Showing posts with label ShriMota. Show all posts
Showing posts with label ShriMota. Show all posts

Saturday, October 19, 2019

મુક્તિસંગ્રામનો પેગામ - કૉલેજ ત્યાગ - વિદ્યાપીઠ પ્રવેશ - 'નવજીવન' વેચી નિર્વાહ // શ્રીમોટા


વડોદરા કૉલેજ છોડીને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાવાનું બનેલું. પાસે પૈસો તો મળે નહિ. ઘેરથી તે મળી શકે તેવી સ્થિતિ જ ન હતી. હવે ચલવવું કેમ અને ખાવું પણ શું? 'નવજીવન' વેચીને પેટિયું કાઢતો. રવિવારે તે નીકળતું. એક નકલે એક પૈસો મળતો. જેટલાં વેચાય તેટલા પૈસા મળે. એટલે જેટલાં વેચાય તેમાંથી સાત દિવસ ચલાવવાનું. કેટલાક દિવસ તો એક જ ટંક જમવાનું થતું.

'નવજીવન' રવિવારે વેચવાનું બનતું હતું, તેવા પ્રસંગની હારમાળામાં એક ફેરા એમ બન્યું કે રવિવારે માત્ર પચાસ પૈસા મળ્યા. સાત દિવસ ચલાવવાનું. તે વેળા કોચરબના ઢાળ પાસે શ્રી ડાહ્યાભાઈ ઇજ્જતરામના બંગલામાં વિદ્યાપીઠના વર્ગો ચાલતા હતા, અને आ जीव રહેતો હતો ગુજરાત કૉલેજની સામે જે ચાલ છે તે ચાલના સૌથી પહેલા ઓરડામાં. હવે સાત પૈસામાં એકેક દિવસ ચલાવવાનું! વિદ્યાપીઠમાં ભણતો ત્યારે જાતે-હાથે પકવવાનું કરતો. તે દિવસોના ગાળામાં કદીક કદીક ચણામમરા ફાકીને દિવસો ગુજારેલા. શહેરમાં સગાં-વહાલાંનાં ઘર તો હતાં. ગયો હોત તો પ્રેમથી જમવાનું મળ્યું હોત, પણ તેમાં શોભા ન હતી.

એમ કરતાં કરતાં એક 'ટ્યૂશન' પ્રભુકૃપાથી મળી ગયેલું. મહિને ૩૫ રૂપિયા અને તે, તે કાળમાં! મારા જેવા માટે તો તે ભયોભયો થઈ રહે.

આ હકીકત લખવાનું કારણ તો ગમે તેવી કફોડી દશા પ્રગટે અને ગમે તેવી કસોટી પ્રગટે, પણ પ્રભુકૃપાથી શહૂર પ્રગટાવીને જીવવાનું ખમીર જો દાખવીએ, તો તેના પણ ઉપાય મળી જ રહેતા હોય છે.