અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Monday, May 12, 2025
|| અખબારી યાદી || 12-05-2025 || ગૂજરાત વિદ્યાપીઠમાં ‘ગીતા’ પ્રવેશ-પરીક્ષાનો પ્રથમ તબક્કો સંપન્ન
Friday, March 21, 2025
ગૂજરાત વિદ્યાપીઠ મુકામે હેકાથોનનું આયોજન
Wednesday, December 25, 2024
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન
Tuesday, December 24, 2024
ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવ સંપન્ન થયો
ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવ સંપન્ન થયો
૦ રમતોત્સવમાં ખેલાડીઓની ઉત્સાહભેર ભાગીદારી
૦ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ચંદ્રકો અને પ્રમાણપત્રો અપાયાં
વિજેતાઓને બિરદાવવા માટે, 'ખેલભારતી' રમતોત્સવના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સેવકો તથા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Sunday, December 22, 2024
ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન
Friday, December 6, 2024
ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહ યોજાયો
Saturday, September 28, 2024
અખબારી યાદી | ગૂજરાત વિદ્યાપીઠમાં ભાદરવા વદ બારસના રોજ 'રેંટિયા બારસ'ની ઉજવણી
Monday, July 29, 2024
અખબારી નોંધ (Press Note)
ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોકાર્પણ દિવસની ઉજવણી
કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે વ્યા.સ. મંદિર અર્થાત્ વ્યાવસાયિક સજ્જતા મંદિરના પ્રારંભની કરેલી જાહેરાત
ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો માટે ત્રિદિવસીય શિક્ષણ-કાર્યશાળાનું આયોજન
ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પ્રારંભ ૨૯-૦૭-૨૦૨૦ના દિવસે કરવામાં આવ્યો હતો. આ મહત્ત્વપૂર્ણ દિવસને ધ્યાનમાં રાખીને, ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોકાર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૨૯-૦૭-૨૦૨૪ના રોજ, હીરક મહોત્સવ સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમનો સમયસર પ્રારંભ વિદ્યાપીઠ-ગાન સાથે થયો હતો.
ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ વિદ્યાશાખાનાં અધ્યક્ષ અને ડીનશ્રી તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ વિષયક જવાબદારી સંભાળતાં નોડલ અધિકારી પ્રા. દીપુબા દેવડાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ગૂજરાત વિદ્યાપીઠ વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ઉચ્ચ શિક્ષણ સંબંધિત ભલામણોનું ગૂજરાત વિદ્યાપીઠમાં અમલીકરણ’ વિશે મુદ્દાસર અને રસપ્રદ રજૂઆત કરી હતી. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મૂળ દસ્તાવેજની વિવિધ બાબતોને ટાંકીને ગૂજરાત વિદ્યાપીઠની ગાંધીવિચાર આધારિત સર્વાંગી શિક્ષણ-વ્યવસ્થા, સમાજ-અનુબંધિત અભ્યાસક્રમ, બહુવિદ્યાશાખાકીય અભિગમ, સ્થાનિક ભાષામાં શિક્ષણ, અભ્યાસક્રમોમાં શિક્ષણ-પ્રશિક્ષણ, તાલીમ-ક્ષેત્રકાર્ય, અભ્યાસક્રમોનું અદ્યતનીકરણ, અધ્યાપન-પદ્ધતિઓ, પ્રાર્થના, યોગ, પદયાત્રા, શિબિર, પ્રવાસ, કેન્દ્ર-નિવાસ, સમૂહજીવન થકી જીવન-ઘડતર અને વ્યક્તિત્વ-વિકાસ, શિક્ષણમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનો વિનિયોગ, ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે સુવિધાસજ્જ પરિસર, ‘સ્વપ્ન’ પ્રકલ્પથી માંડીને કલાભવન, પુસ્તકાલયથી માંડીને છાત્રાલય અને પરિસંવાદખંડથી માંડીને પ્રયોગશાળાની સગવડનો વિગતે પરિચય કરાવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ અને ગૂજરાત વિદ્યાપીઠના માનનીય કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉદ્ભવ અને અમલીકરણની રૂપરેખા આપી હતી. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સાદી સમજણ આપતા કહ્યું હતું કે, ‘બુનિયાદી શિક્ષણ વત્તા યંત્રવિદ્યા(પ્રૌદ્યોગિકી) એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’. તેમણે જીવન-ઉપયોગી અસલ કેળવણી આપતી ગૂજરાત વિદ્યાપીઠ સમયની સાથે તાલ મિલાવીને યંત્રવિદ્યાનો ઉપયોગ કરે એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાર્થક થાય એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કુલપતિશ્રીએ વર્ષ 1920માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના પ્રારંભના સમયમાં ઘડાયેલા વિવિધ અભ્યાસક્રમો આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેટલા પ્રાસંગિક છે એને ઉદાહરણ આપીને સમજાવ્યા હતા. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠની કેળવણી વિશે વિવિધ વિષયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંશોધન-નિબંધ તૈયાર કરાવવા માટે અધ્યાપકોને અનુરોધ કર્યો હતો.
કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં ઓગસ્ટ, 2024માં માનવ સંસાધન વિકાસ કેન્દ્ર (Human Resource Development Centre) અંતર્ગત વ્યાવસાયિક સજ્જતા મંદિર એટલે કે વ્યા.સ. મંદિરના પ્રારંભની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો માટે ‘વર્ગશિક્ષણ વિષયક પદ્ધતિશાસ્ત્ર’ની ત્રિદિવસીય કાર્યશાળાના આયોજનની પણ જાહેરાત કરી હતી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લોકાર્પણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાના વિભાગોના અધ્યાપકો હાજર રહ્યા હતા. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સંચાલન શિક્ષણ વિદ્યાશાખાના અધ્યાપક ડૉ. નીતિનકુમાર ઢાઢોદરાએ કર્યું હતું.
Friday, March 29, 2024
ગૂજરાત વિદ્યાપીઠનો વર્ષ - ૨૦૨૪-૨૦૨૫નો પ્રવેશ કાર્યક્રમ જાહેર
Friday, November 11, 2022
Wednesday, March 13, 2019
ગૂજરાત વિદ્યાપીઠમાં દાંડીકૂચ દિને વિશેષ કાર્યક્રમ
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
Tuesday, December 1, 2015
રાષ્ટ્રપિતાની વિદ્યાપીઠમાં રાષ્ટ્રપતિનું દીક્ષાંત પ્રવચન
ગૂજરાત વિદ્યાપીઠનો 62મો પદવીદાન સમારંભ સાદગીભર્યા વાતાવરણમાં આનંદ અને ઉલ્લાસ વચ્ચે ઉજવાઈ ગયો. ભારતના રાષ્ટ્રપતિ મહામહિમશ્રી પ્રણબ મુખર્જીના મુખ્ય મહેમાનપદે યોજાયેલા પદવીદાન સમારંભમાં 43 વિદ્યાર્થીઓને 58 પારિતોષિકો એનાયત થયાં હતાં.
વૈદિક અને સર્વધર્મ પ્રાર્થનાથી શરૂ થયેલા દીક્ષાંત સમારોહમાં કુલનાયક શ્રી અનામિકભાઈ શાહે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ દરવાજાની બહારની દુનિયા તમને વિવિધ રીતે સત્કારવા બેઠેલી જ છે. તમારે વિદ્યાપીઠનો ધ્યાનમંત્ર વિચારીને આગળ વધવાનું છે. તમને અનેક વિકલ્પો મળશે, પણ વતનમાં જઈ હમવતનીઓ વચ્ચે કામ કરવું છે કે બહારની દુનિયાની વિશાળ સંભાવનાઓમાં - એ પણ નક્કી કરવું પડશે.’
કુલનાયકશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણે સહુએ સાથે મળીને નવા નોલેજ ફ્રન્ટીયર્સ તરફ આગળ વધવાનું છે. વિદ્યાપીઠે પાછલાં વર્ષોમાં અનેક ઉત્તમ કામગીરી કરી છે. જૂના સ્નાતકો શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે. જેને પરિણામે ગૂજરાતમાં નક્સલવાદ પ્રવેશી શક્યો નથી. વિદ્યાપીઠનું સમાજધર્મનું કામ ગાંધીચીંધ્યા માર્ગે થયેલું છે. હજારો ઘરમાં શૌચાલય નિર્માણ, બાયોગેસ પ્લાન્ટ, ગ્રામજીવન પદયાત્રાઓ, નેપાળના ધરતીકંપમાં ગરીબોનાં ઝૂંપડાંને ઊભાં કરવા મથતો વિદ્યાપીઠનો છાત્ર એ આવનારા દિવસોમાં રાષ્ટ્ર માટેની એક અદભુત આશા છે.’
કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ‘ગાંધીજીના આદર્શો આપણા સમૂહજીવનનો વારસો છે, આપણે સૌ એક પ્રજા છીએ. ગાંધીવિચાર-ધારાથી થતું શિક્ષણ આદર્શ તો છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. જે કંઈ કરીએ તે વિચારીને કરીએ. પરિણામનો વિચાર કરીને અનુબંધથી કામ કરીએ. ઉત્ક્ટતાથી સમજશો, તો જીવનમાં શું કાર્ય કરવું છે તે સમજાઈ જશે. માટે જ વિચારો, અનુબંધથી વિચારો અને વિચારપૂર્વક જીવનકાર્ય કરતા જાઓ. ’
આદરણીય રાષ્ટ્રપતિજીએ તેમના પ્રવચનમાં ગૂજરાત વિદ્યાપીઠની પરંપરા અને પૂર્વ કુલપતિઓને યાદ કર્યા. વિદ્યાર્થીઓને ‘ સ્નાતક ’ તરીકે સંબોધન કરીને તેમણે જણાવ્યું કે, ‘ મારા અનેક પૂર્વસૂરિઓ દીક્ષાંત પ્રવચનની આ જવાબદારી સંભાળી ચૂક્યા છે. આજે મારી જવાબદારી બને છે કે, ગાંધીજી જેવા દુર્લભ દ્ષ્ટાએ સ્થાપેલી આ સંસ્થામાં હું તમને સંબોધન કરી રહ્યો છું. ’
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘સમકાલીન વિષયોને શીખવતી આ સંસ્થા સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે તે માટેની પસંદગી બની છે. કુલ સંખ્યામાં 40 ટકાથી વધુ વિદ્યાર્થિનીઓ છે, એ એક ઉત્સાહવર્ધક વાત છે. નઈ તાલીમ સંપૂર્ણપણે જીવંત હોય, તેવી એક માત્ર સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ છે. અહીંના વિદ્યાર્થીઓ ગ્રામ-વિકાસને સહાયક કામગીરી કરે છે. તેમાં સ્વાવલંબી ગામ, સમાનતા, આર્થિક અને પર્યાવરણીય વિકાસ અંગેની બાબતોને પ્રાધાન્ય અપાય છે. આ વાત દેશને સમર્થ ભારત બનાવવા તરફ લઈ જશે. મહાત્મા ગાંધી સ્વચ્છ મન, સ્વચ્છ શરીર અને સ્વચ્છ પર્યાવરણ પર ભાર મૂકતા હતા. દરેક નાગરિકની જવાબદારી બને છે કે, સ્વચ્છ ભારતને સમર્થ ભારત તરફ લઈ જાય. ગાંધીજી કોમી સંવાદિતા માટે આજીવન ઝઝૂમ્યા. વર્તમાન સમયમાં સમાજમાં જે વિખંડનકારી પરિબળો છે, તેની સામે શાંતિ અને સંવાદિતાનું શિક્ષણ મહત્વનું સાબિત થશે.
‘આપણા દેશમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ખૂબ ખર્ચ કરીને પરદેશ જઈ રહ્યા છે. આપણે આ પ્રક્રિયા ઉલટાવવી જોઈએ તેમજ ભારતને ગુણવત્તાવાળા અને પરવડે તેવા શિક્ષણનું કેન્દ્ર બનાવવું જોઈએ. સંશોધન માટે પારિસ્થિકી તંત્ર વિકસાવવા માટે આપણે આંતરવિદ્યાશાખાકીય અભિગમ વિકસાવવાની જરૂર છે. ચરખા અને કમ્પ્યુટરને સમાન ઉત્સાહથી શીખવતી આ સંસ્થામાં વિદ્યાર્થીઓને શ્રમનું ગૌરવ સમજાવવામાં આવે છે. ‘હૈયું, હાથ, અને મસ્તક’ના સંયોજનથી બનેલી નઈ તાલીમની આ શિક્ષણવ્યવસ્થાનું તમારા ઉપર ઋણ છે કે, તમે સમર્થ ભારતનું નિર્માણ કરો.’
પદવીદાન સમારંભમાં કુલ 24 વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.), 49 અનુપારંગત(એમ.ફિલ.), 405 પારંગત, 369 વિશારદ અને 59 અનુસ્નાતક ડિપ્લોમાને દીક્ષિત કરવામાં આવ્યા તથા 43 વિદ્યાર્થીઓને 58 પારિતોષિક આપવામાં આવ્યા હતા.
પદવીદાન સમારંભમાં રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીજી, કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના સભ્યો, અધ્યાપકો, સેવકો, મહેમાનો, સેવકોના કુટુંબીજનો અને પત્રકારમિત્રો હાજર રહ્યા હતા.
ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડો. રાજેન્દ્ર ખીમાણીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન કર્યું હતું.
અખબારી યાદી




