Monday, December 30, 2019

શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર : ૨૦૧૯ : અર્પણ સમારોહ

ગૂજરાત વિદ્યાપીઠ, તેના વિદ્યાર્થીઓએ સમાજમાં કરેલી કામગીરીને મૂલવીને ૧૯૯૮થી ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ આપે છે. વર્ષ ૨૦૧૯નો આ પુરસ્કાર શ્રી તરલાબહેન બાબુભાઈ શાહને આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
 
શ્રી તરલાબહેન બાબુભાઈ શાહનો જન્મ તા. ૧૮-૦૧-૧૯૩૬ના રોજ ભુજ (જિ. કચ્છ)માં થયો હતો. શ્રી તરલાબહેન શાહને સેવાના સંસ્કારો કચ્છના અગ્રણી કેળવણીકાર, લોકસેવક અને ગાંધીરંગે રંગાયેલા સમાજસુધારક એવા તેમના પિતા શ્રી પ્રભુલાલભાઈ ધોળકિયા પાસેથી મળ્યા હતા. તેઓએ ભુજની નજીક તેમના પિતા દ્વારા સ્થાપિત શિક્ષણસંસ્થા ‘સદનવાડી’ માં પ્રાથમિક શિક્ષણ તથા રાજકોટના કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. વળી તેઓએ ગૂજરાત વિદ્યાપીઠમાંથી ૧૯૫૩માં વિનીતની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને ૧૯૫૬માં ‘સમાજવિદ્યા વિશારદ’ની પદવી મેળવી હતી.
 
સ્નાતક થયા બાદ, તેઓ વલ્લભપુર (તા. રાપર, જિ. કચ્છ) ખાતે શ્રી મગનભાઈ સોનીની સંસ્થામાં જોડાયા. ૧૯૫૭-૫૮માં તેઓએ મહિલા સમાજશિક્ષણ અધિકારી તરીકે ૧૪૦ ગામોમાં કામગીરી કરી. ૧૯૬૦માં શ્રી બાબુભાઈ શાહ સાથે લગ્ન કર્યા બાદ, સુરત જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ગ્રામભારતી, કલમકૂઈ મારફતે, તેઓએ શિક્ષણ અને સેવાનાં અનેક કાર્યો આરંભ્યાં. ૧૯૯૮માં આચાર્યપદેથી નિવૃત્તિ બાદ તેઓએ વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડ મારફતે આદિવાસીઓ અને મહિલાઓના ઉત્થાનનું અનન્ય કાર્ય કર્યું.
 
મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે નઈ તાલીમ, આદિવાસી-કલ્યાણ, જાહેર આરોગ્ય, વ્યસનમુક્તિ, સ્વરોજગારી, પર્યાવરણસુરક્ષા, સજીવ ખેતી, મહિલાવિકાસ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યા છે.

તેમનાં સમાજસેવાનાં આ કાર્યોને બિરદાવવા, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૯ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેમની પસંદગી કરી છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી અને સમારોહના અધ્યક્ષશ્રી ઇલાબહેન ભટ્ટના હસ્તે આ પુરસ્કાર તેઓને અર્પણ કરવામાં આવનાર છે. અતિથિવિશેષ તરીકે શ્રી સુમતિબહેન રાવલ, વિશ્વમંગલમ્, અનેરા ઉપસ્થિત રહેશે. કુલનાયકશ્રી પ્રા. અનામિકભાઈ શાહ આ સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરશે.

તારીખ : ૦૧-૦૧-૨૦૨૦, બુધવાર
સમય : સવારે ૧૧-૦૦ કલાકે
સ્થળ : સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

( વિગત-સૌજન્ય : ડૉ. ભરત જોશી, કાર્યકારી કુલસચિવ
કુલસચિવ કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ )

Saturday, December 14, 2019

સ્મરણો સચવાયાં શ્વેત-શ્યામ છબીમાં

 

સૌજન્ય : વ્હોટ્સએપ્પ વિશ્વવિદ્યાલય 



અનુપારંગત(વર્ષ : ૨૦૦૦)ના અમારા નિબંધ-માર્ગદર્શક તુષાર શંકર ભટ્ટ, પહેલી હરોળમાં જમણેથી ત્રીજી ખુરશીમાં બેઠેલા દૃશ્યમાન થાય છે.

Wednesday, December 11, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


સૂર્યોદય જોવા મેં બાપુજીને પથારીમાંથી ઉઠાડ્યા અને પછી અમે જે આનંદ લૂંટ્યો તે અવર્ણનીય છે. આશ્રમ અને વિદ્યાપીઠ વિશે બાપુજીએ તે દિવસે મારી આગળ દિલ ખોલીને વાતો કરી. ... 

Tuesday, December 10, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


આજકાલ વિદ્યાપીઠની ભવિષ્યની રૂપરેખા ખૂબ દોરું છું. દરેક સંસ્થાના સંચાલક જો બધી વિગતો પોતાના સાથીઓ આગળ ચીતરતા અને ચર્ચાતા રહે તો સંસ્થાની પરંપરા નિર્વિઘ્ને ટકે અને વધે. 

Monday, December 9, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


મારા જીવનમાં મેં જે થોડીક મહત્વની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો તેમાં મારે મન ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિ સૌથી મહત્વની હતી.

Sunday, December 8, 2019

આનંદ હિંગોરાણીને ગાંધીજીની ચિઠ્ઠી


'મારી શાંતિ અને મારી વિનોદવૃત્તિનું રહસ્ય મારી ઈશ્વર એટલે કે સત્ય ઉપરની અવિચળ શ્રદ્ધામાં રહેલું છે.' 

- મો. ક. ગાંધી, ૨૪-૧૦-૧૯૪૪ 

(આનંદ તો. હિંગોરાણીને ચિઠ્ઠી, ગાંધીજીનો અક્ષરદેહ, ૭૮ : ૨૩૭)



વાસરી // કાકાસાહેબ કાલેલકર

 
પુસ્તકાલય વિશે બાપુજી સાથે વાતો. 
બાપુજીની સૂચના કે આશ્રમવાસીઓ પોતાના કામપૂરતાં પુસ્તકો આશ્રમમાં રાખે. બાકીની આખી લાઇબ્રેરી વિદ્યાપીઠમાં લઈ આવવી જેથી સળંગ એક અને જીવતી લાઇબ્રેરી થાય.


Saturday, December 7, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


વિદ્યાપીઠની ઉપાસનામાં બહારના લોકો પૂછ્યા વગર આવે છે એ ઠીક નથી. પૂછવા જેટલો વિવેક પણ લોકો પોતાની મેળે કેળવે નહીં એ કેટલું ખરાબ? 

Friday, December 6, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


મારે હવે નવા યુવાન સેવકોને સાથે લઈને બેસવું જોઈએ. વિદ્યાપીઠનું કામ જેઓ આગળ જતાં કરશે તેમની આગળ મારાં સ્વપ્નાં રજૂ કરી દઉં. એટલે એક મોટું કામ થયું. એને માટે એક દિવસ મુકરર કરી વખત પણ નક્કી કરવો જોઈએ. મંગળવાર એને માટે યોગ્ય લાગે છે. 


Thursday, December 5, 2019

રઘુવીર ચૌધરીને બ્યાશીમા જન્મદિન નિમિત્તે અભિવંદન


રઘુવીર ચૌધરી (જન્મ : ૦૫-૧૨-૧૯૩૮) આજે (તા. ૦૫-૧૨-૨૦૧૯) એક્યાસી વર્ષ પૂરાં કરે છે.

પારુબહેન અને રઘુવીરભાઈ : દાખલારૂપ દાંપત્ય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પારુબહેન અને રઘુવીરભાઈ : દાખલારૂપ દાંપત્ય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પારુબહેન અને રઘુવીરભાઈ : દાખલારૂપ દાંપત્ય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


* રઘુવીર ચૌધરીના સાહિત્ય વિશેની વિગતો માટે આ કડી ઉપર પહોંચવું રહ્યું :

https://www.youtube.com/watch?v=wOE44PQZXeA

http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Raghuvir-Chaudhary.html

http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Raghuvir-Chaudhary.html


* રઘુવીર ચૌધરીના શિક્ષકત્વ વિશેની વિગતો માટે આ કડી ઉપર પહોંચવું રહ્યું :

http://ashwinningstroke.blogspot.in/2013/01/blog-post_20.html

વાસરી // કાકાસાહેબ કાલેલકર


... જવાબદારી નછૂટકે લીધી એ વાત ગમે તેટલી સાચી હોય તોય સમાજ તે માનવાનો નથી. માનવાને બંધાયેલો નથી. મીરાંબહેનને મેં કહ્યું હતું, "આ મુગટ કાંટાનો છે ત્યાં સુધી પહેરીશ. કાંટામાં ગુલાબ ઊગશે - ઊગવા જ જોઈએ, - એટલે એ ઉતારી મૂકીશ."

