અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Swine flue. Show all posts
Showing posts with label Swine flue. Show all posts
Saturday, September 2, 2017
Friday, September 1, 2017
Saturday, August 26, 2017
Wednesday, March 18, 2015
મોઢાં સંતાડવાના દિવસો
હળવે હૈયે
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
ડરી ગયેલા સપૂતો માસ્ક પહેરીને ડોશીમાનું વૈદુંથી માંડીને ગૂગલબાપાની વિશ્વવાડી સુધી સ્વાઇન ફ્લૂ વિશે માહિતી ફેંદવા માંડ્યા છે. દેશકાળમાં માર્ક્સવાદીઓ કરતાં માસ્કવાદીઓની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. માસ્કથી હર્યા-ભર્યા ચહેરાઓની તસવીરો સમૂહ માધ્યમો એટલે કે ‘માસ મીડિયા’માં જોવા મળી રહી છે. આથી, તેને ‘માસ્ક મીડિયા’ પણ કહી શકાય. સ્વાઇન ફ્લૂથી ગભરાઈ ગયેલાં નરો અને નારીઓ ફેસબૂકના પ્રોફાઇલ પિક્ચરમાં પોતાની માસ્કબદ્ધ તસવીર મૂકે છે. કારણ કે, તેમને ફેસબૂક ઉપર દહાડે-મહિને હજારો ચહેરા જોતાં હોય ત્યારે કોનો ચેપ લાગી જાય એ કહેવાય નહીં. આમ પણ, આરોગ્ય અને પરિવાર-કલ્યાણ વિભાગની અખબારી યાદી અનુસાર સ્વાઇન ફ્લૂના વાવડ હોય ત્યારે ફેસબૂક અને વ્હોટ્સએપ જેવાં માધ્યમો ઉપર વાત-ચેટ કરતી વખતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. અહીં ચાર મિત્રો વચ્ચે એકનો એક માસ્ક હોવાથી, સેલ્ફીમાં તસવીરો પણ એક સરખી આવે છે. માસ્કના કારણે ભરાવદાર મૂછના માલિક કે સફાચટ ચહેરાના દાસ એકસરખા લાગે છે. માસ્ક કદરૂપા ચહેરાવાળા માટે મજારૂપ છે, સુંદર ચહેરાવાળા માટે સજારૂપ છે. માસ્કનાં ઓઠાં નીચે ઓમ પુરીના ચહેરા ઉપરનાં ચાઠાં કે દીપિકા પાદુકોણેના ગાલે પડતાં ખંજન દેખાતાં નથી. માસ્ક પહેરવાથી ‘નાક કપાઈ જવું’, ‘મૂછમાં હસવું’ જેવા રૂઢિપ્રયોગોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ રહ્યું છે.
અંગ્રેજી ભાષાના ‘સ્વાઇન ફ્લૂ’ સામે ગુજરાતી ભાષાનું રક્ષણ કરવું હોય તો ‘માસ્ક’ માટે ‘મુખ-પટલ’ કે ‘મુખાવરણ’ જેવા શબ્દો વાપરી શકાય. કુદરતે પણ કેટલું દૂરનું જોયું-વિચાર્યું હશે કે, ‘ભવિષ્યમાં ડુક્કર અને માણસને જોડતો સેતુરૂપ સ્વાઇન ફ્લૂ આવશે. આ રોગથી બચવા માટે માણસોએ માસ્ક પહેરવો પડશે. માસ્ક નીકળી ન જાય એટલા માટે તેનાં નાકાંને ચુસ્ત પકડમાં રાખવા પડશે. આ માટે શરીરમાં કાયમી વ્યવસ્થા ગોઠવવી પડશે. જેના ભાગરૂપે માનવીને એક જોડી કાનની જરૂર પડશે.’ આમ, કુદરતે મોઢા અને નાકને બચાવવા માટે કાનદાની બતાવી છે. જોકે, દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને આવે તો એમના ચહેરા ઉપર પરીક્ષા અંગેનો આત્મવિશ્વાસ કે ડર જોઈ શકાતો નથી. સરકારશ્રીની છેલ્લેથી બીજી સૂચના અનુસાર જાહેર કાર્યક્રમોમાં માસ્ક પહેરવા આવશ્યક છે. સ્વાઇન ફ્લૂ જાણે શ્રોતાગણને જ થવાનો હોય તેમ આ નિયમ તેમના માટે ખાસ લાગુ પાડવામાં આવે છે. એ તો સારું છે કે, વક્તા કે પ્રસ્તુતકર્તા, સંચાલક કે કલાકાર માટે મુખ-પટલ ધારણ કરવો અનિવાર્ય નથી. નહીંતર સુગમ સંગીતના કાર્યક્રમમાં પહેરેલા માસ્ક સાથે હરિપ્રસાદ ચૌરસિયા વાંસળીમાં ફૂંક કેવી રીતે મારી શકે?!
