વિચાર,વાતાવરણ, અને વ્યવહારમાં આજે પણ સાદાઈની હાજરી ભાળી શકાય છે. અહીં અધ્યયન અને અધ્યાપન, કાંતણ અને ભાષણ, યોગ અને ઉદ્યોગ આપણને સાદગીનો સૂર સંભળાવે છે.

ગૂજરાત વિદ્યાપીઠના એક ધ્યેય મુજબ કેળવણીનો ક્રમ ઘડવામાં ગ્રામવાસીઓની હાજતોને પ્રધાનપદ આપવામાં આવે છે. વિદ્યાપીઠની બાંધણી અને ગૂંથણી ધર્મ-જ્ઞાતિ, રંગ-લિંગ, ભાષા-ભૂમિના ભેદથી પર છે. અહીં ઔદ્યોગિક શિક્ષણને બૌદ્ધિક શિક્ષણ જેટલું જ અગત્યનું ગણવામાં આવે છે. રોજિંદા ક્રિયા-ક્રમમાં શારીરિક શ્રમને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપિતાના શિક્ષણતીરથમાં આજે પણ રેંટિયા અને સાવરણા સ્વાશ્રય અને સ્વમાનના જીવતા નમૂના છે. આ સઘળી વ્યવસ્થા વ્યક્તિને સાદગીપૂર્ણ નીતિ-રીતિ તરફ લઈ જાય છે. 

અહીં વિદ્યાર્થીઓ બાલમંદિરમાં પા પા પગલીથી માંડીને મહાવિદ્યાલયમાં વિદ્યાવાચસ્પતિની સંશોધન-પદવી સુધી સાદગીના પાઠ નિરંતર ભણતા રહે છે. સંસ્થાના સેવકો ખાદીનો પહેરવેશ ધારણ કરે છે તો વિદ્યાર્થીઓ માટે ખાદીનો ગણવેશ નક્કી કરવામાં આવ્યો છે. ઉચ્ચ વિચારથી આકર્ષાઈને આવતાં પરદેશી બહેનો-ભાઈઓ અહીં સાદું જીવન જીવી જાણે છે. સંસ્થાના પરિસરમાં તેઓ વસ્ત્રથી માંડીને વર્તણૂક સુધી સાદાઈને આવકારે અને સ્વીકારે છે. 

વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ વિદ્યાપીઠના વર્ગખંડોમાં ઢાળિયાં અને આસનિયાં લઈને ભણે છે. ભોંય ઉપર બેસીને સાદાઈથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ એ રીતે તળની વાસ્તવિકતા સાથે જોડાયેલા રહે છે. 

વિદ્યાપીઠમાં સાદાઈને વરેલું છાત્રાલય-જીવન અનિવાર્ય છે. અહીં વિદ્યાર્થીઓ સમૂહજીવનની ભાવનાથી જીવે છે. પરિણામે પ્રદેશના દરેક ખૂણેથી આવતા વિદ્યાર્થીઓના ખૂણા ઘસાય છે. વિદ્યાપીઠની કેળવણી આજની જીવનશૈલીમાં વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિ સાથે સંવાદિતા માટેની ભૂમિ તૈયાર કરી આપે છે. ચોવીસે કલાક, સાતે દિવસ અને એમ નિરંતર કેળવણી વિદ્યાર્થીઓમાં ચરિત્રનિર્માણ માટેનાં મૂલ્યોનાં મૂળિયાં ઊંડાં નાખે છે. 

અહીં મસ્તકની સાથેસાથે હૃદયની અને હાથની કેળવણી પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં આવતું સમજપરિવર્તન છેવટે સમાજપરિવર્તનમાં પરિણમે છે. આનો દેખાડવા જેવો દાખલો ગૂજરાત વિદ્યાપીઠની ‘ગ્રામશિલ્પી યોજના’ છે. જેમાં સાદગીને જીવન-મૂલ્ય તરીકે સ્વીકારનારા સ્નાતકો ગામડાંમાં બેસવાનો અને એ રીતે ગામડાંને બેઠાં કરવાનો પડકાર ઝીલે છે. ગ્રામશિલ્પીઓ પાસે સાધનો ટાંચાં છે પણ તેમની સાધનશુદ્ધિ ટોચે છે. 

અહીંની સાદગીસભર શિક્ષણ-વ્યવસ્થા કુદરતી સ્રોતો અને સંસાધનોનો સમજણપૂર્વક સંચય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું કહે છે. સંસ્થામાં ‘ખંભાતી કૂવા’ થકી જળસંચય કરવામાં આવે છે અને સૂર્યઊર્જા-પ્રકલ્પ વાટે વીજ-ઉત્પાદન કરવામાં આવે છે. અહીં ધાબા-ખેતી દ્વારા શાકભાજી પેદા કરવામાં આવે છે તો કચરામાંથી સજીવ ખાતર પણ તૈયાર કરવામાં આવે છે. 

ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’ નામની આત્મકથામાં મેનૂ માટે‘વાનીઓનો ખરડો’ જેવો નોખો શબ્દપ્રયોગ કર્યો છે. ગૂજરાત વિદ્યાપીઠનાં છાત્રાલયોમાં મુકરર કરેલો‘વાનીઓનો ખરડો’ જોઈએ તો સાદા ભોજનની સહજ સ્વીકૃતિ છે. છાત્રાલયોમાં ખોરાકનો બગાડ ન થાય એ માટે સંચાલકો અને વિદ્યાર્થીઓ સાવધ અને જાગ્રત છે. 

ગૂજરાત વિદ્યાપીઠની કેળવણી અંગતની સાથેસાથે જગત સારુ અને વ્યક્તિની સાથેસાથે સૃષ્ટિ સારુ સમજ ઊભી કરવાનું શીખવે છે. દરેકની આસ્થાનું અને એ પ્રમાણે સમગ્ર સંસ્થાનું પર્યાવરણ-સહૃદયી તત્વ અને તંત્ર સાદગીપૂર્ણ જીવન-શૈલીનો સંદેશો આપે છે.
 
.................................................................................................................................
દસ્તાવેજી ચલચિત્ર માટે લેખન :
 ડૉ. અશ્વિનકુમાર
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪ //
(ચોવીસ ડિસેંબર, બે હજાર બાર)

ચા પીતા કે ચા વાગોળતા?!



તારી હાક સુણીને કોઈ ના આવે તો,
એકલો પીને રે... એકલો પીને રે...!

તસવીર-સૌજન્ય : ભરત દેસાઈ

તસવીર-સ્થળ : માસીની કીટલી
આશ્રમ માર્ગ, અમદાવાદ

                                                                                                                                             


ગાંધીજી કહે છે : વિદ્યાર્થી વિશે

"ચોમેર છાઈ રહેલી નિરાશાની રાત્રિમાં આપણે ભૂલા ન પડીએ.આશાનાં કિરણને સારુ આપણે બાહ્યાકાશ ભણી નજર ન નાખીએ, પણ અંતરાકાશ તપાસીએ.જે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ છે, જેણે ભયનો ત્યાગ કર્યો છે, જે પોતાના કર્તવ્યમાં પરાયણ રહે છે, જે કર્તવ્યપરાયણતામાં જ પોતાના હકોને છુપાયેલા જુએ છે તે વિદ્યાર્થી બહાર વ્યાપી રહેલા અંધકારથી ભયભીત નહીં થાય, પણ જાણશે કે એ અંધકાર ક્ષણિક છે, પ્રકાશ નજીક છે."

કુલપતિ ગાંધીજી
( ગૂજરાત વિદ્યાપીઠઅમદાવાદ મુકામે ૦૫-૧૨-૧૯૨૫ના રોજ યોજાયેલા પદવીદાન સમારંભમાં રજૂ કરેલા ભાષણમાંથી )   

મૂળ અંગ્રેજી : 'યંગ ઇન્ડિયા', ૧૦-૧૨-૧૯૨૫
અનુવાદ : 'નવજીવન', ૧૩-૧૨-૧૯૨૫

A BRIEF BIO-DATA


Prof. (Dr.) ASHWINKUMAR : A BRIEF BIO-DATA




Name : Prof. (Dr.) Ashwinkumar

Nationality : Indian

Mother tongue : Gujarati

Languages known : Gujarati, Hindi, English

Designation : Professor (Journalism & Mass Communication)

Academic Qualifications :
B.Sc. (Physics)
B.C.J.P. (Gold Medalist)
M.J.S. (First Class with Distinction)
M.Phil. (Journalism & Mass Communication)
Ph.D. (Journalism & Mass Communication)

Felicitations :
Bhagvatilal Dahyalal Rao (Khambhat) Journalism Gold Medal
Fulshankar Pattani (Bhuj) Journalism Award

Experience : 28 years of teaching at postgraduate level since February 
20, 1996 at Gujarat Vidyapith, Ahmedabad established by Mahatma Gandhi in 1920

Area of Interest : M.K. Gandhi’s communication, Gandhiji’s journalism, Mahatma 
Gandhi’s time management, Gujarati newspapers' language, Photojournalism, Life & Works of Kakasaheb Kalelkar, Life & Works of Kasturba Gandhi    

Area of Research :

M.Phil. : Journalist Gandhiji’s Gujarati language and its relevance in today’s journalism, Guide : Mr. Tushar Bhatt (senior editor and journalist), Year : 2000

Ph.D. : Human rights reflected in Journalist Gandhiji’s writings (With special reference to removal of untouchability), Guide : Dr. Raghuveer Chaudhary (senior litterateur and professor), Year : 2009

Research Guide-ship :

M. Phil. Guide : Since 2000
(http://ashwinningstroke.blogspot.in/2013/06/mphil.html)

Ph.D. Guide : Since 2015
(https://ashwinningstroke.blogspot.com/search/label/Students%27%20PhD)

Editorial Work : Co-editor, ‘Abhidrushti’ - a monthly views paper for higher education - from May, 2002 to July, 2012

