Wednesday, April 29, 2015

ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના

- ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
................................................................................................................................

ઈ.સ. ૧૯૦૯માં મો.ક. ગાંધીએ માતૃભાષા ગુજરાતીમાં 'હિંદ સ્વરાજ' લખ્યું. તેમણે તેનો અંગ્રેજી અનુવાદ 'ઇન્ડિયન હોમ રુલ' નામે કર્યો. ઈ.સ. ૧૯૧૨માં ગોપાલકૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમણે આ અનુવાદ જોયો. ગોખલેને ગાંધીનું આ લખાણ અણઘડ લાગ્યું. તેમને ગાંધીના આ વિચારો ઉતાવળે બાંધેલા લાગ્યા. ગોખલેએ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે, હિંદમાં એક વરસ રહ્યા પછી ગાંધી જાતે જ આ પુસ્તકનો નાશ કરી દેશે. આજે ગોખલે હોત તો તેઓ કબૂલ કરત કે, તેમણે સો વર્ષ પહેલાં જે પુસ્તકનું ભવિષ્ય ભાખ્યું હતું તે તો ભવિષ્યનું પુસ્તક હતું! એક કાળે 'હિંદ સ્વરાજ' વિશે ગોખલેનો મત હતો કે, "આ મૂરખ માણસની કૃતિ છે." આજના કાળે ગોપાલકૃષ્ણ હોત તો મોહનદાસના 'હિંદ સ્વરાજ' વિશે આપણને કહેત : "મૂરખ, આ માણસની કૃતિ છે!" લોર્ડ લોધિયન સેવાગ્રામ આવ્યા ત્યારે તેમણે મહાદેવ દેસાઈ પાસે 'હિંદ સ્વરાજ'ની નકલ માગી હતી. લોર્ડ લોધિયને કહ્યું હતું : "ગાંધીજી અત્યારે જે કંઈ ઉપદેશી રહ્યા છે તે આ નાનકડી ચોપડીમાં બીજરૂપે પડેલું છે, અને ગાંધીજીને બરાબર સમજવા માટે એ ચોપડી ફરી ફરી વાંચવી ઘટે છે." ગાંધીવિચાર અને ગ્રામચેતનાને મૂળથી સમજવા માટે 'હિંદ સ્વરાજ'ને વધુ અને વધુ વખત વાંચવી-પચાવવી પડે એમ છે.

ગ્રામસમાજને માતૃભાષા સાથે એક જ સંબંધ હોય છે : સીધો ! 'હિંદ સ્વરાજ'માં ગાંધી સ્વરાજ અંગે માંગણી કરે અને સ્વભાષા અંગે લાગણી વ્યક્ત ન કરે એ કેમ બને? તેઓ લખે છે : "આપણે સ્વરાજની વાત પરભાષામાં કરીએ છીએ એ કેવી કંગાલિયત!" (પૃ.૬૫) હિંદુસ્તાન સેંકડો, હજારો નહીં, પણ લાખો ગામડાંનો બનેલો મુલક છે. આથી, ગાંધી સઘળી પ્રાદેશિક ભાષાઓની ચિંતા કરતાં કહે છે : "મને તો લાગે છે કે આપણે આપણી બધી ભાષાને ઉજ્જવળ કરવી ઘટે છે."(પૃ.૬૬) મો.ક. ગાંધીએ 'હિંદ સ્વરાજ' લખ્યું ત્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં લગભગ સોળ વરસનો સંગ અને સાન મેળવી ચૂક્યા હતા. આટલો લાંબો વખત વતનથી દૂર રહેવા છતાં તેમની માતૃભાષામાં ગ્રામીણ સંદર્ભ સચવાયેલો માલૂમ પડે છે. 'હિંદ સ્વરાજ'નાં લખાણમાં વપરાયેલાં કેટલાંક દાખલા-દલીલો, કહેવતો-રૂઢિપ્રયોગોમાં ગ્રામવાસ્તવનું ઠાલું ગૌરવ નહીં, પણ ઠોસ રવ સંભળાય છે. તેની સાબિતી આ રહી : "તમે જરા ખામોશ પકડશો તો તમને જે જોઈએ છે તે જ મળશે. 'ઉતાવળે આંબા ન પાકે', એ કહેવત યાદ રાખજો."(પૃ.૦૨); "હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીની નીચે કરે છે ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન ઉપર જોવામાં આવે છે."(પૃ.૦૬); "મારે દરિયો ઓળંગવાનું સાધન વહાણ જ હોઈ શકે. જો ગાડું પાણીમાં ઝંપલાવું તો ગાડું અને હું બંને તળિયે જઈએ."(પૃ.૪૮) 

ગાંધી ખેતીના કામને ખાવાના ખેલ નથી માનતા! તેમનું એ મતલબનું માનવું છે કે, નિર્ભયતાનું પ્રમાણ આપવું એટલે ખેતરમાં પથારી કરવી! ગાંધી દૃઢપણે કહે છે : "જાણજો કે જે દેશમાં પહાડી લોકો વસે છે, જેમાં વાઘવરુ વસે છે, તે દેશમાં રહેનારા માણસો જો ખરેખરા બીકણ હોય તો તેઓનો નાશ જ થાય. તમે કોઈ દિવસ ખેતરોમાં ગયા છો? તમને હું ખાતરીપૂર્વક કહું છું કે, ખેતરોમાં આપણા ખેડૂતો નિર્ભય થઈને આજ પણ સૂએ છે; ત્યારે ત્યાં અંગ્રેજ અને તમે સૂવાની આનાકાની કરશો. બળ તે નિર્ભયતામાં રહ્યું છે; શરીરમાં માંસના લોચા બહુ હોવામાં બળ નથી, એ તમે થોડો જ ખ્યાલ કરશો તો જાણી લેશો."(પૃ.૨૩) ગાંધીના મતે હિંદુસ્તાનની ઓળખ એટલે ખેતીનો મુલક. ગાંધી હિંદુસ્તાનની ખેતીની વાત કરે અને ગાયનો મહિમા ન ગાય એ કેમ બની શકે? તેઓ કહે છે : "હું પોતે ગાયને પૂજું છું, એટલે કે માન આપું છું. ગાય એ હિંદુસ્તાનની રક્ષા કરનારી છે, કેમ કે તેની પ્રજા ઉપર હિંદુસ્તાન, જે ખેતીનો મુલક છે, તેનો આધાર છે. સેંકડો રીતે ગાય એ ઉપયોગી પ્રાણી છે."(પૃ.૨૯) જોકે, ગાંધી કૃષિ અને ગોપાલનની ચર્ચામાં છેવટે તો એકતા અને અહિંસાને જ વધારે ગુણ આપે છે.

પૂર્વજોએ બાંધેલી હદનો ઉલ્લેખ કરતાં, ગાંધી ગામની વાત આ રીતે કહે છે : "તેઓએ વિચાર્યું કે મોટાં શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો."(પૃ.૩૯) 'ગામ'ની સાથે-સાથે 'આમ'ની વાત કરતાં તેઓ કહે છે : "આમ(સામાન્ય) પ્રજા તો તેથી નિરાળી રીતે પોતાના ખેતરનું ધણીપદું કરતી. તેઓની આગળ ખરું સ્વરાજ હતું." (પૃ.૪૦) 'શું હિંદુસ્તાનમાં તોપબળ નથી ચાલ્યું?' એવો સવાલ પૂછનાર વાચકને અધિપતિ જવાબ આપે છે : "તમારે મન હિંદુસ્તાન એટલે ખોબા જેટલા રાજાઓ છે. મારે મન તો હિંદુસ્તાન તે કરોડો ખેડૂતો છે કે જેના આધારે રાજા તથા આપણે બધા વસીએ છીએ."(પૃ.૫૮) આવું કહીને ગાંધી દેશનાં લાખો ગામડાંમાં વસતા કરોડો ખેડૂતોને દેશનું ચાલકબળ ગણાવીને ગ્રામચેતના પ્રગટાવે છે. આના અનુસંધાનમાં એક ગામનું ઉદાહરણ આપીને તેઓ સત્યાગ્રહ અને સ્વરાજને સાંકળતાં કહે છે : "મને ખ્યાલ છે કે એક રાજસ્થાનમાં રૈયતને અમુક હુકમ પસંદ નહીં પડ્યો તેથી રૈયતે ગામ ખાલી કરવાનું શરુ કર્યું. રાજા ગભરાયા ને રૈયતની માફી માંગી ને હુકમ પાછો ખેંચ્યો. આવા દાખલા તો ઘણા મળી શકે છે. પણ તે મુખ્યત્વે કરીને ભરતભૂમિનો જ પાક હોય. આવી જ્યાં રૈયત છે, ત્યાં સ્વરાજ છે. તે વિનાનું સ્વરાજ તે કુરાજ છે."(પૃ.૫૯) 