‘દિવાર’ ફિલ્મની નવી આવૃત્તિમાં અમિતાભ બચ્ચન પોતાના ભાઈ શશી કપૂરને એવું પણ સંભળાવે કે, ‘તેરે પાસ મા હૈ, તો મેરે પાસ માસ્ક હૈ.’ રેલમાં કે બસમાં, રિક્ષામાં કે છકડામાં, ટ્રાફિકમાં કે પાર્કિંગમાં, સસ્તા અનાજની દુકાનની કતારમાં કે મોંઘાં મલ્ટિપ્લેક્ષની ભીડમાં, ક્યાંય જગ્યા ન મળે તો સહેજ પણ નિરાશ થયા વિના માણસે માસ્ક પહેરી લેવો જોઈએ. વળી, ડૉક્ટર ઇન્જેક્ષન માર્યા પછી દર્દીના હાથ ઉપર લગાવે છે તેવી સફેદ પટ્ટી પણ પોતાના હાથ ઉપર ચોંટાડવી. અહીં, પટ્ટી-પ્રદર્શન થઈ શકે એટલા માટે અડધી બાંયનો ઝભ્ભો પહેરવો અનિવાર્ય છે. જેથી પ્રજાને ખંડ સમય માટે પણ પૂર્ણ મૂર્ખ બનાવી શકાય. દેવું થઈ ગયેલા નોકરિયાતો કે દેવાળું કાઢી ચૂકેલા વેપારીઓ માટે સ્વાઇન ફ્લૂ રાહતના દિવસો લઈને આવે છે. આવા દુઃખી આત્માઓએ લેણિયાતોથી બચવું હોય તો મોટા કદનો માસ્ક ઊંઘમાં પણ પહેરી રાખવો. સોગિયાં મોઢાં કે દિવેલિયાં ડાચાં ધરાવતાં સ્ત્રી-પુરુષ માસ્ક પહેરી રાખે એ પણ સમાજસેવા જ કહેવાય. જે લોકનેતાના ચહેરાએ હાસ્ય સાથે છૂટાછેડા લીધા હોય એમણે ઇસ્ત્રી કર્યા વગરનો માસ્ક પહેર્યો હશે તોપણ ચાલશે.
ગુજરાતમાં વિકાસ-વિરોધીઓ તો માસ્ક ઉપર ‘સૌનો સાથ, સૌનો સોથો’, ‘સૌનો શ્વાસ, શેનો વિકાસ’, ‘અચ્છે દીન આનેવાલે હૈ’ જેવાં સૂત્રો છપાવવાનાં. તેઓ વિરોધ કરવા માટે અમદાવાદના આશ્રમ-માર્ગ ઉપર આયકર ભવનની કચેરી સામે, ચાર રસ્તાની વચ્ચે આવેલા ગોળ રાઉન્ડ સર્કલ ઉપર, ગાંધીપૂતળા આગળ ઊભા રહેવાના. પરંતુ માધ્યમકર્મીઓ દ્વારા લેવાતી તેમની તસવીરોમાં કોને-કોને, કેવી રીતે ઓળખવા એ સવાલ રસ્તા વચ્ચે પણ ઊભો રહેવાનો. જોકે, એક ગુજરાતી તરીકે આપણને એવો વિચાર કેમ નથી આવતો કે, વિવિધ કંપનીઓનાં નામ અને ચિહ્ન ધરાવતા માસ્ક પહેરીએ તો વધારાની કેટલી આવક થાય? માસ્કના બહાને હરતી-ફરતી જાહેરખબર બની જઈને, કુલ સાડા છ કરોડ ગુજરાતીઓ પૈકીના સવા છ લાખ શહેરી ગુજરાતીઓ પૈકીના સાડા પાંચ હજાર યુવા ગુજરાતીઓ પૈકીના સવા પાંચસો બેરોજગાર ગુજરાતીઓને મોબાઇલ ફોનનું બિલ ભરવા જેટલી આવક તો થઈ જ શકે એમ છે. સવાલ આફતને અવસરમાં અને અવસરને આવકમાં પલટવાનો છે.
