Showing posts with label Gandhi's Vision for Mass Communication. Show all posts
Showing posts with label Gandhi's Vision for Mass Communication. Show all posts

Saturday, September 6, 2025

ગાંધીજી કહે છે : પત્રકાર વિશે


" મેં પત્રકારની પ્રવૃત્તિ તેની મજાને ખાતર નહીં પણ મેં જેને મારું જીવનકાર્ય માન્યું છે તેને તે મદદરૂપ થાય એવી આશાએ અંગીકાર કરી છે. "

ગાંધીજી

'યંગ ઇન્ડિયા', ૦૨-૦૭-૧૯૨૫
ભાષાંતર : 'નવજીવન', ૦૫-૦૭-૧૯૨૫

Monday, April 20, 2020

'નવજીવન' ને 'યંગ ઈંડિયા'


ગમે તેવી ધીમી તો પણ શાંતિ જાળવનારી હિલચાલ એક તરફથી થઈ રહી હતી, ત્યારે બીજી તરફથી સરકારની દમનનીતિ પુરજોરમાં ચાલી રહી હતી. પંજાબમાં તેની અસરનો સાક્ષાત્કાર થયો. ત્યાં લશ્કરી કાયદો એટલે જોહુકમી શરૂ થઈ. આગેવાનોને પકડ્યા. ખાસ અદાલતો તે અદાલતો નહોતી, પણ એક સૂબાનો હુકમ ઉઠાવનારી વસ્તુ થઈ હતી. તેણે પુરાવા પ્રમાણ વિના સજાઓ કરી. લશ્કરી સિપાહીઓએ નિર્દોષ લોકોને કીડાની જેમ પેટે ચલાવ્યા. આની આગળ જલિયાંવાલા બાગની ઘોર કતલ તો મારી આગળ કંઈ વિસાતની નહોતી, જો કે પ્રજાનું અને દુનિયાનું ધ્યાન તો એ કતલે જ ખેંચ્યું.

પંજાબમાં ગમે તેમ કરીને પ્રવેશ કરવાનું મારી ઉપર દબાણ થયું. મેં વાઇસરૉયને કાગળો લખ્યા, તાર કર્યા, પણ પરવાનગી ન મળે. પરવાનગી વિના જાઉં એટલે અંદર તો જવાય નહીં, પણ માત્ર સવિનય ભંગ કર્યાનો સંતોષ મળે. આ ધર્મસંકટમાં મારે શું કરવું એ વિકટ પ્રશ્ન મારી પાસે આવી પડ્યો. હું મનાઈહુકમનો અનાદર કરીને પ્રવેશ કરું તો તે વિનયી અનાદર ન ગણાય, એમ મને લાગ્યું. શાંતિની જે પ્રતીતિ હું ઈચ્છતો હતો તે હજુ મને નહોતી થઈ. પંજાબની નાદિરશાહીએ લોકોની અશાંત વૃત્તિને વધારી હતી. આવે સમયે મારો કાનૂનભંગ બળતામાં ઘી હોમવા જેવો થાય એમ મને લાગ્યું, ને મેં સહસા પંજાબમાં પ્રવેશ કરવાની સૂચનાને માન ન આપ્યું. આ નિર્ણય મારે સારુ કડવો ઘૂંટડો હતો. રોજ પંજાબથી ગેરઈન્સાફના ખબર આવે, ને રોજ મારે તે સાંભળવા ને દાંત પીસી બેસી રહેવું!

આટલામાં મિ. હૉનિમૅન, જેમણે 'ક્રૉનિકલ'ને એક પ્રચંડ શક્તિ બનાવી મૂક્યું હતું, તેમને પ્રજાને સૂતી મૂકી સરકાર ચોરી ગઈ. આ ચોરીમાં જે ગંદકી હતી તેની બદબો મને હજુયે આવ્યાં કરે છે. હું જાણું છું કે મિ. હૉનિમૅન અંધાધૂંધી નહોતા ઈચ્છતા. મેં સત્યાગ્રહ સમિતિની સલાહ વિના પંજાબ સરકારના હુકમનો ભંગ કર્યો તે તેમને નહોતું ગમ્યું. સવિનય ભંગ મુલતવી રાખ્યો તેમાં તે પૂરા સંમત થયા હતા. મુલતવી રાખવાનો ઈરાદો મેં પ્રગટ કર્યો તેના પહેલાં જ મુલતવી રાખવાની સલાહનો તેમનો કાગળ મને મોકલાયો હતો, તે મારો ઇરાદો પ્રગટ થયા અછી અમદાવાદ ને મુંબઈ વચ્ચેના અંતરને લીધે મને મળી શક્યો. એટલે તેમના દેશનિકાલથી મને જેટલું આશ્ચર્ય થયું તેટલું જ દુ:ખ થયું.

