Sunday, July 16, 2017

અમદાવાદ : અભિનંદન, ઓચ્છવ, અને અપેક્ષાઓ

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

'યુનેસ્કો' દ્વારા ભારતના સૌપ્રથમ 'વર્લ્ડ હેરિટેજ સિટી'નો દરજ્જો મેળવનાર શહેર એટલે 'આપણું અમદાવાદ'. અમદાવાદને 'વિશ્વ સંસ્કારવારસાનું શહેર' જાહેર કરવામાં આવે એટલે ઉજવણીની સાથે જવાબદારી પણ વધવાની. કારણ કે, 'હેરિટેજ'માં શિલ્પ-સ્થાપત્ય-સ્મારકની સાથે સહભાગિતા, સહજીવન, અને સંવાદિતા પણ જોડાયેલાં છે. વળી, 'વિકાસ'ની સાથે 'વારસો' કેમ સાચવવો એ સૌથી મોટો પડકાર છે. દેશ-વિદેશના પ્રવાસીઓ અમદાવાદનાં બસસ્ટેન્ડ, રેલમથક, વિમાનઘર ઉપર ઊતરે ત્યારે પહેલી નજરમાં અમદાવાદ 'વર્લ્ડ હેરિટેજ સિટી'નાં લક્ષણો અને લાક્ષણિકતાઓ ધરાવતું હોય એવું લાગવું જોઈએ. અણઘડ નગરઆયોજન, આડેધડ વાહનવ્યવહાર, અશોભનીય નાગરિકશિસ્તના કારણે પ્રવાસીઓના જ નહીં, આપણા પણ પૈસા પડી જતાં હોય છે. મુલાકાતીઓ સારી અને સાચી છાપ લઈને જાય અને બીજા જિજ્ઞાસુઓને મોકલે એ માટે, ઐતિહાસિક ઇમારતોની સાથેસાથે સમગ્ર શહેરને તમામ પ્રકારનાં દબાણ અને પ્રદૂષણથી મુક્ત રાખવું પડે. મહાનુભાવોના આગમન ટાણે રસ્તા ઉપરની ઝૂંપડપટ્ટીઓ ફરતે લીલા કાપડપટ્ટા ઢાંકવાથી ગરીબી, ગંદકી, અને ગરબડ હટવાની નથી!

શહેરના પ્રત્યેક રહેવાસી અને પ્રવાસીને અમદાવાદનાં ઐતિહાસિક સ્થળોનો પ્રત્યક્ષ પરિચય અને વિશેષ વિગતો મળે એવી તંત્રવ્યવસ્થા ગોઠવવી રહી. શાળા-કોલેજનાં અભ્યાસક્રમ અને સમયપત્રકમાં વિદ્યાર્થીઓ સારુ સ્થળમુલાકાત માટે અલાયદા તાસ ફાળવવા પડે. શહેરના 'સંસ્કારવારસા'ને કેન્દ્રમાં રાખીને ચિત્ર-તસવીર અને નિબંધ-વાર્તાની ઇનામી સ્પર્ધાઓ યોજી શકાય. પ્રવાસીઓ ઘરનિવાસ(હોમ સ્ટે) કરી શકે એવું વાતાવરણ ઊભું કરીએ તો શહેરની ધબકતી સંસ્કૃતિનો સુપેરે પરિચય થાય. શહેરની ઓટોરિક્શાઓને 'વારસા-વાહન'ની ઓળખ થકી 'ગ્રાન્ડ ઍમ્બૅસૅડર' બનાવવી જોઈએ. અમદાવાદમાં ઐતિહાસિક સ્થળોની સાચવણીની સાથે, ધર્મ-જ્ઞાતિ-સંપ્રદાય-લિંગ-ભાષા-વર્ગના સંઘર્ષો ઘટે અને સહિષ્ણુતા વધે એ શહેરનો સાચો સંસ્કારવારસો છે.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

અમદાવાદ : અભિનંદન, ઓચ્છવ, અને અપેક્ષાઓ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૭-૨૦૧૭, રવિવાર

No comments:

Post a Comment