જૈન ધર્મ-પરંપરામાં સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થાય એ સારુ મોંપટ્ટી બાંધવાનું મહત્વ છે. આજકાલ તો ગુજરાતની સઘળી જ્ઞાતિઓ સ્વાઇન ફ્લૂ પૂરતી એક થઈને મોઢાં ઉપર પડદો પાડી રહી છે. સ્વાઇન ફ્લૂના કોપના કારણે માલધારી હવે રૂમાલધારી બની રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી બચવા માટે ઘણાં લોકો કપૂર સૂંઘે છે. પણ આ વેળાએ તો ખુદ કપૂરને જ સ્વાઇન ફ્લૂ સૂંઘી ગયો છે. મહારાષ્ટ્રમાં રહેતી સોનમ કપૂરને સૌરાષ્ટ્રમાં ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મના શૂટિંગ વખતે સ્વાઇન ફ્લૂ હોવાનું નિદાન થયું. સોનમ કપૂરના કિસ્સામાં ફિલ્મનું નામ ‘તન સ્વાઇન ફ્લૂ પાયો’ બની ગયું. અભિનેત્રીના અંગ-પ્રદર્શનની વાત તડકે મૂકો, અહીં તો બિચારી સોનમ માસ્ક પહેરવાના કારણે દંત-પ્રદર્શન પણ ન કરી શકી. આ ઘટનાના પગલે સાવચેતીરૂપે મલ્લિકા શેરાવત અને સની લિયોન જેવી અભિનેત્રીઓએ છેવટે બીજું કાંઈ નહીં પણ માસ્ક પહેરવાના શરૂ કરી દીધા છે. ત્રણ સભ્યોનું કુલ સંખ્યાબળ ધરાવતા ‘અખિલ ભારતીય સંસ્કૃતિ બચાવો મંડળ’ને પડેલા અદ્યતન વાંધા મુજબ, મલ્લિકા અને સનીના માસ્ક એટલા બધા પારદર્શક છે કે એમાંથી એમના આખેઆખા હોઠ દેખાય છે!
.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :
મોઢાં સંતાડવાના દિવસો
'હળવે હૈયે'
'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
Wednesday, March 11, 2015
સ્વાઇનકમિંગ કોલ
// હળવે હૈયે //
ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
આપણી જિંદગીમાં ધાર્યા ઇનકમિંગ કૉલની જગ્યાએ અણધાર્યા સ્વાઇનકમિંગ કોલ આવી રહ્યા છે. રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાથી માંડીને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી શંકર ચૌધરી સ્વાઇન ફ્લૂના સપાટામાં આવી ગયા છે. ગણપત અને શંકર જેવાં દેવનામી મોટાં માથાંની આ હાલત હોય તો કચરાભાઈ અને ધૂળીબહેન જેવાં છેવટજનોની તો શી વાત જ કરવી? બારેમાસ શરદીના કોઠાવાળા રીઢા દર્દીઓ પણ સ્વાઇન ફ્લૂથી આત્મવિશ્વાસ ખોઈ રહ્યા છે. સ્વાઇન ફ્લૂમાં સામાન્ય છીંકની પણ ભવ્ય બીક લાગે છે. એટલું જ નહીં, એક માણસને બીજા માણસની ઉધરસમાં વાઇરસની શંકા જાય છે. મેડિકો ટૂરિઝમ માટે પ્રખ્યાત ગુજરાતમાં છેવટે ‘આયુર્વેદ તરફ પાછા વળો’ના સૂત્રને ધ્યાનમાં રાખી તુલસી-મરી-સૂંઠ-ગોળના ઉકાળા પીવાના દિવસો આવી ગયા છે. અંબાજીમાતાના મંદિરનાં સાકરિયાં ગ્રહણ કરતાં હોય તેવી શ્રદ્ધાથી નગરજનો હોમિયોપથીની ધોળી બાળગોળી ચગળી રહ્યા છે. જોકે, સ્વાઇન ફ્લૂથી લાચાર પ્રજાજનોનો છૂપો આક્રોશ વધી રહ્યો છે. એટલે સુધી કે, શુદ્ધ શાકાહારી માણસો પણ ખાનગીમાં સરકાર ઉપર માછલાં ધોઈ રહ્યાં છે.
