Wednesday, May 27, 2015

ગરમીનું મોજું : શાસનાકીય સૂચનો અને પ્રજાકીય સવાલો

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

લમણાંફાડ ગરમીના કારણે મગજનો પારો ઊંચો ચડે એવું 'પરસેવા-પર્વ' ચાલી રહ્યું છે. માણસથી પગરખાનું મોજું ખોવાઈ જાય કે દરિયાનું મોજું માણસને ખોઈ નાખે એ સમજી શકાય, પણ ગરમીનું મોજું આવે ત્યારે માનવજાતિએ શું કરવું એની ચિંતા સત્તાવાળાઓએ જાહેરાત થકી કરવી પડે છે. ૧૯-૦૫-૨૦૧૫ના રોજ ગુજરાતી દૈનિકોમાં પ્રસિદ્ધ થયેલી સરકારી જાહેરાતનું શીર્ષક છે : 'ગરમીમાં લૂ લાગવાથી બચો.' ભાષાના ચીપિયાથી આ શીર્ષકને પકડીને તપાસીએ તો, 'ઠંડીમાં લૂ લાગે ખરી?!' ગુજરાત સરકારે ગરમીના મોજા સામે જનહિતાર્થે જારી કરેલાં સ્વાસ્થ્યલક્ષી સૂચનો અને એના પ્રતિભાવરૂપે પ્રજાના સવાલો આ મુજબ છે :

સરકારનું સૂચન (૧) : 'ગરમીના મોજા દરમ્યાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતાં કપડાં પહેરવાં. ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો.' પ્રજાનો સવાલ (૧) : ખેતકામ-મજૂરોથી માંડીને બાંધકામ-મજૂરો, હાથલારીથી માંડીને પગરિક્ષા ચલાવનાર જો ઘરની બહાર નીકળવાનું ટાળે તો એમનું ઘર ન ચાલે. વળી, ગમે એવું ગરમીનું મોજું આંટા મારતું હોય તોય સલમાન ખાન જેવા નટ અને સની લીઓન જેવી નટીઓ શરીર ઢંકાય એવાં અને એ પણ ખુલતાં કપડાં ન પહેરે. ગરમીમાં ટોપી અને ચશ્માંનો ઉપયોગ કરવાનું સમજાય તેમ છે, પણ છત્રી ન વાપરતાં હોય તો એના વિકલ્પરૂપે રેઇન-કોટ પહેરી શકાય કે કેમ?!

સૂચન (૨) : 'નાનાં બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી.' સવાલ (૨) : બાળકો, સગર્ભા, વૃદ્ધો, અશક્ત, બીમાર માણસોની કેવળ ઉનાળામાં જ નહીં, શિયાળા અને ચોમાસામાં પણ વિશેષ કાળજી લેવી જોઈએ. નાજુક અને નબળાં તન-મન-ધન ધરાવતા માનવો ઉપર ગરમીના મોજાની સરખામણીમાં ઠંડીના મોજા અને વરસાદના મોજાની અસર ઓછી થાય છે?

સૂચન (૩) : 'સીધા સૂર્યપ્રકાશથી બચો.' સવાલ (૩) : માણસ સીધો અને સૂર્યપ્રકાશ વાંકો હોય એ આદર્શ સ્થિતિ છે. બાકી, વાંકા માણસથી સીધો સૂર્યપ્રકાશ કેવી રીતે બચી શકે?

સૂચન (૪) : 'ભીનાં કપડાંથી માથું ઢાંકી રાખો. અવારનવાર ભીનાં કપડાંથી શરીર લૂછો. વારંવાર ઠંડું પાણી પીવું.' સવાલ (૪) : જેને બારમાસી શરદીનો કોઠો રહેતો હોય તેમણે ભીનાં કપડાંથી માથું ઢાંકી રાખવું કે કેમ એ 'ગૂગલેશ્વર મહાવેબ'નાં દર્શન કરીને નક્કી કરવું. અવારનવાર ભીનાં કપડાંથી શરીર લૂછવાથી ગરમીથી દૂર રહી શકાય. પરંતુ, 'સંપૂર્ણ સ્નાન'ના વિકલ્પે રોજેરોજ ભીનું પોતું ફેરવવાની ક્રિયા કરવાથી સાથીઓ-સહકર્મીઓ દૂર થતાં જશે. વળી, બરફદેવતા ઉપર હાથ મૂકીને કહો કે, વારંવાર ઠંડું પાણી પીવાથી તરસ છીપે છે?

સૂચન (૫) : 'લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારિયેળનું પાણી, ખાંડ-મીઠાંનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવાં.' સવાલ (૫) : લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારિયેળનું પાણી જો સરકારના ખર્ચે પુષ્કળ પ્રમાણમાં પીવાનાં હોય તો આ સૂચનને ચારે દિશાના નાગરિકોનો ચારે બાજુથી ટેકો છે. જોકે, મધુપ્રમેહ અને રક્તચાપની બીમારીથી પીડાતી વ્યક્તિઓએ ખાંડ-મીઠાંનું દ્રાવણ લેવું કે નહીં એની અવઢવ છે. વળી, વી.આર.એસ. લીધી હોય તેણે ઓ.આર.એસ. લેવાની જરૂર પડે કે કેમ એ અંગે સરકારે કોઈ પરિપત્ર બહાર પાડ્યો છે ખરો?

સૂચન (૬) : 'બાળકો માટે કેસૂડાંનાં ફૂલ તથા લીમડાનાં પાનનો નાહવાનાં પાણીમાં ઉપયોગ કરવો.' સવાલ (૬) : સમગ્ર ગુજરાતમાં નવજાતથી માંડીને જાતજાતનાં બાળકોને, આ રીતે દર ઉનાળામાં કેસૂડાંનાં ફૂલ અને લીમડાનાં પાંદડાં પાણીમાં નાખીને નવડાવવાં હોય તો કેટલા હજાર ખાખરાનાં-લીમડાનાં ઝાડ ઉછેરવાં પડે?