આમ થવાથી 'ક્રૉનિકલ'ના વ્યવસ્થાપકોએ તે ચલાવવાનો બોજો મારી ઉપર મૂક્યો. મિ. બ્રેલ્વી તો હતા જ, એટલે મારે બહુ કરવાપણું નહોતું રહેતું. છતાં મારા સ્વભાવ પ્રમાણે મારે આ જવાબદારી બહુ થઈ પડી હતી.

પણ મારે તે જવાબદારી લાંબો સમય વેઠવી ન પડી. સરકારની મહેરબાનીથી તે બંધ થયું.

જેઓ 'ક્રૉનિકલ'ના વહીવટમાં કર્તાહર્તા હતા તેઓ જ 'યંગ ઇંડિયા'ના વહીવટ ઉપર અંકુશ રાખતા — ઉમર સોબાની અને શંકરલાલ બૅંકર. આ બંને ભાઈઓએ 'યંગ ઇંડિયા'ની જવાબદારી ઓઢવાનું મને સૂચવ્યું ને 'યંગ ઇંડિયા'ને 'ક્રૉનિકલ'ની ખોટ હળવી કરવા સારુ અઠવાડિયાના એક વખતને બદલે બે વખત કાઢવાનું તેમને ને મને ઠીક લાગ્યું. સત્યાગ્રહનું રહસ્ય સમજાવવાની મને હોંશ હતી. પંજાબ વિષે હું કંઈ નહીં તો પણ યોગ્ય ટીકા કરી શકતો હતો, અને તેની પાછળ સત્યાગ્રહરૂપી શક્તિ પડી છે એમ તો સરકારને ખબર હતી. તેથી આ મિત્રોની સૂચનાનો મેં સ્વીકાર કર્યો.

પણ અંગ્રેજી મારફતે પ્રજાને સત્યાગ્રહની તાલીમ કેમ આપી શકાય? ગુજરાતમાં મારા કાર્યનું મુખ્ય ક્ષેત્ર હતું. ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિક એ વેળા તે જ ટોળીમાં હતા. તેમના હાથમાં માસિક 'નવજીવન' હતું. તેનું ખર્ચ પણ પેલા મિત્રો પૂરું પાડતા. આ છાપું ભાઈ ઇન્દુલાલે અને તે મિત્રોએ મને સોંપ્યું. ને ભાઈ ઇન્દુલાલે તેમાં કામ કરવાનું પણ માથે લીધું. આ માસિકને સાપ્તાહિક કર્યું.

દરમ્યાન 'ક્રૉનિકલ' સજીવન થયું, એટલે 'યંગ ઇંડિયા' ફરી સાપ્તાહિક થયું, ને મારી સૂચનાથી તેને અમદાવાદમાં લઈ ગયા. બે છાપાં નોખે નોખે ઠેકાણે ચાલે તેમાં ખર્ચ વધારે થાય ને મને અગવડ વધારે થાય. 'નવજીવન' તો અમદાવાદમાં નીકળતું હતું. આવાં છાપાંને સ્વતંત્ર છાપખાનું જોઈએ એ તો મેં 'ઇંડિયન ઓપીનિયન'ને વિષે જ અનુભવ્યું હતું. વળી અહીંના તે વખતના છાપાના કાયદા પણ એવા હતા કે, મારે જે વિચારો પ્રગટ કરવા હોય તે વ્યાપારદૃષ્ટિએ ચાલતા છાપખાનાવાળા છાપતાં સંકોચાય. એ પણ છાપખાનું વસાવવાનું પ્રબળ કારણ હતું. અને તે અમદાવાદમાં જ સહેલાઈથી થઈ શકે તેમ હતું, એટલે 'યંગ ઇંડિયા' અમદાવાદમાં લઈ ગયા.

