Showing posts with label Kashyapi Maha. Show all posts
Showing posts with label Kashyapi Maha. Show all posts

Monday, September 20, 2021

કાશ્યપી મહાને મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’ના ગુજરાતીમાં અનુવાદ બદલ સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કાર - ૨૦૨૦

 

કાશ્યપી મહા તસવીર સૌજન્ય : પરીક્ષિત જોશી

સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે સુશ્રી કાશ્યપી મહાને પ્રાપ્ત થયો છે. હિન્દીમાં ૨૦૧૫માં મૃદુલા સિન્હા દ્વારા લખાયેલી લંકાપતિ રાવણની પત્ની સતી મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’ના ૨૦૧૬માં પ્રકાશિત થયેલા ગુજરાતી અનુવાદ માટે એમને જાહેર થયો છે. વર્ષ ૨૦૨૦ માટેના આ પુરસ્કારમાં રુ. ૫૦૦૦૦ અને તામ્રપત્રનો સમાવેશ થાય છે. ગુજરાતી અનુવાદ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયો હતો. ‘પરિતપ્ત લંકેશ્વરી’ પુસ્તક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.એ.ના અભ્યાસક્રમમાં પણ સામેલ થયેલું છે.

કાશ્યપી મહાને આ પહેલાં, અનુવાદ સહિતના લેખિકાના તમામ પ્રકારના પુસ્તકોની શ્રેણીમાં વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં ગુજરાતી સાહિત્ય પરિષદનો અનુવાદ પુરસ્કાર પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. અંગ્રેજીમાં પોલ બ્રન્ટન દ્વારા લખાયેલા પુસ્તકનો કાશ્યપી મહા દ્વારા ગુજરાતીમાં થયેલા અનુવાદ ‘હિમાલય અને એક તપસ્વી’ને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. કાશ્યપીએ મરાઠી, હિન્દી, અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અત્યાર સુધીમાં ૬૫ ઉપરાંત પુસ્તકોના અનુવાદ આપ્યાં છે.

કાશ્યપી મહાએ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં ઈ.સ. ૧૯૯૭માં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ પત્રકારત્વમાં એમ.એ. અને એમ.ફિલ.ની પદવી ધરાવે છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પત્રકારત્વના મુલાકાતી અધ્યાપક ઉપરાંત તેઓ વિવિધ ગુજરાતી અખબારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યાં છે.

તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ રવીન્દ્ર ભવન, નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કંબારની અધ્યક્ષતામાં યોજાયેલી કાર્યકારી મંડળની બેઠકમાં ૨૪ ભારતીય ભાષાઓના પુસ્તકો માટે વર્ષ ૨૦૨૦ના સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કારનો અંતિમ નિર્ણય કરવામાં આવ્યો હતો. પુરસ્કાર માટેના પુસ્તકોનું ચયન માટે દરેક ભાષાની એક ત્રિસદસ્યીય નિર્ણાયક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા માટેની ચયન સમિતિમાં પ્રા. સંજય શ્રીપાદ ભાવે, ડૉ. વર્ષા દાસ અને શ્રી નિરંજન રાજ્યગુરુએ પોતાની સેવાઓ આપી હતી.

આ પહેલાં, વર્ષ ૨૦૨૦ માટે સાહિત્ય અકાદેમી દ્વારા ગુજરાતી ભાષાના સાહિત્યકારો સર્વશ્રી હરિશ મિનાશ્રુ (મુખ્ય પુરસ્કાર), નટવર પટેલ (બાલ પુરસ્કાર) અને અભિમન્યુ આચાર્ય (યુવા ગૌરવ પુરસ્કાર)ને પણ પુરસ્કાર જાહેર થઈ ચૂક્યા છે.

 
(વિગત સૌજન્ય : પરીક્ષિત જોશી)