સૂચન (૭) : 'ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ, શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નાહવું. શક્ય હોય તો ઘરનાં બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી.' સવાલ (૭) : ગરમીમાં બહારથી ઘરે આવ્યા પછી, ઘટના અને ચર્ચા એવી પણ આકાર લે કે શરીરનું તાપમાન નીચું આવવાની જગ્યાએ ઊંચું આવે! આ માપદંડના આધારે આયોજન કરીએ તો, નાહવાનો કાર્યક્રમ ઠેલાતો જ રહે. વળી, ઘરનાં બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટીને બાંધી રાખીએ, અને જો એ પાણી નીચેના માળની કોઈ બારી ઉપર ટપકે તો 'ઝઘડાની બારી' નહીં ખૂલે એની શી ખાતરી?

સૂચન (૮) : 'દિવસ દરમિયાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામાં રહેવું.' સવાલ (૮) : રાજ્યના ધોરી માર્ગો કે શહેરની સડકો ઉપર પરિવહન-સગવડ ઊભી કરવા માટે પારાવાર વૃક્ષોને ફરજિયાત 'શહીદ' કરવામાં આવ્યાં છે. ઘણાં નાણાં ખર્ચતાં પણ, ગુજરાતમાં ઝાડના છાંયડા ક્યાંય ભાડે મળે છે?

સૂચન (૯) : 'બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં. બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો. લગ્નપ્રસંગે દૂધ, માવાની આઇટમ ખાવી નહીં.' સવાલ (૯) : સરકાર એટલી નિખાલસ કબૂલાત તો કરે છે કે, બજારમાં ખુલ્લો અને વાસી ખોરાક મળે છે. જો આપણે દરરોજ ખુલ્લો અને વાસી ખોરાક ન ખાઈએ તો એનો રોજેરોજ નિકાલ ન થાય. અને એ ખોરાક વધુ ને વધુ વાસી થતો રહે! વળી, લગ્ન-જમણવારમાં દરેક 'આઇટમ' બધી જ આઈટમ ખાતી હોય છે. વધારામાં, બજારમાં મળતો 'મિનરલ વોટર'માં બનાવેલો બરફ તો ખાઈ શકાય ને?

સૂચન (૧૦) : 'ઉપવાસ કરવાનું ટાળવું. સવારનું ભોજન બાર વાગ્યા સુધીમાં લઈ લેવું.' સવાલ (૧૦) : ઉપવાસનો વિરોધ કરવો એ ભારતીય સંસ્કૃતિનો વિરોધ કરવા બરાબર છે. ઉપવાસ એ 'વૈવિધ્યપૂર્ણ વ્યંજનોનો વૈભવ' છે એ કેમ કરીને સમજાવવું? વળી, ભિક્ષુકજન માટેનો રામરોટીનો બપોરે બારથી બેનો નિર્ધારિત સમય ફેરવાય તો ભિક્ષુકનારાયણનું સમગ્ર ચયાપચયતંત્ર ખોરવાઈ જાય એમ છે!

સરકારનું સૂચન (૧૧) : 'ચા-કૉફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.' પ્રજાનો સવાલ (૧૧) : ચા-કૉફી અને દારૂનું સેવન કરવાથી લૂ લાગવાની શક્યતા ભલે વધતી, પણ એનું સેવન ટાળવાથી મગજ 'ચક્કર-ભમ્મર' થવા માંડે એની જવાબદારી રાજ્ય-સરકાર લેશે? એવો સવાલ પ્રદેશના ઘણા સેવનિયાઓએ પૂછ્યો છે.

આટલાં સૂચનો ઓછાં હોય તેમ, સરકારશ્રી તરફથી વધારાનું સૂચન છે : 'વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ, અને કાળી દ્રાક્ષનું શરબત લઈ શકાય. રાત્રે દશ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી. તડબૂચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો.' પ્રજાશ્રીનો વધારાનો સવાલ આ છે : જેના નસીબમાં બારમાસી સૂકા મેવા અને મોસમી લીલાં ફળ ન હોય તેવા લોકોને ગરમીના મોજાથી પણ ખતરનાક એવું મોંઘવારીનું મોજું નડે છે એનું શું?

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 
ગરમીનું મોજું : શાસનાકીય સૂચનો અને પ્રજાકીય સવાલો
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૭-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર




ગરમીનું મોજું : શાસનાકીય સૂચનો અને પ્રજાકીય સવાલો
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', 27-05-2015, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬


Wednesday, May 20, 2015

કેરી-ગૂંદાંનો અથાણાં-સંસાર

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

ઉનાળો એટલે મુરબ્બો, છૂંદો, કટકી, વઘારિયું, અથાણાંનો પાક લેવાની મોસમ. ખાટી કેરી અને ગોળ-કેરીનાં અથાણાં કરતાં વધારે 'અઘરું' કેરી-ગૂંદાંનું અથાણું હોય છે. કેરી-ગૂંદાંનું અથાણું ખાતી વખતે આપણા મોઢામાંથી "કઈટ...કઈટ" અવાજ ન આવે તો કોળિયો બાતલ ગણવો. થોડા દહાડા અગાઉ લોથલમાં 'ઓપ્ટિકલ ફાઇબર કેબલ' નાખવા માટે કરાયેલા ખોદકામ દરમિયાન ચિનાઈ માટીનું નળાકાર પાત્ર મળી આવ્યું હતું. જેમાં કેરી-ગૂંદાંનું અથાણું ભરેલું હતું. એક મજૂર બહેને કાચી સેકંડમાં સૂંઘીને કહી દીધું કે, "આમાં ભરેલું કેરી-ગૂંદાંનું અથાણું બગડી ગયેલું છે." આ જ બાબત બતાવે છે કે, છેક 'સિંધુ ખીણની સંસ્કૃતિ'ના કાળમાં પણ કેરી-ગૂંદાંનું અથાણું બનતું હતું, અને યોગ્ય સાચવણીના અભાવે બગડતું પણ હતું!

