Showing posts with label Press Release. Show all posts
Showing posts with label Press Release. Show all posts

Thursday, May 9, 2024

Wednesday, March 13, 2019

ગૂજરાત વિદ્યાપીઠમાં દાંડીકૂચ દિને વિશેષ કાર્યક્રમ


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

અખબારી યાદી

ગૂજરાત વિદ્યાપીઠમાં દાંડીકૂચ દિને વિશેષ કાર્યક્રમ

મહાત્મા ગાંધીજીની દાંડીકૂચનો પ્રારંભ સત્યાગ્રહાશ્રમ, સાબરમતીથી ૧૨મી માર્ચ, ૧૯૩૦ની સવારે થયો. ગૂજરાત વિદ્યાપીઠની અરુણ ટુકડીએ ગાંધીજી જે માર્ગે સત્યાગ્રહી સાથીદારો સાથે દાંડીકૂચ કરવાના હતા તેના દરેક પડાવની પૂર્વતપાસ અને આયોજનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગાંધીજીની સાથે ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, શિક્ષકો અને સ્નાતકો પણ દાંડીયાત્રાના સાથીદારો તરીકે જોડાયા હતા દાંડીકૂચના યાત્રીઓ સત્યાગ્રહાશ્રમ, સાબરમતીથી નીકળ્યા ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના ઐતિહાસિક સ્થળ પ્રાણજીવન વિદ્યાર્થીભવન ખાતે ગાંધીજી તેમજ યાત્રીઓને ગૂજરાત વિદ્યાપીઠની બહેનો અને કાકાસાહેબ કાલેલકરે આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ દાંડીકૂચના યાત્રીઓ ગૂજરાત વિદ્યાપીઠથી આગળ વધ્યા હતા.

પ્રાણજીવન વિદ્યાર્થીભવનની સામેની એ જગ્યા જ્યાંથી ગાંધીજી તેમજ દાંડીયાત્રીઓ અભિવાદન સ્વીકારી પસાર થયા હતા તેની યાદરૂપે એક પ્રતીકાત્મક સ્મૃતિસ્તંભનું સ્થાપન ગૂજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષમાં કરવાનો ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટીમંડળે નિર્ણય કર્યો છે. દાંડીકૂચ દિવસની સ્મૃતિમાં તા. ૧૨--૨૦૧૯ના રોજ ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ સુશ્રી ઇલાબહેન ભટ્ટ, કુલનાયક ડૉ. અનામિકભાઈ શાહ, ટ્રસ્ટીઓ અને અધ્યાપકો, સેવકો, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ અને રાષ્ટ્રીય સેવા યોજનાનાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ દાંડીકૂચ સ્મૃતિસ્તંભના સૂચિત સ્થળે સૂતરની માળા અર્પણ કરી હતી.

ત્યારબાદ, મુખ્ય સભાખંડમાં, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહે 'દાંડીકૂચ સ્મૃતિદિન' નિમિત્તેના વિશેષ કાર્યક્રમની વિગતો આપી હતી. ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના વિદ્યાર્થી ભગીરથ માતાએ 'દાંડીકૂચ : મારી નજરે' વિશે રજૂઆત કરી હતી. ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક ડૉ. સુદર્શન આયંગારે ‘દાંડીકૂચનો ઐતિહાસિક સંદર્ભ’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ આભારવિધિ કરી હતી.

Tuesday, December 1, 2015

રાષ્ટ્રપિતાની વિદ્યાપીઠમાં રાષ્ટ્રપતિનું દીક્ષાંત પ્રવચન


ભારતને સ્વચ્છ અને સમર્થ બનાવવાની જરૂર : પ્રણબ મુખર્જી


ગૂજરાત વિદ્યાપીઠનો 62મો પદવીદાન સમારંભ સાદગીભર્યા વાતાવરણમાં આનંદ અને ઉલ્લાસ વચ્ચે ઉજવાઈ ગયો. ભારતના રાષ્ટ્રપતિ મહામહિમશ્રી પ્રણબ મુખર્જીના મુખ્ય મહેમાનપદે યોજાયેલા પદવીદાન સમારંભમાં 43 વિદ્યાર્થીઓને 58 પારિતોષિકો એનાયત થયાં હતાં.

વૈદિક અને સર્વધર્મ પ્રાર્થનાથી શરૂ થયેલા દીક્ષાંત સમારોહમાં કુલનાયક શ્રી અનામિકભાઈ શાહે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ દરવાજાની બહારની દુનિયા તમને વિવિધ રીતે સત્કારવા બેઠેલી જ છે. તમારે વિદ્યાપીઠનો ધ્યાનમંત્ર વિચારીને આગળ વધવાનું છે. તમને અનેક વિકલ્પો મળશે, પણ વતનમાં જઈ હમવતનીઓ વચ્ચે કામ કરવું છે કે બહારની દુનિયાની વિશાળ સંભાવનાઓમાં - એ પણ નક્કી કરવું પડશે.’

કુલનાયકશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણે સહુએ સાથે મળીને નવા નોલેજ ફ્રન્ટીયર્સ તરફ આગળ વધવાનું છે. વિદ્યાપીઠે પાછલાં વર્ષોમાં અનેક ઉત્તમ કામગીરી કરી છે. જૂના સ્નાતકો શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે. જેને પરિણામે ગૂજરાતમાં નક્સલવાદ પ્રવેશી શક્યો નથી. વિદ્યાપીઠનું સમાજધર્મનું કામ ગાંધીચીંધ્યા માર્ગે થયેલું છે. હજારો ઘરમાં શૌચાલય નિર્માણ, બાયોગેસ પ્લાન્ટ, ગ્રામજીવન પદયાત્રાઓ, નેપાળના ધરતીકંપમાં ગરીબોનાં ઝૂંપડાંને ઊભાં કરવા મથતો વિદ્યાપીઠનો છાત્ર એ આવનારા દિવસોમાં રાષ્ટ્ર માટેની એક અદભુત આશા છે.’
 
કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ‘ગાંધીજીના આદર્શો આપણા સમૂહજીવનનો વારસો છે, આપણે સૌ એક પ્રજા છીએ. ગાંધીવિચાર-ધારાથી થતું શિક્ષણ આદર્શ તો છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. જે કંઈ કરીએ તે વિચારીને કરીએ. પરિણામનો વિચાર કરીને અનુબંધથી કામ કરીએ. ઉત્ક્ટતાથી સમજશો, તો જીવનમાં શું કાર્ય કરવું છે તે સમજાઈ જશે. માટે જ વિચારો, અનુબંધથી વિચારો અને વિચારપૂર્વક જીવનકાર્ય કરતા જાઓ. ’

આદરણીય રાષ્ટ્રપતિજીએ તેમના પ્રવચનમાં ગૂજરાત વિદ્યાપીઠની પરંપરા અને પૂર્વ કુલપતિઓને યાદ કર્યા. વિદ્યાર્થીઓને ‘ સ્નાતક ’ તરીકે સંબોધન કરીને તેમણે જણાવ્યું કે, ‘ મારા અનેક પૂર્વસૂરિઓ દીક્ષાંત પ્રવચનની આ જવાબદારી સંભાળી ચૂક્યા છે. આજે મારી જવાબદારી બને છે કે, ગાંધીજી જેવા દુર્લભ દ્ષ્ટાએ સ્થાપેલી આ સંસ્થામાં હું તમને સંબોધન કરી રહ્યો છું. ’
 
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘સમકાલીન વિષયોને શીખવતી આ સંસ્થા સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે તે માટેની પસંદગી બની છે. કુલ સંખ્યામાં 40 ટકાથી વધુ વિદ્યાર્થિનીઓ છે, એ એક ઉત્સાહવર્ધક વાત છે. નઈ તાલીમ સંપૂર્ણપણે જીવંત હોય, તેવી એક માત્ર સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ છે. અહીંના વિદ્યાર્થીઓ ગ્રામ-વિકાસને સહાયક કામગીરી કરે છે. તેમાં સ્વાવલંબી ગામ, સમાનતા, આર્થિક અને પર્યાવરણીય વિકાસ અંગેની બાબતોને પ્રાધાન્ય અપાય છે. આ વાત દેશને સમર્થ ભારત બનાવવા તરફ લઈ જશે. મહાત્મા ગાંધી સ્વચ્છ મન, સ્વચ્છ શરીર અને સ્વચ્છ પર્યાવરણ પર ભાર મૂકતા હતા. દરેક નાગરિકની જવાબદારી બને છે કે, સ્વચ્છ ભારતને સમર્થ ભારત તરફ લઈ જાય. ગાંધીજી કોમી સંવાદિતા માટે આજીવન ઝઝૂમ્યા. વર્તમાન સમયમાં સમાજમાં જે વિખંડનકારી પરિબળો છે, તેની સામે શાંતિ અને સંવાદિતાનું શિક્ષણ મહત્વનું સાબિત થશે.
 