Writing Work :

A column on humour called 'Halave Haiye' (હળવે હૈયે) published on Wednesday in 'Kalash' supplement of 'Divya Bhaskar' from 17th September, 2014 to 02nd September, 2015.
http://ashwinningstroke.blogspot.com/search/label/Humour-Kalash-supplement ;

A column on soCIeTY called 'Aapanun Amadavad' (આપણું અમદાવાદ) published on Tuesday / Sunday in 'City Bhaskar' of 'Divya Bhaskar' from 02nd February, 2016 to 16th July, 2017.
http://ashwinningstroke.blogspot.in/search/label/Ahmedabad%20-%20Articles  ;

A column on humour called 'Halave Halese' (હળવે હલેસે) published on Saturday on edit-page of 'Divya Bhaskar' from 05th November, 2016 to 15th September, 2018.
http://ashwinningstroke.blogspot.in/search/label/Humour-Edit-Page ;

Hobbies
 : Reading, Writing, Walking, Travelling, Photography

Office :

Dr. Ashwinkumar
Professor
Department of Journalism & Mass Communication,
Faculty of Professional Studies, Near Central Library,
Gujarat Vidyapith, Mahatma Gandhi Ashram Road, 
Ahmedabad : 380 009, Gujarat, India


(
'Ashwiniyat' is a 24*7 classroom-type Blog, commenced on 01-01-2013. It has 4925posts with 400000+ page-viewsFun-lines to learn Gujarati language have crossed the figure of 1475.

E-mail Address : ashwinkumar.phd@gmail.com

Tuesday, February 19, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 20


'સારું' અને 'સારુ' ભિન્ન છે!
આ વાક્યપ્રયોગ કરો : 'આ ભોજન તમારા સ્વાસ્થ્ય સારુ સારું નથી!'


Monday, February 18, 2013

એક રસ્તો છે લખવું ...


" આપણી દુનિયાને પોતીકી બનાવવાનો એક રસ્તો છે લખવું અને બીજો રસ્તો છે ચાલવું."

- જીઓફ નિકોલ્સન


Friday, February 15, 2013

'ગાંધીના ટપાલી' : જિતેન્દ્રભાઈ દેસાઈ


અશ્વિનકુમાર
વ્યાખ્યાતા
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ
ગૂજરાત વિદ્યાપીઠ
અમદાવાદ : ૩૮૦ ૦૧૪

જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ અને નવજીવન પ્રકાશન મંદિર એક પાનાની બે બાજુ હતાં. એમના વધુ, વધુ અને વધુ પરિચયમાં આવનાર માટે તેઓ જિતેન્દ્ર દેસાઈ, જિતેન્દ્રભાઈ અને છેવટે જિતુભાઈ બની રહેતા. લોકો ભલે એમને મુદ્રણ-પ્રકાશનના માણસ ગણાવે, જિતુભાઈ પોતાને 'ગાંધીના ટપાલી' ગણાવવાનું પસંદ કરતા. એ વ્યક્તિને અભાગી ગણવી જેને જિતેન્દ્રભાઈનો ભેટો થયો હોય અને તેને જિતુભાઈએ કોઈ પુસ્તક ભેટ ન આપ્યું હોય ! જિતેન્દ્રભાઈનું વાચન સાદગીનું, છતાં પસંદગીનું. તેમની સોબતમાં આવનારને વાચનનું વ્યસન થાય જ. જિતુભાઈ સાથે ગાંધી-વિષયક પુસ્તકોની ચર્ચા કરવાની મઝા તો જેમણે માણી હોય  એમને પૂછી જુઓ. તેઓ પુસ્તકનાં વિષયવસ્તુ અને વિશેષતાઓની સાથે લેખકનો 'સાચો' પરિચય, જે તે પુસ્તકની નવજીવનીય પરવાનગી-વિધિ કે પ્રકાશન-પ્રક્રિયા વેળાના 'ખાસ' કિસ્સાની ચર્ચા કરે. જિતુભાઈ લેખકને આડકતરી રીતે એવું કહી દેતા કે, પુસ્તક લખવાનું (જ) કામ તમારું અને છાપવાનું કામ અમારું (જ) !  

ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ વિભાગનું હોવું એ જિતેન્દ્રભાઈનું  સપનું હતું. તેમના થકી ગૂજરાત વિદ્યાપીઠને નવજીવન પ્રકાશન મંદિરનું અનુદાન મળ્યું. પરિણામે ગાંધી-સંગાથી પત્રકાર મહાદેવ દેસાઈની જન્મ-શતાબ્દી ટાણે, ઈ.સ.૧૯૯૧-૧૯૯૨માં મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં પત્રકારત્વ વિભાગનો જન્મ થયો. અનેક વ્યસ્તતા વચ્ચે તેમણે  પત્રકારત્વ વિભાગના માનદ વડા તરીકેની કામગીરી કરી. આ વિભાગનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને પત્રકારત્વની એવી સઘન તાલીમ આપવાનો હતો કે જેથી તેઓ પોતાના સ્થાનિક સ્તરેથી અખબાર પ્રકાશિત કરી શકે. આમ, જિતેન્દ્રભાઈ ગ્રામીણ અને પ્રાદેશિક પત્રકારત્વ દ્વારા વિકાસ પ્રત્યાયનની તરફદારી કરતા હતા.