મો.ક. ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રસ્કિનના 'અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકના વાચન-ચિંતન-મનનના પગલે પ્રગટાવેલા 'સર્વોદય'ના સિદ્ધાંતોને, 'હિંદ સ્વરાજ'ની ગ્રામ-ચેતનાના પૂર્વ સંદર્ભે ખાસ યાદ કરવા જેવા છે. તેઓ 'સત્યના પ્રયોગો'માં લખે છે : " 'સર્વોદય'ના સિદ્ધાંતો હું આમ સમજ્યો : (૧) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. (૨) વકીલ તેમ જ વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે. (૩) સાદું મજૂરીનું ખેડૂતનું જીવન જ ખરું જીવન છે."(ગાંધી, ૨૦૦૯, પૃ.૨૭૫-૨૭૬) 'હિંદ સ્વરાજ'ના જન્મ આસપાસનાં વર્ષોમાં ગાંધીએ ફિનિક્સ વસાહત અને ટૉલ્સ્ટૉય વાડી થકી ગ્રામજીવન શૈલીનો ડિલથી અને દિલથી સ્વીકાર કરી લીધો છે. આથી, ગાંધીના 'હિંદ સ્વરાજ'ની મૂલવણી કરતાં એક વ્યાખ્યાનમાં, સમાજ-રાજનીતિશાસ્ત્રી આદિત્ય નિગમ કહે છે : "It is worth bearing in mind that when he wrote Hind Swaraj, Gandhi, far removed for the world of politics in India, had already set the stage for this life-long drama. Reading John Ruskin's Unto This Last on an overnight train journey, his imagination had been so fired that he had decided to "change my life in accordance with the ideals of that book". The Phoenix Settlement that emerged as a result, in 1904, was an agricultural settlement, which was to be followed in 1910 by the Tolstoy Farm on a much larger area of land. These farms or settlements were meant to instantiate and preserve a way of life that Gandhi, like his soul-mates Ruskin and Tolstoy, saw to be under threat from modern civilization."(Nigam, 2010, p.18-19)

ગાંધીજી બળદગાડાનાં પૈડાં અને ચરખાનાં ચક્રોને ગતિમાં રાખવાનું કહે એટલે દુનિયાનો વિકાસ અટકી પડે? આધુનિક સુધારાની ટીકાઓની સમીક્ષા કરતાં, અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રમેશ બી. શાહ નોંધે છે : "આધુનિક ઉદ્યોગો અને યંત્રો અંગેના ગાંધીના વિચારો વિશે મોટા પ્રમાણમાં ગેરસમજ થઈ છે. ગાંધીજી શું બળદગાડાં અને ચરખાની પ્રાચીન ટેક્નોલોજીને વળગી રહેવા માગતા હતા? તેમને શું દેશના ઉદ્યોગીકરણનો વિરોધ હતો? આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે ઉદ્યોગીકરણ અંગેની ગાંધીજીની દૃષ્ટિને સમજવી જરૂરી છે. ડેનિયલ હેમિલ્ટન પરના પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું કે, "ઉદ્યોગીકરણના આધુનિક અર્થમાં ભારતને ઉદ્યોગીકરણની જરૂર નથી." પશ્ચિમમાં જે ઉદ્યોગીકરણ થયું તેમાં મૂડીપતિઓ અને મજૂરો એવા બે વિભાગોમાં સમાજ વહેંચાઈ ગયો હતો, કારણ કે યંત્રો વગેરે ઉત્પાદનનાં ભૌતિક સાધનો એટલાં મોટાં અને કીમતી બની ગયાં કે જેથી કામદારો તેના માલિક બનીને સ્વતંત્ર રીતે ઉત્પાદન ન કરી શકે. આ યંત્રોની માલિકી મૂડીપતિઓના નાના વર્ગ પાસે આવી ગઈ અને કામદારો રોજગારી માટે લાચારીની સ્થિતિમાં આવી ગયા." (શાહ, ૨૦૦૮, પૃ.૨૮) આધુનિક સુધારની એક લાક્ષણિકતા ઉત્પાદન પદ્ધતિમાં આવેલ પરિવર્તન છે એવું કહીને ત્રિદીપ સુહૃદ નોંધે છે : ".. કૃષિ ઉદ્યોગ બને છે, તેમાં શરીર શ્રમનું યોગદાન ઘટે છે અને યંત્રો દ્વારા ઉત્પાદન થાય છે. સાથે જ ઉત્પાદનમાં વૃદ્ધિથી મૂડીનો સંચય થાય છે. મૂડી સંચય વિના કૃષિથી કારખાનાંની મજલ કાપી શકાય નહીં. આધુનિક સુધારમાં શ્રમ અને મૂડી વચ્ચેનાં સમીકરણ બદલાય છે; મૂડીનો પ્રકાર બદલાય છે. જમીન અને શ્રમશક્તિ કરતાં મૂડી સંચયને પ્રાધાન્ય મળે છે અને મૂડીપતિ જે ઉત્પાદનનાં સાધનો અને શ્રમ ખરીદી શકે છે તેને અન્યના શ્રમનો લાભ મળે છે. સાથે, ઉત્પાદનના સ્થળમાં પણ ફેરબદલ આવે છે. શ્રમ કારખાનાંઓમાં એકત્રિત થાય છે અને ત્યાં શ્રમ વિક્રય થાય છે. .." (સુહૃદ, ૨૦૦૮, પૃ.૭૯)

પ્રાચીન હિંદ અને ગ્રામીણ સંસ્કૃતિ સારુ ગાંધીજીએ 'હિંદ સ્વરાજ'માં રજૂ કરેલા વિચારો અંગે રમણ મોદી કહે છે : "પ્રાચીન હિંદના ઋષિમુનિઓએ તિતિક્ષાપૂર્વક ખીલવેલી પરાવિદ્યાને અને નિપજાવેલી હિંદની સંસ્કૃતિને લક્ષમાં લઈ ગાંધીજીએ કહ્યું : "રોમ ધૂળધાણી થઈ ગયું, ગ્રીસનું નામ જ રહ્યું, ફિરિયા(ઇજિપ્ત)ની બાદશાહી ચાલી ગઈ, જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું. ચીનનું કંઈ કહેવાય નહીં. પણ પડ્યું આખડ્યું તોપણ હિન્દુસ્તાન હજુ તળિયે મજબૂત છે." અહીં એમની પ્રબળ દેશભક્તિ દૃષ્ટિએ પડે છે, અને હૃદયમાંથી આવતી વાણીનું બળ અહીં દેખાય છે. શહેરી સભ્યતા અને સુધારા કરતાં વધારે ચિરંજીવી એવી ગ્રામસંસ્કૃતિની ભવ્યતા સમજાવતું ઋષિઓનું આર્ષદર્શન રજૂ કરતાં કહ્યું : "આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે. તેમાં જ તંદુરસ્તી છે.""(મોદી, ૨૦૦૭, પૃ.૭૯) અહિંસક સમાજરચનાની દિશામાં ગ્રામસ્વરાજ અંગેનું બીજ રૂપ ચિંતન આપણને 'હિંદ સ્વરાજ'માં મળે છે, એવું સ્પષ્ટપણે માનનાર કાંતિ શાહનો મત આ મુજબ છે : "આજે અહિંસક સમાજ-રચનાની આછી-પાતળી રૂપરેખા આપણી સામે આવી છે. ગાંધીએ બહુ પહેલાં એ વાત સમજી લીધી હતી કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને કારણે સત્તા અને સંપત્તિના કેન્દ્રીકરણનો રસ્તો ખૂલી જશે તથા કેન્દ્રિત સત્તા ને કેન્દ્રિત સંપત્તિ આખી માનવજાતને પોતાની ગુલામ બનાવી લેશે. એટલા માટે જ એમણે ગ્રામસ્વરાજનો અને વિકેન્દ્રીકરણનો વિચાર મૂક્યો. એમણે કહ્યું કે ભારતે જો પોતાનો વિકાસ અહિંસાની અર્થાત અ-શોષણની અને ન્યાયની દિશામાં કરવો હશે, તો તેણે ઘણીખરી ચીજોનું વિકેન્દ્રીકરણ કરવું પડશે. તેને બદલે જો કેન્દ્રીકરણ કરવામાં આવશે, તો તેને કાયમ રાખવા માટે અને તેની રક્ષા કરવા માટે હિંસાનો આશરો લેવો અનિવાર્ય બની જશે. અહિંસક સમાજરચના સ્વાવલંબી અને સ્વાશ્રયી ગામોના આધાર પર જ ઊભી કરી શકાય."(શાહ, ૨૦૦૮, પૃ.૨૦૭) કાંતિ શાહ 'હિંદ સ્વરાજ'ને 'સર્વોદયનું ઘોષણાપત્ર' કહે છે, એ કેટલું સચોટ અને સૂચક છે! 

સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ, 'ચેતના' એટલે (૧) ચૈતન્ય; જીવનશક્તિ અને (૨) સમજશક્તિ. આ અર્થમાં આંખો ઝીણી કરીને ભાળીએ તો, 'હિંદ સ્વરાજ'માં ગાંધી જગ-જડતા સામે ગ્રામચેતના પ્રગટાવે છે. શરીરશ્રમ ભલે શહેરની શરમ હોય પણ ગામનો ધરમ હોય છે. ગાંધીના મતે પરસેવાનું એક જ કરમ હોઈ શકે : વહેતા રહેવાનું ! આથી, તેઓ ભારપૂર્વક કહે છે : "હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે, તેમાં જ તંદુરસ્તી છે."(પૃ.૩૯) ગાંધીની ચિંતા 'આધુનિક સુધારા' સામે છે. તેમના મતે આ 'સુધારો' નહીં પણ 'કુધારો' છે. જે મુખ્યત્વે ગ્રામજગતનું ધનોત-પનોત કાઢી નાખવા પૂરતો સક્ષમ છે. ગાંધીનો વિરોધ યંત્રો સામે નહીં પણ યંત્રોની ઘેલછા સામે છે. ગામનું છત્ર, સત્ર અને તંત્ર વેરણ-છેરણ કરી નાખવું એ યંત્રની ટોળકીનો એક જ મંત્ર હોઈ શકે. ગામજનો હાથ-પગ હલાવતાં બંધ થાય એટલે છેવટે એમના હાથ-પગ તોડી શકાય! ગાંધીના 'હિંદ સ્વરાજ'ની ગ્રામચેતનામાં સંસ્કૃતિ અને સમભાવ, સ્વદેશી અને સ્વરાજ, સત્યાગ્રહ અને સર્વોદય સમાયેલાં છે. 'આર્યન પાથ' નામના અંગ્રેજી માસિકના સપ્ટેમ્બર, ૧૯૩૮માં પ્રગટ થયેલા 'હિંદ સ્વરાજ અંક' માટે મોકલેલા સંદેશામાં ગાંધીજી લખે છે: "વાચક એ પણ જાણે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં જે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો હતો." આજે ભારતનાં મોટાં ભાગનાં ગામડાં ગૂમડાં બની રહ્યાં છે ત્યારે, ગાંધીએ 'હિંદ સ્વરાજ' થકી પ્રગટાવેલી ગ્રામચેતનાથી સાચું ગ્રામ સ્વરાજ આવશે. અને એ રસ્તે આગળ ચાલવાથી ખરેખર હિંદ સ્વરાજ થશે.

ભારત ગામડાંમાં વસે છે, શ્વસે છે. જોકે, સમાચારપત્રો, સામયિકો, પુસ્તકો જેવાં મુદ્રિત; રેડિયો, ટેલીવિઝન, સિનેમા જેવાં દૃશ્ય-શ્રાવ્ય; ઇન્ટરનેટ અને સોશ્યલ નેટવર્કિંગ જેવાં નૂતન માધ્યમોની ભરમાર છતાં ગ્રામીણ સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ જોઈએ તેવું ઝિલાતું નથી. કૃષિ અને પશુપાલન સામે ઉદ્યોગોનું દબાણ, ખેતીલાયક જમીન અને ગોચરમાં ઘટાડો, મોસમમાં આવતાં અકલ્પનીય પરિવર્તનો, રાસાયણિક ખાતરોનું ભયજનક પ્રમાણ, બિયારણમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની ઇજારાશાહી, સિંચાઈ જળની અગવડ, ખેતપેદાશોના વેચાણ માટે પ્રતિકૂળ બજાર-વ્યવસ્થા, ખેડૂતોની વધતી જતી આત્મહત્યા, સંકોચાતી ગ્રામીણ બોલીઓ-ભાષાઓ, ગ્રામીણ સંસ્કૃતિ ઉપર શહેરીકરણનું આક્રમણ, જેવા અનેક સવાલો મોઢું ફાડીને ઊભા છે. આથી, આપણાં સાહિત્ય અને પત્રકારત્વમાં ગ્રામીણ ધબકાર સંભળાય એ અપેક્ષિત છે. આ સંજોગોમાં ગ્રામચેતના સંદર્ભે ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ સદાકાળ સાંપ્રત અને પ્રસ્તુત જણાય છે. 

...............................................................................................................................
સંદર્ભ-સૂચિ

ગાંધી, મોહનદાસ કરમચંદ(૨૦૦૮). હિંદ સ્વરાજ (પહેલી આવૃત્તિ, ૧૯૨૨; પુનર્મુદ્રણ, ૨૦૦૮). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

ગાંધી, મોહનદાસ કરમચંદ(૨૦૦૯). સત્યના પ્રયોગો અથવા આત્મકથા (પહેલી આવૃત્તિ, ૧૯૨૭; પુનર્મુદ્રણ, ૨૦૦૯). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર. 

મોદી, રમણ(૨૦૦૭). ગાંધીજીનું સાહિત્ય (પહેલી આવૃત્તિ, ૧૯૭૧; પુનર્મુદ્રણ, ૨૦૦૭). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

શાહ, કાંતિ(૨૦૦૮). 'હિંદ સ્વરાજ’: એક અધ્યયન (પ્રથમ આવૃત્તિ, ૨૦૦૭; બીજી આવૃત્તિ, ૨૦૦૮). વડોદરા : યજ્ઞ પ્રકાશન સમિતિ. 

શાહ, રમેશ બી.(૨૦૦૮). હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ. અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ. 

સુહૃદ, ત્રિદીપ(૨૦૦૮). હિંદ સ્વરાજ્ય વિશે. વડોદરા : પૂર્વ પ્રકાશ. 

Nigam, Aditya (2010). Gandhi - the 'Angel of History’: Reading Hind Swaraj Today. Ahmedabad: Gujarat Vidyapeeth.

................................................................................................................................
લેખક-સંપર્ક :

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪ 
વીજાણુ ઠેકાણું : ashwinkumar.phd@gmail.com

................................................................................................................................
સૌજન્ય :

'સમાજકારણ' (ISSN 2319-3522) (ગુજરાત સામાજિક સેવામંડળનું મુખપત્ર)
વર્ષ :૦૯, અંક : ૦૧, જાન્યુઆરી, ૨૦૧૫, પૃષ્ઠ : ૪૭-૫૦
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૫-૨૦૧૫; અંક : ૨૭૦, પૃષ્ઠ : ૦૫-૦૮


‘કૂતરાથી સાવધાન’ : નવા વિકલ્પો તરફ

હળવે હૈયે
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

અતિથિ દેવો ભવ:’ની ભારતીય પરંપરા મુજબ, ઘરના પ્રવેશદ્વાર ઉપર ‘ભલે પધાર્યા’નું મંગલસૂત્ર લખેલું હોવું જોઈએ. પરંતુ આપણી સંસ્કૃતિનો છેદ ઉડાડતો ‘કૂતરાથી સાવધાન’નો ચેતવણીસૂર કાઢેલો જોઈને આંખો ખારાં આંસુ કાઢે છે. વળી, જેમને દસમા ધોરણમાં અંગ્રેજી વિષય છોડવાની શરતે નવમા ધોરણમાં ધક્કો મારવામાં આવ્યો હોય એવા અલ્પગુણાત્માઓ, કૂતરાથી સાવધાન’ની જગ્યાએ ‘Beware of Dog’નું પાટિયું ચોંટાડે ત્યારે આંખો કોરાં આંસુ કાઢે છે. જોકે, શ્વાનથી સાવધાન કરતી ચેતવણીમાં દ્વિભાષી પ્રયોગ વધુ હિતાવહ જણાય છે. પશ્ચિમ બંગાળના ગિરિનગર દાર્જીલિંગની એક હોટેલના ઝાંપા આગળ સ્થાનિક ભાષામાં ‘કુકુર દેખિ સાવધાન’ લખેલું હતું. આનો અર્થ ‘કૂતરાથી સાવધાન’ એવો થાય એ અમને એની નીચે લખેલા અંગ્રેજી વાક્ય ‘Beware of Dog’ના આધારે આવ્યો હતો. આમ, અંગ્રેજી ભાષાએ અમને કૂતરાથી અને કૂતરાને અમારાથી દૂર રાખ્યા હતા! આપણે ઘરઆંગણમાં કૂતરો વસાવીએ કે ન વસાવીએ, પરંતુ ‘કૂતરાથી સાવધાન’ જેવા જાહેર લખાણને જોવું-જાણવું-સાંભળવું-વાંચવું કંટાળાજનક જણાય છે. આ મુદ્દે ભાષાના આમ્રવૃક્ષને કેટલીક નવી કલમ કરવા જેવી લાગે છે.