Wednesday, December 4, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


... મારા સ્વપ્નામાં એ નહોતું કે ગુજરાતમાં આવી ગુજરાતની સંસ્થા ચલાવવા માટે ગુજરાતી પ્રજા પાસે હું ભિક્ષા માગીશ. 
એ પણ સારું છે કે ખરચ જોગું જ હું લેતો થયો. પગાર લેવાનું બંધ કર્યું. અને પછી માગતો થયો. હજી પણ મારે મારો ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ. બે ટંક ભોજન અને બે જોડ કપડાં એટલું મળ્યું એટલે બસ.

Tuesday, December 3, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


ભાઈલાલભાઈ કહે છે કે વિદ્યાપીઠના કપાસના છોડ આખા ગુજરાતમાં પહેલે નંબરે આવે એવા છે. આસપાસના ખેડૂતોને બોલાવીને બતાવવા જોઈએ. ઘણાં વરસ સુધી એ અણખેડેલી જમીન હતી એટલે એમાં કસ વધારે હોય જ. અને અમે અમારા છોડ દૂર દૂર વાવેલા. 

Monday, December 2, 2019

છાપાંનાં ત્રણ કામ


'છાપાનું કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છેબીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરની હોય તે પેદા કરવી એ છેને ત્રીજું કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તોપણ બેધડક થઈ બતાવવી.'

મોહનદાસ કરમચંદ ગાંધી, 'હિંદ સ્વરાજ'


વિદ્યાપીઠની આશા // કાકાસાહેબ કાલેલકર


વિદ્યાપીઠ કાંઈ મામૂલી શિક્ષણસંસ્થા નથી. એની પાછળ મહાન આર્ય આદર્શ છે એટલું જ નહીં પણ આજના પ્રબુદ્ધ ગુજરાતમાં અને મહાગુજરાતમાં લગભગ બધાં બળોનું તે એક કેન્દ્રીકરણ છે. વિદ્યાપીઠના ધ્યાનમંત્ર સાથે આપણે વડના ઝાડનું પ્રતીક મૂક્યું છે. એનાં મૂળિયાં દૂર દૂર જઈ ત્યાંથી પોષણ લઈ આવે છે, એની વિસ્તીર્ણ ઘટા વિશાળ અને શીતળ છાયા ફેલાવે છે, એની વધતી જતી વડવાઈઓ નવે નવે ઠેકાણે જડ ઘાલે છે, અને એના ટેટાઓ કોણ જાણે કેટલે દૂર જઈ નવી નવી વસાહતો સ્થાપે છે. ખરેખર વટવૃક્ષ જેમ આપણી સંસ્કૃતિનું દ્યોતક છે તેમ આપણી સંસ્થાના આદર્શનું સૂચક પણ છે. 

Tuesday, November 26, 2019

વનેચરનું વિસ્મરણ // રજનીકુમાર પંડ્યા


ગિરધર આચાર્ય નામના ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિના બ્રાહ્મણનો આ છોકરો સિદ્ધપુર અને પાટણમાં અંગ્રેજી ભણીને અમદાવાદ ગુજરાત કૉલેજમાં ભણવા ગયો ત્યારે પણ એણે મનનું ધાર્યું જ કરેલું. એ વખતે અંગ્રેજી પોષાકનું આકર્ષણ હતું. પણ હરિનારાયણે તો કૉલેજમાં પણ જાડા કપડાનો ફેંટો, ખાદીનો લાંબો કોટ, ટૂંકી ધોતી અને મણ મણના પગરખાં પહેરવાનું રાખેલું. તેલ-ફૂલેલ નાખેલા કોટ-પાટલૂનિયા બીજા કૉલેજિયનો વચ્ચે આવા વેશમાં છાતી કાઢીને ફરતા, શરીર તો મૂળથી જ પડછંદ અને એમાં આવા લેબાશમાં ફરે એટલે બધા ઠઠ્ઠા કરે, પણ હરિનારાયણે ક્યાં પરવા કરી હતી? એ પછી કાયદાના અભ્યાસ માટે હરિનારાયણ મુંબઈ ગયા હતા અને ત્યાં બરાબર પરીક્ષાના ટાંકણે જ ગાંધીજીની બૂમ સાંભળીને કૉલેજ છોડી દીધી હતી, ત્યારે પણ સૌએ વાર્યા, પણ એમણે કાનસરો કોઈને ય ન આપ્યો. એક-બે ઠેકાણે માસ્તરની નોકરી કરી અને પછી ગાંધીજીના બોલાવ્યા અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી, સંસ્કૃત અને તત્વજ્ઞાનના અધ્યાપક થઈને રહ્યા.

Saturday, November 23, 2019

ભાષાની મજા, મજાની ભાષા - 1072


કૃષ્ણે વિદુરની ભાજી ખાધી હતી.

કૃષ્ણે વિધુરની ભાજી ખાધી હતી.

Friday, November 22, 2019

ભાષાની મજા, મજાની ભાષા - 1071


'એ એમની ભૂમિકા અને જવાબદારી બને છે.'

'એ એમની ભૂમિકા અને જવાબદારી બંને છે.'

પ્રા. રામલાલ પરીખની સ્મૃતિમાં પ્રા. સુધીર ચંદ્રનું વ્યાખ્યાન



Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Sunday, November 17, 2019

ગાંધીજી : સફળ પ્રત્યાયક તરીકે


અશ્વિનકુમાર
ગૂજરાત વિદ્યાપીઠ, મહાત્મા ગાંધી પરિસર, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

....................................................................................................................

વ્યક્તિની અભિવ્યક્તિમાં સ્પષ્ટ વિચારબળ અને વિચાર-અમલીકરણ હોય તો તે સફળ પ્રત્યાયન કરી શકે. વિચારોને તર્કબદ્ધ રીતે અસરકારકપણે રજૂ કરવાની સાથે સાથે લોકોને પણ એ વિચારનો અમલ કરાવવાની જાદુઈકળા ગાંધીને હસ્તગત (કે પછી હૃદયગત!) હતી. સ્વાતંત્ર્યસંગ્રામના યુગમાં સમૂહ પ્રત્યાયન માટેનાં સાધનો પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નહોતાં. વળી એ વખતે બ્રિટિશ સરકારની ચાંપતી નજર ગાંધીજીની પ્રત્યેક પ્રવૃત્તિપળ પર રહેતી હતી. અને છતાં બસો વર્ષથી તપતો અંગ્રેજોનો શાસનસૂર્ય બાપુના તેજ આગળ ઝાંખો પડી ગયો, જે તેમના સફળ પ્રત્યાયનની પારાશીશી કહી શકાય.

વિશાળ જનસમૂહ તેમના વિચારોનું આંધળું અનુકરણ કરતો હતો. છતાં ગાંધીજીએ તો એટલે સુધી કહેલું કે, 'મારા બે વિચારો વચ્ચે જો વિરોધાભાસ જણાય તો મેં જે વાત છેલ્લે કહી હોય તેને સાચી માનજો.' ભાગ્યે જ કોઈ પ્રત્યાયક પોતાની દ્વિધા અંગે આટલો સ્પષ્ટ હશે!

ગાંધીજીના વિચાર અને આચાર વચ્ચે કોઈ ભેદ નહોતો. તેઓ પારદર્શક વ્યક્તિત્વને કારણે જ મહાન પ્રત્યાયક બની શક્યા. તેમણે સુંદર આયોજનબદ્ધ કાર્યક્રમો આપ્યા. સમયપાલનનું મહત્વ સમજાવ્યું અને તેને પાળી પણ બતાવ્યું. લગભગ ચાળીસ વર્ષ સુધી ચાલેલાં તેમનાં સામયિકોનાં પ્રકાશનમાં ક્યારેય વિલંબ થયો નથી. પ્રત્યાયકને સફળ બનાવનારા પરિબળોમાં સમયઆયોજન અને સમયપાલન ખૂબ જ મહત્ત્વનાં પરિબળો છે. આ જ કારણે આજે સમય સંચાલન (ટાઈમ મેનેજમેન્ટ)નું ભણાવનાર પશ્ચિમી નિષ્ણાતો ગાંધીજીનું ઉદાહરણ ટાંકે છે!

ગાંધીજી મોટામાં મોટા માણસની નાનામાં નાની બાબતનો અને નાનામાં નાના માણસની મોટામાં મોટી બાબતનો ખૂબ જ ખ્યાલ રાખતા હતા. જેને પરિણામે તેઓ ચર્ચિલથી માંડીને ચંદુકાકા અને મેડલિન સ્લેડથી માંડીને મંછીમા સુધીના તમામ લોકો સુધી અસરકારકપણે પહોંચી શકતા હતા. તેઓ દેશ-વિદેશમાંથી આવતા હજારો પત્રોના જવાબો આપવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ તેમનાં સામયિકોમાં વાચકોના પત્રોને નિયમિતપણે જવાબ અને જગ્યા આપતા હતા.