હિંદની 'આદર્શ અથાણા યોજના'માં પાંચસો ગ્રામ કેરી અને પાંચસો ગ્રામ ગૂંદાં એમ સરખું પ્રમાણ હોય છે. કેરીને સ્વરૂપ અને સ્વાદનું જરાય ગુમાન નથી. ગૂંદાં ક્યારેય કેરી ઉપર ગૂંદાગીરી કરતા નથી. વળી, ગૂંદાં કરતાં કેરીનાં મૂલ્ય, મહત્વ, મોભો ઊંચાં હોવાં છતાં ગૂંદાંને લઘુતાગ્રંથિનો અનુભવ કરાવવાનું 'રાજાપુરી' કેરીના સ્વભાવમાં પણ નથી. આમ, કેરી-ગૂંદાંની જોડી સમાનતા અને સહિષ્ણુતા થકી સદ્દજીવનના પાઠ પૂરા પાડે છે.

સૌપ્રથમ તો 'અથાણાંનો પ્રાણ' કહેવાતો મસાલો તૈયાર કરવો પડે. આ માટે આપણને જાહેરખબર દ્વારા છેતરી ગયેલી કંપનીનું શિંગતેલ કે અન્ય ખાદ્યતેલ માપસર લઈને થોડું ગરમ કરવું. એમાં સ્નાયુના નહીં, પણ શ્રદ્ધાના બળે એક ચમચી હિંગ, આઠ-દશ આખા મરી, બે સૂકાં લાલ મરચાં મૂકીને વઘાર કરવો. બારોબાર નહીં, પણ બરોબર વઘાર થઈ જાય એટલે અગ્નિપુરવઠો બંધ કરી દેવો. ત્યાર પછી, તેમાં મેથીના કૂરિયા નાખીને, જાણે લાડ લડાવતાં હોય તેમ ધીમેધીમે શેકવા. આ ગરમ મિશ્રણમાં જ થોડું મીઠું શેકી લેવું, જેથી મીઠાંને પાણી છોડવાનો મોકો ન મળે. ઘડિયાળમાં વારેઘડીએ જોયા વગર આ બધું 'બે મિનિટ'માં શેકી લેવું. ત્યાર બાદ, કુળદેવીનું સ્મરણ કરવાનો દેખાવ કરીને રાઈના કૂરિયા શેકવા. જો પહેલાં રાઈના કૂરિયા નાખીએ તો રાઈના કૂરિયા બળી મરે, જેને લીધે પછી આપણો જીવ બળે. કારણ કે, મસાલો કડવો થઈ જાય એટલે અથાણાનો ભવ બગડે. દળેલું કાશ્મીરી લાલ મરચું પણ ત્યાર પછી જ હાજરી પુરાવે એ હિતાવહ છે. નહીંતર લાલ મરચું રંગપરિવર્તન કરીને શ્યામ રંગ સમીપે જશે. આ 'ઘન' મસાલા-મિશ્રણને ઠરવા માટે ભલે થોડો વખત થતો.

દરમિયાનમાં, ગૂંદાંના કદને ધ્યાનમાં રાખીને, કેરીના ચોરસ કટકા કરી રાખવા. ગૂંદાંને ડાળખીથી છૂટાં પાડી રાખવાં. સહેજ ભીનું કપડું ફેરવીને ગૂંદાંને હળવેથી લૂછી લેવાં. ગઈ કાલના છાપા ઉપર ગૂંદાંને પાથરીને કોરાં થવાં દેવાં. ગૂંદાંનાં ડીંટિયાં સાચવીને કાઢી લેવાં. તરત જ, "હિંમતે મર્દા, તો મદદે ગૂંદા"નો નારો લગાવીને ગૂંદામાંથી ઠળિયા કાઢવાનું શરૂ કરો. આ માટે ખલ-પથરો કામમાં આવશે. ખલને ઊંધો પાડીને, તેના ઉપર એક નંગ ગૂંદાને આડો મૂકવો. આડા મૂકેલા ગૂંદા ઉપર હળવેથી એવી રીતે પથરો મારવો કે, એનો કૂચો ન થઈ જાય. નહીંતર, અથાણું આકાર લે એ પહેલાં જ ગૂંદાનો 'છૂંદો' થઈ જશે! વળી, જો ગૂંદું ઊભું મૂકશો તો તે આડું ફાટશે. ગૂંદાને સફળતાપૂર્વક ફોડ્યા પછી, વનસ્પતિની ડાળખી કે બાવળના પાતળા દાતણના છેડાને મીઠાંની ઢગલીમાં બોળીને, આ લવણ-શલાકાની મદદથી ચીકણા ઠળિયાને બહાર કાઢવાનો 'મરણિયો' પ્રયાસ કરવો. આમ કરવાથી, હઠીલા ઠળિયા બહાર નીકળશે અને ગૂંદાંમાં મીઠાંનો સફળ પ્રવેશ પણ થશે.

હવે, ઠરી ગયેલા 'ઘન' મસાલાને ગૂંદાંમાં એવી રીતે ભરવાનો રહે કે જેથી ગૂંદાંની અંદર સહેજ પણ હવા ન રહે. જો માણસની માફક ગૂંદામાં હવા ભરાઈ ગઈ તો છેવટે ગૂંદું ગંદું થઈ જશે. કારણ કે, તેમાં ફૂગ બાઝી જશે. આ માટે ગૂંદામાં અંગૂઠાથી મસાલો ભરવો. ગૂંદાના ઠળિયાએ ખાલી કરી આપેલી જગ્યા જેટલો મસાલો ગૂંદામાં ભરાવો જ જોઈએ. અહીં, બળની સાથે કળથી કામ ન લેવામાં આવે તો, ચાલુ ગૂંદામાંથી પહેલાં મસાલો અને પછી અંગૂઠો બહાર ધસી આવશે. મહાભારતકાળમાં આશ્રમમાં કેરી-ગૂંદાંનું અથાણું નાખતી વખતે ગુરુ દ્રોણનાં પત્નીએ આવી પડકારરૂપ કામગીરી એકલવ્યને સોંપી હતી. ગુરુપત્ની કૃપીએ તેને અંગૂઠાની જગ્યાએ આંગળીનો ઉપયોગ કરવાની પરવાનગી ખાનગીમાં આપી હતી! એકવાર ગૂંદાંમાં મસાલા-ભરણી થઈ જાય પછી, કેરીના કટકા ઉપર મસાલો ચઢાવી દેવાનું કામ તો ગૃહવિજ્ઞાનના વિષયમાં અનુસ્નાતિકા થયેલી કોઈ 'રસોઈસુંદરી'ને પણ સહેલું લાગશે.