અમે પત્રકારત્વનું શિક્ષણ લઈ રહ્યા હતા એ ઈ.સ. ૧૯૯૩-૯૪થી ૧૯૯૪-૯૫ના સમયગાળામાં, જિતેન્દ્ર દેસાઈને પહેલી વખત જોયા-સાંભળ્યા-મળ્યા એવું સ્મરણ થાય છે. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં તેમનું મુલાકાતી વ્યાખ્યાન 'મુદ્રણ અને પ્રકાશન' વિશે હતું. આ લખનારને ફેબ્રુઆરી,૧૯૯૬માં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાવાનું થયું એટલે જિતુભાઈનો સવિશેષ પરિચય થતો રહ્યો. અનુપારંગત કક્ષાએ સંશોધન સારુ, ગાંધીજીના પત્રકારત્વમાં રસ પડ્યો એનું એક નિમિત્ત જિતુભાઈ પણ હતા. ઘણા વખતના અંતરાલ અને અંતરાય બાદ તેમની સાથે છેલ્લી લાંબી મુલાકાત ૧૩-૧૧-૨૦૧૦ના રોજ થઈ. તેમના 'નવજીવન'સ્થિત કાર્યાલયમાં અમે ગાંધીજીનાં જીવન-કવન-સાહિત્ય-પત્રકારત્વ વિશે લગભગ બે કલાક ચર્ચા કરતા રહ્યા. એ મુલાકાતના અંતે તેમણે સહજ રિવાજ પ્રમાણે 'પ્રૂફરીડિંગ કેવી રીતે થાય છે ?' નામની તેમની પરિચય-પુસ્તિકાની સુધારેલી આવૃત્તિ (ઈ.સ.૨૦૧૦) ભેટરૂપે આપી. તેમને જાહેરમાં છેલ્લે ૨૪-૧૧-૨૦૧૦ના રોજ ગુજરાતી વિશ્વકોશ કાર્યાલયના સભાખંડમાં 'ગાંધી, ગાંધી-સાહિત્ય અને તેનો વધતો વ્યાપ' વિષયક વ્યાખ્યાનમાં સાંભળ્યા.કાર્યક્રમ બાદ તેમની સાથે આ વ્યાખ્યાન સંબંધી થોડી ચર્ચા પણ કરી. આટલું ઝીણું માહિતી-કાંતણ કરવાનું એકમાત્ર કારણ એટલું કે, જિતુભાઈની વિદાયથી ગાંધી-વિગત અને ગાંધી-વિચાર વિશેનું ભરોસાપાત્ર પૂછવા-ઠેકાણું કાયમ માટે ખોવાઈ ગયું.

જિતુભાઈનો માતૃભાષા-પ્રેમ બે કાંઠે વહેતી નદી જેવો હતો. તેઓ વિદ્યાર્થીઓનાં અને કેટલાક ખાસ કિસ્સામાં તો વ્યાખ્યાતાનાં લખાણોની ભાષા અને  જોડણી સુધારવાની તક ઝડપી લેતા અને સૂચનો પણ કરતા. તેમનો એવો આગ્રહ કે લેખન-વાચન ટાણે સાર્થ જોડણીકોશ અને ગુજરાતી-હિંદી-અંગ્રેજી શબ્દકોશ હાથવગા હોવા જોઈએ. જિતુભાઈનું અંગ્રેજી નમૂનેદાર હતું. તેમની સાથે અંગ્રેજી શબ્દોના સરળ અને સ્વીકાર્ય ગુજરાતી સમાનાર્થી શબ્દોની ચર્ચાનો પૂડો અંતે મધુર રસ જ ટપકાવતો. તેઓ પત્રકારત્વના વિદ્યાર્થીઓને એકથી વધારે સંખ્યામાં અને એકથી વધારે ભાષાનાં છાપાં વાંચવાનું કહેતા. વિશેષ તો તેઓ દૈનિકોમાં પ્રગટ થતી 'સ્થાનિક', 'નગરનોંધ' કે 'આજે અમદાવાદમાં' જેવી કતાર જોવાનું ખાસ કહેતા. આ મામલે તેમની લાગણી એવી હતી કે વિદ્યાર્થીઓ એ કાર્યક્રમમાં સમયસર પહોંચે અને એનો સંપૂર્ણ અહેવાલ લખે. આ માટે પત્રકારત્વ વિભાગમાં કેટલીક સાઇકલ વસાવવાની તેમની ઇચ્છા હતી.

