અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Indian Opinion. Show all posts
Showing posts with label Indian Opinion. Show all posts
Wednesday, June 2, 2021
Thursday, May 20, 2021
Tuesday, May 11, 2021
Indian Opinion
Golden Number
06 January 2001, Journal Volume Number 1, Issue 1
(વાચન-વિશેષ : 'ઇન્ડિયન ઓપીનિયન'ના સુવર્ણ અંકમાં પ્રકાશિત તંત્રીલેખ
દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ : મૂળ અને તેના ફળ // મો. ક. ગાંધી
ગુજરાતી સ્રોત : 'ગાંધીજીનો અક્ષરદેહ' : ગ્રંથ : ૧૨, પૃષ્ઠ : ૬૧૩-૬૨૨)
Thursday, February 25, 2021
Wednesday, May 13, 2020
Monday, April 20, 2020
'ઇન્ડિયન ઓપીનિયન'
જેમ કોમમાં લડતને અંગે અને અનુભવો લેતાં લેતાં પરિવર્તનો થયાં તેમ જ 'ઈન્ડિયન ઓપીનિયન'માં પણ બન્યું. એ અખબારમાં પ્રથમ જાહેરખબરો લેવામાં આવતી. છાપખાનાને અંગે બહારનું પરચૂરણ છાપવાનું કામ લેવામાં આવતું. મેં જોયું કે એ બંને કામમાં સારામાં સારા માણસોને રોકવા પડતા હતા. જાહેરખબરો લેવી જ તો પછી કઈ લેવી અને કઈ ન લેવી એનો વિચાર કરવામાં હમેશાં ધર્મસંકટો પેદા થતાં. વળી અમુક જાહેરખબર ન લેવાનો વિચાર થાય ને છતાં જાહેરખબર આપનાર કોમનો આગેવાન હોય, તેને દુ:ખ લગાડવાના ભયથી પણ ન લેવા યોગ્ય જાહેરખબર લેવાની લાલચમાં ફસાવું પડે. જાહેરખબરો મેળવવામાં અને તેનાં દામ વસૂલ કરવામાં સારામાં સારા માણસનો વખત જાય અને ખુશામતો કરવી પડે તે નોખું. અને સાથે એ પણ વિચાર આવ્યો કે જે છાપું કમાઈને અર્થે નહીં પણ કેવળ કોમની સેવાને અર્થે ચાલતું હોય તો તે સેવા જબરદસ્તીથી નહીં થવી જોઈએ, પણ કોમ ઈચ્છે તો જ થવી જોઈએ. અને કોમની ઈચ્છાનો ચોખ્ખો પુરાવો તો એ જ ગણાય કે કામ ઘટતી સંખ્યામાં ઘરાક થઈ તેનું ખર્ચ ઉપાડી લે. વળી એમ પણ વિચાર્યું કે છાપાને ચલાવવા સારુ, માસિક ખર્ચ કાઢવામાં, થોડા વેપારીઓને સેવાભાવને નામે પોતાની જાહરખબરો આપવા સમજાવવા, તેના કરતાં કોમના આમવર્ગને છાપું લેવાની ફરજ સમજાવવી, એ લલચાવનાર અને લલચાનાર બન્ને સારુ કેટલી બધી સુંદર કેળવણી થઈ પડે ? વિચાર થયો અને તુરત અમલમાં મૂકયો. પરિણામ એ આવ્યું કે જેઓ જાહેરખબર વગેરેની ભાંજગડમાં પડ્યા હતા તેઓ અખબાર સારું બનાવવાની મહેનતમાં ગૂંથાયા. કોમ તરત સમજી ગઈ કે “ઈન્ડિયન ઓપીનિયન'ની