Showing posts with label Development Communication - Gandhi. Show all posts
Showing posts with label Development Communication - Gandhi. Show all posts

Wednesday, April 29, 2015

ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના

- ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
................................................................................................................................

ઈ.સ. ૧૯૦૯માં મો.ક. ગાંધીએ માતૃભાષા ગુજરાતીમાં 'હિંદ સ્વરાજ' લખ્યું. તેમણે તેનો અંગ્રેજી અનુવાદ 'ઇન્ડિયન હોમ રુલ' નામે કર્યો. ઈ.સ. ૧૯૧૨માં ગોપાલકૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમણે આ અનુવાદ જોયો. ગોખલેને ગાંધીનું આ લખાણ અણઘડ લાગ્યું. તેમને ગાંધીના આ વિચારો ઉતાવળે બાંધેલા લાગ્યા. ગોખલેએ ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે, હિંદમાં એક વરસ રહ્યા પછી ગાંધી જાતે જ આ પુસ્તકનો નાશ કરી દેશે. આજે ગોખલે હોત તો તેઓ કબૂલ કરત કે, તેમણે સો વર્ષ પહેલાં જે પુસ્તકનું ભવિષ્ય ભાખ્યું હતું તે તો ભવિષ્યનું પુસ્તક હતું! એક કાળે 'હિંદ સ્વરાજ' વિશે ગોખલેનો મત હતો કે, "આ મૂરખ માણસની કૃતિ છે." આજના કાળે ગોપાલકૃષ્ણ હોત તો મોહનદાસના 'હિંદ સ્વરાજ' વિશે આપણને કહેત : "મૂરખ, આ માણસની કૃતિ છે!" લોર્ડ લોધિયન સેવાગ્રામ આવ્યા ત્યારે તેમણે મહાદેવ દેસાઈ પાસે 'હિંદ સ્વરાજ'ની નકલ માગી હતી. લોર્ડ લોધિયને કહ્યું હતું : "ગાંધીજી અત્યારે જે કંઈ ઉપદેશી રહ્યા છે તે આ નાનકડી ચોપડીમાં બીજરૂપે પડેલું છે, અને ગાંધીજીને બરાબર સમજવા માટે એ ચોપડી ફરી ફરી વાંચવી ઘટે છે." ગાંધીવિચાર અને ગ્રામચેતનાને મૂળથી સમજવા માટે 'હિંદ સ્વરાજ'ને વધુ અને વધુ વખત વાંચવી-પચાવવી પડે એમ છે.

ગ્રામસમાજને માતૃભાષા સાથે એક જ સંબંધ હોય છે : સીધો ! 'હિંદ સ્વરાજ'માં ગાંધી સ્વરાજ અંગે માંગણી કરે અને સ્વભાષા અંગે લાગણી વ્યક્ત ન કરે એ કેમ બને? તેઓ લખે છે : "આપણે સ્વરાજની વાત પરભાષામાં કરીએ છીએ એ કેવી કંગાલિયત!" (પૃ.૬૫) હિંદુસ્તાન સેંકડો, હજારો નહીં, પણ લાખો ગામડાંનો બનેલો મુલક છે. આથી, ગાંધી સઘળી પ્રાદેશિક ભાષાઓની ચિંતા કરતાં કહે છે : "મને તો લાગે છે કે આપણે આપણી બધી ભાષાને ઉજ્જવળ કરવી ઘટે છે."(પૃ.૬૬) મો.ક. ગાંધીએ 'હિંદ સ્વરાજ' લખ્યું ત્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં લગભગ સોળ વરસનો સંગ અને સાન મેળવી ચૂક્યા હતા. આટલો લાંબો વખત વતનથી દૂર રહેવા છતાં તેમની માતૃભાષામાં ગ્રામીણ સંદર્ભ સચવાયેલો માલૂમ પડે છે. 'હિંદ સ્વરાજ'નાં લખાણમાં વપરાયેલાં કેટલાંક દાખલા-દલીલો, કહેવતો-રૂઢિપ્રયોગોમાં ગ્રામવાસ્તવનું ઠાલું ગૌરવ નહીં, પણ ઠોસ રવ સંભળાય છે. તેની સાબિતી આ રહી : "તમે જરા ખામોશ પકડશો તો તમને જે જોઈએ છે તે જ મળશે. 'ઉતાવળે આંબા ન પાકે', એ કહેવત યાદ રાખજો."(પૃ.૦૨); "હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીની નીચે કરે છે ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન ઉપર જોવામાં આવે છે."(પૃ.૦૬); "મારે દરિયો ઓળંગવાનું સાધન વહાણ જ હોઈ શકે. જો ગાડું પાણીમાં ઝંપલાવું તો ગાડું અને હું બંને તળિયે જઈએ."(પૃ.૪૮) 