મસાલાનું સૌંદર્યપ્રસાધન ધારણ કરેલાં ગૂંદાં અને કેરીને થાળે પાડવા એ 'સંસાર-ન્યાય' છે. આ માટે, કાચના બાટલા કે ચિનાઈ માટીની બરણીમાં એક થર ગૂંદાંનો અને એક થર કેરીનો કરવો. સૌથી ઉપરનો થર કેરીનો આવે એ ખાસ જોવું. આથી, ભવિષ્યમાં કેરીની ખટાશ નીચે ઊતરે, જેથી કરીને ગૂંદાં 'ઊતરી' જતાં બચે. છેલ્લે, પાંચસો ગ્રામ ખાદ્યતેલને ગરમ કરીને, ઠંડું પાડીને, એની ધાર મસાલાયુક્ત કેરી-ગૂંદાંના થર ઉપર કરવી. કેરીના સૌથી ઉપરના થરથી એકાદ ઇંચ જેટલું વધારે એટલે કે 'ડુબડુબા' તેલ રાખવું. પરિણામે, બાર મહિના સુધી અથાણું બગડશે નહીં. આવી ખાતરી અથાણાના સ્વાસ્થ્ય માટે આપી શકાય, આપણા સ્વાસ્થ્ય માટે નહીં!

દેશ-દુનિયાનાં કેટલાંક સંગ્રહાલયોમાં કાચના બાટલા જોવા મળે છે. જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ જીવસૃષ્ટિના નમૂના સાચવેલા હોય છે. જેને કારણે મનુષ્ય ઇચ્છે તો તેની જિજ્ઞાસાવૃત્તિને સંતોષી શકે. જોકે, અહીં કબૂલ કરવું રહ્યું કે, રસોડાની છાજલી ઉપર મૂકેલો કાચનો બાટલો આપણા ગુજરાતીઓને વધુ આકર્ષે છે, જેમાં કેરી-ગૂંદાંનું અથાણું સાચવીને રાખેલું હોય છે! જો દિવસે 'અથાણા-સર્જનસત્ર'નું આયોજન કરો તો, ગૂંદાંનાં ચીકણા ઠળિયા ઉપર માખીઓના ટાંગા ચોંટી જાય અને ત્યજી દેવાયેલા ઠળિયા ઉપર જ માખીઓએ પ્રાણો ત્યજી દેવા પડે. માખીઓનું 'આત્મવિલોપન' અટકાવવા માટે કેટલાક 'દયાળુ' કાઠિયાવાડીઓ મોડી રાતે કે વહેલી સવારે કેરી-ગૂંદાંનું અથાણું બનાવે છે!


માતા હરિઇચ્છાબા થકી અથાણાંની 'જીવંત' તાલીમ પામેલાં નલિનીબહેન પંડ્યા છેલ્લાં પંચાવન વર્ષથી કેરી-ગૂંદાંનું સાતત્યપૂર્ણ અને સ્વાદસંપૂર્ણ અથાણું બનાવે છે અને શિખવાડે પણ છે. આપણે ગુજરાતીઓ બહાર ખાઈ જાણીએ છીએ, અને ઘરે ખવડાવી જાણીએ છીએ. જોકે, ખોરાક વિશેના આપણા અનુભવો સારા ઓછા અને નરસા વધારે હશે. આથી, ગુજરાતી ભાષામાં આવી કહેવતે જન્મ લીધો છે : 'જેની ચા બગડી એની સવાર બગડી, જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો, જેનું અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું.' આટઆટલી કાળજી રાખી હોય છતાં જ્યારે કેરી-ગૂંદાંનું અથાણું ચાખો ત્યારે જાણ થાય કે, ગૂંદાંએ કડવા થવું પડ્યું છે. ગુપ્તચર ખાતા સિવાય ખાનગીમાં તપાસ કરાવો ત્યારે ખબર પડે કે, ઘરધણીએ સ્થળ ઉપરનાં તમામ ગૂંદાંને ઠળિયામુક્ત કરવા માટે લીમડાની ડાળખીનો કચકચાવીને ઉપયોગ કર્યો હતો!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com


.................................................................................................................................
સૌજન્ય :

કેરી-ગૂંદાંનો અથાણા-સંસાર
'હળવે હૈયે', દિવ્ય ભાસ્કર, કળશ ૨૦-૦૫-૨૦૧૫ , બુધવાર, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬


'હળવે હૈયે', ડૉ. અશ્વિનકુમાર





..................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

..................................................................................................................................
સૌજન્ય :

http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/20052015/0/1/

કેરી-ગૂંદાંનો અથાણા-સંસાર
'હળવે હૈયે', દિવ્ય ભાસ્કર, કળશ ૨૦-૦૫-૨૦૧૫ , બુધવાર, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬


Wednesday, May 13, 2015

કંકોતરીમાં ખતરા અને અખતરા

હળવે હૈયે
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

માનવજીવનની અનિવાર્ય ઘટના એટલે જન્મ અને મરણ. સરકારી ખાતું જન્મ-નોંધણી પ્રમાણપત્ર આપે ત્યારે વ્યક્તિ તેને તરત જ વાંચી શકે એવી સાક્ષરતા તેનામાં હોતી નથી. આ જ રીતે, મરણ-નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યારે સદેહે હાજર ન હોવાના કારણે માણસ તેને વાંચી શકતો નથી. જનમ અને મરણના મામલે તાત્કાલિક અસરથી પોતાનું નામ જોવામાં નિષ્ફળ જનાર માનવી કંકોતરીમાં પોતાનું નામ જોઈને ભલે હરખાતો! આમ, હજાર હાથવાળી કુળદેવીની 'અસીમ' કૃપાથી હાજર હાથવાળી કન્યાની 'આજીવન' કૃપા પામવાની શ્રદ્ધા સાથે દુલ્હો 'પરણિયો' અને 'મરણિયો' બને છે.