આ છાપાં મારફત મેં સત્યાગ્રહની તાલીમ પ્રજાને આપવાનો યથાશક્તિ આરંભ કર્યો. બંને છાપાંની નકલો જૂજ ખપતી હતી તે વધતી વધતી ૪૦,૦૦૦ની આસપાસ પહોંચી હતી. 'નવજીવન'ની ઘરાકી એકદમ વધી, જ્યારે 'યંગ ઇંડિયા'ની ધીમે ધીમે વધી. મારા જેલ જવા બાદ તેમાં ઓટ થયો ને આજે બંનેની ઘરાકી આઠ હજારની નીચે ચાલી ગઈ છે.

આ છાપાંમાં જાહેર ખબર ન લેવાનો મારો આગ્રહ અસલથી જ હતો. તેથી કશો ગેરલાભ થયો નથી એવી મારી માન્યતા છે, અને છાપાંની વિચારસ્વતંત્રતા જાળવવામાં આ પ્રથાએ બહુ મદદ કરી છે.

આ છાપાંની મારફતે હું મારી શાંતિ મેળવી શક્યો. કેમ કે જોકે તુરત મારાથી સવિનય ભંગનો આરંભ ન કરી શકાયો, પણ હું મારા વિચારો છૂટથી પ્રગટ કરી શક્યો: જેઓ સલાહસૂચના માટે મારા તરફ જોઈ રહ્યા હતા તેમને આશ્વાસન આપી શક્યો. ને મને લાગે છે કે, બંને છાપાંએ તે અણીને સમયે પ્રજાની ઠીક સેવા કરી અને લશ્કરી કાયદા જુલમને હળવો કરવામાં ફાળો ભર્યો.

મોહનદાસ કરમચંદ ગાંધી

(સૌજન્ય : 'સત્યના પ્રયોગો અથવા આત્મકથા', ભાગ પાંચમો : ૩૪ : 'નવજીવન' ને 'યંગ ઈંડિયા')

'ઇન્ડિયન ઓપીનિયન'


