Thursday, October 17, 2019

ગૂજરાત વિદ્યાપીઠનો શતાબ્દી પ્રવેશ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ એક ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા છે. ગૂજરાત વિદ્યાપીઠ તા. ૧૮-૧૦-૨૦૧૯ના રોજ ૧૦૦મા વર્ષમાં પ્રવેશે છે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પરિસરમાં સવારે ૮-૦૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ કુલપતિ સુશ્રી ઇલાબહેન ભટ્ટ સૌને વિદ્યાપીઠનાં ધ્યેયોની પ્રતિજ્ઞા લેવડાવશે અને સૌ સંઘગાન ગાશે. આ કાર્યક્રમ મયૂર બાગમાં યોજાનાર છે. ત્યારબાદ ૮-૩૦ કલાકે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પરિસરના સભાગૃહની સામેની જગ્યામાં આ દિવસ નિમિત્તે ૧૦૦ વૃક્ષોનું વાવેતર થશે. જેનું 'શતાબ્દી વન' નામાભિધાન કરવામાં આવશે. 

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના જે બંગલામાં થઈ હતી તે જગ્યાએ એટલે કે ભીમભાઈ મહેતાનો બંગલો, પ્રીતમનગર પહેલો ઢાળ, કોચરબ ખાતે સવારે ૯-૩૦ કલાકે પ્રાર્થનાસભા યોજવામાં આવનાર છે. આ સ્થળે વિદ્યાપીઠનાં સ્મરણો યાદ કરવામાં આવશે. આ પ્રસંગે કુલપતિ ઇલાબહેન, કુલનાયક અનામિકભાઈ, કાર્યકારી કુલસચિવ ભરતભાઈ તેમજ બંગલાના મૂળ માલિક અને ત્રીજી પેઢીના વારસ શ્રી પ્રિયદર્શનભાઈ મહેતા સૌને આવકાર આપશે.

આ જ દિવસે સાંજે ૪-૩૦ થી ૫.૩૦ દરમ્યાન વિદ્યાપીઠનાં ૧૦૦ વર્ષની ઉજવણીના અનુસંધાને ભારતીય ટપાલ સેવા, ભારત સરકાર દ્વારા વિશેષ ટપાલ ટિકિટ અને ફર્સ્ટ ડે કવરનું વિમોચન મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસના ખંડમાં યોજવામાં આવનાર છે. આ પ્રસંગે કુલપતિ ઇલાબહેન, વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ, અધ્યાપકો, તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પોસ્ટ-માસ્ટર જનરલ શ્રી આર.પી.ગુપ્તા; ચીફ પોસ્ટલ સુપ્રિટેન્ડેન્ટ (મુખ્ય કાર્યાલય) શ્રી સુનિલ શર્મા તેમજ સી.પી.એમ મેજર એસ.એન.દવે પણ વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેશે.

આ ઐતિહાસિક દિવસની યાદરૂપે બહાર પાડવામાં આવનાર ફર્સ્ટ ડે કવરની સ્થળ પર વેચાણ-વ્યવસ્થા કરવામાં આવનાર છે.

No comments:

Post a Comment