દીકરો ઓછામાં ઓછી એક વેળાએ સામાજિક દસ્તાવેજમાં 'સુપુત્ર' તરીકે જાહેર થાય છે. તેને મળતું આ 'રાષ્ટ્રીય સન્માન' કેવળ કંકોતરીના માધ્યમને કારણે શક્ય બને છે. આવા જ કોઈ વર્તમાન 'સુપુત્ર' માટે તેનાં માતા-પિતા ભવિષ્યમાં એવી અખબારી જાહેરાત કરે છે : "અમારો પુત્ર અમારાં કહ્યાંમાં રહ્યો નથી. આથી, કોઈપણ વ્યક્તિ એની સાથે નાણાકીય સહિતનો કોઈપણ વ્યવહાર કરશે તો એની કોઈપણ જવાબદારી અમારી રહેશે નહીં." આવી જાહેરાત વાંચીને ભૂતપૂર્વ 'સુપુત્ર'ના હૃદયમાં કેવાં વ્યથા-શૂળ ભોંકાતાં હશે એનો અંદાજ માવતરને ક્યાંથી હોય?

એક કંકોતરીમાં આ મુજબ લખેલું હતું : 'દીકરી વ્યોમની વાદળી રે, દેવલોકની દેવી; જોઈ ન જોઈ વહી જતી રે, વનપંખિણી જેવી; દીકરી છે ઘરનો સિતારો, દીકરી છે તુલસીનો ક્યારો; દીકરી છે બાપનું ઉર, દીકરી છે આંખનું નૂર; દીકરી છે માની પહેચાન, દીકરી છે સપનાંની ઉડાન.' આમ, લગ્નપત્રિકાઓમાં દીકરાઓની સરખામણીમાં દીકરીઓની જ વધારે પ્રશંસા કરવામાં આવે છે. કંકોત્રીઓનાં લખાણોમાં દીકરાઓ પ્રત્યે જે ભેદભાવ દાખવવામાં આવે છે, એ જોતાં એવું લાગે કે, 'દીકરી એટલે વહાલનો દરિયો, દીકરો એટલે નાહકનો દેકારો!'

'સ્નેહાધીન' અને 'દર્શનાભિલાષી'ની નામયાદીમાં 'અ.સૌ.' એટલે કે 'અખંડ સૌભાગ્યવતી' હોય છે, પણ 'પા. સૌ.' અર્થાત્ 'પાખંડી સૌભાગ્યવતો' હાજર જથ્થામાં હોતો નથી. વળી, વિધવા માટે માનાર્થે 'ગં.સ્વ.' અર્થાત્ 'ગંગાસ્વરૂપ' વિશેષણ વપરાય છે. જેને કારણે ક્યારેક તો 'ગંગાસ્વરૂપ જમનાબહેન સરસ્વતીચંદ્ર' જેવું નામ જોવા મળે છે. આમ, એક જ નામમાં નદીઓનો 'દુર્લભ' ત્રિવેણી સંગમ રચાય છે. કંકોતરીઓનાં લખાણમાં પ્રદેશઓળખને ધ્યાનમાં રાખીને, 'નર્મદાસ્વરૂપ', 'વિશ્વામિત્રીસ્વરૂપ', 'તાપીસ્વરૂપ', 'આજીસ્વરૂપ' જેવા શબ્દપ્રયોગો કરી શકાય. ખાધે-પીધે સુખી ઘરની કંકોતરીઓમાં 'સાબરમતીસ્વરૂપ'ની જગ્યાએ 'સાબરમતી-રિવરફ્રન્ટ-સ્વરૂપ' પણ લખી શકાય. પુરુષપ્રધાન સમાજે વિધવાઓને 'ગંગાસ્વરૂપ' જાહેર કરી દીધી, પણ વિધુરડો 'હિમાલયસ્વરૂપ' તરીકે કેમ નથી ઓળખાતો? આથી, સામાજિક સુધારણાની પહેલ કરવા માટે કોઈ વિધુરે પોતાના નામ આગળ 'હિ.સ્વ.' લખવું જ રહ્યું. અહીં પણ, પ્રાદેશિકતાને નજર સમક્ષ રાખીને 'ગિરનારસ્વરૂપ', 'શત્રુંજયસ્વરૂપ', 'ચોટીલાસ્વરૂપ' જેવા પ્રયોગો આવકારલાયક છે. છાંટોપાણી લેવા માટે ગુજરાતની સરહદને વીંધીને રાજસ્થાન ઉપર ચઢાઈ કરતાં વીરવિધુર પોતાને શોખથી 'આબુસ્વરૂપ' તરીકે પણ ઓળખાવી શકે!

ઝાડની ઉપલી ડાળ પછી કંકોતરીની નીચલી લીટીમાં સૌથી વધુ ‘ટહુકા’ સંભળાય છે. જે ઘર-પરિવારમાં અડધો ડઝન બાળકો તોતડાં હોય ત્યાં આનુવંશિક લક્ષણો વિશે વિચારવું પડે. આટલાં બધાં નંગ 'તોતલા' હોય તો કોઈ સ્પીચ-થેરપિસ્ટ કન્યાને જ પુત્રવધૂ તરીકે પસંદ કરવી જોઈએ. આ ઉપરાંત, કંકોતરીના 'સ્નેહાધીન', 'દર્શનાભિલાષી', અને 'ટહુકો' વિભાગમાં વ્યાપક જનસંખ્યાની હાજરી જોઈને 'લીલી વાડી' જેવો શબ્દપ્રયોગ ઝટ દઈને સમજાઈ જાય. એ વાત તો સ્વીકારવી રહી કે, આવાં કરોડો કુટુંબો મોટું કદ અને વિશાળ મન રાખે છે ત્યારે એક આખો દેશ બને છે!