જેમ કોમમાં લડતને અંગે અને અનુભવો લેતાં લેતાં પરિવર્તનો થયાં તેમ જ 'ઈન્ડિયન ઓપીનિયન'માં પણ બન્યું. એ અખબારમાં પ્રથમ જાહેરખબરો લેવામાં આવતી. છાપખાનાને અંગે બહારનું પરચૂરણ છાપવાનું કામ લેવામાં આવતું. મેં જોયું કે એ બંને કામમાં સારામાં સારા માણસોને રોકવા પડતા હતા. જાહેરખબરો લેવી જ તો પછી કઈ લેવી અને કઈ ન લેવી એનો વિચાર કરવામાં હમેશાં ધર્મસંકટો પેદા થતાં. વળી અમુક જાહેરખબર ન લેવાનો વિચાર થાય ને છતાં જાહેરખબર આપનાર કોમનો આગેવાન હોય, તેને દુ:ખ લગાડવાના ભયથી પણ ન લેવા યોગ્ય જાહેરખબર લેવાની લાલચમાં ફસાવું પડે. જાહેરખબરો મેળવવામાં અને તેનાં દામ વસૂલ કરવામાં સારામાં સારા માણસનો વખત જાય અને ખુશામતો કરવી પડે તે નોખું. અને સાથે એ પણ વિચાર આવ્યો કે જે છાપું કમાઈને અર્થે નહીં પણ કેવળ કોમની સેવાને અર્થે ચાલતું હોય તો તે સેવા જબરદસ્તીથી નહીં થવી જોઈએ, પણ કોમ ઈચ્છે તો જ થવી જોઈએ. અને કોમની ઈચ્છાનો ચોખ્ખો પુરાવો તો એ જ ગણાય કે કામ ઘટતી સંખ્યામાં ઘરાક થઈ તેનું ખર્ચ ઉપાડી લે. વળી એમ પણ વિચાર્યું કે છાપાને ચલાવવા સારુ, માસિક ખર્ચ કાઢવામાં, થોડા વેપારીઓને સેવાભાવને નામે પોતાની જાહરખબરો આપવા સમજાવવા, તેના કરતાં કોમના આમવર્ગને છાપું લેવાની ફરજ સમજાવવી, એ લલચાવનાર અને લલચાનાર બન્ને સારુ કેટલી બધી સુંદર કેળવણી થઈ પડે ? વિચાર થયો અને તુરત અમલમાં મૂકયો. પરિણામ એ આવ્યું કે જેઓ જાહેરખબર વગેરેની ભાંજગડમાં પડ્યા હતા તેઓ અખબાર સારું બનાવવાની મહેનતમાં ગૂંથાયા. કોમ તરત સમજી ગઈ કે “ઈન્ડિયન ઓપીનિયન'ની માલિકી અને તે ચલાવવાની જવાબદારી બન્ને તેને હસ્તક રહ્યાં. અમે બધા કામદારો નિશ્ચિત થયા. કોમ છાપું માગે તો પૂરેપૂરી મહનત કરી છૂટવા જેટલી જ ફિકર અમારે વેઠવી રહી, અને હરકોઈ હિંદીને તેની બાંય પકડી 'ઈન્ડિયન ઓપીનિયન' લેવાનું કહેતાં શરમ તો ન જ રહી, એટલું જ નહીં, પણ કહેવું એ અમે ધર્મ સમજવા લાગ્યા. 'ઈન્ડિયન ઓપીનિયન'નાં અાંતરિક બળ અને સ્વરૂપ પણ ફર્યા અને એ એક મહાશક્તિ થઈ પડયું. તેની સામાન્ય ઘરાકી ૧૨૦૦-૧૫૦૦ સુધી હતી તે દિવસે દિવસે વધવા લાગી. તેનો દર વધારવો પડ્યો હતો તેમ છતાં લડાઈએ જ્યારે ઉગ્ર સ્વરૂપ પકડયું તે વખતે ૩,પ૦૦ નકલો સુધી ગ્રાહક વધ્યા હતા. 'ઈન્ડિયન ઓપીનિયન'નો વાચકવર્ગ વધારેમાં વધારે ર૦,૦૦૦ ગણી શકાય, તેમાં ૩,૦૦૦ ઉપરાંત નકલોનું ખપવું એ અજાયબીભરેલો ફેલાવો ગણી શકાય. કોમે એ વખતે એ છાપું એટલે સુધી પોતાનું કરી મૂક્યું હતું કે જો ધારેલે વખતે તેની નકલો જોહાનિસબર્ગમાં ન પહોંચી હોય તો મારી ઉપર ફરિયાદની ધાડ આવેલી જ હોય. ઘણે ભાગે રવિવારે સવારે એ જોહાનિસબર્ગમાં પહોંચતું. મને ખબર છે કે ઘણા માણસો છાપું આવે ત્યારે પ્રથમ કામ પહેલેથી તે છેલ્લે સુધી તેનો ગુજરાતી ભાગ વાંચી લેવાનું કરે. એક જણ વાંચે અને પાંચ પંદર તેને વીંટાઈને બેઠા હોય તે સાંભળે. આપણે ગરીબ રહ્યા એટલે કેટલાંક એ છાપું ભાગમાં પણ લેતા.
છાપખાનાને અંગે પરચૂરણ કામ નહીં લેવા વિશે પણ હું લખી ગયો. તે બંધ કરવાનાં કારણો પણ ઘણે ભાગે જાહરખબરના જેવાં જ હતાં. અને તે બંધ કરવાથી બીબાં ગોઠવનારાનો જે વખત બચ્યો તેનો ઉપયોગ છાપખાના મારફતે પુસ્તકો પ્રગટ કરવામાં થયો. અને એ પ્રવૃત્તિમાં ધન મેળવવાનો હેતુ ન હતો એમ કોમ જાણતી હતી. અને પુસ્તકો કેવળ લડતને મદદરૂપે જ છપાતાં હતાં તેથી પુસ્તકોનો ઉઠાવ પણ સારી રીતે થવા લાગ્યો. આમ છાપું અને છાપખાનું બંનેએ લડતમાં ફાળો ભર્યો. અને સત્યાગ્રહની જડ જેમ જેમ કોમમાં બાઝતી ગઈ તેમ તેમ છાપાંની અને છાપખાનાની, સત્યાગ્રહની દૃષ્ટિએ, નૈતિક પ્રગતિ પણ થતી ગઈ એમ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું.