દાર્જીલિંગની એક હોટેલના પ્રવેશદ્વાર આગળનું લખાણ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મોટા ભાગના શ્વાનચાહકો એવું કહી શકે કે, અમે શોખથી કૂતરાં પાળીએ છીએ. આથી, રાજધાની-મહાનગર-શહેર-ગામમાં ધોબીનો કૂતરો નહીં પણ હોબીનો કૂતરો જોવા મળે છે! જોકે વર્ષોજૂની બાતમી મુજબ, માણસો ડરાડરી કે દેખાદેખીના કારણે કૂતરાં રાખે છે. આથી, શ્વાનધારકોએ ખતરનાક દંતપ્રદર્શન કરતાં હોય એવાં કૂતરાંની છબી ચેતવણીફલક ઉપર અંકિત કરવી પડે. ઓશરીમાં બાળ પોમેરેનિયન આંટા મારતું હોય તોપણ પુખ્ત વયના ડોબરમેન પિન્સ્ચર, જર્મન શેફર્ડ, કે પ્રેસા કેનેરિઓની તસવીરનો જ આગ્રહ રાખવો. પાટિયા ઉપર ચિત્રકરણ કર્યા પછી મૌલિક અને નવીન ચેતવણી લખવી. દાખલા તરીકે, હવે પછીના તમામ દાખલા જુઓ.

જેઓ કોઈનું માનતાં નથી તેઓ એવું તો માને છે કે બહુવચનથી બહુ વજન પડે છે. આથી તેઓ પરિવારમાં પોણો ડઝન માનવવસ્તી વચ્ચે એકનો એક કૂતરો હોય તોપણ કૂતરાથી સાવધાન’ની જગ્યાએ ‘કૂતરાંથી સાવધાન’ લખીને વટ પાડી શકે છે. લૈંગિક સમાનતાનો જીવનમૂલ્ય તરીકે સ્વીકાર ન કરનાર શ્વાનમાલિકો કૂતરીથી સાવધાન’ એવું ન લખે. જોકે, અમદાવાદના કોટવિસ્તારની એક ભીંત ઉપર કોઈકે એ મતલબનું લખ્યું હતું કે, કૂતરી વિયાયેલી છે, એથી કરડે છે. માટે અહીં વાહનો પાર્ક ન કરવાં.’

જેની આસ્થા ઈશ્વર અને ઇંગ્લિશ ઉપર ટકી રહી હોય તેવા આસ્તિક આવી સૂચના મૂકી શકે : Don't Beware of Dog. Beware of God.ચેતવણી ઉપરથી અજાણ્યા આગંતુકને સાવધ કરવા માટે ગુજરાતીમાં આવો વાક્ય-પ્રયોગ પણ કરી શકાય : ‘કાયમ માટે ભગવાનનો ડર રાખો. હાલ પૂરતો શ્વાનનો ડર રાખો.’ ડાબેરી વિચારધારા ધરાવતા ક્રાંતિકારી યુવાન રુધિર લાલભાઈ રંગવાલા પોતાના બંગલોમાં એવી સૂચના ચીતરાવી શકે : 'મહોલ્લાનાં મકાનોનાં પાળેલાં કૂતરાં એક થાવ. તમારે માલિકોના પટ્ટા સિવાય કશું ગુમાવવાનું નથી.' આ પ્રમાણે, (પા)ખંડ સમયના ચિંતકો લખી પાડે : 'જીવન અને જોખમ વચ્ચેની ભેદરેખા ભીંતના પોપડાથી પણ પાતળી છે.' ; 'તમે અંદર તો આવી જશો, પણ બહાર કેવી રીતે જશો?'

કોબા ગામમાં કર્મશીલ યુગલ રાજુ-દીપ્તિના ઘરદ્વાર ઉપરનું લખાણ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ભાષાસુંદરીને વિશેષણોના વાઘા અને અલંકારોનાં આભૂષણો પહેરાવતાં કોઈ સાહિત્યિક સુકુમારના ઘરદ્વાર આગળ જોવા મળતું લખાણ આવું હોઈ શકે : ‘ઉદરકૂપમાં પ્રજ્વલિત પ્રબળ ક્ષુધાનું શમન કરવા તત્પર શ્વાન નિરંતર બંધનમુક્ત અને સજાગ અવસ્થામાં પ્રાંગણમાં ભ્રમણરત છે.’ જ્યારે સાહિત્યની સાંકડી ગલીઓમાં 'હાઇકુ' નામનું ફટફટિયું હાંકવાની ટેવ ધરાવતા કવિતા-રાજ (કે પછી કવિ-તારાજ!) સત્તર અક્ષરની જાપાની સુંદરીને યાદ કરીને આ પ્રમાણે પાંચ-સાત-પાંચ અક્ષરો ફટકારશે : 'મૂછો મરડે, જ્યારે શ્વાન કરડે, મરદ રડે.'

ગઝલનો કોઈ શોખીનજીવ સર્જક મનોજ ખંડેરિયાની આગોતરી માફી સાથે પોતાને આવડે એવું લખશે : 'પકડો દરવાજો હાથમાં ને એમ પણ બને, આ આખેઆખો પગ કૂતરો ચાવે એમ પણ બને.' વાણીનાં વસ્ત્રોમાં કહેવતો-રૂઢિપ્રયોગોનાં ગાજ-બટન ટાંકવાનો શોખ ધરાવતાં વાંગ્મયવીર લખશે : ‘દરવાજામાં પ્રવેશ કરો અને ‘ભસતાં કૂતરાં કરડે નહીં’ કહેવતને ખોટી પાડો.’ આ જ રીતે તેઓ લખી શકે : 'સિંહને કોણ કહે કે, તારું મોં ગંધાય છે? જોકે, થોડી પળોમાં તમે કહેવાના કે, કૂતરા તારું મોં ગંધાય છે!'

શ્વાનસૂચક ચેતવણીને વસ્ત્રવિદ્યા સાથે પણ વણી લેવી જોઈએ. દૃષ્ટાંત તરીકે, 'આટલામાં ક્યાંય ફાટેલાં કપડાંને તાત્કાલિક સાંધી આપતાં હોય એવા દરજીની દુકાન નથી.' ; ‘તમે પહેરેલા જીન્સના કપડાની મજબૂતી અમારો કૂતરો નક્કી કરશે.’ શ્વાનનો સંબંધ દંતવિદ્યા સાથે પણ આમ બેસાડી શકાય : 'ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ ન કરવા છતાં કૂતરાના દાંત મજબૂત છે.' ; 'અમારા કૂતરાએ દાંતનું ચોકઠું પહેર્યું નથી.'

'કૂતરાયણ'ની ચર્ચામાં શાકાહાર-માંસાહાર ન આવે તો કેમ ચાલે? આથી, જો આવું લખો તો ચાલે : ‘અમે શુદ્ધ શાકાહારી છીએ, પણ અમારા કૂતરાને આવો કોઈ છોછ નથી.’ ; 'અમારો ચોકીદાર જમવા ગયો છે. કૂતરો જમવા માટે તમારી રાહ જુએ છે!' કૂતરાંની વાત નીકળે અને ભસવાનો અવાજ ન સંભળાય એવું ન બને. આથી, આવું લખાણ સંભળાવો : 'અમારો પાલતુ કૂતરો ફાલતુ માણસોને જોઈને અચૂક ભસે છે.'

હવે, શ્વાનની વફાદારીનાં નમૂનારૂપ લખાણો વાંચો : ‘કૂતરો વફાદાર પ્રાણી છે, પણ અમને. તમને નહીં!’ ; 'અમારો કૂતરો બાથ ભરવાની ટેવ ધરાવે છે. વહાલ ઊભરાશે તો જ એ ચાટશે.' શ્વાનને ફરજનિષ્ઠા સાથે હકપૂર્વક જોડી દો : 'કૂતરો પહેરો ભરે છે, કોઈની શરમ નહીં.' ; 'અમારો કૂતરો રજનીકાંતની પણ શરમ ભરતો નથી.'