વિભાગીય હોય કે વ્યક્તિગત,કાગળ-પત્રને એ જ સમયે ફાઇલ કરવાનું, અમને જિતેન્દ્રભાઈએ શીખવ્યું. જેના કારણે કાગળ ન ખોવાય અને તેથી વખતનો બગાડ ન થાય. તેઓ કાગળનાં ન વપરાયેલાં હિસ્સા કે બાજુનો યથાયોગ્ય ઉપયોગ કરતા અને કરાવતા. તેઓ એક વખત ટપાલ-મુસાફરી કરી ચૂકેલા પરબીડિયા ઉપરના સરનામાને પ્રતિ(To)માંથી દ્વારા(From)માં ફેરવવાનું કામ આપણી હાજરીમાં જ કરી બતાવતા હતા. ફોન ઉપર ટૂંકી-ટચ વાત કેમ કરવી એ જિતુભાઈ પાસેથી શીખી લેવા જેવું હતું. સંસ્થાના સેવક તરીકે આપણી નાનકડી અરજીમાં પણ વિનય-વિવેક દેખાવા જોઈએ એવું તે માનતા અને સમજાવતા. ભારેખમ દેખાવ અને ગંભીર ચહેરો ધરાવતા જિતેન્દ્રભાઈને મોઢામોઢ મળીએ ત્યારે એમની સૂક્ષ્મ રમૂજવૃત્તિનો હળવો અનુભવ થાય જ. વાતનો વિષય કે વિષયની વાત ગમે તે હોય જિતેન્દ્રભાઈની પાસે એ બાબતનો એકાદ રમૂજી ટુચકો કે રસપ્રદ પ્રસંગ જીભવગો હોય જ. જિતુભાઈને ગુસ્સે થયેલા જોયા નથી. હા, ક્યારેય આવું બને તો તેમના અવાજમાં કંપનનો  અનુભવ થાય.

જિતેન્દ્રભાઈ જાહેરમાં વ્યાખ્યાન આપવાનું બહુ પસંદ કરતા નહીં. અનિવાર્ય સંજોગો ઊભા થાય તો વિગતો નોંધીને લાવે, મુદ્દાસર બોલે,ટૂંકું બોલે.તેમની મૌખિક રજૂઆત કરતાં લેખિત અભિવ્યક્તિ વધારે બળૂકી હતી. તેઓ લેખનો ઉઘાડ કરવાથી માંડીને તેનું સમાપન કરવા સુધીના તમામ તબક્કામાં ગજબની ચીવટ દાખવતા. પોતાની કલમને બિનજરૂરી વર્ણન-વિશેષણ-વિરામચિહ્નથી દૂર રાખતા. એ વખતે મુંબઈના 'સમકાલીન' દૈનિકમાં તેમની લેખમાળા પ્રગટ થતી હતી. એમની સાથે ચાની ચુસ્કી લેતાં-લેતાં એ લેખોની નિખાલસ અને રસપ્રદ ચર્ચા કરી હોય એવા અનેક યાદગાર દિવસો પત્રકારત્વ વિભાગમાં એ વખતે તો હતા!

ગૂજરાત વિદ્યાપીઠના કુમાર વિનય મંદિરમાં કેળવણી પામેલા જિતેન્દ્રભાઈ ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક પણ થયા.આને કારણે તેમની સાથેની વાતચીત વેળા આપણી આસપાસ રામજીભાઈ વોરાથી માંડીને વિઠ્ઠલદાસ કોઠારી અને મગનભાઈ દેસાઈથી માંડીને મોરારજીભાઈ દેસાઈ જેવાં વ્યક્તિચિત્રો ખડાં થઈ જતાં. જેમાંથી ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાનાં સ્થાપના, સંઘર્ષ અને સાંપ્રતની છબી વધુ સ્પષ્ટ ભાળી શકાતી હતી. જિતુભાઈના નિધનથી ગાંધીવિચારની જૂની પેઢી સાથે નવી પેઢીને જોડતો તાર તૂટ્યો છે એ સ્વીકારવું જ રહ્યું.

-----------
સૌજન્ય :

લેખ-શીર્ષક : ગાંધીના ટપાલી
સ્મરણગ્રંથ : 'ગાંધી સાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ'
સંપાદક : કેતન રૂપેરા, કપિલ રાવલ
પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
પ્રથમ આવૃત્તિ, મે, ૨૦૧૨
પૃષ્ઠ : ૧૦૭-૧૦૮

ભાષાની મજા, મજાની ભાષા - 18


સાચું નામ કયું?

પ્રિય રંજનદાસ મુન્શી

પ્રિયરંજનદાસ મુન્શી

પ્રિયરંજન દાસમુન્શી

પ્રિય રંજનદાસમુન્શી

પ્રિયરંજનદાસમુન્શી



Monday, February 11, 2013

ત્યારે જ દોસ્ત, સવારે અખબાર નીકળે છે.