ગાંધી ખેતીના કામને ખાવાના ખેલ નથી માનતા! તેમનું એ મતલબનું માનવું છે કે, નિર્ભયતાનું પ્રમાણ આપવું એટલે ખેતરમાં પથારી કરવી! ગાંધી દૃઢપણે કહે છે : "જાણજો કે જે દેશમાં પહાડી લોકો વસે છે, જેમાં વાઘવરુ વસે છે, તે દેશમાં રહેનારા માણસો જો ખરેખરા બીકણ હોય તો તેઓનો નાશ જ થાય. તમે કોઈ દિવસ ખેતરોમાં ગયા છો? તમને હું ખાતરીપૂર્વક કહું છું કે, ખેતરોમાં આપણા ખેડૂતો નિર્ભય થઈને આજ પણ સૂએ છે; ત્યારે ત્યાં અંગ્રેજ અને તમે સૂવાની આનાકાની કરશો. બળ તે નિર્ભયતામાં રહ્યું છે; શરીરમાં માંસના લોચા બહુ હોવામાં બળ નથી, એ તમે થોડો જ ખ્યાલ કરશો તો જાણી લેશો."(પૃ.૨૩) ગાંધીના મતે હિંદુસ્તાનની ઓળખ એટલે ખેતીનો મુલક. ગાંધી હિંદુસ્તાનની ખેતીની વાત કરે અને ગાયનો મહિમા ન ગાય એ કેમ બની શકે? તેઓ કહે છે : "હું પોતે ગાયને પૂજું છું, એટલે કે માન આપું છું. ગાય એ હિંદુસ્તાનની રક્ષા કરનારી છે, કેમ કે તેની પ્રજા ઉપર હિંદુસ્તાન, જે ખેતીનો મુલક છે, તેનો આધાર છે. સેંકડો રીતે ગાય એ ઉપયોગી પ્રાણી છે."(પૃ.૨૯) જોકે, ગાંધી કૃષિ અને ગોપાલનની ચર્ચામાં છેવટે તો એકતા અને અહિંસાને જ વધારે ગુણ આપે છે.

પૂર્વજોએ બાંધેલી હદનો ઉલ્લેખ કરતાં, ગાંધી ગામની વાત આ રીતે કહે છે : "તેઓએ વિચાર્યું કે મોટાં શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો."(પૃ.૩૯) 'ગામ'ની સાથે-સાથે 'આમ'ની વાત કરતાં તેઓ કહે છે : "આમ(સામાન્ય) પ્રજા તો તેથી નિરાળી રીતે પોતાના ખેતરનું ધણીપદું કરતી. તેઓની આગળ ખરું સ્વરાજ હતું." (પૃ.૪૦) 'શું હિંદુસ્તાનમાં તોપબળ નથી ચાલ્યું?' એવો સવાલ પૂછનાર વાચકને અધિપતિ જવાબ આપે છે : "તમારે મન હિંદુસ્તાન એટલે ખોબા જેટલા રાજાઓ છે. મારે મન તો હિંદુસ્તાન તે કરોડો ખેડૂતો છે કે જેના આધારે રાજા તથા આપણે બધા વસીએ છીએ."(પૃ.૫૮) આવું કહીને ગાંધી દેશનાં લાખો ગામડાંમાં વસતા કરોડો ખેડૂતોને દેશનું ચાલકબળ ગણાવીને ગ્રામચેતના પ્રગટાવે છે. આના અનુસંધાનમાં એક ગામનું ઉદાહરણ આપીને તેઓ સત્યાગ્રહ અને સ્વરાજને સાંકળતાં કહે છે : "મને ખ્યાલ છે કે એક રાજસ્થાનમાં રૈયતને અમુક હુકમ પસંદ નહીં પડ્યો તેથી રૈયતે ગામ ખાલી કરવાનું શરુ કર્યું. રાજા ગભરાયા ને રૈયતની માફી માંગી ને હુકમ પાછો ખેંચ્યો. આવા દાખલા તો ઘણા મળી શકે છે. પણ તે મુખ્યત્વે કરીને ભરતભૂમિનો જ પાક હોય. આવી જ્યાં રૈયત છે, ત્યાં સ્વરાજ છે. તે વિનાનું સ્વરાજ તે કુરાજ છે."(પૃ.૫૯) 

મો.ક. ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રસ્કિનના 'અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકના વાચન-ચિંતન-મનનના પગલે પ્રગટાવેલા 'સર્વોદય'ના સિદ્ધાંતોને, 'હિંદ સ્વરાજ'ની ગ્રામ-ચેતનાના પૂર્વ સંદર્ભે ખાસ યાદ કરવા જેવા છે. તેઓ 'સત્યના પ્રયોગો'માં લખે છે : " 'સર્વોદય'ના સિદ્ધાંતો હું આમ સમજ્યો : (૧) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. (૨) વકીલ તેમ જ વાળંદ બન્નેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે. (૩) સાદું મજૂરીનું ખેડૂતનું જીવન જ ખરું જીવન છે."(ગાંધી, ૨૦૦૯, પૃ.૨૭૫-૨૭૬) 'હિંદ સ્વરાજ'ના જન્મ આસપાસનાં વર્ષોમાં ગાંધીએ ફિનિક્સ વસાહત અને ટૉલ્સ્ટૉય વાડી થકી ગ્રામજીવન શૈલીનો ડિલથી અને દિલથી સ્વીકાર કરી લીધો છે. આથી, ગાંધીના 'હિંદ સ્વરાજ'ની મૂલવણી કરતાં એક વ્યાખ્યાનમાં, સમાજ-રાજનીતિશાસ્ત્રી આદિત્ય નિગમ કહે છે : "It is worth bearing in mind that when he wrote Hind Swaraj, Gandhi, far removed for the world of politics in India, had already set the stage for this life-long drama. Reading John Ruskin's Unto This Last on an overnight train journey, his imagination had been so fired that he had decided to "change my life in accordance with the ideals of that book". The Phoenix Settlement that emerged as a result, in 1904, was an agricultural settlement, which was to be followed in 1910 by the Tolstoy Farm on a much larger area of land. These farms or settlements were meant to instantiate and preserve a way of life that Gandhi, like his soul-mates Ruskin and Tolstoy, saw to be under threat from modern civilization."(Nigam, 2010, p.18-19)