ગાંધી મૂળે ધાર્મિકવૃત્તિના માણસ હતા. તેમણે હિંદુ, મુસ્લિમ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મના ગ્રંથોનું વાચન, ચિંતન અને મનન કર્યું હતું. ગાંધીજી પર ‘ભગવદ્ગીતા’નો વિશેષ પ્રભાવ રહ્યો હતો. આ બધા ધર્મગ્રંથોમાં જોવા મળેલી 'સત્ય' અને ‘અહિંસા’ની હાજરીની તેમણે વિશેષ નોંધ લીધી હતી. તેઓના મતે ધર્મ માનવસેવાના પાયા પર રચાયેલો હોવો જોઈએ. ધાર્મિક અને આધ્યાત્મિક તપોબળના પરિણામે જ તેઓ મહાન સામાજિક અને રાજકીય પ્રયોગો અને તે થકી સફળ પ્રત્યાયન જનસમૂહ સુધી કરી શક્યા. આથી જ એમ. એમ. થોમસે કહ્યું છે કે, "Religious interpretation of human existence was at the root of Mahatma Gandhi's political and social action." અર્થાત "મહાત્મા ગાંધીની રાજકીય અને સામાજિક કામગીરીનાં મૂળિયાં માનવ-અસ્તિત્વની ધાર્મિક સમજણમાં જોવા મળે છે." (The Acknowledged Christ of the Indian Renaissance, Author: M. M. Thomas, Page 193)

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં બે દાયકાથી પણ વધારે સમય રહ્યા. તેઓ રંગભેદની નીતિ સામે ઝઝૂમ્યા અને તેમાં સફળ થયા બાદ ઈ. સ. ૧૯૧૫ની ૯મી જન્યુઆરીએ સ્વદેશ પાછા ફર્યા. તે સમય હતો પ્રથમ વિશ્વયુદ્ધનો. ભારતમાં અનેક અન્યાયી કાયદા અસ્તિત્વમાં હતા. જનમાનસમાં ભયનું સામ્રાજય હતું અને આત્મવિશ્વાસનો અભાવ હતો. આવા તાકડે ગાંધીજીનો હિંદુસ્તાનમાં પ્રવેશ થાય છે. તેમનો મક્કમ અવાજ લોકોના કાન સુધી પહોંચવા લાગે છે. લોકો તેમના તરફ આકર્ષાઈને તેમને વધુ ને વધુ ધ્યાનથી જોવા-સાંભળવા લાગે છે. જોતજોતામાં ગાંધીજી આખા દેશમાં છવાઈ જાય છે. એ ટાણે આજનાં જેવાં પ્રસાર માધ્યમોની પ્રચૂરતા નહોતી. છતાં દેશના ખૂણે-ખૂણે તેઓ લોકહૃદયમાં બરાબર સ્થાપિત થાય છે.

ગાંધીજીએ રાજકારણની અને સત્તાના રાજકારણથી દૂર રહીને લોકો સાથે સીધો સંપર્ક કરવાનું શરૂ કર્યું. તેમણે જોયું કે કોંગ્રેસના નેતાઓનો લોકસંપર્ક અને કાર્યક્ષેત્ર સીમિત છે. તેઓ જાણતા હતા કે ગામડાંમાં વસતા હિંદુસ્તાનમાં આમ જનતાની ભાગીદારી અને સાથ-સહકાર વિના સ્વતંત્રતાનું આંદોલન સફળ ન થઈ શકે. આમ, ગાંધીજીએ આમ જનતા અને કોંગ્રેસ વચ્ચે લોકસંપર્કના અભાવે પડેલી પ્રત્યાયન-ખાઈને જાણી. તેમને એવું પણ લાગ્યું કે લોકોના પ્રશ્નો અને તેમના મનની વાત તો તેમની પાસે જ જઈને સમજી શકાય. આ માટે તેમની સાથે તેમના જેવું જ જીવન જીવવું જોઈએ, એવું તેમને લાગ્યું. આથી તેઓ સાચા અર્થમાં કહી શકાય એવું સાદું જીવન જીવ્યા. તેમની સાદગી સંપૂર્ણ નૈસર્ગિક હતી. 'સાદું જીવન અને ઉચ્ચ વિચાર' એ ઉક્તિને સાર્થક કરી બતાવનાર મહાત્માજી જ આપણને 'દરિદ્રનારાયણ'નો સાચો પરિચય કરાવી શકે. આટલું જ નહીં, એક સફળ પ્રત્યાયક હોવા છતાં તેમણે તેમની સાદાઈને વટાવીને તેમાંથી પણ કોઈ લાભ મેળવવાના પ્રયત્નો કર્યા નથી. આ રીતે ગાંધી લોકોની વધારે નજીક આવ્યા અને સાચા લોકસંપર્ક દ્વારા એક મહાન પ્રત્યાયક બન્યા. પરિણામે ગાંધીજી લોકોના મનમંદિરમાં શ્રદ્ધાભાવે પ્રસ્થાપિત થયા, પોંખાયા અને પૂજાયા.

ગાંધીજીના સફળ પ્રત્યાયનનું મહત્ત્વનું લક્ષણ છે સ્વ-પ્રત્યાયન. કારણ કે પોતાની જાત સાથેનું પ્રત્યાયન (ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન) કરનાર વ્યક્તિ સફળ પ્રત્યાયક બની શકે. દુનિયાભરના મહાનુભાવો અને સફળ પ્રત્યાયકોએ અનેક વિષયો અંગે ઊંડાણપૂર્વક મનોમંથન કર્યું છે. ગાંધીજીએ પણ આ રીતે પોતાના આત્માને ખૂબ જ ઢંઢોળ્યો છે. પોતાની જાત સાથે વાત થઈ શકે એ માટે તેઓ કેટલોક વખત મૌન પાળતા. આત્મનિરીક્ષણ દ્વારા સ્વ-પ્રત્યાયન (ઇન્ટ્રોસ્પેક્શન થ્રુ ઓટોકમ્યુનિકેશન) કરીને ગાંધીજી ખૂબ જ સજ્જ, મક્કમ અને સ્પષ્ટ બન્યા. જાત સાથે ઊંડાણપૂર્વક પ્રત્યાયન કરનાર જ જગત સાથે સફળ પ્રત્યાયન કરી શકે છે, એ ગાંધીજીના ઉદાહરણ પરથી ફલિત થાય છે.

પોતાની જાત સાથે એકરૂપ થયા બાદ લોકો સાથે એકરૂપતા સાધવા ગાંધીજીએ સમયાંતરે પોતાની જીવનપદ્ધતિમાં જરૂરી ફેરફારો કર્યા. ગરીબો સાથેનો એકાત્મભાવ સાધવા તેમણે ટૂંકી પોતડી જેવો સાદો પહેરવેશ અપનાવ્યો. લોકોની ભાષામાં વાત કરી. કોશિયો પણ સમજી શકે તેવી ભાષાનો આગ્રહ રાખ્યો. લોકોના માનસિક સ્તર સુધી પહોંચીને તેમની ભાવનાઓ જાણી-જગાડી. પ્રજાની જીવનશૈલી સમજીને તેમની સાથે તેમના જેવા જ થઈને રહ્યા. તેમના આવા સાદગીભર્યા, નિસ્વાર્થ અને ત્યાગભર્યા જીવનની લોકો પર ભારે અસર થઈ.

તેમણે લોકો વચ્ચે જ ફરીને, પુષ્કળ પ્રવાસ કરીને દેશની પરિસ્થિતિનો બરાબર ક્યાસ કાઢ્યો. (આજના નેતાઓ તો દેશના સળગતા પ્રશ્નોની ચિંતા વાતાનુકૂલિત-કક્ષમાં બેસીને કરે છે. દર પા કલાકે મિનરલ વોટરનો પ્યાલો મોઢે માંડતા નેતાઓ લોકોને નડતી પીવાના પાણીની સમસ્યા કઈ રીતે સમજી શકે?!) લોકોની સમસ્યાનો જાતઅનુભવ કરવા તેઓ હંમેશાં રેલવેના ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરતા હતા. ગાંધીજી એકમાત્ર એવા રાષ્ટ્રીય નેતા છે જેમણે ક્યારેય વિમાની પ્રવાસ કર્યો નથી! ગાંધીના વચનમાં લોકોને એટલો બધો વિશ્વાસ હતો કે તેમની વિનંતીને આદેશ માનીને માતૃભૂમિની મુક્તિ કાજે આ દેશનાં કેટલાંય સ્ત્રીઓ અને પુરુષો, ગ્રામીણજનો અને નગરજનો, યુવાનો અને વૃદ્ધો, ખેડૂતો અને કારીગરો, સાક્ષરો અને નિરક્ષરોએ લાઠીઓ ખાધી, જેલની હવા ખાધી અને બંદૂકની ગોળીઓ પણ ખાધી.

