- વિવિધ સ્નાતક, સ્નાતકોત્તર, અનુસ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની બેઠકો માટે પ્રવેશ-પરીક્ષા
- 'ગીતા' પ્રવેશ-પરીક્ષાનું ગુજરાત રાજ્યમાં ત્રીસ અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ત્રણ સ્થળોએ આયોજન
- પ્રવેશ-પરીક્ષા બાદ એ જ દિવસે પરિણામની જાહેરાત થઈ
- પરામર્શન બાદ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને ફી ભરી
- ૧લી જુલાઈ, ૨૦૨૫થી ગુરુપૂર્ણિમા સત્ર શરૂ થશે.
ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ સ્નાતક, સ્નાતકોત્તર, અનુસ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની બેઠકો માટે ૧૧-૦૫-૨૦૨૫ના રોજ 'ગીતા' પ્રવેશ-પરીક્ષા લેવામાં આવી હતી. કુલ ૧૧૮૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ-પરીક્ષા આપી હતી. આ માટે ગુજરાત રાજ્યમાં ત્રીસ કેન્દ્રો અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં આસામ અને અરુણાચલ પ્રદેશમાં ત્રણ કેન્દ્રોમાં આયોજન કરવામાં આવ્યું હતું.
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ માટે, ૨૩-૦૩-૨૦૨૩ના રોજ ઓનલાઇન પ્રવેશ-પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રવેશ માટે 'ગીતા'(ગૂજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ડ એફિકસી ટેસ્ટ ફોર એડમિશન)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે વિદ્યાર્થીઓને ગુજરાતી, હિંદી, અને અંગ્રેજી ભાષામાં પ્રવેશ-માર્ગદર્શિકા સુલભ કરાવવામાં આવી હતી. પ્રવેશ-પ્રક્રિયા માટે વિદ્યાપીઠ પરિસરમાં 'સહાયતા કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યું હતું. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦-૦૫-૨૦૨૫ હતી. ૭૩૯ ભાઈઓ અને ૭૦૩ બહેનો એમ કુલ ૧૪૪૨ ઉમેદવારોએ અરજીપત્રો ભર્યાં હતાં.
૬૦ પ્રશ્નોની અને ૯૦ મિનિટની, ઓએમઆર આધારિત, 'ગીતા' પ્રવેશ-પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક-સજ્જતા, અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા વિષયવસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રવેશ-પરીક્ષાનું પરિણામ એ જ દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. પરામર્શન બાદ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને ફી ભરી હતી.
પ્રવેશ-પાત્ર વિદ્યાર્થીઓએ શિક્ષણ ફી ભરીને સત્વરે પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવો હિતાવહ છે. છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ છાત્રાલય ફી અને ભોજન ફી ભરીને 'વહેલાં તે પહેલાં'ના ધોરણે છાત્રાલય-પ્રવેશ મેળવી લેવો.
વિદ્યાર્થીઓએ વધુ જાણકારી માટે ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ https://www.gujaratvidyapith.org/ જોતાં રહેવું.
ગૂજરાત વિદ્યાપીઠના તમામ વિદ્યાર્થીઓ માટે ૧લી જુલાઈ, ૨૦૨૫થી ગુરુપૂર્ણિમા સત્રનો પ્રારંભ થશે.
No comments:
Post a Comment