ડુક્કરની જાણ બહાર, ડુક્કર થકી સ્વાઇન ફ્લૂ ફેલાય છે. ‘સ્વાઇન' એટલે 'વરાહ, ડુક્કર, સૂવર'. રોગની ગંભીરતા જોતાં ‘સ્વાઇન ફ્લૂ’ માટે 'વરાહવ્યાધિ' જેવો શબ્દ-પ્રયોગ ચલણી કરી શકાય. એક પૌરાણિક કથા મુજબ, હવામાતા અને વંટોળપિતાથી પેદા થયેલા વરાહસુર નામના રાક્ષસનું નાક ખતરનાક હતું. સઘળા સજીવો વરાહસુરની ઠઠ્ઠા-મશ્કરી કે ઘૃણા-નિંદા કરતા હતા. આથી તેણે દરેક દેવ-ગાંધર્વ-યક્ષ-કિન્નર-વાનર-માનવ સામે બદલો લેવા માટે, ત્રણે લોકમાં લાગુ પડે એવી રીતે, ચોવીસ ગુણ્યા સાત છીંકો ખાઈને આ મહામારી ઉત્પન્ન કરી હતી. માંસાહારી કે શાકાહારી, બિન ગુજરાતી કે ખિન્ન ગુજરાતી, ગુજરાતી માધ્યમમાં ભણેલાં કે અંગ્રેજી માધ્યમમાં ભૂલા પડેલાં, ગુજરાતીમાં ‘સ્વાઇન ફ્લૂ’ની સાચી જોડણી કે અંગ્રેજીમાં ‘સ્વાઇન ફ્લૂ’નો સાચો સ્પેલિંગ લખનાર કે ભૂંસનાર, કોઈ પણ જ્ઞાતિ-ધર્મ-સંપ્રદાયની વ્યક્તિને સ્વાઇન ફ્લૂ થઈ શકે છે. આમ, સ્વાઇન ફ્લૂ સર્વજનસમભાવથી વર્તે છે. માણસો ભેદભાવથી વર્તી શકે, વાઇરસ નહીં. કારણ કે, માણસમાં વાઇરસ હોય છે, પણ વાઇરસમાં માણસ નથી હોતો! ઈશ્વરનો ઇન્કાર કરતો નાસ્તિક માણસ પણ સ્વાઇન ફ્લૂના કોપથી 'સ્વાઇનારાયણ, સ્વાઇનારાયણ' કરવા માંડે તો એને માફ કરી દેવો જોઈએ.
કેટલાક નસીબદારોને નવમા ધોરણમાં જીવવિજ્ઞાનના વિષયમાં પા ડઝન કૃપાગુણનો લાભ મળ્યો હોય છે, જ્યારે કેટલાક સજ્જનોએ જગતને સમાન ભાવે જોવાની સંતદૃષ્ટિ ખીલવી હોય છે. આ બન્ને પ્રકારના નિર્દોષ લોકોને ‘બેક્ટેરિયા’ અને ‘વાઇરસ’ વચ્ચે કોઈ જ ભેદ જણાતો નથી. ખરેખર તો એચવનએનવન નામનો અંગ્રેજી વાઇરસ ગુજરાતી પ્રજાને રંજાડી રહ્યો છે. ગુજરાતમાં ઉચ્ચ-મધ્યમ-નિમ્ન અધિકારીઓને સ્વાઇન ફ્લૂ થાય એટલે માધ્યમોમાં તેમનાં નામ-સરનામાં આવે છે. આપણને ત્યારે જ ખબર પડે કે, ભવ્ય ભારત ભૂમિમાં ભડના ભાંડુ કાર્યરત હતા. ઠંડીનાં મોજાંમાં અધિકારીશ્રી 'સ્વાઇન ફ્લૂઇશ' જાહેર થઈ જાય એટલે કચેરીમાં રાહતનું મોજું ફરી વળે એવું બનવાજોગ છે. જોકે, ભાષાના વ્યાકરણમાં પદક્રમનો નિયમ ન જળવાય તો ‘અધિકારીને સ્વાઇન ફ્લૂનાં શંકાસ્પદ લક્ષણો’ની જગ્યાએ ‘શંકાસ્પદ અધિકારીને સ્વાઇન ફ્લૂનાં લક્ષણો’ એવું પણ છપાય. ભાષા-નિયામકની કચેરીના એકત્રીસ ફેબ્રુઆરીના પરિપત્ર અનુસાર આવાં સમાચાર-શીર્ષકોને માન્ય ગણવા પડશે.