ગાંધીજી પોતાના સત્યનિષ્ઠ જીવન, ભારોભાર પ્રમાણિક્તા અને ઠોસ કાર્યપદ્ધતિ દ્વારા લોકોમાં અદ્ભુત વિશ્વાસપાત્રતા સ્થાપી શક્યા હતા; કારણ કે, તેમણે માત્ર શબ્દોથી જ નહીં, પરંતુ પોતાનો જ દાખલો બેસાડીને લોકોને ઉપદેશ આપ્યો હતો. જેમ કે, અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે તેમણે હરિજન કન્યાને દત્તક લઈ પહેલાં પોતે જ દાખલો બેસાડ્યો હતો. આમ, ગમે તે બાબત હોય, તેઓ શરૂઆત તો પોતાનાથી જ કરતા હતા. આથી લોકોને તેમને અનુસરવામાં કોઈ સંકોચ કે શંકા ન રહેતા અને આ રીતે તેઓ લોકોનો વિશ્વાસ સંપાદન કરી શક્યા હતા. તેમની સત્ય પર આધારિત જીવનપદ્ધતિને કારણે તેમની વિશ્વસનીયતા દિનપ્રતિદિન વધતી ચાલી. વળી, ગાંધીજીનાં વિચાર, વર્તન અને વાણીમાં સભ્યતા હતી. ઉમાશંકર જોશી તો કહેતા કે, "ગાંધીજી જેવા મહા-કારુણ્યશાળી પુરુષના હૃદયનો પ્રસાદ એમના એકેએક હલનચલનમાં પ્રતીત થાય છે. જવાહરલાલ નહેરુ આત્મકથામાં એ હલનચલનોને સુંદર રીતે ઓળખાવે છે." ('ઇવનિંગ વોક', સૌરભ શાહ, 'મિડ-ડે' દૈનિક, શનિવાર, ૧૯ જૂન, ૧૯૯૯, પાનું : ૧૦પ) આમ, આચાર-વિચારની એકતા, તેમની સચ્ચાઈ અને નિખાલસતાએ તેમને ભારે સફળતા અપાવી.

જ્યાં સુધી હેતુની યોગ્યતાની પોતાને ખાતરી ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ નિર્ણય લેતા નહીં અને કોઈ નિર્ણય પર આવતાં પહેલાં ખૂબ કાળજીપૂર્વક અને ઝીણવટભર્યો વિચાર કરતા. તેવી જ રીતે એક વખત નિર્ણય થઈ ગયા પછી વિના વિલંબે તેનો અમલ કરતા. તેમના મનની આ સ્પષ્ટતાથી તેમનું સંવાદીકરણ પણ સ્પષ્ટ અને પારદર્શક બન્યું, જેને પરિણામે તેમનું પ્રત્યાયન પણ પથદર્શક બન્યું.

તેમણે નાત, જાત, ધર્મ, લિંગ વગેરેનાં બંધનો તોડીને બધાં લોકોને સંગઠિત કર્યા અને તેથી જ તો સ્વતંત્રતાનું આંદોલન એ લોક-આંદોલન બની શક્યું. તેમણે સ્ત્રીઓને સમાન ગણીને સ્વતંત્રતાની લડતમાં મોટા પાયે ભાગીદાર બનાવી. તેમણે તેમના જાહેર અને ખાનગી જીવન વચ્ચેના ભેદને નાબૂદ કર્યો. આથી તેઓ જાહેર જીવનમાં વ્યક્તિગત જીવનનું આચરણ શક્ય બનાવી શક્યા. ખાનગી અને જાહેર જીવનનો તફાવત દૂર થતાં તેઓ સરળતાથી સમાજના નબળા અને નીચલા વર્ગને દરેક પ્રવૃત્તિમાં આકર્ષી શક્યા. ગાંધીજીના જીવનમાં ખાનગીપણાને અવકાશ નહોતો, એટલે જ તેઓ લોકોને તેમની ખૂબ નજીક લાવી શક્યા હતા. તેઓ જ્યારે જેલમાં હોય ત્યારે અંગ્રેજ સરકારને ક્યારેય ખાસ જેલસુરક્ષા અધિકારીઓની અને જ્યારે તેઓ જેલની બહાર હોય ત્યારે તેમની પર ચાંપતી નજર રાખવા માટે જાસૂસી અધિકારીઓની મદદ લેવી પડી નહોતી! ('Religious Communication in India' (Chapter: Gandhian Communication), Volume I, Author: J. V Vilanilam, P: 204) આમ, જેના પર વિરોધીઓને પણ શંકા ન હોય તે વ્યક્તિને મહાન પ્રત્યાયક ગણવી જ રહી.

કોઈપણ જગ્યાએ હિંસા કે રમખાણો ફાટી નીકળે ત્યારે ગાંધીજી ત્યાં અચૂક પહોંચી જતા. ઈ. સ. ૧૯૪૬માં જ્યારે નોઆખલીમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં, ત્યારે પણ ગાંધીજી જીવના જોખમે ત્યાં પહોંચી ગયા હતા. અને ઘરે-ઘરે ફરીને શાંતિ અને ભાઈચારાનો સંદેશ લોકોને આપતા હતા. એટલું જ નહીં, ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ને દિવસે બધાં જ્યારે સ્વતંત્રતા દિનની ઉજવણી કરતાં હતાં ત્યારે ગાંધીજી કોમી આગ ઠારવા માટે નોઆખલીમાં હતા. કસોટીના સમયે લોકોની વચ્ચે જઈને ઊભી રહેનાર વ્યક્તિ જ સફળ પ્રત્યાયકરૂપે લોકોના દિલ જીતી શકે છે.

તેમણે સામાન્ય લોકો સમજી શકે તેવી સાદી, સરળ અને લોકભોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો. આ માટે તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં અભિન્ન અંગો જેવાં કે સત્ય, અહિંસા, ઉપવાસ, પ્રાર્થના, ભજનો. રામરાજ્ય વગેરે પારંપરિક ધાર્મિક ખ્યાલોનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત રાષ્ટ્રીય ચળવળનાં પ્રતીક સમાન રેંટિયો, ખાદી, ગાંધીટોપી, મીઠું, રાષ્ટ્રભાષા હિંદી ... વગેરે પણ તેમના પ્રતાપે પ્રત્યાયન અને પ્રેરણાના શક્તિશાળી સ્રોત બની ગયા હતા. ગાંધીએ મુખ્યત્વે ખાદી દ્વારા આર્થિક સ્વાવલંબનનો વિચાર આપ્યો. મીઠાના પ્રતીક દ્વારા બ્રિટિશ સરકારની અન્યાયી અને શોષણખોર નીતિ સામે લોકોને જાગ્રત કર્યા અને રેંટિયો પણ તેમના પ્રયત્નોને પરિણામે ગરીબવર્ગ સાથેની એકતાનું પ્રતીક બન્યો. તેમણે હિંદી-હિંદુસ્તાનીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકૃતિ અપાવીને દેશવાસીઓને પ્રત્યાયન માટેની સેતુ બાંધી આપ્યો. તેમના સત્યાગ્રહ, અહિંસા, સ્વદેશી અને સર્વોદયના ઉચ્ચ વિચારો આજે પણ પ્રસ્તુત લાગે છે.

ગાંધીજીના પ્રવૃત્તિ-વર્તુળમાં માનવ હંમેશાં કેન્દ્રમાં રહેતો. તેઓ વ્યક્તિ દ્વારા જ આખાયે સમાજ અને તે દ્વારા રાષ્ટ્રનું નવનિર્માણ કરવા માગતા હતા. સફળ પ્રત્યાયક તરીકેની એમની વિશેષતા એ હતી કે એમને લોકશક્તિમાં અખૂટ શ્રદ્ધા હતી. તેમણે પ્રજાનો ઉપયોગ ક્યારેય પોતાનો સ્વાર્થ સંતોષવા માટેના સાધન તરીકે કર્યો નહોતો. પરંતુ તેમને મન તો લોકસેવા એ જ પ્રભુસેવા હતી. મહામાનવ ગાંધીજી મનુષ્યજાતિનું કલ્યાણ ઈચ્છતા હતા. આથી ગાંધીને શબ્દાંજલિ આપતા તે વેળાના યુ. એસ. સેક્રેટરી ઓફ સ્ટેટ જ્યોર્જ સી. માર્શલે કહ્યું હતું કે, "Mahatma Gandhi was the spokesman for the conscience of mankind." ('Mahatma Gandhi: His Life and Message for the World', Author: Louis Fischer, page: 369) આમ, ગાંધીને 'સમગ્ર માનવજાતિની વિવેકબુદ્ધિના પ્રવક્તા' તરીકેનું બિરુદ મળે એ જ બતાવે છે કે તેમણે કેટલું બધું અર્થસભર અને અસરકારક પ્રત્યાયન ક્યું હશે.