ગાંધીજી બળદગાડાનાં પૈડાં અને ચરખાનાં ચક્રોને ગતિમાં રાખવાનું કહે એટલે દુનિયાનો વિકાસ અટકી પડે? આધુનિક સુધારાની ટીકાઓની સમીક્ષા કરતાં, અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રમેશ બી. શાહ નોંધે છે : "આધુનિક ઉદ્યોગો અને યંત્રો અંગેના ગાંધીના વિચારો વિશે મોટા પ્રમાણમાં ગેરસમજ થઈ છે. ગાંધીજી શું બળદગાડાં અને ચરખાની પ્રાચીન ટેક્નોલોજીને વળગી રહેવા માગતા હતા? તેમને શું દેશના ઉદ્યોગીકરણનો વિરોધ હતો? આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે ઉદ્યોગીકરણ અંગેની ગાંધીજીની દૃષ્ટિને સમજવી જરૂરી છે. ડેનિયલ હેમિલ્ટન પરના પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું કે, "ઉદ્યોગીકરણના આધુનિક અર્થમાં ભારતને ઉદ્યોગીકરણની જરૂર નથી." પશ્ચિમમાં જે ઉદ્યોગીકરણ થયું તેમાં મૂડીપતિઓ અને મજૂરો એવા બે વિભાગોમાં સમાજ વહેંચાઈ ગયો હતો, કારણ કે યંત્રો વગેરે ઉત્પાદનનાં ભૌતિક સાધનો એટલાં મોટાં અને કીમતી બની ગયાં કે જેથી કામદારો તેના માલિક બનીને સ્વતંત્ર રીતે ઉત્પાદન ન કરી શકે. આ યંત્રોની માલિકી મૂડીપતિઓના નાના વર્ગ પાસે આવી ગઈ અને કામદારો રોજગારી માટે લાચારીની સ્થિતિમાં આવી ગયા." (શાહ, ૨૦૦૮, પૃ.૨૮) આધુનિક સુધારની એક લાક્ષણિકતા ઉત્પાદન પદ્ધતિમાં આવેલ પરિવર્તન છે એવું કહીને ત્રિદીપ સુહૃદ નોંધે છે : ".. કૃષિ ઉદ્યોગ બને છે, તેમાં શરીર શ્રમનું યોગદાન ઘટે છે અને યંત્રો દ્વારા ઉત્પાદન થાય છે. સાથે જ ઉત્પાદનમાં વૃદ્ધિથી મૂડીનો સંચય થાય છે. મૂડી સંચય વિના કૃષિથી કારખાનાંની મજલ કાપી શકાય નહીં. આધુનિક સુધારમાં શ્રમ અને મૂડી વચ્ચેનાં સમીકરણ બદલાય છે; મૂડીનો પ્રકાર બદલાય છે. જમીન અને શ્રમશક્તિ કરતાં મૂડી સંચયને પ્રાધાન્ય મળે છે અને મૂડીપતિ જે ઉત્પાદનનાં સાધનો અને શ્રમ ખરીદી શકે છે તેને અન્યના શ્રમનો લાભ મળે છે. સાથે, ઉત્પાદનના સ્થળમાં પણ ફેરબદલ આવે છે. શ્રમ કારખાનાંઓમાં એકત્રિત થાય છે અને ત્યાં શ્રમ વિક્રય થાય છે. .." (સુહૃદ, ૨૦૦૮, પૃ.૭૯)

પ્રાચીન હિંદ અને ગ્રામીણ સંસ્કૃતિ સારુ ગાંધીજીએ 'હિંદ સ્વરાજ'માં રજૂ કરેલા વિચારો અંગે રમણ મોદી કહે છે : "પ્રાચીન હિંદના ઋષિમુનિઓએ તિતિક્ષાપૂર્વક ખીલવેલી પરાવિદ્યાને અને નિપજાવેલી હિંદની સંસ્કૃતિને લક્ષમાં લઈ ગાંધીજીએ કહ્યું : "રોમ ધૂળધાણી થઈ ગયું, ગ્રીસનું નામ જ રહ્યું, ફિરિયા(ઇજિપ્ત)ની બાદશાહી ચાલી ગઈ, જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું. ચીનનું કંઈ કહેવાય નહીં. પણ પડ્યું આખડ્યું તોપણ હિન્દુસ્તાન હજુ તળિયે મજબૂત છે." અહીં એમની પ્રબળ દેશભક્તિ દૃષ્ટિએ પડે છે, અને હૃદયમાંથી આવતી વાણીનું બળ અહીં દેખાય છે. શહેરી સભ્યતા અને સુધારા કરતાં વધારે ચિરંજીવી એવી ગ્રામસંસ્કૃતિની ભવ્યતા સમજાવતું ઋષિઓનું આર્ષદર્શન રજૂ કરતાં કહ્યું : "આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે. તેમાં જ તંદુરસ્તી છે.""(મોદી, ૨૦૦૭, પૃ.૭૯) અહિંસક સમાજરચનાની દિશામાં ગ્રામસ્વરાજ અંગેનું બીજ રૂપ ચિંતન આપણને 'હિંદ સ્વરાજ'માં મળે છે, એવું સ્પષ્ટપણે માનનાર કાંતિ શાહનો મત આ મુજબ છે : "આજે અહિંસક સમાજ-રચનાની આછી-પાતળી રૂપરેખા આપણી સામે આવી છે. ગાંધીએ બહુ પહેલાં એ વાત સમજી લીધી હતી કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસને કારણે સત્તા અને સંપત્તિના કેન્દ્રીકરણનો રસ્તો ખૂલી જશે તથા કેન્દ્રિત સત્તા ને કેન્દ્રિત સંપત્તિ આખી માનવજાતને પોતાની ગુલામ બનાવી લેશે. એટલા માટે જ એમણે ગ્રામસ્વરાજનો અને વિકેન્દ્રીકરણનો વિચાર મૂક્યો. એમણે કહ્યું કે ભારતે જો પોતાનો વિકાસ અહિંસાની અર્થાત અ-શોષણની અને ન્યાયની દિશામાં કરવો હશે, તો તેણે ઘણીખરી ચીજોનું વિકેન્દ્રીકરણ કરવું પડશે. તેને બદલે જો કેન્દ્રીકરણ કરવામાં આવશે, તો તેને કાયમ રાખવા માટે અને તેની રક્ષા કરવા માટે હિંસાનો આશરો લેવો અનિવાર્ય બની જશે. અહિંસક સમાજરચના સ્વાવલંબી અને સ્વાશ્રયી ગામોના આધાર પર જ ઊભી કરી શકાય."(શાહ, ૨૦૦૮, પૃ.૨૦૭) કાંતિ શાહ 'હિંદ સ્વરાજ'ને 'સર્વોદયનું ઘોષણાપત્ર' કહે છે, એ કેટલું સચોટ અને સૂચક છે! 

સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ, 'ચેતના' એટલે (૧) ચૈતન્ય; જીવનશક્તિ અને (૨) સમજશક્તિ. આ અર્થમાં આંખો ઝીણી કરીને ભાળીએ તો, 'હિંદ સ્વરાજ'માં ગાંધી જગ-જડતા સામે ગ્રામચેતના પ્રગટાવે છે. શરીરશ્રમ ભલે શહેરની શરમ હોય પણ ગામનો ધરમ હોય છે. ગાંધીના મતે પરસેવાનું એક જ કરમ હોઈ શકે : વહેતા રહેવાનું ! આથી, તેઓ ભારપૂર્વક કહે છે : "હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે, તેમાં જ તંદુરસ્તી છે."(પૃ.૩૯) ગાંધીની ચિંતા 'આધુનિક સુધારા' સામે છે. તેમના મતે આ 'સુધારો' નહીં પણ 'કુધારો' છે. જે મુખ્યત્વે ગ્રામજગતનું ધનોત-પનોત કાઢી નાખવા પૂરતો સક્ષમ છે. ગાંધીનો વિરોધ યંત્રો સામે નહીં પણ યંત્રોની ઘેલછા સામે છે. ગામનું છત્ર, સત્ર અને તંત્ર વેરણ-છેરણ કરી નાખવું એ યંત્રની ટોળકીનો એક જ મંત્ર હોઈ શકે. ગામજનો હાથ-પગ હલાવતાં બંધ થાય એટલે છેવટે એમના હાથ-પગ તોડી શકાય! ગાંધીના 'હિંદ સ્વરાજ'ની ગ્રામચેતનામાં સંસ્કૃતિ અને સમભાવ, સ્વદેશી અને સ્વરાજ, સત્યાગ્રહ અને સર્વોદય સમાયેલાં છે. 'આર્યન પાથ' નામના અંગ્રેજી માસિકના સપ્ટેમ્બર, ૧૯૩૮માં પ્રગટ થયેલા 'હિંદ સ્વરાજ અંક' માટે મોકલેલા સંદેશામાં ગાંધીજી લખે છે: "વાચક એ પણ જાણે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓમાં જે સડો પેસવાની અણી પર હતો તે આ લખાણે અટકાવ્યો હતો." આજે ભારતનાં મોટાં ભાગનાં ગામડાં ગૂમડાં બની રહ્યાં છે ત્યારે, ગાંધીએ 'હિંદ સ્વરાજ' થકી પ્રગટાવેલી ગ્રામચેતનાથી સાચું ગ્રામ સ્વરાજ આવશે. અને એ રસ્તે આગળ ચાલવાથી ખરેખર હિંદ સ્વરાજ થશે.

ભારત ગામડાંમાં વસે છે, શ્વસે છે. જોકે, સમાચારપત્રો, સામયિકો, પુસ્તકો જેવાં મુદ્રિત; રેડિયો, ટેલીવિઝન, સિનેમા જેવાં દૃશ્ય-શ્રાવ્ય; ઇન્ટરનેટ અને સોશ્યલ નેટવર્કિંગ જેવાં નૂતન માધ્યમોની ભરમાર છતાં ગ્રામીણ સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ જોઈએ તેવું ઝિલાતું નથી. કૃષિ અને પશુપાલન સામે ઉદ્યોગોનું દબાણ, ખેતીલાયક જમીન અને ગોચરમાં ઘટાડો, મોસમમાં આવતાં અકલ્પનીય પરિવર્તનો, રાસાયણિક ખાતરોનું ભયજનક પ્રમાણ, બિયારણમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની ઇજારાશાહી, સિંચાઈ જળની અગવડ, ખેતપેદાશોના વેચાણ માટે પ્રતિકૂળ બજાર-વ્યવસ્થા, ખેડૂતોની વધતી જતી આત્મહત્યા, સંકોચાતી ગ્રામીણ બોલીઓ-ભાષાઓ, ગ્રામીણ સંસ્કૃતિ ઉપર શહેરીકરણનું આક્રમણ, જેવા અનેક સવાલો મોઢું ફાડીને ઊભા છે. આથી, આપણાં સાહિત્ય અને પત્રકારત્વમાં ગ્રામીણ ધબકાર સંભળાય એ અપેક્ષિત છે. આ સંજોગોમાં ગ્રામચેતના સંદર્ભે ગાંધીજીનું ‘હિંદ સ્વરાજ’ સદાકાળ સાંપ્રત અને પ્રસ્તુત જણાય છે. 

