Showing posts with label Dandi March. Show all posts
Showing posts with label Dandi March. Show all posts

Saturday, March 12, 2022

આઝાદીના આંદોલનમાં 'અરુણ ટુકડી'ની અગત્ય || ડૉ. અશ્વિનકુમાર



* આઝાદીના આંદોલનમાં 'અરુણ ટુકડી'ની અગત્ય
સૌજન્ય : 
'યોજના' (ISSN-0971-8400), 'આઝાદી કા અમૃત મહોત્સવ' શ્રેણી, સળંગ અંક : ૮૫૦, ઓક્ટોબર, ૨૦૨૧, પૃષ્ઠ : ૫૧-૫૩

Wednesday, March 13, 2019

ગૂજરાત વિદ્યાપીઠમાં દાંડીકૂચ દિને વિશેષ કાર્યક્રમ


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

અખબારી યાદી

ગૂજરાત વિદ્યાપીઠમાં દાંડીકૂચ દિને વિશેષ કાર્યક્રમ

મહાત્મા ગાંધીજીની દાંડીકૂચનો પ્રારંભ સત્યાગ્રહાશ્રમ, સાબરમતીથી ૧૨મી માર્ચ, ૧૯૩૦ની સવારે થયો. ગૂજરાત વિદ્યાપીઠની અરુણ ટુકડીએ ગાંધીજી જે માર્ગે સત્યાગ્રહી સાથીદારો સાથે દાંડીકૂચ કરવાના હતા તેના દરેક પડાવની પૂર્વતપાસ અને આયોજનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગાંધીજીની સાથે ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, શિક્ષકો અને સ્નાતકો પણ દાંડીયાત્રાના સાથીદારો તરીકે જોડાયા હતા દાંડીકૂચના યાત્રીઓ સત્યાગ્રહાશ્રમ, સાબરમતીથી નીકળ્યા ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના ઐતિહાસિક સ્થળ પ્રાણજીવન વિદ્યાર્થીભવન ખાતે ગાંધીજી તેમજ યાત્રીઓને ગૂજરાત વિદ્યાપીઠની બહેનો અને કાકાસાહેબ કાલેલકરે આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ દાંડીકૂચના યાત્રીઓ ગૂજરાત વિદ્યાપીઠથી આગળ વધ્યા હતા.

પ્રાણજીવન વિદ્યાર્થીભવનની સામેની એ જગ્યા જ્યાંથી ગાંધીજી તેમજ દાંડીયાત્રીઓ અભિવાદન સ્વીકારી પસાર થયા હતા તેની યાદરૂપે એક પ્રતીકાત્મક સ્મૃતિસ્તંભનું સ્થાપન ગૂજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષમાં કરવાનો ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટીમંડળે નિર્ણય કર્યો છે. દાંડીકૂચ દિવસની સ્મૃતિમાં તા. ૧૨--૨૦૧૯ના રોજ ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ સુશ્રી ઇલાબહેન ભટ્ટ, કુલનાયક ડૉ. અનામિકભાઈ શાહ, ટ્રસ્ટીઓ અને અધ્યાપકો, સેવકો, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ અને રાષ્ટ્રીય સેવા યોજનાનાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ દાંડીકૂચ સ્મૃતિસ્તંભના સૂચિત સ્થળે સૂતરની માળા અર્પણ કરી હતી.

ત્યારબાદ, મુખ્ય સભાખંડમાં, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહે 'દાંડીકૂચ સ્મૃતિદિન' નિમિત્તેના વિશેષ કાર્યક્રમની વિગતો આપી હતી. ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના વિદ્યાર્થી ભગીરથ માતાએ 'દાંડીકૂચ : મારી નજરે' વિશે રજૂઆત કરી હતી. ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક ડૉ. સુદર્શન આયંગારે ‘દાંડીકૂચનો ઐતિહાસિક સંદર્ભ’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ આભારવિધિ કરી હતી.

Tuesday, March 1, 2016

ભૌગોલિક નહીં, ઐતિહાસિક છે દાંડીકૂચ!

