Saturday, May 23, 2026

📷રઘુ રાયની તસવીરોમાં પ્રતિબિંબિત ગુજરાત 👁️|| ડૉ. અશ્વિનકુમાર



રઘુ રાય એટલે તસવીરકળાનો પર્યાય. રાષ્ટ્રીય સ્તરે ગૌરવ લઈ શકાય એવું નામ. આંતરરાષ્ટ્રીય સ્તરે નામ લઈ શકાય એવું ગૌરવ. આ પ્રતિભા-પુરુષ ૧૮-૧૨-૧૯૪૨થી ૨૬-૦૪-૨૦૨૬ સુધી જીવ્યા. પરંતુ એમણે ઝડપેલી તસવીરો હંમેશાં જીવંત રહેવાની છે. રઘુ રાયે કેવળ તસવીરો નથી લીધી, કિંતુ તત્કાલીન સમયનું વાસ્તવિક પ્રકાશાંકન કર્યું છે. તેઓ તસવીરકળાની તકનિકમાં તેજપ્રતાપી અને છબીની વિષય-પસંદગીમાં તદ્વિદ હતા.

આપણા બહુવિધ ગુજરાતને આપણા એકના એક રઘુ રાયે આબાદ કરેલી તસવીરોથી જોવું-જાણવું અને નાણવું-માણવું હોય તો પુસ્તક હાજર છે જ. સને ૨૦૧૫માં ‘GUJARAT’ નામથી અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલા આ પુસ્તકના લેખક અને તસવીરકાર રઘુ રાય છે. પુસ્તકની સજાવટ પણ રઘુ રાયે કરી છે. લખાણ ઍસ્થર ડેવિડનું અને તકનિકી સહયોગ અમિત ચૌહાણનો છે. આ પુસ્તકમાં ‘રઘુ રાય સેન્ટર ફોર ફોટોગ્રાફી’નો નામજોગ ઉલ્લેખ છે. ૧૩૦ જીએસએમ અને ૧૧.૫ ઇંચના ચોરસ મોં બ્લાં કાગળ ઉપર આકર્ષક મુદ્રણ ધરાવતું ૧૪૪ પાનાંનું આ કૉફી ટેબલ પુસ્તક નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયું છે.

‘GUJARAT’ પુસ્તકમાં મુખપૃષ્ઠ ઉપર સ્થાન પામેલી તસવીરની એ ક્ષણને રઘુ રાયે સને ૧૯૮૬માં કચ્છના એક ગામડામાંથી શોધી કાઢી હતી. સિંદૂર ચોપડેલા હારબંધ પાળિયા પાસે ઊભેલાં એક માડી એક ભાયડાને કશુંક કહી રહ્યાં છે. પાળિયા ભલે નિર્જીવ હોય એની આસપાસ જીવતી આવી વાર્તાઓ રઘુ રાયની તસવીરનો વિષય બની જાય છે. પુસ્તકમાં મોટાભાગની તસવીરોની નીચે એકાદ લીટીની માહિતી છે. જોકે, તમામ તસવીરોમાં થોડું રસપ્રદ લખાણ ઉમેરવું જોઈએ. જેથી કરીને વાચકો એ તસવીરોને બરાબર સમજી શકે.

પુસ્તકના ઉઘાડમાં રઘુ રાયે ગુજરાત સાથેના સંબંધોને આલેખ્યા છે. તેમણે પહેલા જ વાક્યમાં ઉત્કૃષ્ટ છબીકાર કિશોર પારેખને ભાવપૂર્વક યાદ કર્યા છે. ઈ.સ. ૧૯૬૬માં કિશોર પારેખ સાથે રઘુ રાયે પહેલી જ વખત ગુજરાતની અને એમાં પણ ખાસ કરીને બરોડાની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ જ્યોતિ ભટ્ટ, જ્યોત્સના ભટ્ટ, અને રાઘવ કનેરિયાને મળ્યા હતા અને તેઓ તરણેતરના મેળાની મુલાકાતે ગયા હતા. પ્રવેશકમાં રઘુ રાયે ગુજરાતી મહિલાઓના ઉષ્માભર્યા સ્મિતને યાદ કરીને નોંધ્યું છે કે, ગુજરાતીઓને એક ધબકતી પ્રજાતિ તરીકે ઘડવામાં તેમનો ફાળો વિશેષ છે. રઘુ રાયના આલેખની સામે ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ (Gabriel Garcia Marquez)નું આ અવતરણ ટાંકવામાં આવ્યું છે : "...the strongest influence on you, stronger than anything in your literary background, comes from your cultural and geographical identity." અર્થાત્ "...તમારા પર સૌથી મજબૂત પ્રભાવ, તમારી સાહિત્યિક પૃષ્ઠભૂમિમાં કોઈપણ વસ્તુ કરતાં વધુ મજબૂત, તમારી સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખમાંથી આવે છે." ભારતીય રઘુ રાયના ‘ગુજરાત’ શીર્ષક હેઠળના પુસ્તકની તસવીર-સામગ્રી જોતાં, કોલંબિયાના જગવિખ્યાત લેખક અને પત્રકાર ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝનું આ અવતરણ સૂચક જણાય છે.

