Wednesday, May 27, 2015

ગરમીનું મોજું : શાસનાકીય સૂચનો અને પ્રજાકીય સવાલો

હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

લમણાંફાડ ગરમીના કારણે મગજનો પારો ઊંચો ચડે એવું 'પરસેવા-પર્વ' ચાલી રહ્યું છે. માણસથી પગરખાનું મોજું ખોવાઈ જાય કે દરિયાનું મોજું માણસને ખોઈ નાખે એ સમજી શકાય, પણ ગરમીનું મોજું આવે ત્યારે માનવજાતિએ શું કરવું એની ચિંતા સત્તાવાળાઓએ જાહેરાત થકી કરવી પડે છે. ૧૯-૦૫-૨૦૧૫ના રોજ ગુજરાતી દૈનિકોમાં પ્રસિદ્ધ થયેલી સરકારી જાહેરાતનું શીર્ષક છે : 'ગરમીમાં લૂ લાગવાથી બચો.' ભાષાના ચીપિયાથી આ શીર્ષકને પકડીને તપાસીએ તો, 'ઠંડીમાં લૂ લાગે ખરી?!' ગુજરાત સરકારે ગરમીના મોજા સામે જનહિતાર્થે જારી કરેલાં સ્વાસ્થ્યલક્ષી સૂચનો અને એના પ્રતિભાવરૂપે પ્રજાના સવાલો આ મુજબ છે :

સરકારનું સૂચન (૧) : 'ગરમીના મોજા દરમ્યાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતાં કપડાં પહેરવાં. ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો.' પ્રજાનો સવાલ (૧) : ખેતકામ-મજૂરોથી માંડીને બાંધકામ-મજૂરો, હાથલારીથી માંડીને પગરિક્ષા ચલાવનાર જો ઘરની બહાર નીકળવાનું ટાળે તો એમનું ઘર ન ચાલે. વળી, ગમે એવું ગરમીનું મોજું આંટા મારતું હોય તોય સલમાન ખાન જેવા નટ અને સની લીઓન જેવી નટીઓ શરીર ઢંકાય એવાં અને એ પણ ખુલતાં કપડાં ન પહેરે. ગરમીમાં ટોપી અને ચશ્માંનો ઉપયોગ કરવાનું સમજાય તેમ છે, પણ છત્રી ન વાપરતાં હોય તો એના વિકલ્પરૂપે રેઇન-કોટ પહેરી શકાય કે કેમ?!

સૂચન (૨) : 'નાનાં બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી.' સવાલ (૨) : બાળકો, સગર્ભા, વૃદ્ધો, અશક્ત, બીમાર માણસોની કેવળ ઉનાળામાં જ નહીં, શિયાળા અને ચોમાસામાં પણ વિશેષ કાળજી લેવી જોઈએ. નાજુક અને નબળાં તન-મન-ધન ધરાવતા માનવો ઉપર ગરમીના મોજાની સરખામણીમાં ઠંડીના મોજા અને વરસાદના મોજાની અસર ઓછી થાય છે?

સૂચન (૩) : 'સીધા સૂર્યપ્રકાશથી બચો.' સવાલ (૩) : માણસ સીધો અને સૂર્યપ્રકાશ વાંકો હોય એ આદર્શ સ્થિતિ છે. બાકી, વાંકા માણસથી સીધો સૂર્યપ્રકાશ કેવી રીતે બચી શકે?

સૂચન (૪) : 'ભીનાં કપડાંથી માથું ઢાંકી રાખો. અવારનવાર ભીનાં કપડાંથી શરીર લૂછો. વારંવાર ઠંડું પાણી પીવું.' સવાલ (૪) : જેને બારમાસી શરદીનો કોઠો રહેતો હોય તેમણે ભીનાં કપડાંથી માથું ઢાંકી રાખવું કે કેમ એ 'ગૂગલેશ્વર મહાવેબ'નાં દર્શન કરીને નક્કી કરવું. અવારનવાર ભીનાં કપડાંથી શરીર લૂછવાથી ગરમીથી દૂર રહી શકાય. પરંતુ, 'સંપૂર્ણ સ્નાન'ના વિકલ્પે રોજેરોજ ભીનું પોતું ફેરવવાની ક્રિયા કરવાથી સાથીઓ-સહકર્મીઓ દૂર થતાં જશે. વળી, બરફદેવતા ઉપર હાથ મૂકીને કહો કે, વારંવાર ઠંડું પાણી પીવાથી તરસ છીપે છે?

સૂચન (૫) : 'લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારિયેળનું પાણી, ખાંડ-મીઠાંનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવાં.' સવાલ (૫) : લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારિયેળનું પાણી જો સરકારના ખર્ચે પુષ્કળ પ્રમાણમાં પીવાનાં હોય તો આ સૂચનને ચારે દિશાના નાગરિકોનો ચારે બાજુથી ટેકો છે. જોકે, મધુપ્રમેહ અને રક્તચાપની બીમારીથી પીડાતી વ્યક્તિઓએ ખાંડ-મીઠાંનું દ્રાવણ લેવું કે નહીં એની અવઢવ છે. વળી, વી.આર.એસ. લીધી હોય તેણે ઓ.આર.એસ. લેવાની જરૂર પડે કે કેમ એ અંગે સરકારે કોઈ પરિપત્ર બહાર પાડ્યો છે ખરો?