આજે ગાંધીનિર્વાણને પાંચ દાયકા વીત્યા પછી પણ તેમની ખોટ તો વણપુરાયેલી જ રહી છે. ગાંધીજીની હત્યા પછી સાને ગુરુજીએ કહેલું કે, 'મારા જીવનનો સૂરજ ડૂબી ગયો, હું અંધારામાં જીવન નહીં ગુજારી શકું.' (‘નિરીક્ષક', ૧-૧-૨૦૦૧, પૃ. ૩) એમનાં ૪ વિચારપત્રોની ખોટ આજે ૪૦ ટેલિવિઝન ચેનલ્સ, ૪૦૦ રેડિયો સ્ટેશન્સ, ૪૦૦૦ અખબારો કે ૪૦,૦૦૦ વેબસાઈટ્સથી પણ પૂરી થઈ શકે તેમ નથી. આથી કહી શકાય કે આજના ઈન્ટરનેટ યુગમાં વીજાણુ માધ્યમો દ્વારા સાચા અર્થમાં થતું પ્રત્યાયન માનવમન સુધી માંડ પહોંચે છે, જ્યારે એ વખતે વીજાણુ માધ્યમોની અછત વચ્ચે પણ ગાંધીજીનું નિસ્વાર્થ પ્રત્યાયન માનવાત્મા સુધી સોંસરવું પહોંચ્યું હતું! માટે જ જગતના મહામાનવોમાં સફળ પ્રયાપક તરીકે ગાંધીજી આજે પણ ટોચ ઉપર બિરાજે છે. નોંધપાત્ર બાબત તો એ છે કે, તેઓ તેમની હયાતીમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં લોકસ્વીકૃતિ પામ્યા હતા.

"મારું જીવન એ જ મારો સંદેશ" એવું બ્રહ્મવાક્ય ઉદ્ગારનાર ગાંધીજી સત્યનો પર્યાય બની ગયેલા. આથી, સુરેશ દલાલે કહ્યું છે કે, 'ગાંધીજી, અરવિંદ ઘોષ અને ટાગોર એટલે સત્યમ, શિવમ, અને સુંદરમ.' પોતાને સમજાયેલું સત્ય લોકોને પહોંચાડવાની તાલાવેલી અને તૈયારીને કારણે ગાંધીજીએ સમાજસેવા માટે પત્રકારત્વની પગદંડી પસંદ કરી અને આ જ કારણે તેમનું પ્રત્યાયન સફળતામાં પરિણમવાની ટકાવારી અનેકગણી વધી ગઈ.
....................................................................................................................

(સૌજન્ય : 'દષ્ટિ', ઑક્ટોબર-૨૦૦૪, પૃષ્ઠ : ૦૫-૧૦)

Thursday, November 14, 2019

રમેશ બી. શાહને જન્મદિને અભિવંદન


રમેશ બી. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


રમેશ બી. શાહ (જન્મ : ૧૪મી નવેમ્બર, ૧૯૩૬; દેત્રોજ) અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક અને 'દૃષ્ટિ' સામયિકના પૂર્વ સંપાદક છે.

આર. બી. શાહે પ્રાધ્યાપક ઉપરાંત લેખક, પરામર્શક, પારિભાષિક કોશકાર, અનુવાદક, અને સંપાદકની વિધવિધ ભૂમિકા ભજવી છે.

'બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો' (ગુજરાતી સાહિત્ય પરિષદ, ઈ.સ. ૨૦૦૫) જેવું વિચારપ્રેરક પુસ્તક આપનાર રમેશ બી. શાહનું 'અર્થવાસ્તવ' (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઈ.સ. ૨૦૧૯) નામનું પુસ્તક અર્થવ્યવસ્થાનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે.

Friday, November 8, 2019

હોઠે અને હૈયે ચઢે એ 'હેલ્લારો' || Kudos to Abhishek Shah


https://www.imdb.com/title/tt10469118/

https://www.youtube.com/watch?v=qb8uOylK3R4

https://www.youtube.com/watch?v=1ZrZeA8j15w

https://www.youtube.com/watch?v=vnMv7_I1CLI

https://www.hungama.com/album/hellaro/49734454/


આપણી માતૃભાષાને રાષ્ટ્રીય અને માનવીય ગૌરવ અપાવનારી 'હેલ્લારો' ફિલ્મ આપવા બદલ દિગ્દર્શક અભિષેક શાહને અભિનંદન. ફિલ્મ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ પ્રત્યેક જણ માટે ત્રણ તાળીનું માન.

આ ફિલ્મની અસરના કારણે, ફોન ઉપર 'હેલ્લો'ને બદલે 'હેલ્લારો' કહેવાય જાય તો નવાઈ નહીં!

ફિલ્મનો પ્રીમિયર શો જોયા બાદ, ઘરે ઊંઘમાં પણ ઢોલ ઢબૂકતા અને ગરબા ગુંજતા રહ્યા. રાત સપનાં વિનાની ગઈ. સવાર તાજગી સાથે પડી.

જોયા વગર રહેવાય નહીં અને જોયા પછી કોઈને કહેવાયા વગર રહેવાય નહીં એવી અવિસ્મરણીય અને અભિનંદનીય ફિલ્મ.

Tuesday, November 5, 2019

ગાંધીજી કહે છે : પત્રકાર વિશે


" મેં પત્રકારની પ્રવૃત્તિ તેની મજાને ખાતર નહીં પણ મેં જેને મારું જીવનકાર્ય માન્યું છે તેને તે મદદરૂપ થાય એવી આશાએ અંગીકાર કરી છે. "

ગાંધીજી

'યંગ ઇન્ડિયા', ૦૨-૦૭-૧૯૨૫
ભાષાંતર : 'નવજીવન', ૦૫-૦૭-૧૯૨૫

Monday, November 4, 2019

મહાવિદ્યાલયના પ્રારંભકાળના દિવસો // આચાર્ય કૃપાલાની


એક પ્રસંગે, જવાહરલાલ નેહરુ અમારા અતિથિ હતા. તેઓ અમારી રમતો જોતા હતા. એક રમત લટકતા દોરડા ઉપર ચડવાની હતી. જવાહરલાલ ચડવા તૈયાર થયા. પણ તેમણે એવો આગ્રહ રાખ્યો કે મારે પહેલાં પ્રયત્ન કરવો. હું ધીમે ધીમે દોરડું પગના અંગૂઠા વચ્ચે બરાબર પકડી મારા હાથ વડે ઉપર ચઢી ગયો. એ જ રીતે હું ધીમે ધીમે દોરડું ઊતરી આવ્યો. જ્યારે જવાહરલાલનો વારો આવ્યો ત્યારે તેઓ ઉપર ચડી તો શક્યા, પણ નીચે ઊતરતી વખતે, અધીરાઈમાં એકદમ નીચે આવ્યા. પરિણામે તેમના હાથ છોલાઈ ગયા. તેઓ ઊતરવાની યુક્તિ શીખ્યા નહોતા.

Saturday, November 2, 2019

સાહિત્ય, સંગીત, અને કલા // તનસુખ ભટ્ટ


કાકાસાહેબ અને નરહરિભાઈ આશ્રમમાં રહી રોજ વિદ્યાપીઠમાં ભણાવવા જતા. ગાંધીજયંતી પ્રસંગે બંને સંસ્થામાં ઉત્સવ ઊજવાય અને બંને સંસ્થાઓ તેમની હાજરી ઇચ્છે. આ વેળાએ તેમણે ક્યાં જવું ને ક્યાં ન જવું? આ મુશ્કેલીનો તોડ કાઢવા માટે બંને સંસ્થાઓનો ભેગો કાર્યક્રમ એક વાર ઊજવાયો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ શેક્સપિયરનું અંગ્રેજી નાટક 'મર્ચંટ ઓફ વેનિસ' ભજવેલું. આગળ ઉપર જર્મનીમાં જઈને સંસ્કૃતના પીએચ.ડી. બનેલા મણિભાઈ પટેલ તેમાં શાયલોક બનેલા. તેમનું પાત્ર ઉત્તમ ગણાયું. મોટરનાં ટાયરોમાંથી બનાવેલાં રબરનાં ચંપલો સાથે છરીની ધાર અવારનવાર ઘસતા અને ખૂની આંખે પોતાના કરજદાર તરફ વારંવાર નિહાળતા મણિભાઈનું ચિત્ર હજી મારી દૃષ્ટિ સામે તરવરે છે. કોઈ ગુજરાતી ધંધાદારી નાટકમાં એક ગાયન આવતું હશે : 'વાત જરા વાંચી જુઓ ઇતિહાસમાં.' વિદ્યાપીઠના એક વિદ્યાર્થીએ હારમોનિયમ સાથે તે ગાયું. આમાં કોઈ શાસ્ત્રીય કલાનું પ્રદર્શન ન હતું. પરંતુ ગાનારે તો પ્રેક્ષકોને મનોરંજન આપવાનું પહેલેથી નક્કી કરેલું. તેથી ગીતની ગુજરાતી લીટીનું હિંદી, મરાઠી, બંગાળી, અંગ્રેજી વગેરે બને તેટલી ભારતીય ભાષામાં ભાષાંતર કરી તેમણે કરી રાખેલું તે એક પછી એક ગાયું અને શ્રોતાઓને હસાવ્યા.