" ડૂસકાં હૃદય માંહેથી ચિક્કાર નીકળે છે,
ત્યારે શબ્દો કલમમાંથી દસ બાર નીકળે છે.
આ બોઝિલ અને ત્રસ્ત રાતો જેમ તેમ વીતે,
ત્યારે જ દોસ્ત, સવારે અખબાર નીકળે છે. "

ડૉ. મુકુલ ચોક્સી
સુરત


ગાંધીજી કહે છે : મિત્ર વિશે


" આપણે બધાને મિત્ર ગણીને કાં ન વરતીએ? ખાસ મિત્રાચારીમાંથી કડવાશ પણ થાય.પણ બધાને મિત્ર ગણીએ તો જીવન નિત્ય રસિક રહે. "

- બાપુ

યરવડા મંદિર

૧૧-૦૫-૧૯૩૨


Friday, February 8, 2013

ખોળાનો છૂપાનાર !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

બેટો હોય કે બેટી, વાંદરી માટે એ કેવળ બચ્ચું હોય છે ! 
ડાળી હોય કે પાળી, બચ્ચા માટે માનો ખોળો એટલે સલામતીની ખોળાધરી!

ગાંધીજી કહે છે : લોકનાયકો વિશે



" ... સહુએ યાદ રાખવું ઘટે છે કે હવે લોકના હાથમાં વધતી જતી સત્તા આવતી જાય છે. એવી સ્થિતિમાં લોક્નાયકોને મુખેથી એક શબ્દ પણ વગર વિચારેલો ન જ નીકળવો જોઈએ. "

મો. ક. ગાંધી

વલ્લભભાઈ પટેલને ચિઠ્ઠી
૧૧-૦૧-૧૯૩૯, બારડોલી
(મૂળ ગુજરાતી)


Wednesday, February 6, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 16


ઉમાશંકર જોશી કવિનું નામ છે પણ જગ્યા છોડવાના મામલે ઉદાર થઈશું તો, ઉમા શંકર જોશી નામની વ્યક્તિ કદાચ કવિ ન પણ હોય!


ભાષાની મજા, મજાની ભાષા - 15


અક્ષરો વચ્ચે જગ્યાના મામલે ચીવટ રાખીશું તો, 'દીપકમલ' જેવો શબ્દ 'દીપક મલ' જેવો સખ્શ બની જતાં બચી જશે!

Tuesday, February 5, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 14


'સવિનય સાથે' ન જણાવો!
'સવિનય' અથવા 'વિનય સાથે' જણાવો!


ગાંધીના સંગમાં સરદારના વ્યંગ

અશ્વિનકુમાર
-----------------------------------------------------------------------------

Courtesy : google image 

ગાંધીજી અને સરદાર વચ્ચે લગભગ ત્રીસ વર્ષનો સુવાસભર્યો સહવાસ છે. પ્રારંભમાં મોહનદાસને વલ્લભભાઈ 'અક્કડપુરુષલાગે છે. ગોરંભમાં એ જ સરદાર ગાંધીજીનો 'જમણો હાથબની રહે છે. ૯-૧-૧૯૧૫ના રોજ વતન-વાપસી બાદ બહુ થોડા વખતમાં ગાંધીજીને 'મહાત્માજી'નું બિરુદ મળ્યું હતું. એ વેળાએ વલ્લભભાઈએ ટીકા કરી હતી કે, "આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે." ('ગાંધી'સ ટ્રુથ', એરિક એરિક્સનપૃ. ૯૦) આ જ વલ્લભભાઈ ગાંધીવિદાયના આઘાતમાં ૯-૨-૧૯૪૮ના રોજ નરહરિ પરીખને પત્રમાં લખે છે : "આપણે માથેથી છત્ર ચાલી ગયું." ('સરદારશ્રીના પત્રો - ૪', પૃ. ૩૬૫)

ગાંધી-સરદાર સંબંધ વિશે કાકાસાહેબ કાલેલકર 'ગાંધીપરિવારના જ્યોતિર્ધરો'માં નોંધે છે : "ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ એકબીજાને બરાબર ઓળખ્યા. બંનેને આનંદ હતો કે આપણને એક સારા લગભગ સમાનધર્મી મળી ગયા. સરદાર વલ્લભભાઈમાં ચારિત્રની ઊંચાઈ ન હોત તો ગાંધીજી એમને પોતાનો 'જમણો હાથન બનાવત. ગાંધીજીમાં તેજસ્વિતા અને તીવ્ર દેશભક્તિ ન હોત તો વલ્લભભાઈ જેવા માની પુરુષ એમના સિપાહી ન બનત. બંનેમાં આદર્શની સમાનતા ન હોત તો ત્રીસ વરસ સુધી બંનેનો આટલો ઘનિષ્ઠ સહયોગ ચાલી ન શક્યો હોત."

