Showing posts with label Dyumanbhai Patel. Show all posts
Showing posts with label Dyumanbhai Patel. Show all posts

Sunday, October 20, 2019

વિદ્યાપીઠના વિદ્યાર્થી // રણધીર ઉપાધ્યાય


દ્યુમાનભાઈએ એક વર્ષ શાંતિનિકેતનમાં પ્રાચ્યવિદ્યાનો સઘન અભ્યાસ કર્યો હતો. વિદ્યાપીઠમાં એ જ વિષય પસંદ કર્યો. અહીં તેમને ઉત્તમ પુસ્તકાલયનો લાભ મળ્યો. છાત્રાલયની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ થઈ. અતિ ઉત્તમ અધ્યાપકોનું માર્ગદર્શન સાંપડ્યું.

વિદ્યાપીઠના મહાવિદ્યાલયના આચાર્ય હતા પ્રોફેસર ગિડવાણી, પ્રોફેસર મલકાણી, આચાર્ય કાકા કાલેલકર, મુનિ જિનવિજયજી, ગાંધીજીના અંતેવાસી નરહરિ પરીખ, વિનોબા ભાવે, પંડિત ધર્માનંદ કોસંબી ઇત્યાદિ ભારત-વિખ્યાત વિદ્વાનોની વિદ્વતાનો દ્યુમાનભાઈને લાભ મળવા લાગ્યો. પ્રાચ્યવિદ્યાના અંગ તરીકે તેમણે 'યોગ'નો પણ ઊંડો અભ્યાસ શરૂ કર્યો. તદુપરાંત પ્રાકૃત, પાલી, સંસ્કૃત ભાષા-સાહિત્યમાં પણ અવગાહન આરંભ્યું. આત્મોન્નતિની કડી હવે દેખાવા લાગી.

દ્યુમાનભાઈ અસામાન્ય વિદ્યાર્થી હતા - ધૂની, એકાંગી, એકાકી. વાંચવાનું શરૂ કરે તો ૨૦-૨૨ કલાક સામટા વાંચ્યા કરે. કાંતવાનું હાથમાં લે તો આખો દિવસ અને આખી રાત કાંત્યા કરે. બીજું કાંઈ ન કરે. વિદ્યાપીઠમાં ખાદી પહેરવાનું અને રેંટિયો કાંતવાનું ફરજિયાત હતું. દ્યુમાનભાઈ કાંતીને પોતાના હાથની ખાદીનાં કપડાં પહેરવા લાગ્યાં.