Thursday, October 24, 2019

ગોપાળદાસ પટેલની ગ્રંથાલય-સેવા // દશરથલાલ શાહ


૧૯૨૦ના અસહકારના આંદોલનમાં ગૂજરાત વિદ્યાપીઠની મહાત્મા ગાંધીએ સ્થાપના કરી. કોઈ પણ વિદ્યાપીઠને પોતાનું ગ્રંથાલય હોવું જોઈએ, એ દૃષ્ટિએ ૧૯૨૦થી જ વિદ્યાપીઠ ગ્રંથાલયનો પ્રારંભ થયો. સાથે સાથે પુરાતત્ત્વ મંદિરનું ગ્રંથાલય 'શ્રીમદ રાજચંદ્ર જ્ઞાનભંડાર'ના નામથી ઓળખાયું. ૧૯૨૮માં વિદ્યાપીઠનાં ધ્યેયોની રચના સાથે વિદ્યાપીઠનું ગ્રંથાલય પણ એક બન્યું અને 'ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય'ના નામથી શરૂ થયું.

ગૂજરાત વિદ્યાપીઠની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે જુદી જુદી સમિતિઓ રચાતી એમ ગ્રંથાલય સમિતિના મંત્રી તરીકે ૧૯૪૯-૫૦થી ગોપાળદાસ પટેલ નીમાયા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક તો હતા જ અને જુદા જુદા ધર્મોનાં સુંદર પુસ્તકોનું નિર્માણ પણ કર્યું હતું.

તે વખતે વિદ્યાપીઠનો સમય સવારે ૮થી ૧૦ ને બપોરે ૧૨-૩૦થી ૫-૩૦નો હતો. ૧૯૫૨માં સ્નાતક થઈને આ ગ્રંથાલયના કોપીરાઈટ વિભાગમાં મારી નિમણૂક થઈ. ગોપાળદાસના હાથ નીચે લગભગ ૧૦ વર્ષ કામ કરવાની તક મળી. આ સમય દરમ્યાન આચાર્ય વિનોબાજીને ગ્રંથાલય બતાવવાનું કામ મંત્રીશ્રીએ મને સોંપ્યું હતું - ઠંડીના દિવસોમાં વહેલી સવારે તેઓ આવ્યા હતા. અમારા ગ્રંથપાલ ચુનીલાલ પુ. બારોટને સાંભળવાની અને બોલવાની તકલીફને કારણે મને આ લાભ મળ્યો હતો. વિનોબાજીએ બહુ રસપૂર્વક ગ્રંથાલય નિહાળ્યું હતું.

ગોપાળદાસભાઈ રોજ સવારે અને સાંજે ગ્રંથાલયમાં આવતા. બધી ટપાલો બરાબર જોતા અને જરૂરી સૂચનાઓ આપતા. ૧૯૩૨ની ગેરકાયદે કોંગ્રેસના અધિવેશનમાં તેઓ ગુજરાત કોંગ્રેસ તરફથી દિલ્હી ગયેલા ને ત્યાં અંગ્રેજ સરકારે લોકો ઉપર ઘોડા દોડાવ્યા હતા, તેમાં ગોપાળદાસને પગે ભારે ઈજા થવાથી તેઓ નીચે બેસી શકતા નહિ, તેથી વિદ્યાપીઠમાં સૌથી પહેલાં ખુરશી-ટેબલ એમને માટે ગ્રંથાલયમાં આવ્યા. આજે પણ વિદ્યાપીઠમાં મોટા ભાગની બેઠકો નીચે ગાદી-તકિયાની જ છે. આ જ ભારતીય પરંપરા છે.

No comments:

Post a Comment