શ્વાનની સ્ફૂર્તિને સાંકળતાં સુવાક્યો આવાં હોઈ શકે : 'અમારા કૂતરાને દીવાલ ઠેકતાં સવા ત્રણ સેકંડ લાગે છે. તમને કેટલી સેકંડ લાગે છે?' ; 'દાખલ થયાં પછી દરવાજો ખુલ્લો રાખો. કૂતરો પાછળ પડશે ત્યારે ભાગતાં ફાવશે.' ; ‘તમે છેલ્લે ક્યારે દોટ મૂકી હતી? થોડી વાર પછી તમારો જવાબ હશે : થોડી વાર પહેલાં જ!’

ગુજરાતી ભાષાને કૂતરા સંબંધી મૌલિક ચેતવણીઓના મામલે પ્રવર્તતી કંગાલિયતમાંથી બહાર કાઢવા કોઈકે તો બહાર નીકળવું પડશે. 'અખિલ ગુજરાત શ્વાનપાલક મંડળ' દ્વારા 'કૂતરાથી સાવધાન'ના વિકલ્પ તરીકે સર્જનાત્મક ચેતવણી અંગેની નામી હરીફાઈ રાખી શકાય. જેમાં પ્રથમદ્વિતીયઅને તૃતીય ક્રમે વિજેતાને થનાર સ્પર્ધકોને સ્થાનિક શ્વાન-બજારભાવને ધ્યાનમાં રાખીને વિવિધ ઓલાદનાં વિદેશી કૂતરાં આપી શકાય. આ મંડળના સભ્યો પોતાના ઘરના દરવાજા ઉપર મુકાયેલી ઉત્તમ ચેતવણીઓની તસવીરોનું પ્રદર્શન ગોઠવીને ગમે ત્યારે 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ'ની ઉજવણી કરી શકે.

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય :

કૂતરાથી સાવધાન’ નવા વિકલ્પો તરફ
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને ૦૬

http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/29042015/0/1/

હળવે હૈયે

Wednesday, April 15, 2015

મહાવત એટલે મહાવટ!

હળવે હૈયે
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
 
નગરજનોને પ્રાણીઘર અને સરકસ કરતાં, જાહેર રસ્તા ઉપર મફતમાં હાથીદર્શનનો લાભ વધારે મળે છે. આપણે ત્યાં હાથી પૂર્વ ભારતનો, મંદિર-માલિક પશ્ચિમ ભારતનો, સાથીબાવો ઉત્તર ભારતનો, અને હાથીચાલક દક્ષિણ ભારતનો હોય એવું બનવાજોગ છે. આમ, એક હાથીમાં આખા હિંદુસ્તાનનું પ્રતિબિંબ ઝીલાય છે. આ રીતે પણ 'વિવિધતા દ્વારા એકતા'નો રાષ્ટ્રીય સંદેશો પ્રગટ થાય છે. હાથીના હાંકનાર માટે વપરાતો 'મહાવત' શબ્દ સંસ્કૃતના 'મહામાત્ર' શબ્દ ઉપરથી ચઢી આવ્યો છે. એક સમયે વિદ્યાપીઠોમાં 'રજિસ્ટ્રાર' માટે 'મહામાત્ર' શબ્દ વપરાતો હતો. આપણી ભાષામાં ‘હોદ્દો’ એટલે 'પદવી' અને 'અંબાડી' એમ બે અર્થ છે. મહાવતની 'ઊંચી' પદવીએ પહોંચેલો માણસ અંબાડી ઉપર બિરાજમાન થાય ત્યારે એનો ભારે વટ પડે છે. 'ત'નો 'ટ' બોલતાં પારસીઓ કે બિનપારસીઓ 'મહાવત'ને 'મહાવટ' કહે છે એ સાર્થક લાગે છે. છતાં, મહાવત બાહ્ય દેખાડાથી દૂર રહે છે. આથી, કોઈ ગજપાલ મોંઘા ભાવના હાથી ઉપર પોતાની દીકરીને બેસાડીને એને નિશાળે મૂકવા-લેવા જતો નથી.

મહાવત ધારે તો એક હાથમાં અંકુશ અને ટેલિફોન બીડી, બીજા હાથમાં પરચૂરણ સિક્કા અને મોબાઇલ ફોન રાખી શકે છે. આપણાં શહેરોમાં જોવા મળતા મહાવત મોટા ભાગે ટૂંકાં ધોતિયા-ઝભ્ભામાં હોય. તેના ઝભ્ભાની બન્ને બાજુનાં ખિસ્સાંમાં શહેર આખાના ઉઘરાવેલા પરચૂરણ સિક્કા અને ચલણી નોટો સમાઈ જાય. તેણે માથે ફાળિયું વીંટ્યું હોય અને ખભે રૂમાલ નાખ્યો હોય. શિયાળામાં હાથીના શિખર ઉપર બેસવાથી પ્રમાણમાં વધારે ઠંડી લાગે. આથી, ટાઢા પવનથી બચવા મહાવત કાળી કોટી ધારણ કરે. ગમે એટલું આધુનિકીકરણ કે વસ્ત્રપરિવર્તન થાય, પણ જીન્સ-ટીશર્ટ અને ગોગલ્સ-કેપ પહેરેલા આપણા મહાવતને જોઈ જાવ તો વ્હોટ્સએપ ઉપર એની વિરલ તસવીરને વાઇરલ કરજો. હાથી ઉપર બેસીને રોજ દૂરદૂર સુધી જોવાનું અને નજીકથી જથ્થાબંધ પરચૂરણ ગણવાનું હોવા છતાં કોઈ મહાવતને દૂરનાં કે નજીકનાં ચશ્માં હોતાં નથી. મહાવત પગરખાં પહેરીને હાથી ઉપર ચઢ-ઊતર કરતો નથી. આથી, મહાવત એનાં ચંપલ ક્યાં મૂકે છે એ સવાલ અને ચંપલ બન્ને અસ્થાને છે!

ગજની સૂંઢ મહાવત સુધી પરચૂરણ તો શું, ભરપૂર પાણીપૂરી પણ છલકાવ્યા વગર અને ગપકાવ્યા વગર પહોંચાડી શકે એમ છે. સવાલ હાથી અને મહાવત વચ્ચે તાલીમ જ નહીં તાલમેલનો પણ છે. સામાન્ય રીતે મહાવત હાથી ઉપર ચઢવા માટે લાંબી સૂંઢનો જ ઉપયોગ કરે છે. તે ટૂંકા રસ્તા અર્થાત શોર્ટ-કટમાં માનતો નથી. આથી, મહાવત હાથીની ટૂંકી પૂંછ ઉપરથી ચઢવાનું ભાગ્યે જ પસંદ કરે છે. ઉનાળામાં હાથીને બન્ને કાન સતત હલાવવાનો આદેશ આપીને મહાવત મફતની હવા ખાતો નથી. કોઈ એવું કહી શકે કે, મહાવતને હાથીની ઊંચાઈનો લાભ મળે છે. એટલે જ મહાવત એવી ફરિયાદ ક્યારેય કરતો નથી કે, મોબાઇલ ફોનમાં ટાવર પકડાતો નથી. મહાવતે હાથીમાં કેટલીક સુટેવો અને શિસ્તનું સિંચન કર્યું છે એ આપણે સ્વીકારવું પડે. ઉદાહરણ તરીકે જોઈએ તો, હાથી કેળાંની આખેઆખી લૂમ છાલ સાથે ઓહિયા કરી જવાનું પસંદ કરે છે. કારણ કે, વાંદરામાંથી બની બેઠેલા માણસ કે માણસ બનવાનું મુલત્વી રાખનાર વાંદરાની માફક કેળાંની છાલ ઉતારીને એ છાલ પછી રસ્તા ઉપર ફેંકવાનું હાથીના સ્વભાવમાં નથી. એ વાત જુદી છે કે, શહેર સુધરાઈએ હાથીની પીઠ ઉપર કચરાપેટી મૂકવાની વ્યવસ્થા ન કરી હોવાથી મહાવતે કેળાં ખાધાં પછી છાલને ભોંયભેગી કરવી પડે છે.

