Tuesday, December 1, 2015

રાષ્ટ્રપિતાની વિદ્યાપીઠમાં રાષ્ટ્રપતિનું દીક્ષાંત પ્રવચન


ભારતને સ્વચ્છ અને સમર્થ બનાવવાની જરૂર : પ્રણબ મુખર્જી


ગૂજરાત વિદ્યાપીઠનો 62મો પદવીદાન સમારંભ સાદગીભર્યા વાતાવરણમાં આનંદ અને ઉલ્લાસ વચ્ચે ઉજવાઈ ગયો. ભારતના રાષ્ટ્રપતિ મહામહિમશ્રી પ્રણબ મુખર્જીના મુખ્ય મહેમાનપદે યોજાયેલા પદવીદાન સમારંભમાં 43 વિદ્યાર્થીઓને 58 પારિતોષિકો એનાયત થયાં હતાં.

વૈદિક અને સર્વધર્મ પ્રાર્થનાથી શરૂ થયેલા દીક્ષાંત સમારોહમાં કુલનાયક શ્રી અનામિકભાઈ શાહે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ દરવાજાની બહારની દુનિયા તમને વિવિધ રીતે સત્કારવા બેઠેલી જ છે. તમારે વિદ્યાપીઠનો ધ્યાનમંત્ર વિચારીને આગળ વધવાનું છે. તમને અનેક વિકલ્પો મળશે, પણ વતનમાં જઈ હમવતનીઓ વચ્ચે કામ કરવું છે કે બહારની દુનિયાની વિશાળ સંભાવનાઓમાં - એ પણ નક્કી કરવું પડશે.’

કુલનાયકશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણે સહુએ સાથે મળીને નવા નોલેજ ફ્રન્ટીયર્સ તરફ આગળ વધવાનું છે. વિદ્યાપીઠે પાછલાં વર્ષોમાં અનેક ઉત્તમ કામગીરી કરી છે. જૂના સ્નાતકો શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે. જેને પરિણામે ગૂજરાતમાં નક્સલવાદ પ્રવેશી શક્યો નથી. વિદ્યાપીઠનું સમાજધર્મનું કામ ગાંધીચીંધ્યા માર્ગે થયેલું છે. હજારો ઘરમાં શૌચાલય નિર્માણ, બાયોગેસ પ્લાન્ટ, ગ્રામજીવન પદયાત્રાઓ, નેપાળના ધરતીકંપમાં ગરીબોનાં ઝૂંપડાંને ઊભાં કરવા મથતો વિદ્યાપીઠનો છાત્ર એ આવનારા દિવસોમાં રાષ્ટ્ર માટેની એક અદભુત આશા છે.’
 
કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ‘ગાંધીજીના આદર્શો આપણા સમૂહજીવનનો વારસો છે, આપણે સૌ એક પ્રજા છીએ. ગાંધીવિચાર-ધારાથી થતું શિક્ષણ આદર્શ તો છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. જે કંઈ કરીએ તે વિચારીને કરીએ. પરિણામનો વિચાર કરીને અનુબંધથી કામ કરીએ. ઉત્ક્ટતાથી સમજશો, તો જીવનમાં શું કાર્ય કરવું છે તે સમજાઈ જશે. માટે જ વિચારો, અનુબંધથી વિચારો અને વિચારપૂર્વક જીવનકાર્ય કરતા જાઓ. ’

આદરણીય રાષ્ટ્રપતિજીએ તેમના પ્રવચનમાં ગૂજરાત વિદ્યાપીઠની પરંપરા અને પૂર્વ કુલપતિઓને યાદ કર્યા. વિદ્યાર્થીઓને ‘ સ્નાતક ’ તરીકે સંબોધન કરીને તેમણે જણાવ્યું કે, ‘ મારા અનેક પૂર્વસૂરિઓ દીક્ષાંત પ્રવચનની આ જવાબદારી સંભાળી ચૂક્યા છે. આજે મારી જવાબદારી બને છે કે, ગાંધીજી જેવા દુર્લભ દ્ષ્ટાએ સ્થાપેલી આ સંસ્થામાં હું તમને સંબોધન કરી રહ્યો છું. ’
 
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘સમકાલીન વિષયોને શીખવતી આ સંસ્થા સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે તે માટેની પસંદગી બની છે. કુલ સંખ્યામાં 40 ટકાથી વધુ વિદ્યાર્થિનીઓ છે, એ એક ઉત્સાહવર્ધક વાત છે. નઈ તાલીમ સંપૂર્ણપણે જીવંત હોય, તેવી એક માત્ર સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ છે. અહીંના વિદ્યાર્થીઓ ગ્રામ-વિકાસને સહાયક કામગીરી કરે છે. તેમાં સ્વાવલંબી ગામ, સમાનતા, આર્થિક અને પર્યાવરણીય વિકાસ અંગેની બાબતોને પ્રાધાન્ય અપાય છે. આ વાત દેશને સમર્થ ભારત બનાવવા તરફ લઈ જશે. મહાત્મા ગાંધી સ્વચ્છ મન, સ્વચ્છ શરીર અને સ્વચ્છ પર્યાવરણ પર ભાર મૂકતા હતા. દરેક નાગરિકની જવાબદારી બને છે કે, સ્વચ્છ ભારતને સમર્થ ભારત તરફ લઈ જાય. ગાંધીજી કોમી સંવાદિતા માટે આજીવન ઝઝૂમ્યા. વર્તમાન સમયમાં સમાજમાં જે વિખંડનકારી પરિબળો છે, તેની સામે શાંતિ અને સંવાદિતાનું શિક્ષણ મહત્વનું સાબિત થશે.
 
‘આપણા દેશમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ખૂબ ખર્ચ કરીને પરદેશ જઈ રહ્યા છે. આપણે આ પ્રક્રિયા ઉલટાવવી જોઈએ તેમજ ભારતને ગુણવત્તાવાળા અને પરવડે તેવા શિક્ષણનું કેન્દ્ર બનાવવું જોઈએ. સંશોધન માટે પારિસ્થિકી તંત્ર વિકસાવવા માટે આપણે આંતરવિદ્યાશાખાકીય અભિગમ વિકસાવવાની જરૂર છે. ચરખા અને કમ્પ્યુટરને સમાન ઉત્સાહથી શીખવતી આ સંસ્થામાં વિદ્યાર્થીઓને શ્રમનું ગૌરવ સમજાવવામાં આવે છે. ‘હૈયું, હાથ, અને મસ્તક’ના સંયોજનથી બનેલી નઈ તાલીમની આ શિક્ષણવ્યવસ્થાનું તમારા ઉપર ઋણ છે કે, તમે સમર્થ ભારતનું નિર્માણ કરો.’ 

પદવીદાન સમારંભમાં કુલ 24 વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.), 49 અનુપારંગત(એમ.ફિલ.), 405 પારંગત, 369 વિશારદ અને 59 અનુસ્નાતક ડિપ્લોમાને દીક્ષિત કરવામાં આવ્યા તથા 43 વિદ્યાર્થીઓને 58 પારિતોષિક આપવામાં આવ્યા હતા. 

પદવીદાન સમારંભમાં રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીજી, કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના સભ્યો, અધ્યાપકો, સેવકો, મહેમાનો, સેવકોના કુટુંબીજનો અને પત્રકારમિત્રો હાજર રહ્યા હતા. 

ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડો. રાજેન્દ્ર ખીમાણીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન કર્યું હતું. 

અખબારી યાદી
વિગત-સૌજન્ય : ડો. રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તા. 01.12.2015 

No comments:

Post a Comment