સરદાર વ્યક્તિ તરીકે પાક્કા છેઅભિવ્યક્તિમાં એક્કા છે. પાંચ ફૂટ સાડા પાંચ ઇંચ જેટલી ઊંચાઈ અને એકસો છેતાળીસ રતલ આસપાસનું વજન ધરાવતા વલ્લભભાઈ પાસે અમર્યાદિતઅસાધારણઅજોડ વિનોદવૃત્તિ છે. તેમની લાયકાત અને વકીલાતથી એમનાં વાણી-વર્તનમાં વ્યંગરંગ ભળે છે. સરદારમાં નિર્ભયતાનેતૃત્વશક્તિનિખાલસતા છે. વ્યંગના ચાબૂક મારવા માટે આટલા ગુણો પૂરતા છે! મો.ક.ગાં. કરતાં વ.ઝ.પ. ઉંમરમાં છ વર્ષ અને ઓગણત્રીસ દિવસ નાના છે. સરદાર માટે ગાંધીજી સાથે વિનોદ-વિહાર કરવા આટલું વયઅંતર પૂરતું ઓછું અને પ્રમાણમાં સલામત છે! 'વિનોદ-વલ્લભસરદાર લોકજીવનની વાસ્તવિકતા પણ જાણે છે અને ગાંધીજીવનની નિકટતા પણ માણે છે. મો. ક. ગાંધી સાથે મોકળાશ અનુભવનાર વલ્લભભાઈ સત્યના પ્રયોગવીર સામે વ્યંગના પ્રયોગો કરી શકે છે. કારણ કેગાંધીજી હસી શકે છેસહી શકે છે!

મોહન-વલ્લભ-મહાદેવના ત્રિવેણી સંગમમાંયરવડામંદિર સાચે જ દિવ્ય-ભવ્ય-નવ્ય જણાય છે. મહાદેવભાઈની રોજ-નોંધમાં સરદારના વ્યંગ-રૂપનું મનોહર દર્શન કરી શકાય છે. 'સરદાર : એક સમર્પિત જીવન'ના લેખક રાજમોહન ગાંધીના મતાનુસાર, " ... આ ડાયરીમાં વલ્લભભાઈનું જીવંત સ્વરૂપ જોવા મળે છેતેટલું બીજે કશે મળતું નથી ... " (પૃ. ૨૧૩) જાન્યુઆરી૧૯૩૨થી મે૧૯૩૩ સુધીના ગાંધીસોબતના સોળ માસના જેલ-જીવનમાં સરદારની વિનોદ-ચાંદની સોળે કળાએ ખીલેલી અનુભવી શકાય છે. જેલવાસ દરમિયાન ગાંધીજી માટે ખજૂર ધોવાનુંદાતણ કૂટવાનુંસોડા બનાવવાનું ... વગેરે કામ વલ્લભભાઈએ દિલથી સ્વીકાર્યું હતું.

'મહાદેવભાઈની ડાયરી'ના પહેલા ભાગમાં નોંધ છે : વલ્લભભાઈ બાપુને હસાવવામાં બાકી નથી રાખતા. આજે પૂછે : "કેટલાં ખજૂર ધોઉં?" બાપુ કહે : "પંદર." એટલે વલ્લભભાઈ કહે : "પંદરમાં અને વીશમાં ફેર શું?" બાપુ કહે : "ત્યારે 'દશ.' કારણ દશમાં અને પંદરમાં ફેર શું?" (પૃ. ૯) જમી રહ્યા પછી વલ્લભભાઈ હમેશની જેમ દાતણ કૂટીને તૈયાર કરવા બેઠા. પછી કહે : "ગણ્યાગાંઠ્યા દાંત રહ્યા છે તોપણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે." (પૃ. ૧૩) વલ્લભભાઈની ગમ્મત આખો દિવસ ચાલતી જ હોય. બાપુ બધી વસ્તુમાં 'સોડાનાખવાનું કહે છે. એટલે વલ્લભભાઈને એ એક મોટો મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે કહે : "સોડા નાખોની!" અને એની હાસ્યજનકતા બતાવવાને સારુ  ... વૈદ્યના નેપાળાની વાત કરીને ખૂબ હસાવ્યા. (પૃ. ૧૪)

ગાંધીજી જેલમાં ક્યારેક મોડે સુધી બેસીને બહુ કાગળો લખાવતા. આ અંગે મહાદેવભાઈ નોંધે છે : "વલ્લભભાઈ પણ હવે મંત્રીની પદવીએ ચઢ્યા અને ઢગલા કાગળો ઉકેલવામાં મદદ કરવા લાગ્યા. એમને તો પાછું મનગમતું કામ. એમના વિનોદનો ફુવારો તો ચાલતો જ હોય. કોઈના કાગળમાં જોયું કે સ્ત્રી કુરૂપ છે એટલે ગમતી નથી, એટલે તુરત બાપુને કહે : "લખોની કે આંખ ફોડી નાખીને એની સાથે રહે, એટલે કુરૂપ જોવાનું નહીં રહે!" "(મહાદેવભાઈની ડાયરીભાગ-૨પૃ. ૨૭૫)