સરકારી સૂચના મુજબ, 'સ્વાઇન ફ્લૂના વાવડ વખતે વારે ઘડીએ હાથ ધોવા.' નહીતર પછી જીવનથી હાથ ધોવાની તૈયારી રાખવી પડે એવો કળિયુગ આવ્યો છે. સ્વાઇન ફ્લૂથી જથ્થાબંધ સાબુના છૂટક વેપારીઓ અને છૂટક સાબુના જથ્થાબંધ વેપારીઓ ગેલમાં આવી ગયા છે. કારણ કે, પેટ ભરતાં પહેલાં અને પેટ ખાલી કર્યા પછી સાબુથી હાથ ધોવાની સીમિત શક્યતાનો વ્યાપ સ્વાઇન ફ્લૂના તેજપ્રતાપે વધ્યો છે. વધારામાં, પાણીની અછતવાળા વિસ્તારમાં રહેતા લોકોએ પણ વધારે પાણી પીવું પડશે. કારણ કે, સરકારી સૂચના અનુસાર સ્વાઇન ફ્લૂ સામે સાવચેતીનાં પગલાંરૂપે પુષ્કળ પાણી પીવું જરૂરી છે. જોકે, સ્વાઇન ફ્લૂના એક દર્દીએ ડૉક્ટરને સાફસાફ સંભળાવી દીધું કે, 'હું વારે ઘડીએ પાણી નહીં પી શકું. કારણ કે, પછી મારે વારંવાર લઘુશંકા કરવા જવું પડે. જે મારા માટે મુશ્કેલ છે.' ડૉક્ટરે પૂછ્યું કે, 'ભાઈ, પહેલાં એ કહો કે તમે કંઈ કામ-ધંધો કરો છો?' દર્દીએ સ્પષ્ટતા કરી કે, 'હું મહાવત છું. અમદાવાદના જાહેર રસ્તા ઉપર જમાલપુરથી સરસપુર સુધી વાહનો અને વસ્તી વચ્ચે રોજ આઠેક કલાક, હાથી ઉપર સવારી કરીને ઉઘરાણું કરું છું.'
રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલના નિવેદન અનુસાર, ‘ગુજરાત કર્કવૃત્ત ઉપર આવેલું હોવાથી રાજ્યમાં ઉનાળામાં પણ સ્વાઇન ફ્લૂની મહામારી જોવા મળે છે.’ ગુજરાતમાં ઘણી જગ્યાએ ‘કર્કવૃત્ત અહીંથી પસાર થાય છે.’ એવાં પાટિયાં છે. છતાં મુખ્યમંત્રીએ જે તે જિલ્લાના કલેક્ટરને તાત્કાલિક અસરથી આ પાટિયાં હટાવી લેવાનો આદેશ આપ્યો નથી. ઉત્તર ગુજરાતમાં બજરંગદળ કે કચ્છમાં શિવસેના દ્વારા આ પાટિયાં ઉપર ડામર ચોપડવાની જાહેરાત થઈ નથી. આ સંજોગોમાં કોંગ્રેસ જેવા વિરોધ પક્ષે પહેલાં માંહે-માંહે એક થઈને પછી, ‘કર્કવૃત્ત હટાવો આંદોલન’ની જાહેરાત કરવાની તક ખોવા જેવી નથી. સ્થાનિક યુવાનો સોશ્યલ મીડિયા ઉપર ‘શિયાળામાં ફ્લૂ, ઉનાળામાં લૂ, ચોમાસામાં બૂ’, ‘વાઇન ઉપર પ્રતિબંધ, ને સ્વાઇન છે અકબંધ’, ‘કેન્દ્રસરકાર કે કર્કવૃત્ત, ગુજરાતને અન્યાય અવિરત’, ‘કર્કવૃત્ત હટાવો, ગુજરાત બચાવો’ જેવા સૂત્રોચ્ચાર કરવાનું વિચારી રહ્યા છે. જોકે, બેચરાજીના બેચરકાકાએ ઘરસભામાં, છૂટક-છૂટક ખાંસીની વચ્ચે ખખડધજ ખોંખારો ખાઈને કહ્યું છે કે, ‘ભારત સરકારે ગુજરાતમાંથી પસાર થતી કર્કવૃત્તની રેખાને તાબડતોબ ભૂંસી નાખવી જોઈએ.’ લોકમિજાજ જોતાં સરકારે આંતરરાષ્ટ્રીય સંસ્થા 'નાસા'ને વિનંતિ કરવી જોઈએ કે, તેઓ જય જય ગરવી ગુજરાત ઉપરથી કર્કવૃત્તને હટાવી લે. જો આ વાત 'નાસા' કાને ન ધરે તો પછી શાસકોએ રાષ્ટ્રીય સંસ્થાન 'ઇસરો' મારફતે ગુજરાત ઉપરથી કર્કવૃત્તનું અસ્તિત્વ કાયમ માટે ભૂંસી નાખીને જગતજમાદાર અમેરિકાને પાઠ ભણાવવો જોઈએ.
.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................
સૌજન્ય :
સ્વાઇનકમિંગ કોલ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
સ્વાઇનકમિંગ કોલ
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૩-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬
Subscribe to:
Posts (Atom)