ભારતીય હાથી બે હજારથી માંડીને પાંચ હજાર કિલોગ્રામ સુધીનું વજન ધરાવે છે. આટલા વિશાળ વજન ઉપર વિરાજમાન ભારતીય મહાવતનું વજન પચાસ કિલોગ્રામની આસપાસ હોય છે. જો મહાવત મહાકાય હોય તો તે જેવો હાથી ઉપર ચઢે કે તરત જ બન્નેને સંયુક્ત રીતે હાંફ ચઢે એ શક્ય છે. સાડા છ ફૂટથી માંડીને સાડા અગિયાર ફૂટની ઊંચાઈ ધરાવતા હાથી ઉપર કાબૂ રાખવા માટે પાંચથી સાડા પાંચ ફૂટનો મહાવત પૂરતો થઈ પડે છે. મનુષ્યના મગજનું વજન 'દોઢ' કિલોગ્રામની આસપાસ હોય છે. મહાવત પણ છેવટે તો માણસ જ છે. આથી, સરેરાશ દોઢ કિલોગ્રામનું મગજ ધરાવતો મહાવત આશરે પાંચ કિલોગ્રામનું મગજ ધરાવતા હાથી ઉપર કબજો રાખી શકે છે. હાથી દુનિયાનાં સૌથી વધુ બુદ્ધિશાળી પ્રાણીઓ પૈકીનું એક પ્રાણી છે. આવા બુદ્ધિશાળી પ્રાણી ઉપર નિયંત્રણ રાખનાર મહાવતને આપણે સૌથી બુદ્ધિશાળી વ્યવસાયિક ગણવો જોઈએ! જોકે, હાથીના શરીર ઉપર નિયમિત ચઢતાં મહાવતો નિશાળનાં પગથિયાં ભાગ્યે જ ચઢ્યા હશે. છતાં, ઘણા મહાવતો હાથીનાં તન ઉપર મનોહર ચિત્રો દોરે છે. લલિત કલા અકાદમીએ આ 'જીવંત' ચિત્રોની હરીફાઈ અને પ્રદર્શનનું આયોજન કરવું જોઈએ. કોઈ નવો શબ્દ ન મળે ત્યાં સુધી, વાચકો મહાવતની પત્નીને મહાવતી કહી શકે છે. આપણી સંસ્કૃતિએ ઘણી મહાસતી આપી, પણ ભાગ્યે જ કોઈ મહાવતી આપી. નિભા નાંબૂદીરી કેરળની એક માત્ર તાલીમસિદ્ધ મહિલા મહાવત છે. મૂળે તો પ્રાણીશાસ્ત્રમાં પારંગત થયેલી નિભા ઈ.સ. ૧૯૯૭થી ૧૯૯૯ના ગાળામાં મહાવતી બની હતી. નિભા વિશે વિદેશી સર્જકો ચલચિત્ર તૈયાર કરે અને આપણે ગૂગલિયાં કરીએ ત્યારે વાતની ખબર પડે છે.

ખાસ સમયે હાથી મદમાં આવે ત્યારે મહાવતની મદદમાં કોણ આવે? તોફાને ચઢનાર હાથી મહાવતને હોદ્દા ઉપરથી છેક નીચે ઉતારી મૂકે અને છેક ઉપર પણ પહોંચાડી શકે! જોકે ચાલુ હાથીએ, હાથીપીઠ ઉપરથી અકસ્માતે લપસી જવાથી મહાવતને દાખલ કરવો પડ્યો હોય એવું તેજવાહિની એકસોઆઠની સેવાની જાણમાં નથી. સૂંઢ ઉપરથી ગમે તેટલી વખત ચઢ-ઉતર કરે તોપણ મહાવતના ગોઠણના સાંધા ઘસાતા નથી. કોઈ ઘૂંટણજ્ઞાનીએ મહાવતના ઢીંચણની જોડી બદલી આપી હોય એવા સમાચાર હજી સુધી વાંચવામાં આવ્યા નથી. ખાધે-પીધે સુખી ઘર કે મંદિરના મહાવતને પણ હાથી ઉપર આવ-જા કરવા માટે લિફ્ટ મુકાવવાનો દુષ્ટ વિચાર આવ્યો નથી. જગતમાં જંગલો ઘટતાં જાય છે. જનસંખ્યા વધતી જાય છે. હાથી જેવાં પ્રાણીઓ ઉપર જોખમ વધતું જાય છે. મહાવતગીરી પણ વિસરાતા જતાં કૌશલ્યમાં વિલીન થઈ રહી છે. વાસ્તવિકતા તો એ છે કે, મહાવતનો વ્યવસાય ઓછા વેતન અને વધુ જોખમનો છે. જીવનવીમો ઉતારતા ભારતીય એજન્ટને મહાવતની કામગીરી કરવાની આવે તો તેઓ ‘હાથી મેરે જીવનસાથી’ નામની વીમાયોજનાનો સુંદર રીતે પ્રચાર કરી શકે એમ છે. 'નયા દૌર' ફિલ્મમાં દિલીપકુમાર ઘોડાગાડીવાનની જગ્યાએ મહાવત હોત તો તેમણે 'સાથી હાથ બઢાના'ની જગ્યાએ 'હાથી સાથ બઢાના' જેવું ગીત ગાવાનું પસંદ કર્યું હોત!
.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 

'હળવે હૈયે',
મહાવત એટલે મહાવટ!
'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/15042015/0/1/

હળવે હૈયે ///

Monday, April 13, 2015

ભાષાની મજા, મજાની ભાષા - 872

'તેખૂ બકરા પડ્યા હોવાનું કહે છે.' (!)
'તે ખૂબ કરા પડ્યા હોવાનું કહે છે.'


Tuesday, April 7, 2015

ભાષાની મજા, મજાની ભાષા - 871


'અમારી દુકાનેથી લીલાં મરચાંનાં મઠિયાં મળશે.'

આ વાક્યમાં અલગ-અલગ શબ્દ આગળ 'બારેમાસ' શબ્દ મૂકો અને બારેમાસ મજા માણો! 

'બારેમાસ અમારી દુકાનેથી લીલાં મરચાંનાં મઠિયાં મળશે.'
'અમારી દુકાનેથી બારેમાસ લીલાં મરચાંનાં મઠિયાં મળશે.'
'અમારી દુકાનેથી લીલાં મરચાંનાં બારેમાસ મઠિયાં મળશે.'
'અમારી દુકાનેથી લીલાં મરચાંનાં મઠિયાં બારેમાસ મળશે.'

Wednesday, April 1, 2015

નખ-કાપણિયું : એક ચલિત નિબંધ

/ હળવે હૈયે /
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ખોળામાં નીંદર લઈ રહેલા શિશુના દૂધિયા નખ એની માતા હળવે-હળવે પોતાના છાશિયા દાંતથી કાપે છે. એક જમાનામાં ચપ્પાથી નખની કાપણી થતી. મધ્ય યુગમાં અને ખાસ કરીને મધ્યમ વર્ગમાં નખ કાપવા માટે બ્લેડ કે કાતરની મદદ લેવામાં આવતી. કેટલાક અપવાદરૂપ કિસ્સામાં તો માનવ-નખ શંકાસ્પદ કક્ષાના હોય ત્યારે એ પુરાવાનો નાશ કરવા માટે વીર માળીને અડધી ચા પીવડાવવી પડતી. ત્યાર પછી માળીભાઈ તૈયાર થતા અને બગીચાની જંગલી મહેંદીની વાડ કાપવા માટેની ઘોડાકાતર લાવતા. જોકે, આવા નખ કાપવાના કારણે ઘોડાકાતરનાં પાંખિયાં વળી ગયાની દુર્ઘટનાઓ બની છે. આધુનિક યુગમાં નેઇલ-કટરની વ્યાપક સ્વીકૃતિ થઈ ચૂકી છે. પરિણામે, સમગ્ર દુનિયામાં નેઇલ-કટરથી નખનો મબલક પાક બારેમાસ લેવામાં આવે છે. ગૂર્જરભૂમિમાં તો નેઇલ-કટરથી નખ કાપવા એને પણ વિકાસ કહેવામાં આવે છે. આપણી દેશી અંગ્રેજીમાં, 'નેઇલ-ક્લિપર' અને 'નેઇલ ટ્રિમર' કરતાં 'નેઇલ-કટર' શબ્દ જ વધુ વપરાય છે. જોકે, 'નેઇલ-કટર' માટે ગુજરાતી ભાષામાં 'નખ-કાપણિયું' જેવો શબ્દ ચલણમાં મૂકવા માટે સરકારી પરિપત્રની રાહ જોવાની જરૂર નથી.