મોહનદાસ કરમચંદ ગાંધી

(સૌજન્ય : 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ')

'ઇંડિયન ઓપીનિયન'


હજુ બીજા યુરોપિયન ગાઢ પરિચયો આપવાના રહે છે, પણ તે પહેલાં બે ત્રણ અગત્યની વસ્તુઓની નોંધ લેવાની આવશ્યકતા છે.
એક પરિચય હમણાં આપી દઊં. મિસ ડિકને દાખલ કર્યેથી જ મારું કામ હું પૂરું કરી શકું તેમ નહોતું. મિ. રીચને વિષે હું અગાઉ લખી ચૂક્યો છું. તેમની સાથે તો મને સારો પરિચય હતો જ. તે વેપારી પેઢીમાં સંચાલક હતા. ત્યાંથી છૂટી મારી નીચે આર્ટિકલ લેવાની મેં સૂચના કરી. તે તેમને ગમી, ને ઑફિસમાં દાખલ થયા. મારા ઉપરથી કામનો બોજો હળવો થયો.
આ અરસામાં જ શ્રી મદનજિતે 'ઇંડિયન ઓપીનિયન' છાપું કાઢવાનો વિચાર કર્યો. મારી સલાહ ને મદદ માગ્યાં. છાપખાનું તો તે ચલાવતા જ હતા.છાપું કાઢવાના વિચારમાં હું સંમત થયો. આ છાપાની ઉત્પતિ ૧૯૦૪માં થઈ. મનસુખલાલ નાજર અધિપતિ થયા. પણ અધિપતિપણાનો ખરો બોજો મારા ઉપર જ પડ્યો. મારે નસીબે ઘણે ભાગે હમેશ દૂરથી જ છાપાનું તંત્ર ચલાવવાનું આવ્યું છે.
મનસુખલાલ નાજર તંત્રીપણું ન કરી શકે એવું કાંઈ નહોતું. તેમણે તો દેશનાં ઘણાં છાપાં ને સારુ લખાણો કર્યા હતાં. પણ દક્ષિણ આફ્રિકાના અટપટા પ્રશ્નો ઉપર મારી હાજરી છતે સ્વતંત્ર લેખો લખવાની તેમણે હિમત જ ન કરી.મારી વિવેકશક્તિ ઉપર તેમનો અતિશય વિશ્વાસ હતો. એટલે જે જે વિષયો ઉપર લખવાપણું હોય તે ઉપર લખી મોકલવાનો બોજો મારા પર ઢોળતા.
આ છાપું સાપ્તાહિક હતું, જેવું આજે પણ છે. પ્રથમ તો તે ગુજરાતી, હિંદી , તામિલ અને અંગ્રેજીમાં નીકળતું. પણ મેં જોયું કે તામિલ ને હિંદી વિભાગો નામના જ હતા. તેવાટે કોમની સેવા નહોતી થતી એમ મેં જોયું. તે વિભાગો રાખવામાં મને જૂઠનો આભાસ આવ્યો, તેથી તે વિભાગો બંધ કર્યા ને મેં શાંતિ મેળવી.
આ છાપામાં મારે કંઇ પૈસા રોકવા પડશે એવી મારી કલ્પના નહોતી. પણ થોડી મુદતમાં મેં જોયું કે જો હું પૈસા ન આપું તો છાપું ન જ ચાલે. છાપાનો હું અધિપતિ નહોતો, છતાં હું જ તેના લખાણને સારુ જવાબદાર હતો, એમ હિંદી ને ગોરા બંને જાણતા થઈ ગયા હતા. છાપું ન જ નીકળ્યું હોત તો અડચણ નહોતી, પણ કાઢયા પછી બંધ થાય તો તેમાં કોમની નામોશી થાય તેમ હતું ને કોમને નુકસાન થતું હતું એમ મને લાગ્યું.
હું તેમાં પૈસા રેડતો ગયો, ને છેવટે જેટલું બચતું હતું તે બધું તેમાં જ જતું એમ કહેવાય. એવો સમય મને યાદ છે કે જ્યારે મારે દર માસે ૭૫ પાઉંડ મોકલવા પડતા.
પણ આટલાં વર્ષો પછી મને લાગે છે કે એ એ છાપાએ કોમની સારી સેવા કરીછે. તેમાંથી પૈસા પેદા કરવાનો ઇરાદો તો કોઈનો નહોતો.