ભાષાની મજા, મજાની ભાષા - 1070

'યા' અને 'યાં' ભિન્ન અર્થ ધરાવે છે :

'યા' એટલે અથવા, કે
'યાં' એટલે અહીં, આ સ્થળે

Friday, November 1, 2019

ભાષાની મજા, મજાની ભાષા - 1069

'છૂટા' શબ્દને અલગ-અલગ શબ્દ આગળ છૂટો મૂકી જુઓ !

છૂટા સ્નેહ-મિલનમાં પરિચય બાદ ભોજન લઈને પડીશું.
સ્નેહ-મિલનમાં છૂટા પરિચય બાદ ભોજન લઈને પડીશું.
સ્નેહ-મિલનમાં પરિચય બાદ છૂટા ભોજન લઈને પડીશું.
સ્નેહ-મિલનમાં પરિચય બાદ ભોજન છૂટા લઈને પડીશું.
સ્નેહ-મિલનમાં પરિચય બાદ ભોજન લઈને છૂટા પડીશું.

Friday, October 25, 2019

મારી સ્વરાજયાત્રા // ગુલામ રસૂલ કુરેશી


૧૯૨૨નું વર્ષ બેઠું. રાજકીય જુવાળ ઠંડો પડવા લાગ્યો હતો. અમદાવાદ જિલ્લા ખિલાફત કમિટીએ પોતાના એક મંત્રી તરીકે મારી નિમણૂક કરી. ભાગ્યે જ તે કામ બે મહિના કર્યું હશે કે ઓલ ઇન્ડિયા ખિલાફત કમિટીએ પોતાના દફતરમાં મને બોલાવી લીધો. ત્યારે 'સ્મિરના તૈયારા ફંડ'નું ઉઘરાણું ચાલતું હતું તે ઉઘરાણાનું કામ ગુજરાતપૂરતું મને સોંપવામાં આવ્યું. ૧૯૨૩માં ગૂજરાત વિદ્યાપીઠના વહીવટી કામમાં હું જોડાયો. ૧૯૨૦ના મેની ૩૧મી તારીખે ઇમામ અબ્દુલ કાદર બાવઝીરની નાની દીકરી અમિના સાથે લગ્ન થયું. લગ્નની કંકોત્રીઓ બાપુએ પોતાના નામે છપાવેલી અને કન્યાદાન પોતે જ આપ્યું. તે વખતે ઇમામ સાહેબને પ્રજામાં માત્ર અમિના એક દીકરી જ હતી. એ રીતે ૧૯૨૪થી આશ્રમમાં રહેવાને સ્થાન મળ્યું. ૧૯૨૫માં ટૂંકા સમય માટે જોઇન્ટ સેક્રેટરી તરીકે લોન સર્વિસ પર મજૂર મહાજનમાં જોડાવાનું બનેલું પણ કાર્યકર્તાઓના મતભેદના કારણે તે અલ્પજીવી રહ્યું. અને લોન સર્વિસ ટૂંકાવી વિદ્યાપીઠમાં ફરી પાછો આવી ગયો. ત્યારે મને ગ્રંથપાલનું કામ સોંપાયું.

૧૯૩૦નું વર્ષ નમક સત્યાગ્રહનું. બાપુએ દાંડીકૂચ શરૂ કરી. દાંડીકૂચ વખતે બાપુના પડાવ દિવસના અને રાતના એમ બે ટપ્પે રહેતા. બાપુની અને કૂચના સૈનિકોની જરૂરિયાત અને વ્યવસ્થાની દિવસની કામગીરી વિદ્યાપીઠના વિદ્યાર્થી મિત્રો સાથે મને સોંપાઈ. આ કામ ઘણું કપરું હતું. રોજ પડાવ બદલાય તેની સાથે જ નવી વ્યવસ્થા ઊભી કરવાની રહે.

Thursday, October 24, 2019

ગોપાળદાસ પટેલની ગ્રંથાલય-સેવા // દશરથલાલ શાહ


૧૯૨૦ના અસહકારના આંદોલનમાં ગૂજરાત વિદ્યાપીઠની મહાત્મા ગાંધીએ સ્થાપના કરી. કોઈ પણ વિદ્યાપીઠને પોતાનું ગ્રંથાલય હોવું જોઈએ, એ દૃષ્ટિએ ૧૯૨૦થી જ વિદ્યાપીઠ ગ્રંથાલયનો પ્રારંભ થયો. સાથે સાથે પુરાતત્ત્વ મંદિરનું ગ્રંથાલય 'શ્રીમદ રાજચંદ્ર જ્ઞાનભંડાર'ના નામથી ઓળખાયું. ૧૯૨૮માં વિદ્યાપીઠનાં ધ્યેયોની રચના સાથે વિદ્યાપીઠનું ગ્રંથાલય પણ એક બન્યું અને 'ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય'ના નામથી શરૂ થયું.

ગૂજરાત વિદ્યાપીઠની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે જુદી જુદી સમિતિઓ રચાતી એમ ગ્રંથાલય સમિતિના મંત્રી તરીકે ૧૯૪૯-૫૦થી ગોપાળદાસ પટેલ નીમાયા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક તો હતા જ અને જુદા જુદા ધર્મોનાં સુંદર પુસ્તકોનું નિર્માણ પણ કર્યું હતું.

તે વખતે વિદ્યાપીઠનો સમય સવારે ૮થી ૧૦ ને બપોરે ૧૨-૩૦થી ૫-૩૦નો હતો. ૧૯૫૨માં સ્નાતક થઈને આ ગ્રંથાલયના કોપીરાઈટ વિભાગમાં મારી નિમણૂક થઈ. ગોપાળદાસના હાથ નીચે લગભગ ૧૦ વર્ષ કામ કરવાની તક મળી. આ સમય દરમ્યાન આચાર્ય વિનોબાજીને ગ્રંથાલય બતાવવાનું કામ મંત્રીશ્રીએ મને સોંપ્યું હતું - ઠંડીના દિવસોમાં વહેલી સવારે તેઓ આવ્યા હતા. અમારા ગ્રંથપાલ ચુનીલાલ પુ. બારોટને સાંભળવાની અને બોલવાની તકલીફને કારણે મને આ લાભ મળ્યો હતો. વિનોબાજીએ બહુ રસપૂર્વક ગ્રંથાલય નિહાળ્યું હતું.

ગોપાળદાસભાઈ રોજ સવારે અને સાંજે ગ્રંથાલયમાં આવતા. બધી ટપાલો બરાબર જોતા અને જરૂરી સૂચનાઓ આપતા. ૧૯૩૨ની ગેરકાયદે કોંગ્રેસના અધિવેશનમાં તેઓ ગુજરાત કોંગ્રેસ તરફથી દિલ્હી ગયેલા ને ત્યાં અંગ્રેજ સરકારે લોકો ઉપર ઘોડા દોડાવ્યા હતા, તેમાં ગોપાળદાસને પગે ભારે ઈજા થવાથી તેઓ નીચે બેસી શકતા નહિ, તેથી વિદ્યાપીઠમાં સૌથી પહેલાં ખુરશી-ટેબલ એમને માટે ગ્રંથાલયમાં આવ્યા. આજે પણ વિદ્યાપીઠમાં મોટા ભાગની બેઠકો નીચે ગાદી-તકિયાની જ છે. આ જ ભારતીય પરંપરા છે.