પ્રસ્તાવનાના પાનાની ડાબી બાજુએ કચ્છી કન્યા નજરે ચઢે છે. ઈ.સ. ૧૯૮૮માં લેવાયેલી આ તસવીરમાં માલધારી સમુદાયની આ ગ્રામીણ કન્યકાને, શહેરમાંથી આવી ચઢેલા અજાણ્યા અને આધેડ પુરુષ તસવીરકાર સમક્ષ, ખડાં રહેવું પડ્યું છે. આવી અણધારી સ્થિતિના કારણે દીકરીના ભાવગંભીર ચહેરા અને ડાબા હાથની વળ ખાઈ ગયેલી આંગળીઓ ઉપર આપણું ધ્યાન ગયા વિના રહેતું નથી.

રઘુ રાયે હાથ-લીધાં કામો અને દીર્ઘકાલીન પ્રકલ્પો માટે ગુજરાતની મુલાકાતો સમયાંતરે લીધી હતી. તેમની તસવીરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવાં શહેરો છે તો અલંગ, ખંભાત, જૂનાગઢ, પાલીતાણા જેવાં નગરો છે. શહેરની સાંકડી શેરીઓ છે તો ગામડાંનાં મોટાં ફળિયાં છે. રઘુ રાયની છબીઓમાં જમીનના કણો અને આકાશના રંગો વચ્ચે શિલ્પ-સ્થાપત્ય અને મૂર્તિ-મિનારા જોવા મળે છે.

ગુજરાતનાં વિવિધ નગરોનાં સ્થાનિક બજાર અને રસ્તા રઘુ રાયની તસવીરોમાં આબાદ રીતે ઝિલાયાં છે. તેમણે જીવન સાથે જોડાયેલી ઘણીબધી તસવીરો રસ્તા ઉપર લીધી છે. જેના કારણે જીવનને સમજવાના ઘણા રસ્તા જડી આવે છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા ધોરીમાર્ગો અને એના ઉપરથી પસાર થતા વાહન-વ્યવહારની સાથે જીવન-વ્યવહારને પણ રઘુ રાયે તસવીરોમાં સમાવી લીધા છે. તેમની તસવીરોમાં વિવિધ ધર્મ અને સંપ્રદાય, જ્ઞાતિ અને સંસ્કૃતિને સમાવવાનો સભાન પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમણે પાડેલી છબીઓમાં જ્ઞાતિઓનાં સમૂહ-લગ્નો અને વરઘોડા છે તો સમુદાયના રીત-રિવાજો અને કૌટુંબિક મેળાવડા છે.


રઘુ રાયની તસવીરોમાં સૌરાષ્ટ્રનું સોમનાથ મંદિર અને પાલીતાણાનું જૈન મંદિર છે. ચાંપાનેરની જામા મસ્જિદ અને સુરતની વોરા જમાત મસ્જિદ છે. જૂનાગઢનો મહોબત મકબરો અને ઉનાવાની દરગાહ છે. રઘુ રાયની છબીઓમાં કચ્છના રણના અગરિયા છે. વાંઢે ગયેલા માલધારીઓ અને વિચરતો-વિમુક્ત સમુદાય છે. તેમની છબીઓમાં સરદાર સરોવર બંધના બાંધકામ-મજૂરો છે અને તાપી નદીના તટે રેતની હેરફેર કરતી મજૂરણો છે. રઘુ રાયની તસવીરોમાં હોળી- ધુળેટીના તહેવારની ઉજવણી કરતા છોટાઉદેપુરના આદિવાસી યુવકો માથે લાલ-પીળા ફેંટા બાંધીને વાંસળીના સૂર રેલાવી રહ્યા છે. અન્ય એક તસવીર ગીરના શિરવાણ ગામમાં વસતા આફ્રિકી પ્રજાતિના આદિવાસીઓની છે.