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક
…………………………………………………………

Courtesy : google image 

ગાંધીજીએ છ કરોડ રૂપિયાનો મીઠાનો કર કઢાવી નાખવા માટે અહિંસક માર્ગે સત્યાગ્રહ આદર્યો. તેમના મતે નમકવેરા સામેની લડત એક માણસની નહીં, પણ કરોડો માણસોની હતી. તેમણે ઈ.સ. ૧૯૩૦ની બારમી માર્ચથી પાંચમી એપ્રિલ સુધી કૂચ કરી. ગાંધીજીએ અઠ્ઠોતેર સ્વયંસેવકો સાથે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા સત્યાગ્રહાશ્રમથી દક્ષિણ ગુજરાતમાં દરિયાના કિનારે આવેલા દાંડી ગામ સુધી પદયાત્રા કરી. પચીસ દિવસની કૂચમાં બસો એકતાળીસ માઈલ અર્થાત ત્રણસો અઠ્યાસી કિલોમિટરનું અંતર આવરી લેવામાં આવ્યું હતું. એકસઠ વર્ષીય ગાંધીજી રોજનું સરેરાશ સોળ કિલોમિટર અંતર કાપતા હતા. તેમણે છઠ્ઠી એપ્રિલે સવારે સાડા છ કલાકે ચપટી નમક ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો. ગાંધીજીએ ત્રણસો અમલદારો અને એક લાખ સૈનિકોના ભયથી ત્રાસેલા ત્રીસ કરોડ લોકો માટે ચળવળ ચલાવી હતી. તેમણે દાંડીકૂચને આખરી ફેંસલો, મહા ધર્મયુદ્ધ, મહાવ્યાપક યજ્ઞ, સ્વરાજયજ્ઞ, સામુદાયિક સવિનય ભંગ, શાંતિમય ક્રાંતિ તરીકે ઓળખાવી હતી.

કૂચવીરો બારમીની સવારે છ અને વીસે હાજર થઈ ગયા હતા. કસ્તૂરબાએ ગાંધીબાપુને ચાંલ્લો કર્યો અને સૂતરમાળા પહેરાવી. ગાંધીજીએ ગુજરાતીમાં ઉતારેલી શ્રીમદ્ ભગવદ્દગીતા એટલે કે 'અનાસક્તિયોગ'ની તાજી જ પ્રકાશિત થયેલી નકલો, ગાંધીજી અને દાંડીયાત્રીઓ આશ્રમમાંથી બહાર પગ મૂકતા હતા તે જ વખતે, તેઓના હાથમાં મૂકવામાં આવી. આશ્રમથી બરોબર સાડા છ કલાકે કૂચ શરૂ થઈ. તેમની પાછળ વિશાળ જનસમુદાય ચાલતો હતો. દેશ અને દુનિયાના ખબરપત્રીઓ દાંડીકૂચનો હેવાલ લેવા આવ્યા હતા. પત્રકાર અમૃતલાલ શેઠના મતે, ગાંધીજી જાણે કેસરિયાં કરવા નીકળ્યા હતા. તેમણે નોંધ્યું છે કે, 'મહાત્માજીએ સાબરમતીથી કૂચ કરી ત્યારે એમનું કપાળ અને આખું શિર કુંકુમથી રંગાયેલું હતું.' ગૂજરાત વિદ્યાપીઠ આગળ નરહરિભાઈ પરીખનાં પત્ની મણિબહેને ગાંધીજીને ચાંલ્લો કર્યો અને અક્ષતથી વધાવ્યા. આશ્રમથી ચારેક માઈલ સુધીના વિસ્તારમાં અંદાજે એક લાખ જેટલા માણસો ભેગા થયા હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો. પદયાત્રા એલિસબ્રિજ પાસેથી પસાર થઈને આગળ વધી. દાંડીયાત્રીઓ આશ્રમથી સાત માઈલ અર્થાત અગિયાર કિલોમિટરનું અંતર કાપીને સાડા આઠ કલાકે ચંડોળા તળાવે પહોંચ્યા. ચંડોળા તળાવ ઉપર કરેલા ભાષણમાં ગાંધીજીએ જ્ઞાતિ, ધર્મ, વર્ગ વગેરેમાં પ્રવર્તતા ભેદભાવને કાઢવા ઉપર ખાસ્સો ભાર મૂક્યો હતો. સત્તાવાળાઓએ ગાંધીજીના સદાકાળ પ્રસ્તુત ભાષણનો સાર મોટા અક્ષરોમાં મઢીને ચંડોળા તળાવ આગળ મૂકવા જેવો છે. 'મોહનતા' અને 'માનવતા'માં માનતા અમદાવાદીઓએ, બારમી માર્ચે સવારે સાડા છ કલાકે સાબરમતીના સત્યાગ્રહાશ્રમથી નીકળીને, સાડા આઠે ચંડોળા તળાવ સુધી પહોંચવાનો પ્રયાસ કરવા જેવો છે!

…………………………………………………………
સૌજન્ય :

ભૌગોલિક નહીં, ઐતિહાસિક છે દાંડીકૂચ!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૩-૨૦૧૬, મંગળવાર

'આપણું અમદાવાદ'