તારીખ : ૦૧-૦૧-૨૦૧૮, સોમવાર
સમય : સવારે ૧૧-૦૦ કલાકે
સ્થળ : સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
ગૂજરાત વિદ્યાપીઠ, તેના વિદ્યાર્થીઓએ સમાજમાં કરેલી કામગીરીને મૂલવીને ૧૯૯૮થી ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ આપે છે. વર્ષ ૨૦૧૭નો આ પુરસ્કાર શ્રી નિલમભાઈ ધીરુભાઈ પટેલને આપવાનું ઠરાવવામાં આવ્યું છે. તેઓએ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં અધ્યયન કરીને વર્ષ ૨૦૦૭માં ગ્રામઅર્થશાસ્ત્ર પારંગત (એમ.એ.)ની પદવી પ્રાપ્ત કરી. ગાંધીવિચાર અનુસાર ગ્રામવિકાસ અને ગ્રામસ્વરાજના સ્વપ્નને સાકાર કરવા તેઓ ગૂજરાત વિદ્યાપીઠની ‘ગ્રામશિલ્પી યોજના’માં જોડાયા અને સહ્યાદ્રિની ગિરિમાળા વચ્ચે વસેલા તથા શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તા જેવી સુવિધાઓથી દૂર એવા મુ. ખોબા (તા. ધરમપુર, જિ. વલસાડ)ને પોતાની કર્મભૂમિ બનાવી.
 |
'ગ્રામશિલ્પી' નિલમ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
નિલમે મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુક્તિ, સ્ત્રીસશક્તીકરણ, વનસુરક્ષા, રોજગારી, કૃષિસુધારણા, પશુપાલન, ગ્રામોદ્યોગો, યુવકપ્રવૃત્તિ, લોકપ્રતિકારકતાનો અહિંસક રાહ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યાં છે. તેમનાં સમાજસેવાનાં આ કાર્યોને બિરદાવવા, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૭ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેમની પસંદગી કરી છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી અને સમારોહના અધ્યક્ષશ્રી ઇલાબહેન ભટ્ટના હસ્તે આ પુરસ્કાર તેઓને અર્પણ કરવામાં આવનાર છે. કુલનાયકશ્રી પ્રા. અનામિકભાઈ શાહ આ સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરશે.
.................................................................................................................................
વિગત-સૌજન્ય : કુલસચિવ-કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