અમદાવાદની વાત કરીએ તો ર.રા.ની તસવીરોમાં સાબરમતી નદીનો કિનારો અને મહાત્મા ગાંધીનો આશ્રમ છે. ખાડિયામાં આવેલો કવિ દલપતરામ ચોક અને નવરંગપુરામાં આવેલી અમદાવાદની ગુફા છે. કાલુપુર-સ્થિત સ્વામીનારાયણ મંદિર અને સરખેજનો રોજો છે. કાંકરિયા વિસ્તારમાં આવેલું ફૂટબોલ ગ્રાઉન્ડ છે તો કાંકરિયા તળાવની મધ્યે આવેલી નગીના વાડી છે. ગણપતિની મૂર્તિઓ બનાવતા કારીગરો છે તો કૂતરાંને ખવડાવતા શહેરીજનો છે. અમદાવાદના રસ્તા પર દ્વિચક્રી ચલાવતી મધ્યમવર્ગીય મહિલાની તસવીરની સામેના પાને હાથલારી હંકારતી શ્રમિકા દૃશ્યમાન થાય છે.

રઘુ રાયે હોલિકા પર્વ નિમિત્તે શ્રદ્ધાળુ યુવકો ઉપર પિચકારીથી રંગફુવારો કરતા પ્રમુખ સ્વામી મહારાજની તસવીર લીધી છે. એક તસવીરમાં ‘સેવા’ સંસ્થાનાં સ્થાપક ઇલા ભટ્ટ છબીની કેન્દ્રભૂમિમાં છે, પણ ઇલાબહેનની ઓળખ સમી મહિલા કાર્યકરો એ તસવીરમાં એમની આસપાસ જોઈ શકાય છે. જમીન ઉપર પલાંઠી જમાવીને બેઠેલા સ્થપતિ બાલકૃષ્ણ વી. દોશીની કુટુંબકબીલા સાથેની તસવીર, ગુજરાતી ઘરોમાં યોજાતી પરિવાર-બેઠકને તાદૃશ કરે છે. સને ૨૦૦૨માં નરેન્દ્ર મોદીની ફાગવેલ મુકામે ગુજરાત ગૌરવ યાત્રાની તસવીર છે તો પુસ્તકના છેલ્લા પાને રાસ-ગરબાની રમઝટની તસવીર છે. રઘુ રાયની વડોદરી તસવીરોમાં એકબાજુ અતિધનિક ગાયકવાડ મહેલ છે બીજીબાજુ અત્યાધુનિક વ્યાવસાયિક સંકુલ છે. વડોદરાના મહારાજા છે તો કળાકાર જ્યોતિ ભટ્ટ છે.

રઘુ રાયની તસવીરોમાં કચ્છડો બારેમાસ છે, ભરપૂર છે, પાણીદાર છે! તસવીરોમાં અંજાર, કંડલા, ભુજ, ભચાઉ, માંડવી, રતનાલ, લખપત જેવાં નગરો સચવાયેલાં છે. જેમાં ભુજમાં બાયોસ્કોપને કૌતુકથી નિહાળી રહેલી છોકરી છે તો શેરી વચ્ચે કાળિયારનું બચ્ચું વિહરે છે. ભુજ શહેરને સાફ-સૂથરું રાખનાર ‘સખી સંગિની જૂથ’ની મહિલા સફાઈકર્મીઓ છે તો પરંપરાગત પોશાકમાં ગ્રામીણ કચ્છી માલધારીઓ છે. રાયની છબીઓમાં કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરવાની હાડમારી દેખાય છે તો ભચાઉમાં ભૂકંપ પછીની કામગીરી જોઈ શકાય છે. બન્ની વિસ્તારમાં મહેમાનને આવકારો આપતી મહિલાઓ છે તો ખારડીયા ગામમાં યુવકને આશીર્વાદ આપતી મહિલાઓ છે. તેમની છબીઓમાં કચ્છના રાજવી પરિવારજનો છે તો કચ્છી લોકસંગીત કલાકારો છે.

પુસ્તકમાં સાલવારીની રીતે સૌથી જૂની છબી પૃષ્ઠ-ક્રમ ૬૫ ઉપરની છે. સને ૧૯૬૬ની આ છબી તરણેતરના મેળાની છે. રાયજી જે ગ્રામીણ સ્ત્રીઓની તસવીર લઈ રહ્યા છે એમના હાવભાવ અકળ છે, પરંતુ એ બે નારની પાછળ એક જણ ડોકિયું કરીને દાંત કાઢી રહ્યો છે. રઘુ રાયે એને પણ કેમેરામાં કેદ કરી લીધો છે!