લગ્નપત્રિકાનાં પ્રતીકચિત્રો અલાયદા અભ્યાસનો વિષય બની રહે છે. કોઈપણ માણસ ગણપતિનું ચિત્ર દોરી નાંખે એવા એ સહજદેવ છે. વળી, વરને દસમા ધોરણમાં સંસ્કૃત વિષયમાં કૃપાગુણની યોજનાનો લાભ મળ્યો હોય, તોપણ તેની વિવાહપત્રીમાં સંસ્કૃતનો એકાદ શ્લોક ટાંકવો પડે. નોકરી માટે દરરોજ ઘોડાસરથી હાથીજણ સુધી શટલિયા રિક્ષામાં જતાં-આવતાં બિચારાબહાદુરની કંકોતરીમાં ઘોડા ઉપર સવાર વરરાજાનું રેખાચિત્ર છાપેલું હોય. તેનો મસ્તકપ્રદેશ ખુલ્લો ન પડી જાય એટલે સાફો ઠઠાડવો પડે. બકાને ટાંકણી પકડતાં ન આવડતું હોય પણ ચિત્રમાં તો વરના હાથમાં તલવારથી ઓછું કશું ખપતું ન હોય. વૈશાખી વાયરા વાતા હોય, પણ અગ્નિવેદી આગળ જાણે તાપણું કરવા બેઠાં હોય એમ વર-વહુનું રેખાંકન હોય. વળી, નબળા ચિત્રછાપકામને કારણે એ અનુમાન કરવું મુશ્કેલ બને કે, વર-વધૂ એકબીજાના ગળે હાર પહેરાવે છે કે ગળું દાબે છે?!

આપણે બધાંએ કંકોતરીઓમાં અચૂકપણે જોવા મળતી આ વિનંતિ વાંચી છે : 'આ પત્રિકાને રૂબરૂ મળ્યાં તુલ્ય સમજી સહકુટુંબ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.' કંકોતરીમાં કોઈ વિગત લખવાની રહી જાય, પણ આ વાક્ય પ્રસિદ્ધ થયા વિના ન રહે. એટલે જ, આ વિનંતિવાક્યને 'કંકોતરીનું રાષ્ટ્રીય વાક્ય' જાહેર કરવું જોઈએ. સપ્તપદી વખતે કોઈ ગોરમહારાજ ફેરા વેળા ફોન પણ ચાલુ રાખે છે. આથી, 'ચાંદલાની પ્રથા બંધ છે' જેવી સૂચનાની માફક 'મોબાઇલ ફોન બંધ રાખવો' એવું કંકોતરીમાં લખવાનો સમય આવી ગયો છે. દુલ્હા-દુલ્હિનને એકમેક પ્રત્યે આકર્ષણ હોય, પણ પ્રત્યેકને ભોજનનું આકર્ષણ હોય છે. આથી, કંકોતરીમાં 'ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે' જેવી પંક્તિથી ઊઘાડ કરીને તેની નીચે લાં...બી વાનગી-સૂચિ આપવાથી વટ પડે જશે!

જેણે ભાષાશુદ્ધિ કરવી હોય તેના માટે કંકોતરી ઉપયોગી માધ્યમ પુરવાર થાય છે. 'માતૃભાષા પ્રમાણપત્ર અભ્યાસક્રમ' શીખવતી સંસ્થાઓએ ઘરેઘરેથી એકઠી કરેલી કંકોતરીઓનો 'સાહિત્ય-સામગ્રી' તરીકે સ્વીકાર કરીને તેનો તલસ્પર્શી, અજમાસ્પર્શી, કે જીરુંસ્પર્શી અભ્યાસ કરાવવો જોઈએ. જેના કારણે 'પાણીગ્રહણ' અને 'પાણિગ્રહણ', 'ગ્રહશાંતિ' અને 'ગૃહશાંતિ', 'ભુવન' અને 'ભવન' જેવા અર્થભેદ સમજાવી શકાય.

ગુજરાત સરકારે કંકોતરીઓમાં છોકરા અને છોકરીની સાચી જન્મ-તારીખનો ઉલ્લેખ ફરજિયાત કરવો જોઈએ. જેના કારણે કેટલાં વર્ષે એમનો હાથ પીળો થયો એની સાથે લગ્નવયના મુદ્દે શાસકો લાલ આંખ કરશે એવો સંદેશો વહેતો થશે. ગુજરાતી નિત્યપ્રવાસી પ્રજા છે. આપણી પાસે દેશ-દુનિયામાં સરનામાં શોધવાના નરસા-સારા અનુભવો છે. આથી, વિવાહપત્રિકામાં 'શુભ' સરનામાનો ઉત્તરદિશાસૂચક તીર સાથેનો નકશો છાપવાનો પ્રયોગ કરવા જેવો ખરો. આને લઈને આપણે ગુજરાતીઓ ધાર્મિક, સાંસ્કૃતિક, અને ઐતિહાસિક જ નહીં, ભૌગોલિક પ્રજા પણ છીએ એવી છાપ ઊભી થશે.

આજનો જમાનો 'છબી દ્વારા પ્રસિદ્ધિ'નો છે. છતાં, લગ્નપત્રિકાઓમાં વર-વધૂની તસવીરો ભાગ્યે જ છપાય છે. જોકે, વ્યક્તિ ભલે ગમે તે વ્યક્તિત્વ, વિચારધારા, જૂથ, પક્ષમાં માનતી હોય, તોપણ લગ્ન એ સરકારી યોજના નથી. આથી, તાલુકા પંચાયતના સભ્યથી માંડીને યુવાપાંખના પ્રતિનિધિએ પોતાની કંકોતરીમાં વડાપ્રધાન કે મુખ્યમંત્રીની છબીઓ ન છાપવી. આપણે ત્યાં લગ્નસંબંધિત વિવિધ ચીજવસ્તુ કે સેવા પૂરી પાડતી ઘણી કંપનીઓ છે. ગુજરાતી તરીકે આપણને એ વિચાર આવવો જોઈએ કે, લગ્ન-પ્રાયોજક તરીકે આવી કંપનીઓનાં નામ અને ચિહ્ન કંકોતરીમાં છાપીએ તો લગ્ન-ખર્ચમાં આશ્વાસનરૂપ રાહત થઈ શકે છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 

કંકોતરીમાં ખતરા અને અખતરા
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર',
 ૧૩-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

'હળવે હૈયે'

સૌજન્ય : 
http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/13052015/0/1/

સૌજન્ય : 
http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/13052015/0/1/