માલિકી અને તે ચલાવવાની જવાબદારી બન્ને તેને હસ્તક રહ્યાં. અમે બધા કામદારો નિશ્ચિત થયા. કોમ છાપું માગે તો પૂરેપૂરી મહનત કરી છૂટવા જેટલી જ ફિકર અમારે વેઠવી રહી, અને હરકોઈ હિંદીને તેની બાંય પકડી 'ઈન્ડિયન ઓપીનિયન' લેવાનું કહેતાં શરમ તો ન જ રહી, એટલું જ નહીં, પણ કહેવું એ અમે ધર્મ સમજવા લાગ્યા. 'ઈન્ડિયન ઓપીનિયન'નાં અાંતરિક બળ અને સ્વરૂપ પણ ફર્યા અને એ એક મહાશક્તિ થઈ પડયું. તેની સામાન્ય ઘરાકી ૧૨૦૦-૧૫૦૦ સુધી હતી તે દિવસે દિવસે વધવા લાગી. તેનો દર વધારવો પડ્યો હતો તેમ છતાં લડાઈએ જ્યારે ઉગ્ર સ્વરૂપ પકડયું તે વખતે ૩,પ૦૦ નકલો સુધી ગ્રાહક વધ્યા હતા. 'ઈન્ડિયન ઓપીનિયન'નો વાચકવર્ગ વધારેમાં વધારે ર૦,૦૦૦ ગણી શકાય, તેમાં ૩,૦૦૦ ઉપરાંત નકલોનું ખપવું એ અજાયબીભરેલો ફેલાવો ગણી શકાય. કોમે એ વખતે એ છાપું એટલે સુધી પોતાનું કરી મૂક્યું હતું કે જો ધારેલે વખતે તેની નકલો જોહાનિસબર્ગમાં ન પહોંચી હોય તો મારી ઉપર ફરિયાદની ધાડ આવેલી જ હોય. ઘણે ભાગે રવિવારે સવારે એ જોહાનિસબર્ગમાં પહોંચતું. મને ખબર છે કે ઘણા માણસો છાપું આવે ત્યારે પ્રથમ કામ પહેલેથી તે છેલ્લે સુધી તેનો ગુજરાતી ભાગ વાંચી લેવાનું કરે. એક જણ વાંચે અને પાંચ પંદર તેને વીંટાઈને બેઠા હોય તે સાંભળે. આપણે ગરીબ રહ્યા એટલે કેટલાંક એ છાપું ભાગમાં પણ લેતા.
છાપખાનાને અંગે પરચૂરણ કામ નહીં લેવા વિશે પણ હું લખી ગયો. તે બંધ કરવાનાં કારણો પણ ઘણે ભાગે જાહરખબરના જેવાં જ હતાં. અને તે બંધ કરવાથી બીબાં ગોઠવનારાનો જે વખત બચ્યો તેનો ઉપયોગ છાપખાના મારફતે પુસ્તકો પ્રગટ કરવામાં થયો. અને એ પ્રવૃત્તિમાં ધન મેળવવાનો હેતુ ન હતો એમ કોમ જાણતી હતી. અને પુસ્તકો કેવળ લડતને મદદરૂપે જ છપાતાં હતાં તેથી પુસ્તકોનો ઉઠાવ પણ સારી રીતે થવા લાગ્યો. આમ છાપું અને છાપખાનું બંનેએ લડતમાં ફાળો ભર્યો. અને સત્યાગ્રહની જડ જેમ જેમ કોમમાં બાઝતી ગઈ તેમ તેમ છાપાંની અને છાપખાનાની, સત્યાગ્રહની દૃષ્ટિએ, નૈતિક પ્રગતિ પણ થતી ગઈ એમ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું.
મોહનદાસ કરમચંદ ગાંધી
(સૌજન્ય : 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ')
'ઇંડિયન ઓપીનિયન'
હજુ બીજા યુરોપિયન ગાઢ પરિચયો આપવાના રહે છે, પણ તે પહેલાં બે ત્રણ અગત્યની વસ્તુઓની નોંધ લેવાની આવશ્યકતા છે.