...............................................................................................................................
સંદર્ભ-સૂચિ

ગાંધી, મોહનદાસ કરમચંદ(૨૦૦૮). હિંદ સ્વરાજ (પહેલી આવૃત્તિ, ૧૯૨૨; પુનર્મુદ્રણ, ૨૦૦૮). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

ગાંધી, મોહનદાસ કરમચંદ(૨૦૦૯). સત્યના પ્રયોગો અથવા આત્મકથા (પહેલી આવૃત્તિ, ૧૯૨૭; પુનર્મુદ્રણ, ૨૦૦૯). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર. 

મોદી, રમણ(૨૦૦૭). ગાંધીજીનું સાહિત્ય (પહેલી આવૃત્તિ, ૧૯૭૧; પુનર્મુદ્રણ, ૨૦૦૭). અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.

શાહ, કાંતિ(૨૦૦૮). 'હિંદ સ્વરાજ’: એક અધ્યયન (પ્રથમ આવૃત્તિ, ૨૦૦૭; બીજી આવૃત્તિ, ૨૦૦૮). વડોદરા : યજ્ઞ પ્રકાશન સમિતિ. 

શાહ, રમેશ બી.(૨૦૦૮). હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ. અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ. 

સુહૃદ, ત્રિદીપ(૨૦૦૮). હિંદ સ્વરાજ્ય વિશે. વડોદરા : પૂર્વ પ્રકાશ. 

Nigam, Aditya (2010). Gandhi - the 'Angel of History’: Reading Hind Swaraj Today. Ahmedabad: Gujarat Vidyapeeth.

................................................................................................................................
લેખક-સંપર્ક :

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪ 
વીજાણુ ઠેકાણું : ashwinkumar.phd@gmail.com

................................................................................................................................
સૌજન્ય :

'સમાજકારણ' (ISSN 2319-3522) (ગુજરાત સામાજિક સેવામંડળનું મુખપત્ર)
વર્ષ :૦૯, અંક : ૦૧, જાન્યુઆરી, ૨૦૧૫, પૃષ્ઠ : ૪૭-૫૦
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૫-૨૦૧૫; અંક : ૨૭૦, પૃષ્ઠ : ૦૫-૦૮


Monday, March 2, 2015

ગ્રંથસમીક્ષા | હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ |


‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’

ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

ગાંધીકથાકાર નારાયણ દેસાઈના મતાનુસાર, “ગાંધીજીના ગયા બાદની નવી શતાબ્દીમાં આપણે ગાંધીજીના વિચારોને ઇમાનદારીથી રજૂ કરી, યોગ્ય અર્થઘટન સાથે અંકે કરતા જઈએ, તો આવનાર પેઢીઓ ગાંધીવિચારને બહુ ઓછી વિકૃત કરી શકશે.” ગાંધીવિચાર અંગેની ગેરસમજને તર્કબદ્ધ રીતે દૂર કરવાના એક પ્રયાસમાંથી ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’ (ISBN : 81-89854-15-1; પ્રથમ આવૃત્તિ; માર્ચ, ૨૦૦૮; પૃષ્ઠસંખ્યા : ૬+૫૦=૫૬) નામનું પુસ્તક પરિણમ્યું છે. અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક રમેશ બી. શાહ લિખિત અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત થયેલું આ પુસ્તક ‘હિંદ સ્વરાજ’ના શતાબ્દી-અવસરે વાચકોને વિશેષ વિચારભાથું પીરસે છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગાર તેમના નિવેદનમાં લેખક રમેશ શાહ વિશે કહે છે કે, “ગાંધીજીને આ વ્યક્તિ જરૂર ગમી ગઈ હોત, તેમાં બેમત ન હોઈ શકે. બૌદ્ધિક વિલક્ષણતા સાથે ઊંડું ચિંતન કરનાર રમેશભાઈની ઇમાનદારી પણ એવી છે કે ગાંધીજીને પણ દો ટૂક વાત કરી દેવામાં તેઓ ખચકાટ અનુભવે નહિ, જ્યાં વિદ્યાને ગંભીરતાપૂર્વક સ્વીકારવામાં આવે તેવા વિશ્વવિદ્યાલયમાં આવાં બૌદ્ધિક લખાણોને જ શીર્ષસ્થાન પ્રાપ્ત થવું જોઈએ. ભાવકની વિભાવનાથી લખવાના સ્થાને સમીક્ષકની માનસિકતાથી થીસિસ(પૂર્વપક્ષ) તપાસી જવો એ સમાજ માટે વધુ હિતાવહ તથા ઉપયોગી નીવડે તેમ છે.” (પૃષ્ઠ : ૩) પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક નિખાલસ સ્વીકાર કરે છે કે, “પૂર્વે જુદાં જુદાં નિમિત્તે ‘હિંદ સ્વરાજ’ મેં બે વખત વાંચ્યું હતું. તેના ઘણા વાચકોની જેમ એ વખતે હું તેને કેવળ આધુનિક સુધારાના એક ભાગરૂપ આધુનિક ઉદ્યોગોના મર્યાદિત સંદર્ભમાં જ સમજ્યો હતો, અને તેથી તેમાંની મોટા ભાગની દલીલો મારા ગળે ઊતરી ન હતી. નીતિ પરનો ગાંધીજીનો ભાર મને વધુપડતો લાગ્યો હતો કેમ કે તેને હું સમગ્ર આધુનિક સુધારાની અનૈતિકતાના સંદર્ભમાં સમજ્યો નહોતો. ‘હિંદ સ્વરાજ’ ત્રીજી વખત વાંચવાનું મારા માટે સાચે જ ફળદાયી નીવડ્યું છે. ‘હિંદ સ્વરાજ’ વિશેની મારી કેટલીક (ગેર)સમજ દૂર થઈ છે.” (પૃષ્ઠ : 5)