મારે હસ્તક હતું ત્યાં સુધીમાં એમાં થયેલા ફેરફારો મારી જિંદગીના ફેરફારો સૂચવનારા હતા. જેમ અત્યારે 'યંગ ઇન્ડિયા' અને 'નવજીવન મારા જીવનના કેટલાક ભાગનો નિચોડ છે તેમ 'ઇંડિયન ઓપીનિયન' હતું. તેમાં હું પ્રતિ સપ્તાહ મારો આત્મા રેડતો, ને હું જેને સત્યાગ્રહરૂપે ઓળખતો હતો તે સમજાવવા પ્રયત્ન કરતો. જેલના સમયો બાદ કરતાં દસ વર્ષો સુધીના, એટલે ૧૯૧૪ની સાલ સુધીના, 'ઈંડિયન ઓપીનિયન'ના એવા અંકો ભાગ્યે જ હશે જેમાં મેં કંઈ નહીં લખ્યું હોય. એમાં એક પણ શબ્દ મેં વગરવિચાર્યે, વગરતોળ્યે લખ્યો હોય, કે કોઈને કેવળ ખુશ જ કરવાને ખાતર લખ્યો હોય, કે જાણી જોઈને અતિશયોક્તિ કરી હોય એવું મને યાદ નથી. મારે સારું એ છાપું સંયમની તાલીમ થઈ પડ્યું હતું, મિત્રોને સારુ મારા વિચારો જાણવાનું વાહન થઈ પડ્યું હતું,ટીકાકારોને તેમાંથી ટીકા કરવાનું બહુ ઓછું મળી શકતું. હું જાણું છું કે એના લખાણો ટીકાકારને પોતાની કલમ ઉપર અંકુશ મેલવા ફરજ પાળતાં. એ છાપાં વિના સત્યાગ્રહની લડત ન ચાલી શકત. વાંચનાર વર્ગ એ છાપાને પોતાનું સમજી તેમાંથી લડતનું ને દક્ષિણ આફ્રિકાના હિંદીઓની હાલતનું ખરું ચિત્ર મેળવતો.
આછાપા વાટે રંગબેરંગી મનુષ્ય સ્વભાવને જાણવાનું મને બહુ મળ્યું. તંત્રી અને ગ્રાહકની વચ્ચે નિકટ ને સ્વચ્છ સંબંધ બાંધવાની જ ધારણા હોવાથી મારી પાસે હ્રુદય ઠાલવનારા કાગળોના ઢગલા થતા.તેમાં તીખાં, કડવાં, મીઠાં એમ ભાતભાતનાં લખાણો મારી પાસે આવે. તે વાંચવાં, વિચારવાં, તેમામ્થી વિચારોનું તારણ કરી જવાબ આપવા, એ મારે સરુ ઉતમ શિક્ષણ થઈ પડ્યુ.તે વાટે હું કોમમાં ચાલતી વાતો ને વિચારો કેમ જાણે સાંભળતો હોઉં નહીં, એવો અનુભવ મને થયો. તંત્રીની જવાબદારી હું સારી પેઠે સમજતો થયો, ને મને કોમના માણસો ઉપર જે કાબૂ મલ્યો તેથી ભવિષ્યમાં થનારી લડત શક્ય હોઈ, શોભી ને તેને જોર મળ્યું.
વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવા જોઈએ એ હું 'ઈંડિયન ઓપીનિયન'ના પહેલા માસની કારકિર્દીમાંથી જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણી નો ધોધ ગમનાં ગામ ડુબાવે છે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.
આ વિચારસરણી સાચી હોય તો દુનિયાનાં કેટલાં વર્તમાનપત્રો નભી શકે? પણ નકામાંને બંધ કોણ કરે? કોણ કોને નકામું ગણે? કામનું ને નકામું સાથે સાથે જ ચાલ્યા કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.

મોહનદાસ કરમચંદ ગાંધી

(સૌજન્ય : સત્યના પ્રયોગો અથવા આત્મકથા, ભાગ ચોથો : ૧૩. ’ઇંડિયન ઓપીનિયન’)

Thursday, January 10, 2013

ગાંધીજી કહે છે : પત્રકાર વિશે


" પત્રકારનું સાચું કામ જનતાના માનસને સાચી રીતે કેળવવાનું છે. "

- ગાંધીજી

'હરિજનબંધુ', ૨૯-૦૯-૧૯૪૬