‘આપણા દેશમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ખૂબ ખર્ચ કરીને પરદેશ જઈ રહ્યા છે. આપણે આ પ્રક્રિયા ઉલટાવવી જોઈએ તેમજ ભારતને ગુણવત્તાવાળા અને પરવડે તેવા શિક્ષણનું કેન્દ્ર બનાવવું જોઈએ. સંશોધન માટે પારિસ્થિકી તંત્ર વિકસાવવા માટે આપણે આંતરવિદ્યાશાખાકીય અભિગમ વિકસાવવાની જરૂર છે. ચરખા અને કમ્પ્યુટરને સમાન ઉત્સાહથી શીખવતી આ સંસ્થામાં વિદ્યાર્થીઓને શ્રમનું ગૌરવ સમજાવવામાં આવે છે. ‘હૈયું, હાથ, અને મસ્તક’ના સંયોજનથી બનેલી નઈ તાલીમની આ શિક્ષણવ્યવસ્થાનું તમારા ઉપર ઋણ છે કે, તમે સમર્થ ભારતનું નિર્માણ કરો.’ 

પદવીદાન સમારંભમાં કુલ 24 વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.), 49 અનુપારંગત(એમ.ફિલ.), 405 પારંગત, 369 વિશારદ અને 59 અનુસ્નાતક ડિપ્લોમાને દીક્ષિત કરવામાં આવ્યા તથા 43 વિદ્યાર્થીઓને 58 પારિતોષિક આપવામાં આવ્યા હતા. 

પદવીદાન સમારંભમાં રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીજી, કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના સભ્યો, અધ્યાપકો, સેવકો, મહેમાનો, સેવકોના કુટુંબીજનો અને પત્રકારમિત્રો હાજર રહ્યા હતા. 

ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડો. રાજેન્દ્ર ખીમાણીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન કર્યું હતું. 

અખબારી યાદી
વિગત-સૌજન્ય : ડો. રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તા. 01.12.2015 

Friday, November 27, 2015

અખબારી પરિષદ અને અખબારી યાદી

ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ 


શિક્ષણ દ્વારા સમાજસેવાની અવિરત યાત્રાનો ૯૬મા વર્ષમાં પ્રવેશ કરનાર ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૧૫ ને મંગળવારના રોજ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખર્જી દીક્ષાન્ત પ્રવચન આપશે.

પત્રકાર પરિષદને સંબોધન કરતાં કુલસચિવશ્રી રાજેન્દ્ર ખીમાણીએ જણાવ્યું હતું કે ‘ગૂજરાત વિદ્યાપીઠની પદવીદાનની એક આગવી પરંપરા છે, તે મુજબ દરેક સ્નાતકે પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવાની હોય છે અને કુલપતિશ્રી પદવી લેનારને પદવી આપે છે. આટલાં વર્ષો પછી પણ આ પરંપરા યથાવત છે અને આ વર્ષે પણ તે પરંપરા જળવાશે.’


કુલનાયકશ્રી અનામિક શાહે જણાવ્યું કે ‘રાષ્ટ્રપિતા ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં આ અગાઉ પણ તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી પદવીદાન સમારંભમાં આવી ચૂક્યા છે. અમારા પરિસરમાં આ વર્ષે રાષ્ટ્રપતિશ્રી પ્રણબ મુખર્જી આવી રહ્યા છે, તેનો અધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓમાં ઉમંગ છે. પરિસરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલે છે. અમારી પરંપરા મુજબ શ્રમ, સફાઈ અને સુશોભનને લગતાં તમામ કામ અમે જાતે કરીએ છીએ. બીજી મહત્વની વાત એ છે કે, જે વ્યક્તિએ જીવનભર સત્યના પ્રયોગો કર્યા એ પ્રયોગવીર ગાંધીજીએ પ્રાણજીવન વિદ્યાર્થીભવનનું ખાતમુહૂર્ત પ્રખર વૈજ્ઞાનિક શ્રી પ્રફુલ્લચંદ્ર રૉયના હસ્તે કરાવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ અમારો પદવીદાન આ જ સ્થળે યોજાશે. પદવી લેનાર વિદ્યાર્થીઓ પરંપરા અનુસાર બે હજાર તારની સૂતરની આંટી આપતા હોય છે. તેમાંથી ખાદીનું કાપડ વણાવીને પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન અને કુલપતિશ્રીને અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે માનનીય રાષ્ટ્રપતિશ્રી પ્રણબ મુખર્જીને અને કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટને ખાદી અર્પણ કરવામાં આવશે’. 

આ વર્ષે ઔપચારિક શિક્ષણના ભાગરૂપે ઉત્તીર્ણ થયેલ ૨૪ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.), ૪૯ અનુપારંગત(એમ.ફિલ.), ૪૦૫ પારંગત(એમ.એ.), ૩૬૯ વિશારદ અને ૫૯ અનુસ્નાતક ડિપ્લોમાને પદવી તથા ૪૩ વિદ્યાર્થીઓને ૫૮ પારિતોષિક આપવામાં આવશે.


વિગત-સૌજન્ય :
રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ
તા. ૨૭-૧૧-૨૦૧૫