Wednesday, May 6, 2015

વરરાજાને દીધા વીજગોળીએ

હળવે હૈયે
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ઉનાળામાં આંબાની ડાળે કોયલના મીઠા ટહુકા કરતાં કંકોતરીમાં ભત્રીજી-ભત્રીજા-ભાણી-ભાણાના તોતડા ટહુકા વધુ સંભળાય છે. લગ્નપત્રિકામાં વરરાજાનું નામ વાંચતાંની સાથે ચિત્તડું ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ પૂર્વેના જમાનામાં ભટકવા માંડે છે. અમને એ સમયની આસપાસના વરરાજા, એ વરરાજાના મસ્તક ઉપર ગોઠવાયેલો સાફો, તે સાફા ઉપર ચોંટાડેલી સફેદ-ગુલાબી કલગી, અને કલગી મધ્યે પ્રકાશતી ધોળી-પીળી વીજગોળી દેખાય છે! આજની શહેરી-મધ્યમવર્ગીય-શિક્ષિત-યુવા પેઢી માટે આ ભૌગોલિક દૃશ્ય ખરેખર ઐતિહાસિક બની ગયું હોવાથી છાંડીને નહીં, પણ માંડીને વાત કરીએ.

એક જમાનામાં ઘણી જ્ઞાતિઓમાં જાન કન્યાપક્ષના ખર્ચે અને જોખમે રાતવાસો કરતી. હસ્તમેળાપની વિધિ મોડી રાત્રે કે વહેલી સવારે પાર પાડવામાં આવતી. એ વેળાએ વીજળી ચોવીસે કલાક સરળતાથી ઉપલબ્ધ નહોતી. લગ્નગીતની આ કડી વરરાજા સાથે વીજળીનું પણ મહત્વ સમજાવે છે : લાલ-પીળી લાઇટો કરો, લાડો મારે જોવો છે; કાળો છે કે ધોળો છે, લાડો મારે જોવો છે.’ એ વખતે રાજ્યમાં ‘જ્યોતિગ્રામ’ યોજના નહોતી, એટલે વરરાજાએ ‘સ્વસહાય પ્રકાશયોજના’ જાતે જ લાગુ કરવી પડતી હતી. વરના બાપનું નામ જ્યોતિરાજ કે પ્રકાશજી હોય, માતાનું નામ અજવાળીબા કે દીવાબહેન હોય તોપણ વરરાજાએ બાહ્ય દુનિયાને આંજવાની રહેતી. વરરાજાને સામાન્ય ‘બત્તી’ ન થતી હોય તોય તેણે અંધારામાં પણ અન્ય જાનૈયાઓથી જુદા દેખાવા માટે સાફા ઉપર નાનકડી વીજબત્તીને ચાલુ હાલતમાં રાખવી પડતી.

ગ્રામીણ ગુજરેજી ભાષા-પદ્ધતિશાસ્ત્ર અનુસાર ‘બલ્બ’નો પૂર્ણ ઉચ્ચાર 'બલબ' થાય છે. આ વીજગોળી કદમાં નાની હોવાથી 'બલબ' ઉપરથી ‘બલબડી’ તરીકે ઓળખાતી હતી. ગ્રામપ્રદેશમાં રાત્રિના સમયે એક અભાગિયાના શિર ઉપર ઝબૂકતી બલબડીથી આગિયા પણ લઘુતાગ્રંથિનો ભોગ બન્યાના દાખલા બન્યા હશે! વરરાજા સવા પાંચ ફૂટથી માંડીને પોણા છ ફૂટ લાંબો અને એકધારો પાતળો હોય. તેને સોળે સાન આવી હોય પણ શાન આવવામાં ઘણી વાર હોય, વીસે વાન આવ્યો હોય પણ ભીનેવાન હોય. વરને પીઠીના થર ચઢાવ્યા પછી તેની શામળી-પીળી ચામડી ચળકતી હોય. અને આટલું ઓછું હોય એમ તેણે સાફા ઉપર પ્રકાશમાન ગોળી મુકાવી હોય. જાણે માથા ઉપર મણિ સાથે નાગ ફેણ માંડતો હોય એવું લાગતું! આ દિલધડક દૃશ્ય જોઈને ગમે તેવો નાસ્તિક માણસ હંગામી ધોરણે પણ ઈશ્વરમાં માનવા માંડતો હતો.

વરરાજા ગરીબીની રેખાથી ગમે એટલો ઉપર વસતો હોય, પરંતુ ધરતી ઉપર પગ જાળવી રાખતો હતો. આથી, તે સાફા ઉપર ત્રણ કે છ વૉટની પોટીની જગ્યાએ સાઠ કે સો વૉટનો વીજળી-ગોળો લટકાવીને દેખાડો કરતો નહીં. જોકે, પોતે એ વાતે પણ ડરતો કે, જી..બી. આનું તોતિંગ બિલ તો નહીં ફટકારી દે ને? તેર વર્ષની તરુણ વયે, છઠ્ઠા ધોરણમાં વિજ્ઞાનના વિષયમાં એટુકેટુ આવ્યું હોય, પણ બલ્બ અને બેટરીને જોડતા ધન અને ઋણ ધ્રુવ વિશે તે ચોક્કસ અને સજાગ રહેતો. લગ્નની છેડાછેડી ભલે છૂટી જાય, પરંતુ બલ્બ-બેટરીના છેડા છૂટી જાય તો વરરાજાને એવું લાગતું કે પોતાનું મોં બતાવવા જેવું નહીં રહે. કારણ કે, એ જમાનામાં આવી વાતોને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ વગર પણ આખાં ગોળ-પરગણામાં ફેલાઈ જતાં અલ્પ વાર અને એ જ તારીખ લાગતી હતી.