આપણા જેવા નિર્દોષ નગરિયાઓએ નેઇલ-કટરને કી-ચેઈનમાં ભરાવીને પોતાની સાથે જ રાખવું જોઈએ. શહેરમાં વાહન-વ્યવહાર બરાબરનો જામી જાય એટલે નેઇલ-કટર કાઢીને નખ કાપવાનું શરૂ કરી દેવું. કારણ કે, વખતનો સદ્દઉપયોગ કરવાની આ તક જવા દેવા જેવી નથી. આ જ રીતે, જાહેર કાર્યક્રમોની આભારવિધિ વખતે બગલથેલામાં સંતાડી રાખેલા નખ-કાપણિયાને કોઈ જોઈ ન જાય તેમ હિંમતભેર બહાર કાઢવું. બીજાના નહીં પણ પોતાના જ ખોળામાં કાગળને પાથરીને, નખનિકાલની શુભ શરૂઆત કરવી. આમ, ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના ધ્યેયમંત્રને સાર્થક કરીને ‘સ્વચ્છ ભારત અભિયાન’માં નખ જેટલો પણ ફાળો આપવો જોઈએ. એ વાત સાચી કે, માનવ-સભ્યતાના જૂના અને જાણીતા સ્થળ ધોળાવીરામાં ઉત્ખનન થયું ત્યારે સમ ખાવા પૂરતો એક પણ નખ નહોતો મળ્યો. કારણ કે, એ જમાનામાં લોકો નખ કાપીને ઊંડા ખાડામાં દાટી દેતા હતા! પરંતુ, ધોળાવીરામાં માટીમાંથી બનાવેલા નેઇલ-કટર મળી આવ્યા છે. જે બતાવે છે કે ગુજરાતીઓ માટીમાંથી કશું પણ પેદા કરી શકે છે. 

એક જમાનામાં આખેઆખી લંકામાં એક માત્ર વિભીષણે જ પોતાના ઘરે નેઇલ-કટર રાખવાનું સાહસ કર્યું હતું. કારણ કે, બાકીનાં તમામ ઘરોમાં ગૌરવવંતા રાક્ષસો ક્યારેય નખ કાપતા નહોતા. લંકાપતિ રાવણે કેન્દ્રીય મંત્રીમંડળને વિશ્વાસમાં લીધા વગર જાહેરાત કરી દીધી હતી કે, “જો કોઈ પણ વ્યક્તિ નેઇલ-કટર વેચશે કે ખરીદશે તો તેને બિનજામીન પાત્ર ગુનો ગણવામાં આવશે. આ ગંભીર ગુના બદલ કોઈ પણ કાનૂની કાર્યવાહી કર્યા વગર જ તેને આંદામાનની જેલમાં આજીવન કેદ રાખવામાં આવશે. કારણ કે, લંકામાં નખ કાપવાનો ચાલ એક વાર શરૂ થઈ જાય તો રાક્ષસ-સંસ્કૃતિ ઉપર ભારે ખતરો પેદા થાય. આથી, લાંબા ગાળે રાક્ષસોના નખનો મહિમા ખલાસ થઈ જાય.” આજે તો કોઈ સંસ્થા કે વ્યક્તિ પાસે સત્તા ન હોય તો તેને ‘દાંત અને નહોર વગરના વાઘ’ની ઉપમા આપવામાં આવે છે. આ સંજોગોમાં તેમણે શાસકો સામે નવી દિલ્હીમાં જંતર-મંતર આગળ દંત-ચોકઠાં અને નેઇલ-કટર સાથે વિરોધ-પ્રદર્શન કરવું જોઈએ. માનવ-જીવનમાં છરી-કાતર કે ચપ્પાં-દાતરડાંને ધાર કરાવવાના પ્રસંગો પડ્યા હોય પણ નેઇલ-કટરને ધાર કરાવવાનું કોઈને કેમ નહીં સૂઝતું હોય? સુધારાવાદીઓએ દશેરાના દિવસે શસ્ત્રપૂજામાં દળદાર તલવારની જગ્યાએ ધારદાર નેઇલ-કટર મૂકીને જૂના રિવાજોને દરવાજો બતાવવા જેવો ખરો. 

ઉદેપુર-જયપુરના રાજા-મહારાજાના મહેલમાં સોપારીના કટકા કરવા માટે હાથીદાંતની હીરાજડિત સૂડીનો વપરાશ થતો હોય એવું બની શકે. જોકે, તેનો ઉપયોગ રાજકુંવરોના નખ કાપવા માટે થતો હોય એવું તારણ કાઢવાનું હજી બાકી છે. મુકેશ અને અનિલ અઢળક રૂપિયાવાળાના દીકરા છે જ. પણ આ ધીરુંધરો સ્ટેઇનલેસ સ્ટીલના બદલે સાડત્રીસ તોલાનું સોનાનું નેઇલ-કટર વાપરતાં હોય એવી વાત શેરબજારમાં અફવા તરીકે પણ ઊડી નથી. ભારતીય ચલચિત્રની દુનિયામાં અમાપ ઊંચાઈ ધરાવતા અમિતાભ બચ્ચન છ ફૂટ અને બે ઇંચની લંબાઈના માલિક છે. એનો અર્થ એવો નહીં કાઢવાનો કે તેમના નખ છ દિવસે બે ઇંચ જેટલા તો વધતાં જ હોય ને! જો આવી સ્થિતિ સર્જાતી હોત તો તેઓ ટેલીવિઝનના પડદા ઉપર નેઇલ-કટરની જાહેરખબરમાં રોજેરોજ પ્રગટ થતાં હોત. મહાનાયક અમિતાભ ડાબા હાથે નેઇલ-કટર પકડીને પોતાના જમણા હાથના નખ કાપતા હોય એ દૃશ્યની મહાનોંધ લેવી જ પડે. જો દેશમાં આવા દહાડા આવે તો 'રાષ્ટ્રીય નખસફાઈ ઝુંબેશ' અંતર્ગત એ.બી.(અમિતાભ બચ્ચન) છેવટે બી.એ.(બ્રાન્ડ એમ્બેસેડર) થઈ જાય. અહીં રૂપેરી સૃષ્ટિની વાત નીકળી છે તો, બુદ્ધિદુર્લભા અભિનેત્રી આલિયા ભટ્ટનો વિશેષ આભાર માનવો જોઈએ. કારણ કે તેણી જાહેરખબરમાં એવું ક્યારેય બોલતી નથી કે, “પ્રખ્યાત ‘ફેંકમે’ કંપનીની નેઇલ-પોલિશની એક ડઝન બોટલ્સની ખરીદી સાથે સફેદ નેઇલ-કટરની રંગીન તસવીર વ્હોટ્સએપ ઉપર તદ્દન મફત ડાઉનલોડ કરો.”

હાલમાં કેનેડાના ક્યુબેકની 'યુનિવર્સિટી ઓફ મોન્ટ્રીઅલ'માં એવું સંશોધન થયું છે કે, “પોતાના નખને દાંતથી કરડનારા માણસો મહત્વાકાંક્ષી તેમજ સંપૂર્ણતાના આગ્રહી હોય છે.” આ જ પ્રમાણે અને ધોરણે, કચ્છના નખત્રાણાની 'રાષ્ટ્રીય નખસ્વાસ્થ્ય સંશોધન અને તાલીમ સંસ્થાન' દ્વારા પહેલી એપ્રિલે એવું સંશોધન જાહેર થવાનું છે કે, “સ્નાન કર્યા પછી તરત જ નખ કાપવાથી નેઇલ-કટર ઉપર ૧૨.૩૪ ટકા ઓછું દબાણ આપવું પડે છે.” અનુભવી સંસારીઓ સારી પેઠે જાણે છે કે, નેઇલ-કટરથી નખ કાપવામાં કાચું કપાઈ જાય તો દાળ-શાક આરોગવા માટે થોડા દિવસો પૂરતો ચમચીનો ઉપયોગ પરમ હિતકારી નીવડે છે. રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગ્રામશિબિરમાં પહેલા જ દિવસે પ્રાથમિક શાળાનાં બાળકોનો પરિચય અને વિશ્વાસ કેળવવો જરૂરી છે. આ માટે બાળકોના નખને નેઇલ-કટરથી કાપવાનું શરૂ કરો એટલે આખા ગામમાં ઘરે-ઘરે શિબિરની વાત પહોંચી જાય એવો સ્વાનુભવ છે. આવું કરવું પડે, મારા ભાઈ. કારણ કે, ગ્રામજનો આખો દિવસ ખેતરમાં દહાડી ઉપર હોય છે, ફેસબૂક ઉપર નથી હોતા! આથી જ, યુવાધનધનાધને નેઇલ-કટરથી એક મિનિટમાં કુશળતાથી કેટલા નંગ નખ કાપ્યા તેની આંતર વિશ્વવિદ્યાલય યુવા મહોત્સવ અન્વયે નખકાપ સ્પર્ધા થવી જોઈએ.