સૂચન (૬) : 'બાળકો માટે કેસૂડાંનાં ફૂલ તથા લીમડાનાં પાનનો નાહવાનાં પાણીમાં ઉપયોગ કરવો.' સવાલ (૬) : સમગ્ર ગુજરાતમાં નવજાતથી માંડીને જાતજાતનાં બાળકોને, આ રીતે દર ઉનાળામાં કેસૂડાંનાં ફૂલ અને લીમડાનાં પાંદડાં પાણીમાં નાખીને નવડાવવાં હોય તો કેટલા હજાર ખાખરાનાં-લીમડાનાં ઝાડ ઉછેરવાં પડે?

સૂચન (૭) : 'ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ, શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નાહવું. શક્ય હોય તો ઘરનાં બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી.' સવાલ (૭) : ગરમીમાં બહારથી ઘરે આવ્યા પછી, ઘટના અને ચર્ચા એવી પણ આકાર લે કે શરીરનું તાપમાન નીચું આવવાની જગ્યાએ ઊંચું આવે! આ માપદંડના આધારે આયોજન કરીએ તો, નાહવાનો કાર્યક્રમ ઠેલાતો જ રહે. વળી, ઘરનાં બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટીને બાંધી રાખીએ, અને જો એ પાણી નીચેના માળની કોઈ બારી ઉપર ટપકે તો 'ઝઘડાની બારી' નહીં ખૂલે એની શી ખાતરી?

સૂચન (૮) : 'દિવસ દરમિયાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામાં રહેવું.' સવાલ (૮) : રાજ્યના ધોરી માર્ગો કે શહેરની સડકો ઉપર પરિવહન-સગવડ ઊભી કરવા માટે પારાવાર વૃક્ષોને ફરજિયાત 'શહીદ' કરવામાં આવ્યાં છે. ઘણાં નાણાં ખર્ચતાં પણ, ગુજરાતમાં ઝાડના છાંયડા ક્યાંય ભાડે મળે છે?

સૂચન (૯) : 'બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં. બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો. લગ્નપ્રસંગે દૂધ, માવાની આઇટમ ખાવી નહીં.' સવાલ (૯) : સરકાર એટલી નિખાલસ કબૂલાત તો કરે છે કે, બજારમાં ખુલ્લો અને વાસી ખોરાક મળે છે. જો આપણે દરરોજ ખુલ્લો અને વાસી ખોરાક ન ખાઈએ તો એનો રોજેરોજ નિકાલ ન થાય. અને એ ખોરાક વધુ ને વધુ વાસી થતો રહે! વળી, લગ્ન-જમણવારમાં દરેક 'આઇટમ' બધી જ આઈટમ ખાતી હોય છે. વધારામાં, બજારમાં મળતો 'મિનરલ વોટર'માં બનાવેલો બરફ તો ખાઈ શકાય ને?

સૂચન (૧૦) : 'ઉપવાસ કરવાનું ટાળવું. સવારનું ભોજન બાર વાગ્યા સુધીમાં લઈ લેવું.' સવાલ (૧૦) : ઉપવાસનો વિરોધ કરવો એ ભારતીય સંસ્કૃતિનો વિરોધ કરવા બરાબર છે. ઉપવાસ એ 'વૈવિધ્યપૂર્ણ વ્યંજનોનો વૈભવ' છે એ કેમ કરીને સમજાવવું? વળી, ભિક્ષુકજન માટેનો રામરોટીનો બપોરે બારથી બેનો નિર્ધારિત સમય ફેરવાય તો ભિક્ષુકનારાયણનું સમગ્ર ચયાપચયતંત્ર ખોરવાઈ જાય એમ છે!

સરકારનું સૂચન (૧૧) : 'ચા-કૉફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.' પ્રજાનો સવાલ (૧૧) : ચા-કૉફી અને દારૂનું સેવન કરવાથી લૂ લાગવાની શક્યતા ભલે વધતી, પણ એનું સેવન ટાળવાથી મગજ 'ચક્કર-ભમ્મર' થવા માંડે એની જવાબદારી રાજ્ય-સરકાર લેશે? એવો સવાલ પ્રદેશના ઘણા સેવનિયાઓએ પૂછ્યો છે.

આટલાં સૂચનો ઓછાં હોય તેમ, સરકારશ્રી તરફથી વધારાનું સૂચન છે : 'વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ, અને કાળી દ્રાક્ષનું શરબત લઈ શકાય. રાત્રે દશ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી. તડબૂચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો.' પ્રજાશ્રીનો વધારાનો સવાલ આ છે : જેના નસીબમાં બારમાસી સૂકા મેવા અને મોસમી લીલાં ફળ ન હોય તેવા લોકોને ગરમીના મોજાથી પણ ખતરનાક એવું મોંઘવારીનું મોજું નડે છે એનું શું?

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................
સૌજન્ય : 
ગરમીનું મોજું : શાસનાકીય સૂચનો અને પ્રજાકીય સવાલો
'હળવે હૈયે',
'દિવ્ય ભાસ્કર', ૨૭-૦૫-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૮ અને પૃષ્ઠ : ૦૬

6 comments:

  1. વાહ...... બહુ મજા આવી......

    ReplyDelete
  2. વાહ...... બહુ મજા આવી......

    ReplyDelete
  3. તદ્દન સાચી વાત સર..પ્રજાના સવાલો સ્વાભાવિક અને યથાસ્થાને છે..

    ReplyDelete
  4. તદ્દન સાચી વાત સર..પ્રજાના સવાલો સ્વાભાવિક અને યથાસ્થાને છે..

    ReplyDelete