Wednesday, October 23, 2019

અમારું અહોભાગ્ય // કમુબહેન પુ. પટેલ


શરૂઆતનાં વરસોમાં કન્યા છાત્રાલયમાં ગૃહમાતા નહોતાં. નાના-મોટા અનેક પ્રશ્નો ઊભા થાય. શ્રી મગનભાઈને માથે કામનો બોજો ઘણો રહેતો. પણ મહત્વનાં કેટલાંય કામ છોડીને અમારી સાથે વિગતથી વાત કરે. વાતનો સાર તરત પકડી લે અને નિર્ણય તથા સલાહ આપે. મહિલાશ્રમ-વર્ધાના સંચાલનમાં અનુભવને લીધે બહેનોના પ્રશ્નોનો ઉકેલ શોધવો તેમને માટે તદ્દન સરળ થઈ ગયું છે. અમારા જીવનના ઘડતર માટે સ્વેચ્છાએ કેટલાક નિયમો અમને પળાવતા છતાંય તેનો ભાર અમારા પર લાગવા દે નહીં. અમને પૂરેપૂરી છૂટ અને મોકળાશ આપેલી, પણ કડક શિસ્તેય પળાવતા. ગમે તેવી ભૂલ થઈ હોય તોપણ સુધરવાનો કોલ આપીએ તો માફી બક્ષીને કંઈ જ બન્યું ન હોય તે રીતે વર્તે. પરંતુ જો છેતરવાનો પ્રયત્ન થતો, તો સંસ્થાના અને અમારા હિતમાં કડક પગલાં પણ લેતા. અને તેની યોગ્યતા અમારે ગળે પણ ઉતારતા અને અમારા વાલીઓને પણ પગલાંની જરૂરિયાત અને તેની ભૂમિકા સમજાવતા. તેમાં ગમે તેટલો સમય જાય તેની તેઓ પરવા કરતા નહીં.

Tuesday, October 22, 2019

સ્નાતકોને મારા અંતરના આશીર્વાદ છે // સરદાર વલ્લભભાઈ પટેલ


... ગૂજરાત વિદ્યાપીઠની શરૂઆતથી આજ સુધીનો ઇતિહાસ મારી આંખ આગળ ખડો થાય છે. જ્યારે વિદ્યાપીઠની સ્થાપના થઈ અને એનું ખાતમુહૂર્ત મારે હાથે થયું ને ત્યાર પછી જ્યારે આચાર્યશ્રી રાયને બોલાવીને તેનું શિલારોપણ કર્યું, ત્યાર પછી હિંદુસ્તાનના ઇતિહાસમાં જે ફાળો વિદ્યાપીઠે આપ્યો તે આપણી સામે તાજો છે. વિદ્યાપીઠની ચડતી-પડતી એ સ્વરાજની ચડતી-પડતીનો ઇતિહાસ છે. આખરે જ્યારે હિંદુસ્તાનને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તે કાળે વિદ્યાપીઠને પોતાને મગરૂબ થવાનું કારણ મળ્યું. તેના ઉપર અનેક મુસીબતો આવી અને કેટલીક વખત વિદ્યાપીઠનો તે વખતની સલ્તનતે કબજો લીધો. પણ વિદ્યાપીઠ તેમાંથી દરેક વખતે આખરે પાર નીકળી ગઈ. વિદ્યાપીઠના સ્નાતકો જે જે ક્ષેત્રમાં ગયા છે, તેઓ જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં તેમણે પસ્તાવો નથી કર્યો. તેઓ જ્યાં ગયા છે ત્યાં ઠીક રીતે કામ કર્યું છે અને વિદ્યાપીઠને શોભાવી છે.

Monday, October 21, 2019

અનિશ્ચિતતાઓનો આરંભિક કાળ // બીરેન કોઠારી


હજી માંડ એકાદ દાયકા અગાઉ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજી દ્વારા ૧૯૨૦માં કરવામાં આવી હતી. તેની સ્થાપનાનો મુખ્ય હેતુ અંગ્રેજોપ્રેરિત શિક્ષણપદ્ધતિમાંથી મુક્તિ અપાવવાનો અને ખરા અર્થમાં આપણા દેશને ઉપયોગી થઈ શકે એવી શિક્ષણપદ્ધતિના અમલીકરણનો હતો. દેશના ઘડતરમાં રસ ધરાવતાં અનેક યુવક-યુવતીઓ વિદ્યાપીઠમાં જોડાતાં હતાં. રસિકભાઈની નજર સમક્ષ પણ એ જ ધ્યેય હતું. મામાસાહેબ ફડકેએ રસિકભાઈનું વલણ પારખીને ગૂજરાત વિદ્યાપીઠના 'ગ્રામસેવા મંદિર'માં પ્રવેશ લેવાનું સૂચવ્યું, એટલું જ નહીં, એ માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. રસિકભાઈ આ ગોઠવણ મુજબ તૈયારી કરીને અમદાવાદ ગયા. જો કે, અહીં સંજોગો બદલાયા હતા. ૧૯૩૦માં ગાંધીજીએ અંગ્રેજી શાસન દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરનો વિરોધ કરતી દાંડીયાત્રા કાઢી હતી. દેશભરમાં અસહકારનું આંદોલન જોર પકડી રહ્યું હતું. જે જુસ્સાથી તેમાં ઠેરઠેરથી લોકો ભાગ લઈ રહ્યા હતા એ જોઈને આ વરસમાં ગૂજરાત વિદ્યાપીઠનું કામ પણ કામચલાઉ ધોરણે ખોરંભે પડી ગયું હતું. કદાચ આવા જ કોઈ સંજોગોવશાત 'ગ્રામસેવા મંદિર'ને એ અરસામાં ચાલુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રસિકભાઈને આ કારણે પાછા આવી જવું પડ્યું.

ઓસ્ટ્રેલિયા : લોકશાહી કે કાળી શાહી?

Sunday, October 20, 2019

વિદ્યાપીઠના વિદ્યાર્થી // રણધીર ઉપાધ્યાય


દ્યુમાનભાઈએ એક વર્ષ શાંતિનિકેતનમાં પ્રાચ્યવિદ્યાનો સઘન અભ્યાસ કર્યો હતો. વિદ્યાપીઠમાં એ જ વિષય પસંદ કર્યો. અહીં તેમને ઉત્તમ પુસ્તકાલયનો લાભ મળ્યો. છાત્રાલયની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ થઈ. અતિ ઉત્તમ અધ્યાપકોનું માર્ગદર્શન સાંપડ્યું.

વિદ્યાપીઠના મહાવિદ્યાલયના આચાર્ય હતા પ્રોફેસર ગિડવાણી, પ્રોફેસર મલકાણી, આચાર્ય કાકા કાલેલકર, મુનિ જિનવિજયજી, ગાંધીજીના અંતેવાસી નરહરિ પરીખ, વિનોબા ભાવે, પંડિત ધર્માનંદ કોસંબી ઇત્યાદિ ભારત-વિખ્યાત વિદ્વાનોની વિદ્વતાનો દ્યુમાનભાઈને લાભ મળવા લાગ્યો. પ્રાચ્યવિદ્યાના અંગ તરીકે તેમણે 'યોગ'નો પણ ઊંડો અભ્યાસ શરૂ કર્યો. તદુપરાંત પ્રાકૃત, પાલી, સંસ્કૃત ભાષા-સાહિત્યમાં પણ અવગાહન આરંભ્યું. આત્મોન્નતિની કડી હવે દેખાવા લાગી.

દ્યુમાનભાઈ અસામાન્ય વિદ્યાર્થી હતા - ધૂની, એકાંગી, એકાકી. વાંચવાનું શરૂ કરે તો ૨૦-૨૨ કલાક સામટા વાંચ્યા કરે. કાંતવાનું હાથમાં લે તો આખો દિવસ અને આખી રાત કાંત્યા કરે. બીજું કાંઈ ન કરે. વિદ્યાપીઠમાં ખાદી પહેરવાનું અને રેંટિયો કાંતવાનું ફરજિયાત હતું. દ્યુમાનભાઈ કાંતીને પોતાના હાથની ખાદીનાં કપડાં પહેરવા લાગ્યાં.

Saturday, October 19, 2019

મુક્તિસંગ્રામનો પેગામ - કૉલેજ ત્યાગ - વિદ્યાપીઠ પ્રવેશ - 'નવજીવન' વેચી નિર્વાહ // શ્રીમોટા


વડોદરા કૉલેજ છોડીને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાવાનું બનેલું. પાસે પૈસો તો મળે નહિ. ઘેરથી તે મળી શકે તેવી સ્થિતિ જ ન હતી. હવે ચલવવું કેમ અને ખાવું પણ શું? 'નવજીવન' વેચીને પેટિયું કાઢતો. રવિવારે તે નીકળતું. એક નકલે એક પૈસો મળતો. જેટલાં વેચાય તેટલા પૈસા મળે. એટલે જેટલાં વેચાય તેમાંથી સાત દિવસ ચલાવવાનું. કેટલાક દિવસ તો એક જ ટંક જમવાનું થતું.