સરદાર પાસે સચોટ તળભાષા જીભવગી છે. ગાંધીજી કહે છે : "વલ્લભભાઈની ખેડૂતી ગુજરાતી તેની પાસેથી કોઈ હરી જ ન શકે." (કિ. ઘ. મશરૂવાળાને પત્ર૨૧-૯-૧૯૩૨, 'ગાંધીજીનો અક્ષરદેહ', ૫૧:૧૨૦) આ જ રીતે સરદારના વિનોદ-સામર્થ્ય વિશે ગાંધીજી 'હરિજન' (૨૫-૨-૧૯૩૩)માં લખે છે : " ... મારી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ રૂપે એક લાડકો વિદૂષક છે. તેઓ મને પોતાની અણધારી ગંમતની  વાતોથી હસાવીને લગભગ બેવડ વાળી દે છે. તેમની હાજરીમાં ખિન્નતા પોતાનું ભૂંડું મુખ છુપાવીને ભાગી જાય છે. ગમે તેવી ભારે નિરાશા પણ તેમને લાંબો વખત ઉદાસ રાખી શકતી નથી અને તેઓ મને એકથી બીજી મિનિટ માટે ગંભીર રહેવા દેતા નથી. તેઓ મારા 'સાધુપણા'ને પણ છોડતા નથી! ... " ('ગાંધીજીનો અક્ષરદેહ', ૫૩:૪૫૦)

સરદાર ખિન્ન નહીં, પ્રસન્ન રહેવા માટે સર્જાયેલા છે. ગાંધીકથાકાર નારાયણ દેસાઈ 'મને કેમ વીસરે રે?'માં લખે છે : "સરદારનો વિનોદ એમની આંતરિક પ્રસન્નતામાંથી સ્ફૂરતો. અલબત્ત એ કોઈ વાર સામાને દઝાડે એવો આકરો પણ થઈ જતો. કદાચ વકીલાતના જમાનાના એ સંસ્કાર હશે. પરંતુ કઠોર ગણાતા સરદારના હૃદયમાં જો વિનોદ અને હાસ્યરસનાં ઝરણાં ન હોત તો જીવનની આટઆટલી આકરી કસોટીઓમાંથી પાર ન ઊતર્યા હોત." આપણે સરદારના જીવનમાંથી એટલું તો પામીએ કે  હાસ્ય એ જિંદગી જીવવાનું રહસ્ય છે.

આજના  મોટા ભાગના  લોકનેતાઓનાં વિચાર-વાણી-વર્તન ઓછા હાસ્યપ્રેરક અને વધારે હાસ્યાસ્પદ છે. સરદાર જેવો વિનોદ પ્રગટાવવા માટે અણીશુદ્ધ ચારિત્રતળનો સંપર્કસમસ્યાની સમજણલોકભાષામાં અભિવ્યક્તિ અને ગાંધીજી જેવા જીવન-કવનનો સંગ પણ જોઈએ!

-----------------------------------------------------------------------------
સંદર્ભ-સૂચિ :

Erikson, Erik.(1970).Gandhi's Truth : On the Origins of Militant Nonviolence. Faber and Faber Limited : London.

કાલેલકર, કાકાસાહેબ.(૧૯૭૫).ગાંધીપરિવારના જ્યોતિર્ધરો.નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધીમોહનદાસ(૧૯૭૮).ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૧).નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધીમોહનદાસ(૧૯૭૮).ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૩).નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધીરાજમોહન(૨૦૧૦).સરદાર પટેલ : એક સમર્પિત જીવન (અનુવાદક : નગીનદાસ સંઘવીપહેલી આવૃત્તિ૧૯૯૪અગિયારમું પુનર્મુદ્રણ૨૦૧૦).નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

દેસાઈનારાયણ(૧૯૮૬).મને કેમ વિસરે રે?. બાલગોવિંદ પ્રકાશન : અમદાવાદ.

પટેલ, મણિબહેન(સંયોજક-સંપાદક)(૧૯૮૧).સરદારશ્રીના પત્રો – ૪ : બાપુ, સરદાર અને મહાદેવભાઈ (જન્મશતાબ્દી ગ્રંથમાળા – ગ્રંથ ચોથો)(પહેલી આવૃત્તિ, ૧૯૭૭; ત્રીજી આવૃત્તિ, ૧૯૮૧)સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન : અમદાવાદ.

પરીખનરહરિ(સં.)(૧૯૪૮).મહાદેવભાઈની ડાયરી પુસ્તક પહેલું.નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.         

પરીખનરહરિ(સં.)(૧૯૪૯).મહાદેવભાઈની ડાયરી પુસ્તક બીજું.નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.
-----------------------------------------------------------------------------

સૌજન્ય : 

'દિવ્ય ભાસ્કર', ૧૫-૧૨-૨૦૧૦, બુધવાર, 'કળશ' પૂર્તિ : 'સરદાર વિનાનાં સાઠ વર્ષ', પૃષ્ઠ : ૦૪

પુનર્મુદ્રણ : ગ્રામનિર્માણ, ઓક્ટોબર, ૨૦૧૧થી માર્ચ, ૨૦૧૨, અંક : ૦૭, પૃષ્ઠ : ૦૭-૦૮
http://www.khadigujarat.in/pdf/07-gram-nirman-octo-2011-march-2012-(Y-36).pdf