Friday, October 25, 2019

મારી સ્વરાજયાત્રા // ગુલામ રસૂલ કુરેશી


૧૯૨૨નું વર્ષ બેઠું. રાજકીય જુવાળ ઠંડો પડવા લાગ્યો હતો. અમદાવાદ જિલ્લા ખિલાફત કમિટીએ પોતાના એક મંત્રી તરીકે મારી નિમણૂક કરી. ભાગ્યે જ તે કામ બે મહિના કર્યું હશે કે ઓલ ઇન્ડિયા ખિલાફત કમિટીએ પોતાના દફતરમાં મને બોલાવી લીધો. ત્યારે 'સ્મિરના તૈયારા ફંડ'નું ઉઘરાણું ચાલતું હતું તે ઉઘરાણાનું કામ ગુજરાતપૂરતું મને સોંપવામાં આવ્યું. ૧૯૨૩માં ગૂજરાત વિદ્યાપીઠના વહીવટી કામમાં હું જોડાયો. ૧૯૨૦ના મેની ૩૧મી તારીખે ઇમામ અબ્દુલ કાદર બાવઝીરની નાની દીકરી અમિના સાથે લગ્ન થયું. લગ્નની કંકોત્રીઓ બાપુએ પોતાના નામે છપાવેલી અને કન્યાદાન પોતે જ આપ્યું. તે વખતે ઇમામ સાહેબને પ્રજામાં માત્ર અમિના એક દીકરી જ હતી. એ રીતે ૧૯૨૪થી આશ્રમમાં રહેવાને સ્થાન મળ્યું. ૧૯૨૫માં ટૂંકા સમય માટે જોઇન્ટ સેક્રેટરી તરીકે લોન સર્વિસ પર મજૂર મહાજનમાં જોડાવાનું બનેલું પણ કાર્યકર્તાઓના મતભેદના કારણે તે અલ્પજીવી રહ્યું. અને લોન સર્વિસ ટૂંકાવી વિદ્યાપીઠમાં ફરી પાછો આવી ગયો. ત્યારે મને ગ્રંથપાલનું કામ સોંપાયું.

૧૯૩૦નું વર્ષ નમક સત્યાગ્રહનું. બાપુએ દાંડીકૂચ શરૂ કરી. દાંડીકૂચ વખતે બાપુના પડાવ દિવસના અને રાતના એમ બે ટપ્પે રહેતા. બાપુની અને કૂચના સૈનિકોની જરૂરિયાત અને વ્યવસ્થાની દિવસની કામગીરી વિદ્યાપીઠના વિદ્યાર્થી મિત્રો સાથે મને સોંપાઈ. આ કામ ઘણું કપરું હતું. રોજ પડાવ બદલાય તેની સાથે જ નવી વ્યવસ્થા ઊભી કરવાની રહે.

No comments:

Post a Comment