'નવજીવન' રવિવારે વેચવાનું બનતું હતું, તેવા પ્રસંગની હારમાળામાં એક ફેરા એમ બન્યું કે રવિવારે માત્ર પચાસ પૈસા મળ્યા. સાત દિવસ ચલાવવાનું. તે વેળા કોચરબના ઢાળ પાસે શ્રી ડાહ્યાભાઈ ઇજ્જતરામના બંગલામાં વિદ્યાપીઠના વર્ગો ચાલતા હતા, અને आ जीव રહેતો હતો ગુજરાત કૉલેજની સામે જે ચાલ છે તે ચાલના સૌથી પહેલા ઓરડામાં. હવે સાત પૈસામાં એકેક દિવસ ચલાવવાનું! વિદ્યાપીઠમાં ભણતો ત્યારે જાતે-હાથે પકવવાનું કરતો. તે દિવસોના ગાળામાં કદીક કદીક ચણામમરા ફાકીને દિવસો ગુજારેલા. શહેરમાં સગાં-વહાલાંનાં ઘર તો હતાં. ગયો હોત તો પ્રેમથી જમવાનું મળ્યું હોત, પણ તેમાં શોભા ન હતી.

એમ કરતાં કરતાં એક 'ટ્યૂશન' પ્રભુકૃપાથી મળી ગયેલું. મહિને ૩૫ રૂપિયા અને તે, તે કાળમાં! મારા જેવા માટે તો તે ભયોભયો થઈ રહે.

આ હકીકત લખવાનું કારણ તો ગમે તેવી કફોડી દશા પ્રગટે અને ગમે તેવી કસોટી પ્રગટે, પણ પ્રભુકૃપાથી શહૂર પ્રગટાવીને જીવવાનું ખમીર જો દાખવીએ, તો તેના પણ ઉપાય મળી જ રહેતા હોય છે.
       

Friday, October 18, 2019

સાઇકલ પર // કાકાસાહેબ કાલેલકર


ગૂજરાત વિદ્યાપીઠના નિયામક મંડળની સભા હતી. બાપુ એમાં હાજર રહેવાના હતા. એમને લાવવાને માટે વાહન વખતસર પહોંચ્યું નહોતું. બાપુ રહ્યા સમયપાલનના આગ્રહી. વાહન આવેલું ન દીઠું એટલે આશ્રમમાંથી પગે ચાલતા નીકળી પડ્યા. પણ એમ વખતસર ક્યાંથી પહોંચાય? સભાનો વખત લગભગ થઈ ગયો હતો અને આશ્રમ વિદ્યાપીઠથી પ્રમાણમાં દૂર હતો. વચ્ચેનો રસ્તો ઉજ્જડ હોવાથી વાહન મળવાનો સંભવ પણ નહોતો.

રસ્તે થોડે ચાલ્યા પછી બાપુએ જોયું કે એક ખાદીધારી સાઇકલ પર આવે છે. બાપુએ તેને રોકી કહ્યું, 'સાઇકલ મને આપી દે. મારે વિદ્યાપીઠ જવું છે.' એણે તરત સાઇકલ આપી દીધી.

બાપુ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે કદાચ સાઇકલ પર બેઠા હશે. હિંદુસ્તાનમાં એવો પ્રસંગ નહોતો આવ્યો. છતાં તે દિવસે સાઇકલ પર બેઠા ને વિદ્યાપીઠમાં આવી પહોંચ્યા. બાપુને વખતસર આવી પહોંચેલા જોઈ સૌને નવાઈ થઈ. પણ ટૂંકું પંચિયું પહેરી ખુલ્લે શરીરે સાઇકલ પર બેઠેલા બાપુનું જે દર્શન થયું તે દિવસે થયું તે ફરી કદી થવાનું હતું?

Thursday, October 17, 2019

ગૂજરાત વિદ્યાપીઠનો શતાબ્દી પ્રવેશ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ એક ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા છે. ગૂજરાત વિદ્યાપીઠ તા. ૧૮-૧૦-૨૦૧૯ના રોજ ૧૦૦મા વર્ષમાં પ્રવેશે છે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પરિસરમાં સવારે ૮-૦૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ કુલપતિ સુશ્રી ઇલાબહેન ભટ્ટ સૌને વિદ્યાપીઠનાં ધ્યેયોની પ્રતિજ્ઞા લેવડાવશે અને સૌ સંઘગાન ગાશે. આ કાર્યક્રમ મયૂર બાગમાં યોજાનાર છે. ત્યારબાદ ૮-૩૦ કલાકે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ પરિસરના સભાગૃહની સામેની જગ્યામાં આ દિવસ નિમિત્તે ૧૦૦ વૃક્ષોનું વાવેતર થશે. જેનું 'શતાબ્દી વન' નામાભિધાન કરવામાં આવશે. 

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના જે બંગલામાં થઈ હતી તે જગ્યાએ એટલે કે ભીમભાઈ મહેતાનો બંગલો, પ્રીતમનગર પહેલો ઢાળ, કોચરબ ખાતે સવારે ૯-૩૦ કલાકે પ્રાર્થનાસભા યોજવામાં આવનાર છે. આ સ્થળે વિદ્યાપીઠનાં સ્મરણો યાદ કરવામાં આવશે. આ પ્રસંગે કુલપતિ ઇલાબહેન, કુલનાયક અનામિકભાઈ, કાર્યકારી કુલસચિવ ભરતભાઈ તેમજ બંગલાના મૂળ માલિક અને ત્રીજી પેઢીના વારસ શ્રી પ્રિયદર્શનભાઈ મહેતા સૌને આવકાર આપશે.

આ જ દિવસે સાંજે ૪-૩૦ થી ૫.૩૦ દરમ્યાન વિદ્યાપીઠનાં ૧૦૦ વર્ષની ઉજવણીના અનુસંધાને ભારતીય ટપાલ સેવા, ભારત સરકાર દ્વારા વિશેષ ટપાલ ટિકિટ અને ફર્સ્ટ ડે કવરનું વિમોચન મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસના ખંડમાં યોજવામાં આવનાર છે. આ પ્રસંગે કુલપતિ ઇલાબહેન, વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ, અધ્યાપકો, તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પોસ્ટ-માસ્ટર જનરલ શ્રી આર.પી.ગુપ્તા; ચીફ પોસ્ટલ સુપ્રિટેન્ડેન્ટ (મુખ્ય કાર્યાલય) શ્રી સુનિલ શર્મા તેમજ સી.પી.એમ મેજર એસ.એન.દવે પણ વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેશે.

આ ઐતિહાસિક દિવસની યાદરૂપે બહાર પાડવામાં આવનાર ફર્સ્ટ ડે કવરની સ્થળ પર વેચાણ-વ્યવસ્થા કરવામાં આવનાર છે.

Thursday, September 26, 2019

વૈષ્ણવ જન તો તેને રે કહીએ ... ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન / Ustad Bismillah Khan

વૈષ્ણવ જન તો તેને રે કહીએ ... પંડિત હરિપ્રસાદ ચૌરસિયા

વૈષ્ણવ જન તો તેને રે કહીએ ... ઉસ્તાદ અમજદ અલી ખાન / Ustad Amjad Ali Khan

વૈષ્ણવ જન તો તેને રે કહીએ ... નેહા કામથ

Tuesday, September 10, 2019

વિનોબા ભાવે 'સવાસો' : બાબાનાં જીવન અને કવનને જાણીએ



ટોઇલેટ : એક કેમકથા

'પાણીદાર' સ્ત્રીસશક્તીકરણ

વીજવપરાશવિહીન વિદુષી : ડૉ. હેમા સાને

ભૂંસાતાં ગ્રામચિત્રો // મણિલાલ હ. પટેલ



( સૌજન્ય : https://ekatra.pressbooks.pub/ )

મણિલાલ હ. પટેલ
P
hotograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

અરધી સદીની વાચનયાત્રા : ભાગ ૧થી ૪ // સંપાદક : મહેન્દ્ર મેઘાણી


Thursday, August 29, 2019

ભાષાની મજા, મજાની ભાષા - 1068


'બીભત્સ' ન બોલવું, 'બીભસ્ત' તો ન જ બોલવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1067


'ડોક્ટર'ને નહીં પણ 'ડૉક્ટર'ને બતાવો!

ભાષાની મજા, મજાની ભાષા - 1066


શબ્દ એક, અર્થ બે! 
'તારા વિના જીવન, તારા વિના ગગન.'

ગાંધીબાબા કાનૂન સે લાડે

જી. ડી. નાયડુ : ભારતના એડિસન

Saturday, August 17, 2019

પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર

મહાત્મા અને સંગીત

Subhash Baoli (Dalhousie, Himachal Pradesh) // સુભાષ બાઉલી (ડેલહાઉસી, હિમાચલ પ્રદેશ)


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Subhash Baoli (Dalhousie, Himachal Pradesh)
Date of Photograph : 04-07-2019, 16:37