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય : 

'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

હળવે હૈયે

http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/01042015/0/1/


સૌજન્ય : 
નખ-કાપણિયું : એક ચલિત નિબંધ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૪-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮

http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/01042015/0/1/


સંશોધન, વ્યાખ્યાન, કાર્યક્રમ : ૦૧-૦૪-૨૦૧૪થી ૩૧-૦૩-૨૦૧૫

ડૉ. અશ્વિનકુમાર
સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
............................................................................................................
સંશોધનપત્ર : લેખન અને પ્રસ્તુતિ :

* ગોષ્ઠિ : પ્રાદેશિક
ગોષ્ઠિનો વિષય : આપણા અભ્યાસક્રમોમાં 'શાંતિ નિર્માણ'
રજૂઆતપત્રનું શીર્ષક : શાંતિનું પત્રકારત્વ - અભ્યાસક્રમ અને આવશ્યકતા
તારીખ : ૨૦ સપ્ટેંબર, ૨૦૧૪, શનિવાર
આયોજક : ગાંધીદર્શન અને શાંતિ સંશોધન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૧૪

* પરિસંવાદ : રાષ્ટ્રીય
પરિસંવાદનો વિષય : પીસ, ગાંધી, એન્ડ મોડર્ન વર્લ્ડ
સંશોધનપત્રનું શીર્ષક : લિંગભેદભાવમુક્તિ દ્વારા શાંતિનિર્માણમાં ગાંધીજીના પત્રકારત્વની પ્રસ્તુતતા
તારીખ : ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫, શુક્રવાર
આયોજક : દર્શનશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ : ૩૮૦ ૦૦૯
...................................................................................................................
નિયમિત બ્લોગ-લેખન :

બ્લોગનામ : અશ્વિનિયતબ્લોગઠેકાણું :http://ashwinningstroke.blogspot.in/
બ્લોગ-પ્રારંભ : ૦૧-૦૧-૨૦૧૩ બ્લોગપોસ્ટની કુલ સંખ્યા : ૧૭૨૭ (૩૧-૦૩-૨૦૧૫ સુધી)

...................................................................................................................
વિશેષ વ્યાખ્યાન :

* ઉપક્રમ : વિદ્યાર્થી વાચન શિબિરની સાંધ્ય-સભા
વ્યાખ્યાન-વિષય : 'જીવનમાં વાચન-લેખનનું મહત્વ'
તારીખ : ૨૩ એપ્રિલ, ૨૦૧૫, બુધવાર
સ્થળ : સી. એન. વિદ્યાલય, આંબાવાડી, અમદાવાદ

* ઉપક્રમ : દ્વિતીય ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ
વ્યાખ્યાન-વિષય : 'કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન'
('આપણા સાહિત્યમાં સવાયા ગુજરાતીઓનો ફાળો' વિષયક ચર્ચાસત્રના નિમંત્રિત વક્તા)
તારીખ : ૦૧ ફેબ્રુઆરી, ૨૦૧૫, રવિવાર
સ્થળ : કનોરિયા પરિસર, નવરંગપુરા, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

...................................................................................................................
વિશેષ માનદ્દ પરામર્શન :

* ઉપક્રમ : ગૂજરાત વિદ્યાપીઠના સહયોગથી દસ્તાવેજી ચલચિત્રનું નિર્માણ
દસ્તાવેજી ચલચિત્રનું શીર્ષક : ગાંધીજી અમદાવાદમાં
નિર્માતા/નિર્દેશક/લેખક : ડૉ. માણેક પટેલ 'સેતુ'
જવાબદારી : પટકથા-પરામર્શન
કામગીરી : સંશોધન, પુનર્લેખન, ભાષાશુદ્ધિ

...................................................................................................................
વિશેષ ફરજ :

* કારણ : તત્કાલીન કુલપતિ નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય
તારીખ : ૧૦-૧૨-૨૦૧૪થી ૧૫-૦૩-૨૦૧૫
સહયોગ : તત્કાલીન કુલનાયક ડૉ. સુદર્શન આયંગારનું કાર્યાલય
કામગીરી : નારાયણ દેસાઈના સ્વાસ્થ્ય સમાચારનું સંકલન, લેખન, અને પ્રસારણ

* ઉપક્રમ : પૂર્વ કુલપતિ નારાયણ દેસાઈની શ્રદ્ધાંજલિ-સભા
તારીખ : ૨૫-૦૩-૨૦૧૫
સહયોગ : મધ્યસ્થ ગ્રંથાલયનું કાર્યાલય
કામગીરી : નારાયણ દેસાઈનાં ૧૧૫ પુસ્તકોની સૂચિ-તપાસ અને વિષય-વર્ગીકરણ

...................................................................................................................
વિશેષ આયોજન-સંચાલન :

* ઉપક્રમ : ગૂજરાત વિદ્યાપીઠ કુલનાયક આવકાર અને શુભેચ્છા કાર્યક્રમ
વિશેષ ઉપસ્થિતિ : નવનિયુક્ત કુલનાયક ડૉ. અનામિક શાહ, નિવૃત્ત કુલનાયક : ડૉ. સુદર્શન આયંગાર, ટ્રસ્ટી : સુશ્રી ઇલા ભટ્ટ
તારીખ : ૦૧ જાન્યુઆરી,, ૨૦૧૫, ગુરુવાર
સમય : ૦૫:૦૦થી ૦૭:૦૦
સ્થળ : સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

* ઉપક્રમ : મહાવિદ્યાલયમાં કુલનાયક ડૉ. અનામિક શાહનો આવકાર-કાર્યક્રમ
વિશેષ ઉપસ્થિતિ : કનુભાઈ નાયક, આચાર્ય, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
તારીખ : ૧૯ જાન્યુઆરી,, ૨૦૧૫, સોમવાર
સમય : ૦૪:૦૦થી ૦૫:૦૦
સ્થળ : પરિસંવાદ ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

* ઉપક્રમ : પુસ્તક લોકાર્પણ
કાર્યક્રમ-અધ્યક્ષ : સુશ્રી ઇલા ભટ્ટ, કુલપતિ, ગૂજરાત વિદ્યાપીઠ
વિશેષ ઉપસ્થિતિ : શ્રી ઓ.પી. કોહલી, મહામહિમ રાજ્યપાલ, ગુજરાત રાજ્ય
તારીખ : ૦૭ માર્ચ, ૨૦૧૫, શુક્રવાર
સમય : ૦૪:૩૦થી ૦૬:૦૦
સ્થળ : હીરક મહોત્સવ સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

...................................................................................................................
વિદ્યાર્થીઓ સાથે વિશેષ કાર્યક્રમમાં સામેલગીરી

* ઉપક્રમ : વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા વાચન અને રજૂઆત
તારીખ : વર્ષ દરમિયાન સાંપ્રત અને પ્રસંગોપાત
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

* ઉપક્રમ : વિદ્યાર્થીઓ સાથે ગ્રામજીવન પદયાત્રા
તારીખ : ૨૨-૦૯-૨૦૧૪ ને સોમવારથી ૨૫-૦૯-૨૦૧૪ ને ગુરુવાર
સ્થળ : મુકામ : વિરમપુર, તાલુકો : અમીરગઢ, જિલ્લો : બનાસકાંઠા

* ઉપક્રમ : વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર
તારીખ : ૦૬-૦૧-૨૦૧૫ ને ગુરુવારથી ૧૨-૦૧-૨૦૧૫ ને સોમવાર
સ્થળ : ગ્રામ-સેવા કેન્દ્ર, મુકામ : દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા

* ઉપક્રમ : દ્વિતીય ગુજરાત સાહિત્ય મહોત્સવ (જીએલએફ)
તારીખ : ૩૦-૩૧ જાન્યુઆરી અને ૦૧ ફેબ્રુઆરી, ૨૦૧૫, શુક્ર, શનિ, રવિ
સ્થળ : કનોરિયા પરિસર, નવરંગપુરા, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

* ઉપક્રમ : યુવા મહોત્સવ
તારીખ : ૧૧-૦૩-૨૦૧૫
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

...................................................................................................................