Monday, April 20, 2020

'ઇન્ડિયન ઓપીનિયન'


જેમ કોમમાં લડતને અંગે અને અનુભવો લેતાં લેતાં પરિવર્તનો થયાં તેમ જ 'ઈન્ડિયન ઓપીનિયન'માં પણ બન્યું. એ અખબારમાં પ્રથમ જાહેરખબરો લેવામાં આવતી. છાપખાનાને અંગે બહારનું પરચૂરણ છાપવાનું કામ લેવામાં આવતું. મેં જોયું કે એ બંને કામમાં સારામાં સારા માણસોને રોકવા પડતા હતા. જાહેરખબરો લેવી જ તો પછી કઈ લેવી અને કઈ ન લેવી એનો વિચાર કરવામાં હમેશાં ધર્મસંકટો પેદા થતાં. વળી અમુક જાહેરખબર ન લેવાનો વિચાર થાય ને છતાં જાહેરખબર આપનાર કોમનો આગેવાન હોય, તેને દુ:ખ લગાડવાના ભયથી પણ ન લેવા યોગ્ય જાહેરખબર લેવાની લાલચમાં ફસાવું પડે. જાહેરખબરો મેળવવામાં અને તેનાં દામ વસૂલ કરવામાં સારામાં સારા માણસનો વખત જાય અને ખુશામતો કરવી પડે તે નોખું. અને સાથે એ પણ વિચાર આવ્યો કે જે છાપું કમાઈને અર્થે નહીં પણ કેવળ કોમની સેવાને અર્થે ચાલતું હોય તો તે સેવા જબરદસ્તીથી નહીં થવી જોઈએ, પણ કોમ ઈચ્છે તો જ થવી જોઈએ. અને કોમની ઈચ્છાનો ચોખ્ખો પુરાવો તો એ જ ગણાય કે કામ ઘટતી સંખ્યામાં ઘરાક થઈ તેનું ખર્ચ ઉપાડી લે. વળી એમ પણ વિચાર્યું કે છાપાને ચલાવવા સારુ, માસિક ખર્ચ કાઢવામાં, થોડા વેપારીઓને સેવાભાવને નામે પોતાની જાહરખબરો આપવા સમજાવવા, તેના કરતાં કોમના આમવર્ગને છાપું લેવાની ફરજ સમજાવવી, એ લલચાવનાર અને લલચાનાર બન્ને સારુ કેટલી બધી સુંદર કેળવણી થઈ પડે ? વિચાર થયો અને તુરત અમલમાં મૂકયો. પરિણામ એ આવ્યું કે જેઓ જાહેરખબર વગેરેની ભાંજગડમાં પડ્યા હતા તેઓ અખબાર સારું બનાવવાની મહેનતમાં ગૂંથાયા. કોમ તરત સમજી ગઈ કે “ઈન્ડિયન ઓપીનિયન'ની માલિકી અને તે ચલાવવાની જવાબદારી બન્ને તેને હસ્તક રહ્યાં. અમે બધા કામદારો નિશ્ચિત થયા. કોમ છાપું માગે તો પૂરેપૂરી મહનત કરી છૂટવા જેટલી જ ફિકર અમારે વેઠવી રહી, અને હરકોઈ હિંદીને તેની બાંય પકડી 'ઈન્ડિયન ઓપીનિયન' લેવાનું કહેતાં શરમ તો ન જ રહી, એટલું જ નહીં, પણ કહેવું એ અમે ધર્મ સમજવા લાગ્યા. 'ઈન્ડિયન ઓપીનિયન'નાં અાંતરિક બળ અને સ્વરૂપ પણ ફર્યા અને એ એક મહાશક્તિ થઈ પડયું. તેની સામાન્ય ઘરાકી ૧૨૦૦-૧૫૦૦ સુધી હતી તે દિવસે દિવસે વધવા લાગી. તેનો દર વધારવો પડ્યો હતો તેમ છતાં લડાઈએ જ્યારે ઉગ્ર સ્વરૂપ પકડયું તે વખતે ૩,પ૦૦ નકલો સુધી ગ્રાહક વધ્યા હતા. 'ઈન્ડિયન ઓપીનિયન'નો વાચકવર્ગ વધારેમાં વધારે ર૦,૦૦૦ ગણી શકાય, તેમાં ૩,૦૦૦ ઉપરાંત નકલોનું ખપવું એ અજાયબીભરેલો ફેલાવો ગણી શકાય. કોમે એ વખતે એ છાપું એટલે સુધી પોતાનું કરી મૂક્યું હતું કે જો ધારેલે વખતે તેની નકલો જોહાનિસબર્ગમાં ન પહોંચી હોય તો મારી ઉપર ફરિયાદની ધાડ આવેલી જ હોય. ઘણે ભાગે રવિવારે સવારે એ જોહાનિસબર્ગમાં પહોંચતું. મને ખબર છે કે ઘણા માણસો છાપું આવે ત્યારે પ્રથમ કામ પહેલેથી તે છેલ્લે સુધી તેનો ગુજરાતી ભાગ વાંચી લેવાનું કરે. એક જણ વાંચે અને પાંચ પંદર તેને વીંટાઈને બેઠા હોય તે સાંભળે. આપણે ગરીબ રહ્યા એટલે કેટલાંક એ છાપું ભાગમાં પણ લેતા.
છાપખાનાને અંગે પરચૂરણ કામ નહીં લેવા વિશે પણ હું લખી ગયો. તે બંધ કરવાનાં કારણો પણ ઘણે ભાગે જાહરખબરના જેવાં જ હતાં. અને તે બંધ કરવાથી બીબાં ગોઠવનારાનો જે વખત બચ્યો તેનો ઉપયોગ છાપખાના મારફતે પુસ્તકો પ્રગટ કરવામાં થયો. અને એ પ્રવૃત્તિમાં ધન મેળવવાનો હેતુ ન હતો એમ કોમ જાણતી હતી. અને પુસ્તકો કેવળ લડતને મદદરૂપે જ છપાતાં હતાં તેથી પુસ્તકોનો ઉઠાવ પણ સારી રીતે થવા લાગ્યો. આમ છાપું અને છાપખાનું બંનેએ લડતમાં ફાળો ભર્યો. અને સત્યાગ્રહની જડ જેમ જેમ કોમમાં બાઝતી ગઈ તેમ તેમ છાપાંની અને છાપખાનાની, સત્યાગ્રહની દૃષ્ટિએ, નૈતિક પ્રગતિ પણ થતી ગઈ એમ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું.

મોહનદાસ કરમચંદ ગાંધી

(સૌજન્ય : 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ')

No comments:

Post a Comment