આ પુસ્તકના, ‘ભૂમિકા’ શીર્ષક હેઠળના પ્રથમ પ્રકરણમાં લેખકે, ગાંધીવિચારના બીજ રૂપ ‘હિંદ સ્વરાજ’ પુસ્તકની મહત્વની વિગતો, પ્રાસ્તાવિકનાં કેટલાંક અવતરણો, ‘હિંદ સ્વરાજ’ના લેખન પૂર્વેનું ગાંધીજીનું વાચન-લેખન અને ગાંધીજીએ કેટલીક વ્યક્તિઓને લખેલા પત્રોની ઝીણવટપૂર્વક ચર્ચા કરી છે. જેના આધારે રમેશ બી. શાહ સમજાવે છે કે, “ ... ‘હિંદ સ્વરાજ’ના ત્રણ પાયાના મુદ્દાઓ (સ્વરાજ વિશેનો આગવો ખ્યાલ, ઔદ્યોગિક સંસ્કૃતિનાં અનિષ્ટો અને પોતાની કલ્પનાના હિંદ-સ્વરાજ માટે હિંસાની નિરર્થકતા) વિશે પૂરેપૂરા સ્પષ્ટ થયા પછી જ તેમણે ગણતરીના દિવસોમાં ‘હિંદ સ્વરાજ’ લખી નાખ્યું હતું. ...” (પૃ. ૫) ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિ અને ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં ખેડાયેલાં શાસ્ત્રોના સમર્થનમાં પશ્ચિમના અનેક લેખકોના મતને ટાંક્યા છે. આ તમામ બાબતોની તાર્કિક ચર્ચા કરીને રમેશ શાહ નોંધે છે : “ગાંધીજી દસ દિવસમાં, એમ કહી શકાય કે એકબેઠકે, ‘હિંદ સ્વરાજ’ લખી શક્યા કારણ કે તેની પાછળ ઘણાં વર્ષોનાં અભ્યાસ અને ચિંતન પડેલાં હતાં. એ વિચારો પૂર્વે તેઓ વિવિધ પ્રસંગોએ વ્યક્ત કરી ચૂક્યા હતા. ‘હિંદ સ્વરાજ’ ખૂબ લાઘવપૂર્વક સરળ ભાષામાં લખાયું હોવાથી તેના ઘણા વાચકોમાં તેના વિશે અને તેના લેખક વિશે કેટલીક ગેરસમજ થઈ છે.” (પૃ. ૮)

‘પાયાના મુદ્દા’ મથાળા તળેના બીજા પ્રકરણમાં (૧) સ્વરાજ, (૨) આધુનિક સુધારાનાં (ઔદ્યોગિક સંસ્કૃતિનાં) અનિષ્ટો અને ભારતીય સંસ્કૃતિ, જે ગાંધીની સમજ પ્રમાણે એક અહિંસક સંસ્કૃતિ છે, અને (૩) સ્વરાજ માટે સાધનશુદ્ધિના આગ્રહના ભાગરૂપે અહિંસાની હિમાયત. ... એમ આ ત્રણ મુદ્દા ઉપર ચર્ચા કેન્દ્રિત કરવામાં આવી છે. ‘સ્વરાજ’ વિશે લેખક નોંધે છે કે, “ ‘હિંદ સ્વરાજ’માં પાયાનો વિચાર સ્વરાજનો છે. એને તેની અંગ્રેજી આવૃત્તિમાં Home Rule તરીકે મૂકવામાં આવ્યું છે, પરંતુ ગાંધીજીને તેમાં કેવળ રાજકીય મુક્તિ અભિપ્રેત નથી. ” (પૃ. ૧૦) વળી, લેખકના મતે, “ ‘હિંદ સ્વરાજ’નું મૂલ્ય કેવળ દેશની આઝાદી માટે અહિંસા અને અસહકારના માર્ગનો પુરસ્કાર કરવામાં રહેલું નથી. ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય દેશોમાં પ્રસરેલી આધુનિક સંસ્કૃતિની તેમાં જે ટીકાઓ કરવામાં આવી છે તે આજે પણ મહદંશે પ્રસ્તુત છે. ” (પૃ. ૧૪) આ જ પ્રમાણે રમેશ બી. શાહ સાફ સાફ કહે છે કે, “અહિંસા માટેનો તેમનો આગ્રહ કેવળ રાજકીય ઉદ્દેશોના સંદર્ભમાં નથી, પરંતુ માનવીના પારસ્પરિક સંબંધોના સંદર્ભમાં છે. રાજકીય હેતુઓ માટે એક સાધન અને અન્ય સામાજિક હેતુઓ માટે બીજું સાધન એવાં બેવડાં ધોરણો એમને માન્ય નથી.” (પૃ. ૨૦)