એક પરિચય હમણાં આપી દઊં. મિસ ડિકને દાખલ કર્યેથી જ મારું કામ હું પૂરું કરી શકું તેમ નહોતું. મિ. રીચને વિષે હું અગાઉ લખી ચૂક્યો છું. તેમની સાથે તો મને સારો પરિચય હતો જ. તે વેપારી પેઢીમાં સંચાલક હતા. ત્યાંથી છૂટી મારી નીચે આર્ટિકલ લેવાની મેં સૂચના કરી. તે તેમને ગમી, ને ઑફિસમાં દાખલ થયા. મારા ઉપરથી કામનો બોજો હળવો થયો.
આ અરસામાં જ શ્રી મદનજિતે 'ઇંડિયન ઓપીનિયન' છાપું કાઢવાનો વિચાર કર્યો. મારી સલાહ ને મદદ માગ્યાં. છાપખાનું તો તે ચલાવતા જ હતા.છાપું કાઢવાના વિચારમાં હું સંમત થયો. આ છાપાની ઉત્પતિ ૧૯૦૪માં થઈ. મનસુખલાલ નાજર અધિપતિ થયા. પણ અધિપતિપણાનો ખરો બોજો મારા ઉપર જ પડ્યો. મારે નસીબે ઘણે ભાગે હમેશ દૂરથી જ છાપાનું તંત્ર ચલાવવાનું આવ્યું છે.
મનસુખલાલ નાજર તંત્રીપણું ન કરી શકે એવું કાંઈ નહોતું. તેમણે તો દેશનાં ઘણાં છાપાં ને સારુ લખાણો કર્યા હતાં. પણ દક્ષિણ આફ્રિકાના અટપટા પ્રશ્નો ઉપર મારી હાજરી છતે સ્વતંત્ર લેખો લખવાની તેમણે હિમત જ ન કરી.મારી વિવેકશક્તિ ઉપર તેમનો અતિશય વિશ્વાસ હતો. એટલે જે જે વિષયો ઉપર લખવાપણું હોય તે ઉપર લખી મોકલવાનો બોજો મારા પર ઢોળતા.
આ છાપું સાપ્તાહિક હતું, જેવું આજે પણ છે. પ્રથમ તો તે ગુજરાતી, હિંદી , તામિલ અને અંગ્રેજીમાં નીકળતું. પણ મેં જોયું કે તામિલ ને હિંદી વિભાગો નામના જ હતા. તેવાટે કોમની સેવા નહોતી થતી એમ મેં જોયું. તે વિભાગો રાખવામાં મને જૂઠનો આભાસ આવ્યો, તેથી તે વિભાગો બંધ કર્યા ને મેં શાંતિ મેળવી.
આ છાપામાં મારે કંઇ પૈસા રોકવા પડશે એવી મારી કલ્પના નહોતી. પણ થોડી મુદતમાં મેં જોયું કે જો હું પૈસા ન આપું તો છાપું ન જ ચાલે. છાપાનો હું અધિપતિ નહોતો, છતાં હું જ તેના લખાણને સારુ જવાબદાર હતો, એમ હિંદી ને ગોરા બંને જાણતા થઈ ગયા હતા. છાપું ન જ નીકળ્યું હોત તો અડચણ નહોતી, પણ કાઢયા પછી બંધ થાય તો તેમાં કોમની નામોશી થાય તેમ હતું ને કોમને નુકસાન થતું હતું એમ મને લાગ્યું.
હું તેમાં પૈસા રેડતો ગયો, ને છેવટે જેટલું બચતું હતું તે બધું તેમાં જ જતું એમ કહેવાય. એવો સમય મને યાદ છે કે જ્યારે મારે દર માસે ૭૫ પાઉંડ મોકલવા પડતા.
પણ આટલાં વર્ષો પછી મને લાગે છે કે એ એ છાપાએ કોમની સારી સેવા કરીછે. તેમાંથી પૈસા પેદા કરવાનો ઇરાદો તો કોઈનો નહોતો.