રઘુ રાયે મોરબીના નગર દરવાજા પાસેના સવાર-બજારની તસવીર લીધી છે. જેમાં વિવિધ કદ-કાઠી અને ભાવ-મુદ્રા ધરાવતાં અનેક સ્ત્રી-પુરુષો ઊભેલાં-બેઠેલાં જોઈ શકાય છે. પણ આ ભીડભાડની વચ્ચે એક બાળક વિસ્મયથી કૂતરાને જોઈ રહ્યું છે. શેરી ઉપર શિશુ અને શ્વાનની આ છબી પર્યાવરણીય સહ-અસ્તિત્વની શોભા બની ગઈ છે.

ગુજરાતી ગાયો રઘુ રાયના કેમેરાની અડફેટે ચડી ગઈ છે! સાંકડી શેરીઓથી માંડીને ધોરીમાર્ગો ઉપર જોવા મળતી ગૌમાતાઓ રાયજીની તસવીરોના કેન્દ્રમાં હોય પણ એની આસપાસ રચાતાં વિષય-વર્તુળના કારણે જ એ ધ્યાનાકર્ષક બની રહે છે. ભુજની આલીશાન હોટેલની ભીતરથી લેવાયેલી તસવીરમાં પ્રવેશદ્વારની બહાર ઊભેલી ગાય નજરે ચડે છે. જોનારને એમ જ લાગે કે આ ગાય હોટેલમાં હમણાં જ પ્રવેશી જશે! અન્ય જગ્યાની તસવીરમાં, ગાય દુકાન આગળ મૂકેલી ખાદ્ય-સામગ્રી ઉપર મોઢું મારીને તેને ખાઈ રહી છે જે પહેલી તસવીરમાં જોઈ શકાય છે. બીજી તસવીરમાં એ ખાદ્ય-સામગ્રીને ગાયના મોઢામાંથી કઢાવવાનો પ્રચંડ પ્રયત્ન કરી રહેલો વેપારી જોઈ શકાય છે. રઘુ રાયની સમયસૂચકતાને કારણે એ છબી-જોટો ‘જીવંત’ બની ગયો છે.

પુસ્તકમાં પૃષ્ઠ ૩૦-૩૧ ઉપરના એક જ વાક્યના વર્ણન પ્રમાણે, એ તસવીર સાબરમતી આશ્રમ મુકામે ચરખા-કાંતણની છે. પણ સ્થળના મામલે એ હકીકતદોષ છે. વર્ષ ૧૯૯૬માં લેવાયેલી આ તસવીર ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના ઉપાસના ખંડની છે. આ તસવીરમાં મહાત્મા ગાંધીજીની વિશાળ કદની કાષ્ટ-પ્રતિકૃતિ ઊડીને આંખે વળગે છે. ગાંધીવિચારના અભ્યાસી દશરથલાલ શાહ વક્તવ્ય આપી રહ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ વિનોદ ત્રિપાઠી, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના આચાર્ય કનુભાઈ નાયક, ‘રાષ્ટ્રીય સેવા યોજના’ના સંયોજક શંકરલાલ ઉત્તમચંદાણી અને અન્ય સેવકો કાંતણ કરી રહ્યા છે. એ વખતે ઉપાસનાનો સમય સવારના અગિયારથી પોણાબાર સુધીનો હતો. આ તસવીર અગિયાર ત્રીસથી અગિયાર પાંત્રીસની વચ્ચે લેવામાં આવી હતી એ દિવાલ-ઘડિયાળના નાના-મોટા કાંટા ઉપરથી જોઈ શકાય છે. આ લખનાર એ વર્ષમાં, એટલે કે ૧૯૯૬ના ફેબ્રુઆરી માસની વીસમી તારીખે, ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. મહાવિદ્યાલયના ઉપાસના ખંડમાં નિયમિત પ્રાર્થના-કાંતણ વખતની આ લેખકની જે યાદો પડખું ફેરવીને સૂતી હતી એ રઘુ રાયની આ તસવીર દ્વારા ફટાક કરીને ઊભી થઈ ગઈ. આપણને ખુદનો ઇતિહાસ અને વારસો યાદ કરાવે એનું નામ રઘુ રાય છે, મારા ભાઈ!

........................................................................................................

ડૉ. અશ્વિનકુમાર પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ છે.



........................................................................................................
સૌજન્ય :
'નવજીવનનો અક્ષરદેહ', વર્ષ ૧૪, અંક ૦૪, સળંગ અંક ૧૫૬,
એપ્રિલ, ૨૦૨૬, પૃષ્ઠ : ૧૨૪-૧૨૯

No comments:

Post a Comment