‘આધુનિક સુધારાની ટીકાઓ : સમીક્ષા’ શીર્ષક નીચેના ત્રીજા પ્રકરણમાં ‘હિંદ સ્વરાજ’ સંદર્ભે ગાંધી અંગેની ગેરસમજોની સ્પષ્ટતા કરતા લેખક કહે છે : “આધુનિક સુધારાનાં બધાં જ પાસાંને તેમણે અસ્વીકાર્ય ગણ્યાં નથી; તેમ આધુનિક સુધારાને તેમણે અસાધ્ય રોગ પણ માન્યો નથી. હકીકતમાં તો આધુનિક અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય કરવાનો તેમનો પ્રયાસ હતો. આધુનિક સંસ્કૃતિનાં જે સારાં પાસાંનો તેમણે સ્વીકાર કર્યો હતો તે નોંધવા જેવાં છે : નાગરિક સ્વાતંત્ર્ય, નાગરિકો વચ્ચેની સમાનતા, નાગરિકોના અધિકારો, લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની આધુનિક સુધારામાં રહેલી ગુંજાશ, પરંપરાગત ગુલામીમાંથી સ્ત્રીઓનો છુટકારો અને સાંપ્રદાયિક સહિષ્ણુતા જેવી અનેક બાબતો તેમને સ્વીકાર્ય હતી, પરંતુ આ બધાં મૂલ્યોને તેઓ ધર્મ સાથે જોડવા માગતા હતા. ...” (પૃ. ૨૪) આ જ બાબતે લેખક વધુ સમજ આપતા લખે છે : “ગાંધીજીની અહિંસક સમાજ કે સંસ્કૃતિની કલ્પનામાં શોષણને કોઈ સ્થાન નથી. ગરીબી કે બેકારી ભોગવતી વ્યક્તિની લાચારીનો સમાજના અન્ય લોકો લાભ ઉઠાવે તે ગાંધીવિચારધારા પ્રમાણે શોષણ અને હિંસા ગણાય. તેથી ગાંધીવિચાર પ્રમાણે ઉત્પાદનની વ્યવસ્થા વિકેન્દ્રિત રહે અને કામદાર જ પોતાનો માલિક બની રહે એવાં યંત્રો-ઓજારોનો જ ઉત્પાદનપ્રથામાં ઉપયોગ થવો જોઈએ. આ યંત્રો અને ઓજારો પ્રાચીન કે મધ્યકાલીન ટેક્નોલોજી પર આધારિત હોય એવો તેમનો કોઈ આગ્રહ ન હતો. ઊલટું, તેઓ પ્રવર્તમાન વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરીને પરંપરાગત ઉદ્યોગોની ટેક્નોલોજીને સુધારવા માગતા હતા. ...”(પૃ. ૨૮,૨૯) વળી, રમેશ શાહ ‘આધુનિક સુધારાની ટીકાઓ’ના અનુસંધાનમાં નોંધે છે : “આધુનિક સુધારાનું એક મુખ્ય પાસું તેણે કેળવેલો ઉપભોગવાદ છે, જેને ‘હિંદ સ્વરાજ’માં બહિરસુખની શોધ કે શરીરસુખ જેવા શબ્દોમાં રજૂ કરવામાં આવ્યો છે. આ આધુનિક સુધારાએ માનવી માટે એક સર્વોચ્ચ મૂલ્ય પ્રસ્થાપિત કર્યું છે – તે છે જરૂરિયાતો વધાર્યે જવાનું. મનુષ્યજીવનના કોઈ બીજા ઉદ્દેશને તેમાં સ્થાન નથી. વ્યક્તિના જીવનની સાર્થકતા એણે કેવી અને કેટલી વપરાશ કરી તેમાં સમાઈ જાય છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસે અન્ય જે વલણો પેદા કર્યાં છે તે વિશેષ ટીકાપાત્ર છે.

“આધુનિક સુધારાના હાર્દરૂપ ઔદ્યોગિક ક્રાંતિએ કેવળ ઉત્પાદનપદ્ધતિ બદલી નથી, તેના પરિણામે કુદરતને જોવાનો માનવીનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. કુદરતના નિયમોને શોધી કાઢીને કુદરતનો ઉપયોગ માનવીની વધતી જતી ઇચ્છાઓ, જરૂરિયાતો સંતોષવા માટે કરવાનો છે. આ વલણનું પરિણામ આજે પર્યાવરણીય પ્રશ્નો અને ‘ગ્લોબલ વોર્મિંગ’માં જોઈ શકાય છે.” (પૃ. ૩૦) વધુમાં, ‘ગાંધીનો વિરોધ યંત્રોની સામે નથી, પણ યંત્રો માટેની ઘેલછા સામે છે.’ એ મુદ્દાને પણ લેખકે પૂરતાં દાખલા-દલીલોના આધારે સ્પષ્ટ કરી આપ્યો છે.