મારે હસ્તક હતું ત્યાં સુધીમાં એમાં થયેલા ફેરફારો મારી જિંદગીના ફેરફારો સૂચવનારા હતા. જેમ અત્યારે 'યંગ ઇન્ડિયા' અને 'નવજીવન મારા જીવનના કેટલાક ભાગનો નિચોડ છે તેમ 'ઇંડિયન ઓપીનિયન' હતું. તેમાં હું પ્રતિ સપ્તાહ મારો આત્મા રેડતો, ને હું જેને સત્યાગ્રહરૂપે ઓળખતો હતો તે સમજાવવા પ્રયત્ન કરતો. જેલના સમયો બાદ કરતાં દસ વર્ષો સુધીના, એટલે ૧૯૧૪ની સાલ સુધીના, 'ઈંડિયન ઓપીનિયન'ના એવા અંકો ભાગ્યે જ હશે જેમાં મેં કંઈ નહીં લખ્યું હોય. એમાં એક પણ શબ્દ મેં વગરવિચાર્યે, વગરતોળ્યે લખ્યો હોય, કે કોઈને કેવળ ખુશ જ કરવાને ખાતર લખ્યો હોય, કે જાણી જોઈને અતિશયોક્તિ કરી હોય એવું મને યાદ નથી. મારે સારું એ છાપું સંયમની તાલીમ થઈ પડ્યું હતું, મિત્રોને સારુ મારા વિચારો જાણવાનું વાહન થઈ પડ્યું હતું,ટીકાકારોને તેમાંથી ટીકા કરવાનું બહુ ઓછું મળી શકતું. હું જાણું છું કે એના લખાણો ટીકાકારને પોતાની કલમ ઉપર અંકુશ મેલવા ફરજ પાળતાં. એ છાપાં વિના સત્યાગ્રહની લડત ન ચાલી શકત. વાંચનાર વર્ગ એ છાપાને પોતાનું સમજી તેમાંથી લડતનું ને દક્ષિણ આફ્રિકાના હિંદીઓની હાલતનું ખરું ચિત્ર મેળવતો.
આછાપા વાટે રંગબેરંગી મનુષ્ય સ્વભાવને જાણવાનું મને બહુ મળ્યું. તંત્રી અને ગ્રાહકની વચ્ચે નિકટ ને સ્વચ્છ સંબંધ બાંધવાની જ ધારણા હોવાથી મારી પાસે હ્રુદય ઠાલવનારા કાગળોના ઢગલા થતા.તેમાં તીખાં, કડવાં, મીઠાં એમ ભાતભાતનાં લખાણો મારી પાસે આવે. તે વાંચવાં, વિચારવાં, તેમામ્થી વિચારોનું તારણ કરી જવાબ આપવા, એ મારે સરુ ઉતમ શિક્ષણ થઈ પડ્યુ.તે વાટે હું કોમમાં ચાલતી વાતો ને વિચારો કેમ જાણે સાંભળતો હોઉં નહીં, એવો અનુભવ મને થયો. તંત્રીની જવાબદારી હું સારી પેઠે સમજતો થયો, ને મને કોમના માણસો ઉપર જે કાબૂ મલ્યો તેથી ભવિષ્યમાં થનારી લડત શક્ય હોઈ, શોભી ને તેને જોર મળ્યું.
વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવા જોઈએ એ હું 'ઈંડિયન ઓપીનિયન'ના પહેલા માસની કારકિર્દીમાંથી જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણી નો ધોધ ગમનાં ગામ ડુબાવે છે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.
આ વિચારસરણી સાચી હોય તો દુનિયાનાં કેટલાં વર્તમાનપત્રો નભી શકે? પણ નકામાંને બંધ કોણ કરે? કોણ કોને નકામું ગણે? કામનું ને નકામું સાથે સાથે જ ચાલ્યા કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.
મોહનદાસ કરમચંદ ગાંધી
(સૌજન્ય : સત્યના પ્રયોગો અથવા આત્મકથા, ભાગ ચોથો : ૧૩. ’ઇંડિયન ઓપીનિયન’)
Monday, June 3, 2019
Subscribe to:
Posts (Atom)