વરરાજાના ‘ભાવિ’ સસરા જે થોડી જ વારમાં ‘ચાલુ વર્તમાન’ સસરા થવાના હોય, તેઓ ટ્રાફિક પોલીસમાં નોકરી કરતા હોય કે ન હોય, પણ જેને પરણ‘વા’ ઊપડ્યો હોય તે વરરાજો શું કામ હેલ્મેટ પહેરે? આથી, જ્ઞાતિ અને મતિ અનુસાર વરરાજા માથે ગાંધીટોપી, ફાળિયું, પાઘડી, કે સાફો ધારણ કરતો. તેના મસ્તક ઉપર બિરાજમાન વટવસ્ત્રમાં, ઉજ્જડ ભાલપ્રદેશથી ચારેક ઇંચ ઉપર સજ્જડ 'બલબડી' ટિંગાડી હોય. જોકે, તેના લાલ-કાળા વાયર બહાર લબડતા હોય તો કાળો વર લાલબમ થઈ જતો, અને દોરડાં સંતાડવાની વેતરણમાં પીઠીપીળા પરસેવે રેબઝેબ થઈ જતો.

વરરાજાની સમજ અને ક્ષમતા અનુસાર, સાફા કે પાઘડીની અંદરની બાજુએ અથવા કોટી કે ઝભ્ભાના નીચેના ખિસ્સામાં ગોઠવાયેલા પેન્સિલ બેટરી-સેલ સુધી પહોંચવા માટે દોરડાં લાંબાં કરવામાં આવતાં. કેટલાક કિસ્સામાં તો પેન્સિલિયા બેટરી-સેલનું આયુષ્ય લગ્નજીવનકાળ કરતાં વધારે લાંબું સાબિત થતું હતું. આ સમગ્ર પ્રકાશ-આયોજનમાં સ્વિચ અર્થાત્ કળનો રિવાજ નહોતો. વરરાજા પહેલાં મનમાં ગાંઠ બાંધતો, પછી વાયરના બે છેડાને ગાંઠ મારતો. જેના કારણે પ્રકાશને પ્રસરવાની ફરજ પડતી હતી. અહીં, વર કળથી નહીં, પણ બળથી કામ લેતો હતો!

હવે તો પીળાશ પડતી 'બલ્બી'ની જગ્યાએ રંગીન મિજાજની એલઈડી ગોઠવાઈ ગઈ છે. આ ટચૂકડી ચાઇનીઝ બત્તીઓ લગ્નવિધિ પૂર્ણ થયા પછી પણ સાંકેતિક રીતે બૂકઝબૂક થયા કરે છે. આ જ પ્રમાણે પેન્સિલ આકારની છ વૉટની બેટરીનું સ્થાન લંબચોરસ આકારની નવ વૉટની રૂપકડી બેટરીએ પચાવી પાડ્યું છે. વળી, લાંબાલચક વાયરની જગ્યાએ નાનકડી સર્કીટથી મોટો પ્રસંગ પાર પડી જાય છે.

આજકાલ રજપૂતાની પાઘડી કે રજવાડી સાફામાં હીરાજડિત કલગીથી શોભતા દુલ્હારાજા જાહેર ખબરોમાં ભરપૂર જોવા મળે છે. જોકે, કલગીની મધ્યમાં ગોઠવેલી ઝીણી પીળી બલ્બડીથી પ્રકાશ અને પ્રભાવ પાથરતાં વરરાજા જાહેર જીવનમાં ભાગ્યે જ જોવા મળે છે. લગ્નચર્યાના અભિન્ન અંગ સમાન આ ઘટના-વિશેષ હવે 'વિસરાતી વિધિ' બની રહી છે. થોડા વખત પછી એવું બને કે, ગરીબીની રેખા નીચે જીવતા પરિવારના સૌથી નાના દીકરાના પહેલી વારના લગ્ન માટે, 'ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા' સૂર્યશક્તિથી ચાલતી વીજગોળી ખરીદવા માટે પચાસ ટકા સહાયકી(સબસિડી) પણ આપે. જોકે, વરમસ્તક ઉપર ચઢીને પ્રકાશ અને પોકાર પાડતી આ દુર્લભ લઘુગોળી ઉપર, 'નેશનલ જીઓગ્રાફી' દસ્તાવેજી ચલચિત્ર પ્રસારિત કરશે ત્યારે જ આપણને ગૌરવ લેવાનું યાદ આવશે ને!

શાળામાં અમુક કલાક ભરી આવતો વિદ્યાર્થી પરીક્ષામાં એક ગુણની ખાલી જગ્યા ભરી શકે તેટલા માટે, વીજળીના ગુણવત્તાયુક્ત અને વેચાણસક્ષમ ગોળાની શોધ થોમસ આલ્વા એડિસન (૧૮૪૭-૧૯૩૧) નામના વિજ્ઞાનીએ કરી હતી. ગૂગલથેલામાંથી મળેલી છૂટક માહિતી મુજબ, અમેરિકામાં વીજગોળાઓને એક મિનિટ માટે 'ડિમ' કરીને એડિસનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એડિસન દેવ થઈ ગયા એ વાતને આજે તો વર્ષો વીતી ગયાં. છતાં, ગુજરાત જેવા વિજ્ઞાન-કદરદાન રાજ્યમાં લગ્નપ્રસંગે વરરાજા પોતાના માથે વીજળીની ગોળી ચાલુ રાખીને થોમસ આલ્વા એડિસનને પ્રકાશાંજલિ આપે છે! ટ્વીટર, ફેસબૂક, અને વોટ્સ-એપ્પના જમાનામાં આપણે આવી ગપ્પુંડી લગાવીએ તો એ જાણીને 'ધોળા મકાનના ધણી' ()બરાક ઓબામા અંગ્રેજીમાં ગળગળા થઈ જાય એવી ગળા સુધી ખાતરી છે.

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :

વરરાજાને દીધા વીજગોળીએ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/06052015/0/1/

હળવે હૈયે


http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/06052015/0/1/

http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/06052015/0/1/


Sunday, May 3, 2015

'ર' નરનો 'ર' // અશ્વિનકુમાર


http://saarthakprakashan.com/sarthak-jalso/


સૌજન્ય : 
* 'ર' નરનો 'ર'  // અશ્વિનકુમાર 
'સાર્થક જલસો', ઉનાળુ અંક, પુસ્તક-૦૪, મે, ૨૦૧૫, પૃષ્ઠ : ૧૦૯-૧૧૧

વાંચો 'જલસો', કરો જલસો
http://saarthakprakashan.com/sarthak-jalso/