આ પુસ્તકનું ચોથું પ્રકરણ છે : ‘અહિંસક સંસ્કૃતિની ખોજ.’ જેમાં રમેશ શાહ ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તુતતા વિશે નિશ્ચિંત થઈને કહે છે : “હિંસાથી ભારતની રાજકીય આઝાદી મેળવવા પ્રયત્નશીલ હિંસાવાદીઓને હિંસાનો વૈકલ્પિક માર્ગ દર્શાવવા ‘હિંદ સ્વરાજ’ લખાયું હતું, પરંતુ તે કેવળ દેશની રાજકીય આઝાદી મેળવવાના ઉદ્દેશથી જ લખાયું નહોતું. તે દેશના સ્વરાજના અંતિમ ઉદ્દેશને નજર સમક્ષ રાખીને લખાયું હતું. ... તે આધુનિક સુધારાના વિકલ્પની ખોજ માટે લખાયું હતું, તેથી જ ‘હિંદ સ્વરાજ’ની પ્રસ્તુતતા આજે પણ છે, અને જ્યાં સુધી અહિંસક સંસ્કૃતિ કે સમાજના નિર્માણની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તે અપ્રસ્તુત બની શકે તેમ નથી. આધુનિક સુધારો હિંસાના પાયા પર રચાયેલો હોવાથી તે અધાર્મિક કે અનીતિમય છે. તેની જગાએ અહિંસાના પાયા પર ઊભેલી સંસ્કૃતિ – અહિંસક સંસ્કૃતિ રચવાનું તેનું લક્ષ્ય છે. ભારતની સંસ્કૃતિમાં પ્રવેશેલી અનેક વિકૃતિઓ છતાં તેમાં રહેલાં અહિંસક પાસાંને ધ્યાનમાં લઈને જ તેમણે ભારતીય સંસ્કૃતિનો મહિમા કર્યો છે.” (પૃ. ૪૦) આ પ્રકરણમાં લેખકે વિનોબા ભાવે અને કિશોરલાલ મશરૂવાળા જેવા ચિંતકોના વિચારો અને સંદર્ભોની પણ વિગતે છણાવટ કરી છે. વળી, લેખક એવું તારવે છે કે, “ ‘હિંદ સ્વરાજ’માં સંસ્કૃતિની જે વ્યાખ્યા નીતિને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે તે અહિંસક સંસ્કૃતિની વ્યાખ્યા છે. ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે જે અહિંસક હોય તેને જ સંસ્કૃતિ કહી શકાય. તે સિવાયની સંસ્કૃતિઓ કુધારો અથવા હિંસક સંસ્કૃતિ ગણાય. ગાંધીજી અહિંસક સંસ્કૃતિના હિમાયતી હતા તેનો અર્થ એવો નથી કરવાનો કે એ સમાજ પરોપકારી સંતોનો જ બનેલો હોય. લોકોની પ્રકૃતિમાં રહેલી હિંસક ભાવનાને શક્ય તેટલા ઓછા પ્રમાણમાં અવકાશ સાંપડે એવી સમાજરચના જ અહિંસક સમાજરચનાનો આધાર બની શકે એ ધારણા તેમાં રહેલી છે. અહિંસક સંસ્કૃતિ ધરાવતા સમાજમાં પણ લોકોને અન્યાય થાય અથવા રાજ્ય દ્વારા લોકોની વ્યાપક અનિચ્છા છતાં કેટલાક કાયદાઓ કરવામાં આવે તો તેનો પ્રતિકાર કરવાનો પ્રશ્ન ઊભો થાય. એ પ્રતિકાર અહિંસક માર્ગોએ કરવાની પ્રથા અહિંસક સંસ્કૃતિનું એક પાયાનું લક્ષણ ગણાય. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા અને ભારતમાં વિવિધ માર્ગોએ સત્યાગ્રહો કરીને અહિંસક પ્રતિકારના માર્ગોનાં ઉદાહરણો પૂરાં પાડ્યાં હતાં. ” (પૃ. ૪૪)

ચોથા પ્રકરણના અંતે સમાપન કરતા લેખક કહે છે કે, “ ... આપણે વિનોબાજીના એક અવલોકનમાં શ્રદ્ધા રાખવાની છે : જેણે દુનિયાને વિચાર આપ્યો છે તેણે દુનિયાને આકાર આપ્યો છે. ગાંધીના અહિંસક વિચારમાં સત્વ હશે તો તે આજે નહિ તો આવતી કાલે દુનિયાને આકાર આપશે. ૨૦૦૭થી શરૂ કરીને બીજી ઓક્ટોબરને અહિંસા દિન તરીકે મનાવવાનો જે વૈશ્વિક નિર્ણય કરવામાં આવ્યો છે તે એક ઔપચારિકતા હોવા છતાં શ્રદ્ધા પ્રેરનારી છે. ” (પૃ. ૪૭)

આ પુસ્તકના પ્રત્યેક પાનામાંથી સભાનતાપૂર્વક પસાર થવાથી આપણને ‘હિંદ સ્વરાજ’નો ગાંધીવિચાર અહિંસક સંસ્કૃતિની ખોજ તરફ આગળ વધતો માલૂમ પડે છે. સાદી પૂર્વભૂમિકા, સરળ દલીલો, રસપ્રદ ઉદાહરણો, સહજ ભાષા-શૈલી અને યથાર્થ ગાંધીઅવતરણોની મદદથી તાર્કિક વિચારશ્રેણી રચીને લેખક રમેશ બી. શાહ ‘હિંદ સ્વરાજ’ વિશેની ગેરસમજને ભૂંસવામાં સફળ રહ્યા છે. પ્રવર્તમાન દુનિયામાં માનવ અધિકારોના હનનની ઘટનાઓ વધતી જાય છે ત્યારે ‘હિંદ સ્વરાજ’નું આ પ્રકારનું મૂલ્યાંકન આપણા માટે આશાસ્પદ અને આવકારલાયક છે. કારણ કે, માનવ અધિકારનાં સંરક્ષણ અને સંવર્ધન માટે શાંતિ(Peace), સ્વતંત્રતા(Liberty) અને ન્યાય(Justice) અતિ આવશ્યક છે. લેખકના આ પુસ્તકપ્રયાસ થકી ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ મારફતે અહિંસક સંસ્કૃતિની ખોજ કરીને આપણે શાંત, સ્વતંત્ર, અને ન્યાયિક સમાજરચના કરીને માનવ અધિકારોના મામલે સાચી દિશામાં તેજ ગતિ કરી શકીશું.
.................................................................................................................................

સંલગ્ન પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
વીજાણુ ઠેકાણું : ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................

સૌજન્ય :
ગ્રંથસમીક્ષા // ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’
'વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794)
વર્ષ : ૫૨, અંક : ૦૩, જુલાઈ-સપ્ટેમ્બર : ૨૦૧૪,  પૃષ્ઠ : ૮૯-૯૨